Opinion Magazine
Number of visits: 9446721
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ વ્યક્તિ કે વિચારની આંગળી ઝાલતા પહેલાં એ આપણને ક્યાં લઈ જશે એનો વિચાર કરવો જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|21 July 2019

હું જન્મે હિંદુ છું, પણ હિન્દુત્વવાદી નથી. હું સામાજિક-આર્થિક સમાનતામાં દ્રઢપણે માનું છું પણ હું સામ્યવાદી નથી. હું મારા વતનને અને વતનમાં વસતી દરેક પ્રજાને બેહદ પ્રેમ કરું છું, પણ હું રાષ્ટ્રવાદી નથી.

શા માટે?

કોઈ વ્યક્તિ કે વિચારની આંગળી ઝાલતા પહેલાં એ આપણને ક્યાં લઈ જશે એનો વિચાર કરવો જોઈએ. એ આપણો અધિકાર છે, જવાબદારી છે અને ભાવિ પેઢી માટેની આપણી ફરજ પણ છે. આવનારી પેઢી એવું ન કહે કે અમારા બાપદાદાઓ અમને ભેખડે ભરાવી ગયા અને હવે અમારે કિંમત ચૂકવવી પડે છે. ગઈ સદીમાં જર્મનોએ, ઈટાલિયનોએ, રશિયનોએ, અને બીજા અનેક સામ્યવાદી દેશોની પ્રજાએ ધર્મવાદની, રાષ્ટ્રવાદની અને સામ્યવાદની ખોટી આંગળી ઝાલી હતી અને કિંમત ચૂકવી હતી. ચીનાઓનો તો હજુ પણ છૂટકારો નથી થયો. આ સિવાય કેટલાક મુસ્લિમ દેશોમાં લોકો એક ખાસ પ્રકારના ઇસ્લામની આંગળી પકડવાની કિંમત ચૂકવી રહ્યા છે. આ બધી ઘટનાઓ હજુ ગઈકાલની છે અને હજુ આજે પણ બની રહી છે.

તમે જાણો છો ઝનૂની ધાર્મિકતાએ, વંશવાદે, ઝનૂની રાષ્ટ્રવાદે અને ઝનૂની સામ્યવાદે કેટલા લોકોનો ભોગ લીધો હશે અને હજુ પણ લે છે? મહેરબાની કરીને નાના આંકડાની કલ્પના નહીં કરતા. આ બધા ભસ્માસુર છે જેણે પ્રત્યેકે જુદા જુદા સ્વરૂપમાં દસ દસ દરોડ લોકોનો ભોગ લીધો હશે અથવા દેશનિકાલ કર્યા હશે કે સતાવ્યા હશે. આમાં જરા ય અતિશયોક્તિ નથી. જોઈએ તો ઇતિહાસ તપાસી શકો છો. સત્તા મેળવવા જગતમાં જેટલી હિંસા થઈ છે એનાથી કંઈક ગણી વધુ હિંસા શ્રદ્ધાના નામે થઈ છે. અમારો માર્ગ જ સાચો કારણ કે અમે ઈશ્વરના ખાસ સંતાનો છીએ અથવા અમારો માર્ગ જ સાચો કારણ કે આ મહાન દેશની અમે મહાન બહુમતી પ્રજા છીએ અથવા અમારો માર્ગ જ સાચો કારણ કે અમે ન્યાય અને સમાનતા આધારિત આદર્શ રાજ્યની સ્થાપના કરવા માગીએ છીએ.

આવા દરેક પ્રકારના લોકો પોતાને શ્રેષ્ઠ સમજે છે અને પોતાના માર્ગને કલ્યાણકારી સમજે છે. આમાંથી બે પ્રકારના અભિગમો પેદા થાય છે. એક છે નર્યા ધિક્કારનો અને બીજો છે ધિક્કારપૂર્વકની દયાનો. આ માણસ હિંદુ (કે બીજો કોઈ પણ ધર્મ અહીં મૂકી દો) નથી માટે ધિક્કારને પાત્ર છે અથવા દયાને પાત્ર છે. આ માણસ સામ્યવાદી નથી એટલે સર્વહારા વંચિતોનો દુ:શ્મન છે, એટલે તેને ધિક્કારવો જોઈએ અથવા તેના અજ્ઞાનની દયા ખાઈને તેની સાન ઠેકાણે લાવવી જોઈએ. આ માણસ બહુમતી પ્રજાનો સભ્ય નથી માટે તેની રાષ્ટ્રનિષ્ઠા શંકાસ્પદ છે. કાં તો એ દેશના દુ:શ્મનનો કાંટો કાઢી નાખવો જોઈએ અથવા તેની દયા ખાઈને તેને તેની નાનકડી ઓશિયાળી જગ્યા બતાવી દેવી જોઈએ.

આ જગતમાં જેટલી હત્યાઓ “આપણા માર્ગમાં આડે આવનારાઓ”ની થઈ છે એટલી જ હત્યાઓ (અને કદાચ વધુ) લાખ વિનવ્યા છતાં “આપણો માર્ગ નહીં અપનાવનારાઓ”ની થઈ છે. જો હત્યા કરવામાં નથી આવતી તો સતાવવામાં આવે છે. પાછું બધું શુદ્ધ કરુણાભાવથી! ‘બચાડો મુસલમાન (કે મુસ્લિમ બહુમતી દેશમાં હિંદુ કે બીજા દેશમાં બીજી કોઈ લઘુમતી) તરીકે જન્મ્યો છે એમાં એનો શું વાંક? આપણે પણ સમજીએ છીએ, પણ જ્યારે સમજાવ્યો ન સમજે ત્યારે શું કરીએ? એને માટે આપણે આપણા ધર્મ સાથે (કે અર્થાન્તરે રાષ્ટ્ર સાથે કે સર્વહારા સાથે) વિશ્વાસઘાત ઓછો કરાય?’

હિન્દુત્વવાદીઓમાં એક વિચારધારા છે જે મુસલમાનોની, ખ્રિસ્તીઓની અને યહૂદીઓની દયા ખાય છે. બચાડા ખોટા ધર્મમાં પેદા થયા એમાં તેમનો શું વાંક! તેઓ તેના ધર્મના શિકાર (વિક્ટિમ) બનેલા છે, માટે તેમની દયા ખાવી જોઈએ; તેમને ધિક્કારવાના ન હોય. વર્ગમાં ઠોઠ વિદ્યાર્થીનું ઠોઠપણું જોઈને કરુણાવાન વિદ્યાનુરાગી શિક્ષક જે રીતે ધ્રુજતા ધ્રુજતા વિદ્યાર્થીનો કાન આમળે અને સાચો રસ્તો ચીંધે એ રીતે એટલી જ દયા સાથે એ લોકો મુસલમાનોનો, ખ્રિસ્તીઓનો અને યહૂદીઓનો કાન આમળે છે. શુદ્ધ કરુણાભાવથી. ધ્રુજતા ધ્રુજતા તેઓ પણ કહે છે; ‘સમ …… જ, તું ક્યારે સમજીશ!’ એ વિચારધારામાં માનનાર મારા એક મિત્ર તેમની માણસાઈના પૂરાવા તરીકે તેમનું સાહિત્ય મને આપતા રહે છે. કોઈની આંખ ફોડવી અને પોતાને નજરે પડતા પરમ કારુણ્યથી પ્રેરાઈને દુરાગ્રહપૂર્વક કોઈની આંખ પરાણે ઊઘાડવાનો પ્રયત્ન કરવો એમાં કોઈ પ્રકારનો ગુણાત્મક ફરક નથી. એ પછી પણ કોઈ આંખ ન ઊઘાડે તો? તો શું થાય એની કલ્પના તમે કરી શકો છો. તેઓ જેને કરુણા સમજે છે એ ધિક્કારપૂર્વકની કરુણા છે.

ધર્મવાદ, વંશવાદ, સામ્યવાદ અને રાષ્ટ્રવાદ એ ચારે ય સમાજમાં પૃથકતા પેદાં કરનારાં પરિબળો છે. એ જેટલા મહાન દેખાય છે એટલાં એ છે નહીં. એનો સત્તા માટે રાજકીય ઉપયોગ કરવામાં આવે છે. ઈશ્વરોએ, અવતારોએ કે મસીહાઓએ કહેલાં મૂળ વચનો અને અત્યારે જોવા મળતા ધર્મ અને ધર્મવાદ વચ્ચે જમીન-આસમાનનું અંતર છે. હિંદુદર્શન અને હિન્દુત્વ વચ્ચે કોઈ સમાનતા નથી. કોઈ કહેતા કોઈ પ્રકારની નહીં. આવું જ બીજા ધર્મોનું.

મને એક વાત નથી સમજાતી. જો તમે તમારા ધર્મને આટલો બધો પ્રેમ કરો છો તો એક વાર તમારા ધર્મનાં મૂળ શાસ્ત્રોને મોકળા મને વાંચી કેમ નથી લેતા? વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, સાંખ્ય, યોગસૂત્ર, ભક્તિસૂત્રો વગેરે વાંચી જશો તો ખ્યાલ આવશે કે તે તમારી પાસેથી શાની અપેક્ષા રાખે છે? જો વિધર્મીને સતાવવાની શિખામણ આપી હોય તો જરૂર સતાવો, પણ એક વાર જોઈ તો જાવ? આટલું બધું આળસ? અને એ પણ આપણા પોતાના વહાલા અને પવિત્ર ધર્મની બાબતે? આખે આખો હિંદુ જન્મીને લાંબુ આયુષ ભોગવીને સ્મશાન ભેગો થઈ જાય છે, પણ સમ ખાવા પૂરતો એક પણ ગ્રંથ વાંચતો નથી. પાછો પોતે પોતાના ધર્મ માટે ગૌરવ અનુભવે છે.

ના આ આળસ નથી. આ ભય છે. માણસ બનવાનો ભય. માણસ બનો એટલે એની સાથે ઘણી જવાબદારીઓ આવે છે. વિવેક રાખવો પડે અને સંયમ પાળવો પડે. માણસ સિવાયની બીજી ઓળખોની બાબતે દુરાગ્રહો છોડવા પડે. સતત આત્મનિરીક્ષણ કરવું પડે અને જાત સાથે ઝઘડવું પડે. શરૂઆતમાં સંસ્કારો પ્રબળ હોવાને કારણે વારંવાર પરાજય થાય અને તેને કારણે માણસ હજુ વધુ નાનપ અનુભવવા લાગે. આમ જાત સાથે ઝઘડીને ‘મહાવીર’ બનવા કરતાં બીજા સાથે ઝઘડીને ‘વીર’ બનવું બહુ સહેલું છે. આમાં માત્ર એક જ કામ કરવાનું છે; ‘અમે’ની ઓળખની વ્યાખ્યા બાંધવામાં આવે તો ‘તમે’ આપોઆપ નોખા પડી જશે.

આ કામ જેમની સત્તા પર નજર છે એવા રાજકારણીઓ કરી આપે છે. તેમણે તમારા માટે બે માજાના લેબલ શોધી કાઢ્યા છે. બીજા સાથે ઝઘડવામાં જો જીતો તો વીર અને મરો તો શહીદ. વીરની વાહવાહ કરાય અને શહીદને તો સીધું સ્વર્ગ મળે. દુઃખ એ વાતનું છે કે બાપડાને ખબર પણ નથી કે તે શા માટે શહીદ થઈ ગયો! જન્મથી લઈને સ્મશાન સુધીની યાત્રામાં તેણે ક્યારે ય તસ્દી નથી લીધી કે જેનો બચાવ કરવા સૈનિકી વહોરી લીધી છે એ છે શું? એ શું કહે છે? એ કેટલું માનવીય છે અને કેટલું અમાનવીય છે. કેટલું ગ્રાહ્ય છે અને કેટલું ત્યાજ્ય છે.

બે વાતનું ધ્યાન રાખવાનું છે. આપણને એક જ જિંદગી મળી છે. અને બીજું તમે આ દિશાનું કે પેલી દિશાનું ગમે તેવું જીવન જીવો, તેનાં પરિણામોનો વારસો તમે તમારી આવનારી પેઢી માટે છોડી જવાના છો. સારી કે નરસી કિંમત આવનારી પેઢીએ ચૂકવવાની છે. નથી બીજી જિંદગી મળવાની કે નથી પરિણામોથી બચી શકાય એમ છે. આમ કોઈ વ્યક્તિ કે વિચારની આંગળી ઝાલતા પહેલાં એ આપણને ક્યાં લઈ જશે એનો વિચાર કરવો જોઈએ. એ આપણો અધિકાર છે, જવાબદારી છે અને ભાવિ પેઢી માટેની આપણી ફરજ પણ છે. આવનારી પેઢી એવું ન કહે કે અમારા બાપદાદાઓ અમને ભેખડે ભરાવી ગયા અને હવે અમારે કિંમત ચૂકવવી પડે છે.

18 જુલાઈ 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 જુલાઈ 2019

Loading

21 July 2019 admin
← વાત કવિના બૌદ્ધિક અભિગમની
ચલ મન મુંબઈ નગરી — 1 →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved