Opinion Magazine
Number of visits: 9504444
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખેડૂત વેદના પદયાત્રા : જમીન, પાણી કે ઉપજ માટે ભૂમિપુત્રોની આપત્તિઓ અને આક્રોશને વાચા

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|21 January 2017

વીસ દિવસની ચારસો પચાસ કિલોમીટરની પદયાત્રામાં સરકાર બેનકાબ : દરેક વિસ્તારમાં વિકટ સમસ્યા

વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો વિરોધ કરવા માટે નવમી જાન્યુઆરીએ પોલીસે જેઓની ધરપકડ કરી તેમાં ખેડૂત આગેવાન સાગર રબારી પણ હતા. પ્રસિદ્ધિની પાછળ નહીં પડનારા સાગરભાઈએ તેમની ધરપકડના એક જ અઠવાડિયા પૂર્વે ખેડૂતો માટે એક મોટું કામ કર્યું હતું.  તેમણે ચારસો પચાસ કિલોમીટરની ‘ખેડૂત વેદના યાત્રા’ કરી હતી. ‘વીસે વીસ દિવસ એકેએક પગલું ચાલીને’ કરેલી આ યાત્રા ચૌદમી ડિસેમ્બરે સોમનાથના મંદિરેથી નીકળી હતી. તે બીજી જાન્યુઆરીએ  ગાંધીનગરની બાજુમાં આવેલા તારાપુર ગામે ખેડૂતોની સમસ્યાઓ અને માગણીઓ અંગે મામલતદારને આવેદનપત્ર આપીને પૂરી થઈ હતી. એ વખતે સાગરભાઈ અને તેમની સાથેના દોઢ-બે હજાર પદયાત્રીઓને પોલીસે ગાંધીનગરમાં પ્રવેશવા દીધા ન હતા. મુખ્યમંત્રીનો સમય ઘણો અગાઉ માગ્યો હતો. પણ તેઓશ્રી વડા પ્રધાનશ્રીની સાથે વાઇબ્રન્ટમાં વ્યસ્ત હોવાને કારણે ખેડૂતો માટે વખત ફાળવી શક્યા ન હતા.

‘ખેડૂત સમાજ-ગુજરાત’ સંગઠનના ઉપક્રમે કરેલી આ યાત્રામાં સાગરભાઈએ ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાનાં ઘણાં ગામડાં આવરી લીધાં હતાં. બપોરા માટે તેમ જ રાત્રિરોકાણ માટે છત્રીસ ગામ ઉપરાંત યાત્રા જે ગામોમાં થઈને પસાર થઈ ‘તેની સંખ્યા ઘણી મોટી છે’, એમ સાગરભાઈએ યાત્રા વિશેની લાંબી રૂબરુ મુલાકાતમાં જણાવ્યું. આ માર્ગ પસંદ કરવા માટેનું કારણ તેમણે એ આપ્યું કે સૌરાષ્ટ્રમાં ખેડૂતોની સમસ્યાઓ સૌથી વિકટ છે : ‘અમરેલી-જૂનાગઢ ખેડૂત આપઘાતનો પટ્ટો છે, જામનગર પંથકમાં પણ આ નોંધાયું છે. અમરેલી જિલ્લો  સિંચાઈ વગરનો છે, રાજકોટમાં ઓછી સિંચાઈ છે. બોટાદમાં ઓછો વરસાદ અને અછત છે. ભાલના પ્રશ્નો પણ મોટા છે.’ અહીં અને ઉત્તર ગુજરાતમાં ભારતીય કિસાન સંઘે ખેડૂતોના ઘણા સહકાર છતાં વર્ષો સુધી માત્ર વચનો જ આપ્યાં છે અને ‘હવે સંઘ અદૃશ્ય છે’. વળી, આપણે ત્યાં ગામડાંના લોકોમાં જઈને તેમને સાંભળવાની, તેમને મદદ કરવાની પરંપરા ગાંધીવાદીઓમાં હતી. ‘હવે એવાં માણસો નથી. સામાજિક કાર્યકરો, એક્ટિવિસ્ટ્સ  પણ ગામડાંમાં બહુ ઓછા જાય છે. રાજકારણીઓ માત્ર ચૂંટણી વખતે જાય છે. ગામડાં સાથેના સંવાદની પરંપરા લુપ્ત થઈ ગઈ છે’, એવો સાગરભાઈને રંજ છે. જો કે તેમણે ખુદ ખેડૂતોના પ્રશ્નોને લઈને બે યાત્રા કરી છે. તેમણે 2014માં જામકંડોરણાથી મીઠી વીરડી સુધીની વાહન યાત્રા કાઢીને સરકાર પાસેથી કપાસના વાજબી ભાવ મેળવવામાં સફળતા મેળવી હતી. તે પછીનાં વર્ષે તેમણે ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજન(સર)ના વિરોધમાં સાંઢીઢાથી અમદાવાદ કલેક્ટર કચેરી સુધી પાંચ દિવસની પદયાત્રા કરી હતી.

ઓગણપચાસ વર્ષના સાગરભાઈની જોડે યાત્રા દરમિયાન પૂરો સમય પાંત્રીસની ઉંમરના સાથીઓ પિનાક ધામેલિયા અને રૂપેશ કુમાર હતા. ખેડૂત સમાજના ટ્રસ્ટી પિનાકભાઈ ગારિયાધારના પરબડી ગામમાં ડ્રિપ ઇરિગેશનથી ખેતી કરતાં સમૃદ્ધ ખેડૂત છે અને સૂરતમાં ડાયમન્ડ કટિંગની મશિનરી બનાવવાનો વ્યવસાય પણ ધરાવે છે. રૂપેશ બિહારના વૈશાલીમાં માલદા કેરી અને લિચી  પકવે છે. વળી તે ઇન્ડિયન કૉમ્યુિનટી એક્ટિવિસ્ટ નેટવર્ક સંગઠનના પૂરા સમયના કાર્યકર્તા છે. આ નેટવર્ક દેશમાં કૉર્પોરેટ સેક્ટરના ફાયદા માટે બની રહેલા વિવાદાસ્પદ ઇન્ડસ્ટ્રીયલ કૉરિડોર્સ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યું છે. સાગરભાઈ તેના કન્વીનર છે.

ઉપરોક્ત સાથીઓ ઉપરાંત પાંચથી લઈને પાંચસોની સંખ્યામાં લોકો પદયાત્રામાં જોડાતા. યાત્રામાં જુદા જુદા પડાવે નિસબત ધરાવતા લોકો અને સંગઠનો વત્તો-ઓછો સમય સામેલ થતાં રહેતાં હતાં. જો કે રસ્તે પાંચ-દસ ખેડૂતો બેઠા હોય તો તેમને પણ મળીને તેમની સાથે પણ વાતચીત કરવામાં આવતી, ખેડૂતોના પ્રશ્નો અને સરકાર પાસે તેમની માંગણીઓની પત્રિકાઓ વહેંચવામાં આવતી. જે ગામમાં રાત્રિરોકાણ હોય ત્યાં તો સભા થતી જ. ‘તેમાં બહેનો પણ ઠીક સંખ્યામાં જોવા મળતી’. સભામાં સાગરભાઈ ‘ગુજરાત સરકારના કેટલાક ખેડૂત વિરોધી કાયદા વિશે’ સમજાવતા. તેમાં જમીન સંપાદન કાયદો 2013 તેમ જ ગુજરાત સરકારે તેમાં કરેલા ફેરફારો, ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વિધેયક 2013, સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજન એક્ટ 2009નો સમાવેશ થતો. સાગરભાઈ કહે છે : ‘અમારે એ પૉલિટિકલ એજ્યુકેશન આપવું હતું કે આટલા જુલમી કાયદા કરનાર સરકારને જો તમે ચૂંટીને લાવતા હો તો તમારે ફેરવિચાર કરવો પડે. વચનો, નાત-જાત, ધર્મ, સગપણ વગેરેને આધારે મત આપવાને બદલે તમારા વિસ્તારના પ્રતિનિધિને તેની કામગીરીને આધારે મત આપવો જોઈએ.’ સાગરભાઈએ આપેલી રસપ્રદ મહિતી એ પણ છે કે જમીન ન વેચાય એવી સમજ ગામડાંના લોકોમાં ગયાં થોડાંક વર્ષોથી વધુ પાકી થતી જાય છે, અને ખેડૂત પરિવારોની ભણેલી નવી પેઢીને પણ ખેતી કરવામાં રસ છે.

ગામલોકો સભામાં જે રજૂઆત કરતાં તેમાં ખેતી માટેના અપૂરતા અને અણધાર્યા પાણી પૂરવઠાની વાત બહુ જ અગત્યની હતી. જેમ કે, બોટાદ જિલ્લામાં નર્મદાની કૅનાલમાંથી પાઇપલાઈન મારફતે ગોમા નદીનો ડૅમ ભરી શકાય તો ચાળીસેક ગામને પાણી મળે. પણ સરદાર સરોવર નર્મદા નિગમ અનેક રજૂઆતો છતાં આ નથી કરતું. ‘મૂળ ખેતી માટે થયેલી નર્મદા યોજનાનાં પાણી ઉદ્યોગોને, ગિફ્ટ સિટીને, અમદાવાદ એમ બધાને જ મળ્યાં, ખેડૂતોને વંચિત રાખવામાં આવ્યા છે. નર્મદાની  78% માઇનર અને સબ માઇનર કૅનાલ્સનું કામ બાકી છે.’ વાગડ પંથકમાં ખેડૂતોની અનેક રજૂઆતો છતાં સરકારે તેમની હાલત બે કામ નહીં કરીને બગાડી છે. એક, ભાદર નદી પર પૂરતાં ચેકડૅમ બનાવ્યા નથી. બીજું, વલભીપુર શાખા નહેરમાંથી ભાદર નદીમાં પાણી છોડવાં માટેનું રેગ્યુલર સાયફન નિગમ ધરાર બનાવતું નથી. વેદના યાત્રા દરમિયાન સાગરભાઈને બીજી એક પીડા વારંવાર સાંભળવા મળી તે એ કે ખેડૂતોને ખેતી માટે વીજળી અનિયમિત, અણધારી રીતે અને માત્ર  રાત્રે જ આપવામાં આવે છે. એને કારણે ખેડૂતની જિંદગી પર ઉજાગરા, હાડમારી, માનસિક તણાવ  અને જીવજંતુઓના જોખમ છવાઈ ગયાં છે. ચા અને બીજાં વ્યસનોનું પ્રમાણ વધ્યું છે. સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી છે, બ્લડ પ્રેશર અને ડાઇબેટીસે પગપેસારો કર્યો છે. સાગરભાઈના મતે દિવસે વીજળી આપવી એ સરપ્લસ વીજ ઉત્પાદન કરનાર  ગુજરાત રાજ્યની  સરકાર માટે બહુ જ સરળ વાત છે, જે અમલમાં મૂકવાની તેની દાનત નથી. ‘હાઇવે બનાવવા માટે ગરીબ ખેડૂતોની જમીનોનું કેવું આડેધડ સંપાદન થાય છે અને વગવાળા ખેડૂતોની જમીનો કેવી રીતે બચી જાય છે એ તો તમને બંધાયેલા રસ્તાના વળાંકો પરથી સમજાઈ જાય’, એમ સાગરભાઈ કહે છે. ખેતરોમાં હાઇટેન્શન ઇલેક્ટ્રિક લાઇન્સ માટેના મોટા  થાંભલા અને પાણી પુરવઠા માટેની પાઇપો નાખવામાં આવે છે. તેના માટે ખેડૂતને કાયદા મુજબ ચૂકવવા પાત્ર વાર્ષિક ભાડાં કે સાગમટા વળતરમાં સત્તાવાળા કેવી ‘દમદાટી અને છેતરપિંડીઓ’ કરે છે એની ખેડૂતોએ યાત્રા દરમિયાન થયેલી રજૂઆતોની વાત સાગરભાઈ કરે છે.

ખેડૂતોનાં આવાં કેટલાંય વીતકો તેમને અસ્વસ્થ કરે છે. એટલા માટે એ દઢપણે માને છે કે ‘ખેડૂત ખેતી છોડવા મજબૂર થાય તેવું પદ્ધતિસરનું કાવતરું સરકાર ચલાવતી રહી છે.’

18 જાન્યુઆરી 2017

+++++

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 20 જાન્યુઆરી 2017

Loading

21 January 2017 admin
← ‘Electoral Process is a Secular Activity’
ભટ્ટ મોક્ષ મૂલર કૃત ધર્મની ઉત્પત્તિ તથા વૃદ્ધિવિશેનાં ભાષણ →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved