Opinion Magazine
Number of visits: 9448794
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કિનારીવાલા શતાબ્દીનાં પડઘમ સ્વાતંત્ર્યની શ્રૃતિ અને સ્મૃતિને ઝકઝોરી રહ્યાં છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 September 2023

આજે એટલે કે 20મી સપ્ટેમ્બરે શહીદ વિનોદ કિનારીવાલાનું સોમું વરસ શરૂ થયું

થાય છે, એક મુગ્ધ સંભારણાથી શરૂઆત કરું. ઈન્ટર આર્ટ્સમાં હોઈશ (હજુ ‘એફ. વાય.’નો ચાલ શરૂ થયો નહોતો) ત્યારે અમદાવાદમાં ફર્નાન્ડીઝ પુલ નીચે મહાજન બુક ડીપોમાંથી ‘મેઘદૂત’ની સેકન્ડહેડ નકલ ખરીદી લાવ્યો હતો. પાનાં ફેરવતાં જોઉં છું તો વી.પી. કિનારીવાલા વંચાયું. હૈયું એક ધબકારો ચૂકી ગયું : હું વર્ષભર એ પુસ્તક સેવીશ જે ક્યારેક વિનોદ કિનારીવાલાએ સેવ્યું હશે … કાલિદાસે પાયેલ ઉત્કટ જીવનરસ પર અસવાર થઈ એ તરુણાઈએ કોઈક જુદો જ સાદ સાંભળ્યો, અને –

અલબત્ત કાળક્રમે સમજાયું કે જે વીરનાયકના સ્મરણે હું મને ‘શર’માં અનુભવું છું તે વી.પી. નથી; વિનોદ જમનાદાસ કિનારીવાલા છે. સન બયાલીસમાં જેણે શહાદત વહોરી અને જેની ખાંભી સ્વરાજ આગમચ પાંચ દિવસે જયપ્રકાશે ખુલ્લી મૂકી હતી – એ જયપ્રકાશ નારાયણ જે પછીથી 1974-77માં દેશને બીજા સ્વરાજ ભણી દોરી જવાના હતા.

આ ખાંભી પર મત્ત આખલા સામે જુસ્સાભેર યુવાન વિનોદ કિનારીવાલા રણે ચડ્યા છે. એમના હાથમાં રાષ્ટ્રીય ધ્વજ છે

કલાગુરુ રવિશંકર રાવળની પરિકલ્પના પ્રમાણેની આ ખાંભી પર મત્ત આખલા સામે આત્મશ્રદ્ધે ભરપૂર એક યુવાન બરાબરનો રણરંગમાં છે. એના હાથમાં રાષ્ટ્રીય ધ્વજ છે. ઉમાશંકર જોશી, જયન્તિ દલાલ અને દાવર સાહેબની નિશ્રામાં ખાંભી પરનું લખાણ તૈયાર થયું છે અને મેઘાણીની આર્ત પંક્તિઓ જાણે એમાં ‘શગ’ શી સોહે છે :

કદી સ્વાધીનતા આવે – વિનંતી ભાઈ છાની :

અમોનેયે સ્મરી લેજો જરી, પળ એક નાની!

તમને થશે, આજે નથી 9 ઓગસ્ટનો ક્રાંતિ દિવસ કે નથી 10મી ઓગસ્ટનો કિનારીવાલા શહાદત દિવસ, તો આ બધો વહીવંચો કેમ. ભાઈ, એ 1923ની 20મી સપ્ટેમ્બરે જન્મેલા એટલે આજથી એમનું સોમું વરસ શરૂ થાય છે, માટે સ્તો.

કિનારીવાલાના ઘડતરમાં જેમનાં વ્યક્તિત્વ ને કૃતિત્વનો હિસ્સો છે એમનોયે અચ્છો ખયાલ એમના ચરિત્રકાર બિપિન સાંગણકરે આપ્યો છે. પિતા જમનાદાસ ગાંધીરંગે રંગાયેલા અને આઝાદી આંદોલનના કાર્યક્રમમાં જોડાતા પુત્રને કહેતા કે પોલીસને જોઈને રખે આઘાપાછા થતા. મામા રણછોડલાલ શોધન વળી પ્રતિબંધિત કાઁગ્રેસે દિલ્હીના ચાંદની ચોકમાં ઘંટાઘર પરિસરમાં પોલીસને હાથતાળી આપી 1932માં 46મું અધિવેશન ભર્યું, તેના પ્રમુખ. અને હા, ચંદ્રશેખર આઝાદના બલિદાની ભાવાવેશ ને ઉદ્દામ વિચારો સાથે ખાસ તો એમણે પાળેલી એ પ્રતિજ્ઞાનું ખેંચાણ કે પોલીસના હાથમાં જીવતો તો નહીં જ પડું.

દસમી ઓગસ્ટે લો કોલેજથી શરૂ થયેલું સરઘસ ગુજરાત કોલેજ પહોંચી રહ્યું છે. આગળ બહેનોની ટુકડી, તરત પાછળ વિનોદ ને બીજા યુવાનો. પોલીસ તૈનાત છે. પ્રિ. પટવર્ધન અધિકારી લાબૂશાર્ડીઅરને કહે છે : ‘મારી રજા વગર ન આવી શકો. vacate my premise immediately.’ પણ પોલીસ સન્નદ્ધ છે. પ્રો. દાવર – નાનાલાલ જેમને માટે કહેતા કે એ બોલે ત્યારે ‘વિદ્વત્તાની ઝડીઓ’ વરસે છે – કહે છે, ‘મારાં બાળુડાંને ન મારો.’ લાઠીમાર બહેનો તરફ વળી રહ્યા છે ત્યારે તરુણ અધ્યાપક ધીરુભાઈ ઠાકર (પછીથી ગુજરાત જેમને વિશ્વકોશથી ઓળખવાનું હતું), પોલીસની લાઠીને હાથથી ઝીલે છે : ‘E, you brute, stop it.’ એમના માથા પર લાઠી ઝિંકાય છે અને એ મૂર્છિત થઈ નીચે પડે છે. ધ્વજ હવે કિનારીવાળાના હાથમાં છે, અને –

ખેર. આજે આપણે ખાંભી પર જેમ મત્ત આખલો જોઈએ છીએ તે બીજા વિશ્વયુદ્ધના સંદર્ભમાં કેવળ બ્રિટનને વટીને એકંદર સામ્રાજ્યવાદનો છે. 1942ના ‘હિંદ છોડો’ એલાન બાબતે પણ ઇતિહાસદૃષ્ટિએ આકલનભેદ હતા તે સમજી લઈશું જરી? આંબેડકર વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પર હતા, કેમ કે દલિત ને કામદાર હિત માટે એ અંગ્રેજ કુમક ઈચ્છતા હતા. હિંદુ મહાસભા બેંતાલીસના આંદોલન જોડે નહોતી. ‘હિંદ છોડો’ પછીના કેટલાક મહિના શ્યામાપ્રસાદ મુખર્જી બંગાળમાં ફઝલુલ હક પ્રધાનમંડળમાં ચાલુ રહ્યા હતા. (આ એ જ હક હતા જેમણે 1940માં લાહોરમાં પાકિસ્તાનનો ઠરાવ રજૂ કર્યો હતો.) રેડિકલ હ્યુમેનિસ્ટ એમ.એન. રોય (જેમ શ્રીઅરવિંદ પણ) હિટલર સામેના જંગને માનવહિતની દૃષ્ટિએ અગ્રતા આપતા હોઈ એ ક્ષણે ‘હિંદ છોડો’ સાથે નહોતા. સામ્યવાદી ચળવળ અંતર રાખતી હતી.

રશિયા બ્રિટન વગેરે સાથે હિટલર સામે જોડાયું તેનો એના મૂલ્યાંકનમાં ખાસ્સો હિસ્સો હતો. પાછળથી અલગ પક્ષ તરીકે સામ્યવાદી ચળવળમાં ઉભરેલા શિવદાસ ઘોષ જો કે ત્યારે વિધિવત્ સામ્યવાદી પક્ષમાં નહોતા, પણ 1942ની લડતમાં પૂરેવચ હતા. પણ લડત જોડે પોતપોતાના આકલન મુજબ આ સૌનું સમીક્ષાત્મક અંતર છતાં દેશનો એકંદર લોકમત અને જે તે વળના સામાન્ય કાર્યકરો દિલથી લડત સાથે હતા. 9મી ઓગસ્ટે પોલીસનો ભોગ બનનાર ઉમાકાન્ત કડિયાને સન બયાલીસના પહેલા શહીદ કહેવાય છે તેમાં આ વસ્તુ પડેલી છે. એ સ્થળ પર ગયા હતા સામ્યવાદી પક્ષના સ્ટડી સર્કલમાંથી તપાસ માટે; પણ એમાંથી શહાદત આવી એ તે સમયના સાર્વત્રિક હૃદયભાવ સાથે સ્વાભાવિક જ જોડાઈ ગઈ છે, અને નવમી ઓગસ્ટે કાલુપુરમાં ઉમાભાઈને નામે ચોક પણ એક યાત્રાસ્થાન બનેલ છે.

બેંતાલીસ સંદર્ભે મૂલ્યાંકનભેદનો ઉલ્લેખ કર્યો, પણ એક અવલોકન લાજિમ છે કે એમાંથી નેતૃત્વની જે નવી પેઢી ઉભરી તે જયપ્રકાશ-લોહિયા-અચ્યુત પટવર્ધન આદિની હતી. દેશની તરુણાઈ એની ફરતે સમાજવાદી આંદોલન રૂપે ગઠિત થઈ : ગુજરાતની યુવા પ્રવૃત્તિ અમદાવાદમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળ રૂપે કોળી.

આરંભે કિનારીવાલાની ભાવભૂમિની સહેજસાજ ઝાંખી મેળવી પણ એમના વિચારઘડતરના એકંદર સમાજવાદી રુઝાન તરફ નજર માંડતાં 1933માં નાસિક જેલના બી વોર્ડથી શરૂ થઈ 1977ના જનતા મહાસંગમ સુધીનું આખું એક ચિત્ર સામે આવે છે. કિનારીવાલાનું સોમું વરસ આ વિચારયાત્રાને ઝકઝોરવા સારુ કેમ ખપ ન આવે?

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 20 સપ્ટેમ્બર 2023

Loading

20 September 2023 Vipool Kalyani
← રણથંભોરના વાઘોનો ‘આદિત્ય’ આથમી ગયો
નાનકડી સોનબાઈથી ડૉ. સોનબાઈ સુધીની સફર →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved