Opinion Magazine
Number of visits: 9449513
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખેડૂતોના અસંતોષને કેન્દ્ર સરકારનો પ્રતિભાવ જ નક્કી કરશે ભાવિ રાજકારણની નિયતિ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|13 December 2020

વળી ‘આફતને અવસરમાં બદલવી’-વાળી જે વાત છે, એની ત્રિરાશી કોઇ રીતે આ રોગચાળામાં સાચી મંડાઇ જાય તેવો પ્રયાસ પણ થયો. પણ દાખલાની રકમ જ ખોટી હોય તો સાચો જવાબ ક્યાંથી આવવાનો?

સત્તા પર આવ્યાને નરેન્દ્ર મોદીને સાડા છ વર્ષ થયા છે. આટલાં વર્ષોના શાસનમાં હાલમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન મોદી માટેનો સૌથી મોટો પડકાર છે, એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ‘સત્તા મળવાથી પરિવર્તન રાતોરાત થઇ શકે છે’નો ભ્રમ ખોટો સાબિત થઇ રહ્યો છે. બહુમત મળવાથી મતભેદો દૂર નથી થતા, સત્તા હોવાથી લોકો બધું જ સ્વીકારી લે એમ નથી હોતું. નરેન્દ્ર મોદી પાસે શું વિકલ્પ છે? અચાનક જ પસાર કરી દેવાયેલા કૃષિ કાયદાને મામલે દેશમાં વિરોધનો વંટોળ ચાલ્યો છે તેમાં એક તબક્કે રોગચાળાની બીકને કારણે કંઇક અટકશે તેવી અપેક્ષા સરકારને હોય તે સ્વાભાવિક છે પણ એવું કંઇ થયું નહીં. વિરોધનો વંટોળિયો વધારે જોરથી ફુંકાઇ રહ્યો છે. ખેડૂતો સાથેની વાટાઘાટો કોઇ નિષ્કર્ષ પર નથી પહોંચી રહી. આ આખા ય આંદોલનની સરખામણી એન્ટી સી.એ.એ. સાથે ન થવી જોઇએ, એનું સીધું કારણ છે કે સી.એ.એ.ના મુદ્દામાં ભા.જ.પા.નો ભાવતો અને ફાવતો વિષય હતો, ધ્રુવીકરણ, જરૂર પડ્યે ત્યાં કોમવાદ. શીખોને તમે મુસલમાનોમાં ફેરવીને કોઇ બીજો ખેલ ન કરી શકો. છતાં ય ખાલિસ્તાની જમીનનો મુદ્દો ઉછાળવાનો પ્રયાસ થયો, જે ઠાલો અને નિષ્ફળ રહ્યો. સી.એ.એ.ની વિરુદ્ધમાં જે ચળવળ ચાલી તેમાં ડાબેરીઓ અને બૌદ્ધિક જૂથ હતા, જેમને હાંસિયામાં ધકેલી દેવા આસાન હતું,  સરકારે તેમની સાથે વાત માંડવાનો પ્રસાય પણ નહોતો કર્યો પણ ખેડૂતોને એમ ટાળી શકાય તેમ નથી. આ તરફ જે પણ આર્થિક બદલાવના પ્રયાસો કેન્દ્ર સરકારે કર્યા છે તેને એક પણ અર્થશાસ્ત્રીએ વખાણ્યા નથી, અર્થતંત્રનો સ્તંભ પોલો થઇ રહ્યો છે તેવા જ અવાજો ઊઠે છે. વળી ‘આફતને અવસરમાં બદલવી’ વાળી જે વાત છે એની ત્રિરાશી કોઇ રીતે આ રોગચાળામાં સાચી મંડાઇ જાય તેવો પ્રયાસ પણ થયો. પણ દાખલાની રકમ જ ખોટી હોય તો સાચો જવાબ ક્યાંથી આવવાનો? ફટાફટ નિર્ણયો લેવાથી કંઇક સારું પરિવર્તન થશે એ ધારણા ખોટી પડી રહી છે. કૃષિ કાયદો અને પછી લેબર લૉઝમાં પણ કંઇ વળ્યું નહીં. હવે આ પરિસ્થિતિમાં મોદીએ શું એ કરવું જોઇએ જે મનમોહન સિંઘે લોકપાલ બિલ ટાણે અણ્ણા હઝારે કર્યુ હતું? તેઓ અણ્ણા સામે ઝૂક્યા, તેમના મુદ્દાને ચર્ચવા સંસદમાં સત્ર યોજ્યું, જે કબૂલવા જેવું લાગ્યું એ કબૂલીને નૈતિકતા અને રાજકીય ભથ્થું હોમી દીધા. યુ.પી.એ.-2નો ગઢ પડી જવા પાછળ અણ્ણા હઝારે એક માત્ર કારણ નહોતા, પણ ગાલાવેલા કૉન્ગ્રેસીઓ પણ આ સરકારને નડી ગયા. આ તો અણ્ણા અને લોકપાલ બિલની વાત થઇ.

હવે જે માર્ગારેટ થેચરે કર્યું હતું તે આનાથી તદ્દન વિરુદ્ધ હતું. થોડા વખત પહેલા નેટફ્લિક્સ પર ‘ધી ક્રાઉન’ સિરીઝનો ચોથો ભાગ આવ્યો, તેમા લેડી ડાયનાની વાત તો છે, પણ આયર્ન લેડી કહેવાયેલી અને બ્રિટનની પહેલી મહિલા વડાપ્રધાન માર્ગારેટ થેચરની કથા પણ તેમાં આલેખાયેલી છે. શું મોદી સરાકારને માર્ગારેટ થેચરની માફક કોઇની ય પરવા કર્યા વગર જે બદલાવ લાદ્યા છે તે તો ચલાવવા જ પડશે – એવું કરવાનું માફક આવશે? જો તે એમ કરશે તો એ આપણા લોકશાહી દેશમાં કેટલાને ગળે ઊતરશે?

ખેડૂતોની વાત કરીએ તો પંજાબ અને હરિયાણાના કેટલાક ખેડૂત જૂથો રાજકીય પક્ષને રંગે રંગાયેલા હોવા છતાં પણ સપ્ટેમ્બરની આસાપાસ તેમણે રાજકારણને પોતાના આંદોલનમાં ઘુસતા રોક્યું છે. પરંતુ જ્યારે રાષ્ટ્ર વ્યાપી બંધની વાત આવી ત્યારે તે બિલકુલ બિન-રાજકારણી બંધ હશે, તેવું ગળું તાણી તાણીને કહેવાયું હોવા છતાં ય કૉન્ગ્રેસે બંધમાં ઝંપલાવ્યું. જ્યાં જ્યાં ભા.જ.પા.ની સરકાર હતી તે રાજ્યોમાં કૉન્ગ્રેસીઓ સક્રીય રહ્યા, રાહુલ ગાંધી પણ ખેડૂતોને મળવા ગયા અને તેમાં તેમની ઠેકડી પણ ઊડી. મૂળ વાત એમ કે રાષ્ટ્ર વ્યાપી બંધ રાજકારણના રંગે રંગાયા વિના ન રહી શક્યો.

વળી જોવાનું એ છે કે જે કૉન્ગ્રેસ આ ફ્રી-માર્કેટના સુધારાઓનો વિરોધ કરવામાં ખેડૂતોનો સાથ આપી રહ્યા છે અથવા તો તેમની પડખે હોવાનો ડોળ કરી રહ્યા છે, એ જ કૉન્ગ્રેસે એક સમયે આ જ પરિવર્તનો કરવાનો પ્રયાસ કર્યો હતો. 2004માં યુ.પી.એ.ની સરકારે રાજ્યોને મોડેલ APMC એક્ટ 2003ના અમલીકરણ માટે દબાણ કર્યું હતું, આ નિયમો 2007માં બદલાયા હતા અને 2013માં કૃષિ ઉત્પાદનોના આંતર રાજ્ય વેપાર અને વાણિજ્ય બિલ માટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. ન્યાય મંત્રાલયે આ બિલ તૈયાર પણ કર્યું હતું પણ કોઇ કારણોસર વાત આગળ વધી જ નહીં. 2019માં પણ કૉન્ગ્રેસના મેનિફેસ્ટોમાં આ સુધારાની વાત હતી.

ભા.જ.પા. અને કૉન્ગ્રેસની લીડરશીપમાં એક મૂળભૂત તફાવત એ છે કે ભા.જ.પા.ના લીડર્સ આપણને ગમે કે ન ગમે એ આપબળે જ્યાં પહોંચ્યા છે ત્યાં પહોંચ્યા છે. અત્યારની કૉન્ગ્રેસમાં મહાત્મા ગાંધી કે નહેરુની વિચારશીલતાની છાંટ પણ નથી. એક જ કુટુંબમાં એ શતરંજ રમાયા કરે છે જે શતરંજ ન રહીને સાપ સીડીનો ખેલ બની જાય છે. ભા.જ.પા.માં પરિવારવાદ અગ્રિમતા નથી અને જે જોઇએ છે તે મેળવવા તેઓ યેનકેન પ્રકારેણ સતત કામ કરતા રહે છે. કૉન્ગ્રેસના અત્યારના નેતાઓને બધું બગાસું ખાતા મ્હોમાં પડેલાં પતાસાંની જેમ મળ્યું છે, રાહુલ ગાંધી પક્ષના કપરા સમયે ક્યારેક દેશમાં તો ક્યારેક વિદેશ ભણી પ્રવાસ કરતા જોવા મળે છે. ભા.જ.પા.માં જીત મળે ત્યારે ફરી ગ્રાઉન્ડ વર્ક શરૂ થાય છે, એ પણ ત્યાં જ્યાં પક્ષ સહેજ નબળો હોવાની જાણ હોય પણ કૉન્ગ્રેસમાં કોઇને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી આવવું. સોનિયા ગાંધીની તબિયત અને ઉંમર સાથ આપે તેમ નથી, એમાં અહેમદ પટેલના જવાથી પક્ષની હાલત થોભવા આવેલા ભમરડા જેવી થઇ ગઇ છે. એ સાવ ધૂળમાં રગદોળાઇ ન જાય એ પહેલાં પરિવારે પોતાની ‘ગાદી’ ખાલી કરી દઇ, રાજકારણને પૂરેપૂરું ધર્મના કાર્ડને શરણે જતાં અટકાવવું જોઇએ.

બાય ધી વેઃ

સમસ્યાઓ પેંડોરાઝ બૉક્સમાંથી બહાર આવેલા જીવ જંતુઓની માફક ઉભરાઇ રહી છે. બન્ને પક્ષની સમસ્યાને પાર પાડવાની પદ્ધતિઓ અલગ છે. ક્યાંક શાહમૃગ વૃત્તિ છે તો ક્યાંક ‘તમ તમારે તલવાર ચલાવો, જોઇએ શું થાય છે’ પ્રકારનું વલણ છે. ભા.જ.પા.ની સફળતામાં કૉન્ગ્રેસે મૂકેલી ઢીલ બહુ મોટું કારણ છે. હજી ત્રણ વર્ષ છે કે આ વારસાગત ખેલ આ પક્ષમાં અટકે અને તો જ કદાચ લોકશાહીનો અર્ક અને અર્થ બંન્ને કોઇ રીતે સચવાશે, બાકી સરમુખત્યારશાહી કેટલી લોહિયાળ કે કેટલી અરાજકતા ફેલાવી શકે છે તેનાથી આપણે અજાણ નથી. ફરી યાદ કરાવું કે ખેડૂત બિલની વાત મૂળ તો કૉન્ગ્રેસે જ શરૂ કરી હતી પણ અમલ નહોતો થઇ શક્યો.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ડિસેમ્બર 2020 

Loading

13 December 2020 admin
← ‘મારી ખીર શરૂ કરાવી દે’
આંદોલન, શાસન અને પ્રજાજન →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved