Opinion Magazine
Number of visits: 9460189
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાલુપ્રસાદ યાદવ અને નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી વચ્ચે રહેલું સામ્ય

અસીમ અલી, અસીમ અલી|Opinion - Opinion|28 October 2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તેમના ટીકાકારોને પણ અચરજમાં નાખી દે છે. તેમને વિસ્મય એ વાતનું છે કે આ છ વરસમાં મોદીએ એવું કર્યું છે શું? જો કે આ સવાલ ખોટો છે. તેમની લોકપ્રિયતા તેમણે જે કર્યું છે તેને નહીં, પણ તેમણે જે નથી કર્યું તેને આભારી છે. લોકોની નજરમાં નરેન્દ્ર મોદીની ઓળખ નિરાશાજનક વર્તમાન યથાસ્થિતિનો અંત આણનારની રહી છે.

પોતાના નામે ખાસ કશી સિદ્ધિ ન હોવા છતાં, મોદીની લોકપ્રિયતા એક સમયે લાલુપ્રસાદ યાદવની લોકપ્રિયતાની યાદ અપાવે એવી છે. લાલુએ બિહારમાં પ્રચંડ લોકપ્રિયતા સાથે પંદર વરસ સુધી રાજ કર્યું, તેનાથી પણ વિશ્લેષકો આશ્ચર્યમાં હતા. બંને નેતાઓનો આ દૃષ્ટિએ અભ્યાસ કરવાથી કદાચ મોદીને શી રીતે પડકારી શકાય તેનો ખ્યાલ પણ આવી શકશે.

છેલ્લાં છ વરસ દરમિયાન મોદીએ લીધેલાં કેટલાંક મોટાં પગલાં જુઓ: નોટબંધી, કલમ 370, જી.એસ.ટી., કૃષિ કાયદા અને શ્રમિક કાયદા. આ દરેકની પાછળ એક રાજકીય ગણિત દેખાઈ આવે છે. મોદી નવી આશાઓથી ઉભરાતા સમાજના સમર્થનના જોરે ચૂંટાયા અને વડા પ્રધાન બન્યા. આ આશાવાદી સમાજનો મોટો હિસ્સો નવ-મધ્યમ વર્ગનો બનેલો હતો, જે ઉદારીકરણનો લાભાર્થી હતો ખરો, પણ તેમની મહત્ત્વાકાંક્ષા એથીયે મોટી હતી. એમાં મોદીની ચબરાકી એ હતી કે તે મધ્યમ વર્ગની નિષ્ફળતાઓ માટે અંગત સ્થાપિત હિતો ધરાવતી વ્યક્તિઓના તાબા હેઠળના અને ભ્રષ્ટ તંત્રને જવાબદાર ઠેરવી શક્યા. આ રીતે જૂનું વ્યવસ્થા-તંત્ર 2014 સુધીમાં લોકોના મનમાં એટલું ત્રાસદાયક બની ગયું કે તેને તોડી પાડવું એ જ તેમને મન આવનારા શાસકની સૌથી મોટી લાયકાત બની ગયું.

જો કે, મોદી લોકોને હજુ એવું ઠસાવી રહ્યા છે કે જૂનું તંત્ર જીવિત જ છે: “સિત્તેર વરસનો ખાડો” પૂરતાં થોડો વખત લાગશે! આ જ તેમની મુખ્ય અપીલ રહી છે, અને તેમને મત મળતા પણ રહ્યા છે. જૂના ભારતના નાશ પછી જ ‘નવું ભારત’ બનશે એવું તે કહેતા હોય છે.

તેમના મોટા ભાગનાં રાજકીય પગલાં પાછળ આ દલીલ રહેલી હોય છે કે તે સ્થાપિત હિતોવાળી યથાસ્થિતિને નષ્ટ કરી રહ્યા છે. આમ, (તેમના દાવા પ્રમાણે) નોટબંધીએ દેશમાં કાળા નાણાંનો નાશ કર્યો, જી.એસ.ટી.એ દેશની ભ્રષ્ટ અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી. અબ્દુલ્લા અને મુફ્તીના (તેમ જ અલગતાવાદીઓના) ભ્રષ્ટ કબજામાંથી જમ્મુ-કાશ્મીરને છોડાવવા કલમ 370 દૂર કરવામાં આવી, જે રાજ્યને પછાત રાખતી હતી અને તેનું બાકીના ભારત સાથેનું સંપૂર્ણ એકીકરણ અટકાવતી હતી. હમણાં જ પસાર થયેલાં કૃષિ કાનૂનો ખેતીનું આધુનિકરણ અવરોધનારા વચેટિયાથી ખેડૂતોને આઝાદ કરશે. એ રીતે શ્રમિક સુધારાઓ પણ ઔદ્યોગીકરણને ઝડપ આપશે … આવાં કારણો અને દાવાનો પ્રચાર સતત થતો રહે છે.

જો કે આ સ્થાપિત તંત્ર તૂટ્યા પછી મોદીએ નવું માળખું ઊભું કરાવામાં રસ દાખવ્યો નથી. કાશ્મીર નીતિ સાવ નિષ્ફળ ગઈ છે, જી.એસ.ટી.નો અમલ ખૂબ નબળો રહ્યો છે, નોટબંધી પોતે એક મોટી આપદા હતી અને નવા કૃષિ કે શ્રમ સુધારાઓની જમીન પર શું અસર થશે એ વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી. નહેરુની જેમ નવાં માળખાં કે સંસ્થાઓ ઊભાં કરવાના મામલે મોદીમાં ઇચ્છાશક્તિ અને ક્ષમતા બંનેનો અભાવ જોવા મળ્યો છે. તેમ છતાં આ મુદ્દાઓના સમર્થનમાં તેમની વધારે પડતી સરળ અને ગોળગોળ વાતો તેમની મર્યાદા છતી કરતી નથી. ઉપરથી તેને તેમનું જમા પાસું ગણવામાં આવે છે. લોકોને જલદી ગળે ઊતરી જાય એવી સરળ વાતો જ રાજકીય રીતે ફાયદો કરાવે, એ લાલુપ્રસાદ યાદવના કિસ્સામાં પણ જોવા મળ્યું હતું.

મોદીની જેમ લાલુની ચડતી પણ જૂનું માળખું ભાંગવાના પ્રતિકરૂપ હતી. 1960ના દાયકાથી બિહારના પછાત વર્ગમાં રાજકીય જાગૃતિ વધી રહી હતી, જેને લોહિયા, જેપી અને કર્પૂરી ઠાકુર જેવા નેતાઓ ઘડી રહ્યા હતા. હરિત ક્રાંતિને પરિણામે આ ખેડૂત વર્ગની આકાંક્ષાઓ પણ વધી હતી. ઉપલા વર્ગની જાતિના કબજા હેઠળનું જૂનું માળખું, એ જ વર્ગમાંથી આવતા લોકોની કૉંગ્રેસનું બનેલું હતું. 1990માં લાલુ મુખ્ય મંત્રી થયા, ત્યાં સુધીમાં તે માળખાને જાકારો મળી ચૂક્યો હતો.

મોદીની જેમ લાલુની પ્રાથમિકતા બિહારમાં આ માળખાનો વિકલ્પ ઊભો કરવાની ન હતી. નવું માળખું તેમના મુખ્ય મતદાર વર્ગને ફાયદો કરાવી શક્યું હોત, અને જૂના માળખાને પડકારી પણ શક્યું હોત. તેમની જનતા પાર્ટીનો નારો “વિકાસ નહિ, સન્માન જોઈએ”-નો હતો. રાજકીય વિશ્લેષક જેફ્રી વિટ્ઝોએ લખ્યું તેમ, લાલુએ પછાત વર્ગના મતોને ખેંચ્યા, તે કોઈ શાસકીય નીતિ-વ્યવસ્થાના જોરે નહીં, પણ આ વર્ગના સન્માનના નામે. તેમનું ધ્યાન રાજ્યને ઉપલી જાતિના લોકોની પકડથી છોડાવવા પર કેન્દ્રિત હતું. એ કારણે તેમને વારંવાર ઉપલી જાતિના લોકોથી બનેલી પોલીસ, વહીવટી તંત્ર અને ન્યાયતંત્ર સાથે ઘર્ષણ થતું.

સમય સાથે આ ઘર્ષણ વધતું ગયું. વિશ્લેષક અતુલ કોહલીએ તેને ‘બિહારની શાસકીય કટોકટી’ એવું નામ આપ્યું. શિક્ષણ, આરોગ્ય અને નોકરીઓમાં રાજ્ય પછાત જ રહ્યું. એમાં ય ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન કૉંગ્રેસના શાસન સમયથી જ વિકરાળ હતો અને તે વધુ વકર્યો. તેમ છતાં લાલુ લોકપ્રિયતા ભોગવતા રહ્યા અને 1995માં વધુ મોટી બહુમતીથી સરકાર રચી શક્યા. લાલુ કે મોદી જેવા લોકપ્રિય નેતાઓ થોડા સમય માટે તેમની શાસકીય નીતિની ટીકાથી બચી શકતા હોય છે કે તેનાથી પર રહેતા હોય છે. હકીકતમાં તે ટીકાને પોતાના સમર્થનમાં ફેરવી શકે છે. કેમ કે, તે ટીકાકારોને જૂના માળખાના પ્રતિક તરીકે ચિતરે છે. એવો પ્રચાર કરવામાં આવે છે કે ટીકા કરનારા જૂનું માળખું તૂટવાથી તેમનો ગરાસ લૂંટાઈ જવાને કારણે દુઃખી છે અને ટીકા કરે છે. લાલુએ પોતાના શાસનકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારને ઉપલી જાતિના પ્રભુત્વ હેઠળની તપાસ સંસ્થાઓના તથા ન્યાયતંત્રના કાવતરા તરીકે રજૂ કર્યો. સામે પક્ષે, ગરીબ વર્ગ લાલુને પોતાનામાંથી એક ગણતો હતો, જેમ મધ્યમ વર્ગના લોકો (‘ચાવાળાના દીકરા’) મોદીને પોતાની વચ્ચેથી ઊભરેલા નેતા તરીકે જુએ છે. લાલુરાજથી પછાત વર્ગને સામાજિક અને રાજકીય ફાયદો થયો હતો અને તે ઉપલી જાતિની પકડમાં હોય એવા જૂના વ્યવસ્થાતંત્રમાં પાછા ફરવા ઇચ્છતા ન હતા. લાલુને તે પોતાની (નીચલી) જાતિઓનાના ઉપલી જાતિ વિરુદ્ધ પ્રતિકારના પ્રતિક તરીકે જોતા.

જો કે 2000ની ચૂંટણીમાં લાલુએ બહુમતી ગુમાવી અને 2005ની ચૂંટણી તે હાર્યા. લાલુને એ પાઠ મળ્યો કે લોકોની મહત્ત્વાંકાંક્ષા પૂરી ન થાય તો લોકપ્રિયતા કાયમી નથી ટકતી. આર્થિક કટોકટી અને વ્યાપક બેરોજગારી જેવી સમસ્યાઓ છતાં મોદીની લોકપ્રિયતા અકબંધ રહી છે, પણ 2024ની ચૂંટણીને હજી ઘણી વાર છે. સમય ગમે ત્યારે બદલાઈ શકે છે.

જો કે બિહારના ઉદાહરણ પરથી એ સમજાય છે કે આ પરિવર્તન કોઈ વૈકલ્પિક રાજકીય માળખા વિના શક્ય બનતું નથી. માત્ર સરકારના વિરોધથી કશું સરતું નથી. નીતિશકુમારે “નવા બિહાર”ની વાત કરી હતી, જૂના માળખા તરફ પાછા ફરવાની નહીં. જેફ્રી વિટ્ઝો અને ફ્રેન્કાઇન ફ્રેન્કેલે નોંધ્યું તેમ, નીતિશ લાલુને ખસેડી શક્યા, કારણ કે તેમણે સામાજિક ન્યાય અને વિકાસ બંનેને સાંકળ્યા. લાલુ આ બંનેને મિશ્ર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. વળી, નીતિશકુમારે માત્ર વાતો કરવાને બદલે પોતાની રાજનીતિ તેની આસપાસ ગોઠવી. અતિ પછાત વર્ગોને તેમણે પોતાની સાથે કર્યા, જે લાલુરાજ દરમ્યાન મુસ્લિમ-યાદવના પ્રભુત્વથી દુઃખી હતા અને પોતાને શોષિત ગણતા હતા. કૂર્મી અને કોરી જાતિના મતોની સાથે દલિત મુસ્મિમો પણ નીતિશની સાથે હતા. આમાં ભા.જ.પ.ના ઉપલી જાતિના મતો ભળવાથી વિજયી યુતિ રચાતી હતી. જો કે લાલુની જેમ પોતાને ફક્ત પછાત જાતિના નેતા તરીકે રજૂ કરવાને બદલે, નીતીશે નવાં સપનાં ધરાવતા અને સ્વચ્છ રાજનીતિની અપેક્ષા રાખતા મતદાર વર્ગના નેતા તરીકે પણ પોતાની જાતને રજૂ કરી.

મોદીની લોકપ્રિયતા ખટકતી હોય તેમણે પૂછવું જોઇએ કે વિપક્ષ કયો વિકલ્પ રજૂ કરી રહ્યો છે? કૉંગ્રેસ હજુ ભ્રષ્ટાચાર અને વંશવાદથી ગ્રસ્ત છે. તેના મોટા ભાગના નેતાઓ કોઇ રાજકીય નેતાના વંશજ છે. ખુદ કેન્દ્રીય નેતૃત્વ નહેરુ-ગાંધી પરિવારની ચોથી પેઢીના હાથમાં છે. હવે તે પોતાને પછાતો, દલિતો અને મુસ્લિમોના પક્ષ તરીકે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે, પણ તેમાં તેમને મોટી સફળતા મળી નથી અને તે પણ આ બાબતે ખાસ ગંભીર જણાતા નથી. તેના નેતાઓ વચ્ચેના મતભેદોને કારણે વિચારધારાના મામલે પણ કૉંગ્રેસમાં કોઈ સ્પષ્ટતા નથી.

ઉપરાંત, રાજ્યના સ્થાનિક પક્ષો એવી આશા સેવીને બેઠા છે કે કૉંગ્રેસથી નિરાશ મતદાર વર્ગ નછૂટકે તેમની પાસે જ આવશે. તે પોતાની 1980ના દાયકાની રાજનીતિને 2020ની વાસ્તવિકતાઓને અનુરૂપ બનાવી રહ્યા નથી. તાળાબંધી દરમિયાન શ્રમિકોની સમસ્યાને મોદી વટાવી શક્યા, પણ સવાલ એ છે કે વિપક્ષના કયા નેતાએ આ સમસ્યાને રાજકારણનો મુદ્દો બનાવી અને એ વર્ગને પોતાની સાથે લેવા ગંભીર પ્રયત્નો કર્યા?

જૂનું વ્યવસ્થાતંત્ર પોતાની વિશ્વસનીયતા ખોઈ બેઠેલું છે. આથી, મોદીનો રકાસ ત્યારે થશે, જ્યારે કોઈ રાજકીય પક્ષ નવું માળખું જ લાવશે. દુઃખદ વાત એ છે કે આ વિકલ્પ રચાતો હોય એવું અત્યારે તો ક્યાં ય દેખાઈ રહ્યું નથી. 

(સૌજન્યઃ ‘ધ ટેલીગ્રાફ’, અનુવાદઃ સુજાત)

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 26 ઑક્ટોબર 2020; પૃ. 07-09

Loading

28 October 2020 admin
← ‘અચ્છે દિન’ના હિસ્સેદાર બનવા માગતા દલિતોને શું મળ્યું?
ચીન અને ભારતમાં આટલું અંતર કેમ ? →

Search by

Opinion

  • પુણેનું સમાજવાદી સંમેલન : શું વિકલ્પની ભોં ભાંગે છે?
  • રમત ક્ષેત્રે વિશ્વ મંચ પર ઉત્કૃષ્ટતાની નેમ સાથેની નવી ખેલકૂદ નીતિ
  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • શૂન્ય …
  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved