Opinion Magazine
Number of visits: 9449479
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈને ય મોક્ષ જોઈતો નથી, સત્તા જોઈએ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|22 December 2024

રમેશ ઓઝા

ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે “આખો દિવસ આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર કરો છો, તેની જગ્યાએ જો ભગવાનનું નામ લીધું હોત તો મોક્ષ મળત.”

આના પ્રતિવાદમાં એમ કહી શકાય કે આખો દિવસ અને આખી જિંદગી મુસલમાન મુસલમાન મુસલમાન મુસલમાન કરો છો તેની જગ્યાએ જો ઈશ્વરનું નામ લીધું હોત તો માણસ તરીકેનું આયખું સાર્થક થાત અને મોક્ષ મળત.

પણ બંનેમાંથી કોઈને ય મોક્ષ જોઈતો નથી, બંનેને સત્તા જોઈએ છે. એક સત્તા સારુ આંબેડકર આંબેડકર કરે છે અને બીજા સત્તા સારુ મુસલમાન મુસલમાન કરે છે. બી.જે.પી. વિશેની સર્વસાધારણ ઈમેજ એવી છે કે તે સવર્ણોનો સવર્ણોનાં હિત માટેનો પક્ષ છે જે મનુસ્મૃતિ આધારિત બ્રાહ્મણી મUલ્યોમાં શ્રદ્ધા ધરાવે છે. તે બહુજન સમાજ, દલિત, સ્ત્રીઓ અને ગૈરહિંદુઓ વિરોધી વિચાર ધરાવે છે. ભારતનું બંધારણ ભેદભાવ વિના દરેકને સમાન સ્થાન અને સમાન અવસર આપે છે એ તેમને માટે તેમની કલ્પનાના ભારતની રચના કરવામાં આડે આવે છે, એટલે તેઓ તેને બદલવા માગે છે. જ્યાં સુધી સહિયારા ભારતની બાંયધરી આપનારા વર્તમાન બંધારણને ખતમ કરવામાં ન આવે ત્યાં સુધી હિંદુ સવર્ણોની સર્વોપરિતાવાળા બંધારણીય હિંદુ ભારતનું નિર્માણ કરવું શક્ય નથી. ટૂંકમાં તેમના હાથમાં ભારતનું બંધારણ સુરક્ષિત નથી અને માટે તેઓ આંબેડકર વિરોધી છે. વિરોધ પક્ષો બી.જે.પી.ની આ જે ઈમેજ છે તેને વટાવી ખાવા માગે છે. બંધારણ ખતરે મેં હૈ અને માટે તેઓ આંબેડકર આંબેડકર કરે છે.

બી.જે.પી.ને ખબર છે કે જ્ઞાતિગ્રસ્ત વિભાજીત હિંદુ સમાજને સંગઠિત કરવો હોય તો તેને કોઈકનો ડર બતાવવો જરૂરી છે અને મુસલમાન હિંદુઓને ડરાવવા માટેની હાથવગી કોમ છે. આમ તો હિંદુ શૂરવીર છે, તેનો ઇતિહાસ શૌર્યથી છલકાય છે, પણ મુસલમાનોથી ડરે છે. મુસલમાનોએ શૂરવીર હિંદુઓને ભૂતકાળમાં સતાવ્યા છે તેને યાદ કરીને તેઓ માતમ કરે છે. તેમને એક એવા હિંદુની જરૂર છે જે ટોળાંમાં દુ:શ્મનને લલકારે, પણ એકલો ડરે. ટોળાંમાં ગર્જના કરે, પણ એકલો રડે. અંગ્રેજીમાં કહીએ તો તેઓ બાયપોલાર ડિસઓર્ડર ધરાવતો હિંદુ પેદા કરી રહ્યા છે. તેઓ હિંદુઓની કુસેવા કરી રહ્યા છે, પણ તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમને હિંદુ સાથે કોઈ લેવાદેવા નથી, તેમને તો માત્ર સત્તા જોઈએ છે.

ટૂંકમાં એક બંધારણ બચાવવાના નામે આંબેડકરનો ઉપયોગ કરે છે અને બીજા મુસલમાનોનો ડર બતાવીને હિંદુનો ઉપયોગ કરી રહ્યા છે.

આંબેડકર એટલે બંધારણ અને બંધારણ એટલે આંબેડકર એવું સમીકરણ તેમ જ સરળીકરણ બંધારણીય મૂલ્યોની અને ભારતની કલ્પનાની વિરુદ્ધ છે. ભારત વિશેની કલ્પના રાજા રામમોહન રોયથી લઈને દોઢસો વરસમાં ક્રમશઃ વિકસી હતી, જેને બંધારણમાં લેખિત સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એની પૃષ્ઠભૂમિમાં વેદો ઉપનિષદો, શ્રમણદર્શન, નાસ્તિક પરંપરા, મધ્યકાલીન સંતો અને સૂફીઓ, ન્યાય અને સમાનતા જેવાં પાશ્ચાત્ય મૂલ્યો, અંગ્રેજોએ વિકસાવેલું ન્યાયતંત્ર તેમ જ વહીવટીતંત્ર, આધુનિક  રાજ્યવ્યવસ્થા વગેરેનો પણ ફાળો હતો. આ સિવાય મહાત્મા ફૂલે, ડૉ. આંબેડકર પોતે, પેરિયાર રામસ્વામી નાયકર જેવા અસંમતિના અવાજોનો પણ ફાળો હતો. દોઢસો વરસ વલોણું ચાલ્યું હતું, વૈચારિક અને જમીન પર સંઘર્ષો અને અથડામણો થઈ હતી અને તે ત્યાં સુધી કે અંગ્રેજો ભારતીય નેતાઓને ટોણો મારતા હતા કે આઝાદી માગતા પહેલાં એકતા સાધી આવો અને એક અવાજમાં આઝાદ ભારતની કલ્પના માંડો.

પણ આ થયું, કારણ કે તેની પાછળ દોઢસો વરસનું વલોણું હતું. દોઢસો વરસ સુધી સામસામે રવાઈઓ તાણીને ઘમઘમાટ ચાલે અને નવનીત ન નીકળે એવું બને ખરું? એ નવનીત એટલે ભારતનું બંધારણ. એ કોઈ એક વ્યક્તિએ ઘરમાં બેસીને રચ્યું નથી જે રીતે આઇવર જેનિંગે શ્રીલંકા(ત્યારે સિલોન)નું બંધારણ ઘડ્યું હતું. વિશ્વપ્રસિદ્ધ બંધારણવિદ સર જેનિંગે ઘડેલું બંધારણ ૧૪ વરસ પણ નહોતું ટક્યું, શ્રીલંકાનાં શાસકોએ તેને રદ્દ કર્યું હતું. ભારતનું બંધારણ ઘડવાનું કામ સર જેનિંગને સોંપવું જોઈએ એવું સૂચન પણ કરવામાં આવ્યું હતું, જેનો સ્વીકાર કરવામાં નહોતો આવ્યો. દોઢસો વરસ સુધી જેણે રવાઈ તાણી હોય અને હાથમાં ફોલ્લા પાડ્યા હોય તે પોતાનું બંધારણ ન ઘડી શકે? બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલા દેશોમાંથી કેટલાક દેશો બંધારણ ઘડી જ શક્યા નથી અને જેણે ઘડ્યું એ ટકાવી શક્યા નહીં એનું કારણ મુક્ત વલોણાનો અભાવ હતો. એ વલોણામાં હિંદુહિતના ઠેકેદારોએ ભાગ નહોતો લીધો. દૂરદૂર સુધી તેઓ નજરે નહોતા પડતા. એવું નથી કે તેઓ અસ્તિત્વ નહોતા ધરાવતા, કાનાફૂસી તો ચાલુ જ હતી. બાયપોલર ડિસઓર્ડર ધરાવતા હિંદુને પેદા કરવાની પ્રવૃત્તિ તેઓ કરતા હતા, પણ ખુલ્લા વિમર્શમાં ક્યાં ય નજરે નહોતા પડતા.

તો વાતનો સાર એ કે ભારતનું બંધારણ દોઢસો વરસ લાંબા મંથનનું પરિણામ છે, લેખિત સ્વરૂપ છે. એનાં જુદાંજુદાં અંગોનો ચોક્કસ ઘાટ ઘડવા માટે બંધારણસભાના સભ્યોમાંથી ખાસ સમજણ અથવા ખાસ હિત ધરાવતા લોકોની પેટા સમિતિઓ રચવામાં આવી હતી. એ પેટા સમિતિઓમાં જુદાં જુદાં અંગોનો ઘાટ ઘડાતો જતો હતો તેમ તેને મુસદ્દા સમિતિ (ડ્રાફ્ટિંગ કમિટી) લેખિત રૂપ આપતી હતી. એ લેખિત મુસદ્દો બંધારણસભામાં રજૂ કરવામાં આવતો હતો, તેના પર ચર્ચા થતી હતી, સુધારા સૂચવવામાં આવતા હતા અને મંજૂરી આપવામાં આવતી હતી. ટૂંકમાં ભારતનું બંધારણ કોઈ એક વ્યક્તિનું સર્જન નથી. દોઢસો વરસના મંથન પછી નિકળેલા નવનીતને એક પ્રક્રિયા દ્વારા આપવામાં આવેલું લેખિત સ્વરૂપ છે.

બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદને ભંધારણનો મુસદ્દો સુપરત કરતા બંધારણ સમતિના વડ બીમરાવ આંબેડકર

પણ ડૉ આંબેડકરને બંધારણના શિલ્પકાર તરીકે ઓળખાવવામાં આવે છે. એમાં બે ફાયદા છે. એક તો જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, મૌલાના આઝાદ, ડૉ રાજેન્દ્ર પ્રસાદ, આચાર્ય કૃપાલાની જેવા કાઁગ્રેસીઓના ફાળાને ભૂલાવી શકાય અને દલિતો રાજી થાય. ડૉ આંબેડકરને બંધારણના શિલ્પકાર તરીકે સ્થાપિત કરવામાં દલિતો કરતાં હિન્દુત્વવાદીઓ વધારે અગ્રેસર હતા. સરદારની જેમ આંબેડકરને પાંખમાં લેવાનો તેમણે પ્રયાસ કર્યો હતો.

પણ હવે તેમની સામે સમસ્યા પેદા થઈ છે. બંધારણના રચયિતા આંબેડકર છે અને આંબેડકરે રચેલું બંધારણ સહિયારા ભારતનું છે જે તેમને ખપનું નથી. આ બાજુ દલિતોએ અને અન્ય પછાત સમાજોએ પણ ભારતનાં બંધારણને આંબેડકર રચિત બંધારણ માની લીધું છે એટલે તેઓ તેને હાથ લગાડવા દેતા નથી. વિરોધ પક્ષો આ જાણે છે એટલે તેઓ પણ ડૉ આંબેડકરનું બંધારણ ખતરામાં છે એવો શોરબકોર કરી રહ્યા છે.

આ સત્તા માટેની રમત છે, બંધારણ માટેની નથી. જો સહિયારા ભારતની કલ્પનાને સ્વીકારનારા દેશના મધ્યમમાર્ગી પક્ષોએ બંધારણ નિષ્ઠા બતાવી હોત તો આજે તેમને અને દેશને જે દિવસો જોવા મળી રહ્યા છે તે જોવાનો વારો ન આવ્યો હોત.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ડિસેમ્બર 2024

Loading

22 December 2024 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—268
ઉસ્તાદ ઝાકીર હુસૈનઃ સાક્ષાત શિવ સમા કલાકારની વિદાયથી પૃથ્વી પણ તાલ ચૂકી ગઇ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved