Opinion Magazine
Number of visits: 9446512
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોમી એકતાના પ્રખર પુરસ્કર્તા : મૌલાના આઝાદ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 November 2019

આઝાદી આંદોલનની સ્વરાજ ત્રિપુટી ગાંધી, નહેરુ, પટેલ સાથે અચૂક સામેલ કરવા યોગ્ય એક નામ મૌલાના અબુલ કલામ આઝાદનું છે. ભારતની સ્વાતંત્ર્ય ચળવળના અગ્રણી સેનાની, મહાન દેશભક્ત, કોમી એકતાના પ્રખર પુરસ્કર્તા, દેશના પ્રથમ શિક્ષણ મંત્રી, કવિ, લેખક અને પત્રકાર મૌલાના આઝાદ ભારત વિભાજનના કટ્ટર વિરોધી હતા. વીસમી સદીના ભારતીય ઇતિહાસની વિરલ પ્રતિભા અને હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક એવા મૌલાનાસાહેબનો એક ઔર જન્મદિન બે દિવસ પૂર્વે “રાષ્ટ્રીય શિક્ષણ દિન” તરીકે મનાવાયો.

૧૧મી નવેમ્બર ૧૮૮૮ના રોજ મક્કામાં જન્મેલા મૌલાના આઝાદનું મૂળ નામ ગુલામ મોહીયુદ્દીન એહમદ હતું. તેમના પૂર્વજો બાબરના શાસનકાળ દરમિયાન ભારત આવ્યા હતા. મૌલાના આઝાદના પિતા હિન્દુસ્તાની અને માતા અરબસ્તાની હતાં. મૌલાનાસાહેબના જન્મના દસેક વરસો બાદ તેમનો પરિવાર કોલકાતામાં આવી વસ્યો. એમણે મોટા ભાગનું શિક્ષણ ઘરમાં જ લીધા પછી, ઈજિપ્તના કેરોની અલ-અ-જહાર વિશ્વ વિધ્યાલયમાં અરબીનો અભ્યાસ કર્યો હતો. એમણે પરંપરાગત ‘પીરપદ’નો વિરોધ કર્યો હતો. ઈસ્લામ ધર્મના અર્થવાહક તરીકેના વારસામાં મળેલા ‘મૌલાના’ના પદને તેમણે ધાર્મિક સંકુચિતતામાંથી બહાર આણી, વિસ્તાર કર્યો. કુરાનની પ્રમાણભૂત અને પ્રસિદ્ધ અરેબિક આવૃત્તિ એ એમનું મૌલાના તરીકેનું અગત્યનું કામ ગણાય છે. નાની ઉંમરે દર્શનશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરનાર અબુલ કલામને પોતાના જ્ઞાન અને દર્શનની કોઈ સીમાઓ કે બંધનો સ્વીકાર્ય નહોતાં એટલે તેમણે પોતાનું ઉપનામ “આઝાદ’ રાખ્યું હતું જે કાયમી ઓળખ બની રહ્યું.

જ્યારે કેટલાક લોકો મુસ્લિમોને અંગ્રેજોને વફાદાર રહેવાના પાઠ પઢાવતા હતા ત્યારે એક સૂફી સંતનો દીકરો અબુલ કલામ પીરપદ છોડી જાહેરજીવનના પાઠ ભણતો હતો. કોલકાતા અને મુંબઈ વસવાટ દરમિયાન એમણે અંગ્રેજી ભાષા અને આધુનિક પુસ્તકોનો અભ્યાસ કર્યો. જેણે જ્ઞાનપિપાસા જાગ્રત કરી, જીવનમાં પરિવર્તન આણ્યું. મૌલાના આઝાદે કિશોરાવસ્થામાં “લીસાનુસ્સીદક” (સત્યવાણી) સામયિક કાઢ્યું હતું. જ્યારે મહાત્મા ગાંધીનો ભારતના જાહેરજીવનમાં ઉદય પણ નહોતો થયો ત્યારે, ઈ.સ. ૧૯૧૨માં., ૨૪ વરસના યુવાન અબુલ કલામે, મુસ્લિમોને રાષ્ટ્રપ્રેમના પાઠ શીખવવા “અલ-હિલાલ” (બીજનો ચંદ્ર) નામક સામયિક શરૂ કયું હતું. ડો. ઝાકીર હુસેન જેવા વિદ્વાન માટે પણ જેનું વાચન પ્રેરણાદાયી હતું એવા ‘અલ-હિલાલ”ના એ જમાનામાં ૨૬ હજાર ગ્રાહકો હતા. તેમાં પ્રગટ થતાં  લેખોને કારણે તે અંગ્રેજોની ખફગીનો ભોગ બન્યું અને મૌલાનાને રાંચીમાં નજરકેદ કરવામાં આવ્યા હતા.

ભારતના આઝાદી આંદોલનમાં એકતરફ રાષ્ટ્રવાદી મુસ્લિમો અને બીજી તરફ કટ્ટરપંથી મુસ્લિમોની સ્થિતિ વચ્ચે આરંભે ક્રાંતિકારીઓથી આકર્ષાયેલા મૌલાના આઝાદે કૉન્ગ્રેસમાં જોડાઈ રાષ્ટ્રવાદનો રાહ સ્વીકાર્યો. સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન વારંવાર જેલવાસ ભોગવનાર મૌલાના આઝાદ મુસ્લિમ લીગની પાકિસ્તાનની માંગણીના કટ્ટર વિરોધી હતા. એટલે લીગી નેતાઓ તેમને કોમના ગદ્દાર માનતા હતા. ત્રણત્રણ વખત કૉન્ગ્રેસ પ્રમુખપદે વરાયેલા મૌલાના આઝાદ, આઝાદી પૂર્વેના અતિ મુશ્કેલ એવા, ૧૯૩૯થી ૧૯૪૬ના સમયગાળામાં, કૉન્ગ્રેસ પ્રમુખ હતા. એમના રાષ્ટ્ર્વાદી વિચારો પ્રત્યે સૌને આદર હતો. હિંદુ મુસ્લિમ એકતાની હિમાયત અને વિભાજનના વિરોધને કારણે મૌલાના આઝાદને પંડિત નહેરુ અને સરદાર પટેલ સાથે કડવાશભર્યા મતભેદો પેદા થયા હતા. “સાચો મુસલમાન સ્વાધીનતાના જ શ્વાસ ઘૂંટતો હોય”, એમ કહેનાર મૌલાનાસાહેબ રાષ્ટ્રીય એકતાના ભોગે આઝાદી ચાહતા નહોતા. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું, “આકાશમાંથી કોઈ દેવદૂત ઊતરી આવે અને તે દિલ્હીના કુતુબમિનાર પર ચડીને કહે, હિદુ મુસ્લિમ એકતાને ઠોકર મારો અને જુઓ ૨૪ કલાકમાં તમને સ્વરાજ મળી જાય, તો હું હિંદુ મુસ્લિમ એકતા ખાતર સ્વરાજનો ત્યાગ કરવા તૈયાર છું. કેમ કે સ્વરાજ મેળવવામાં વિલંબ એકલા ભારતનું નુકસાન હશે. પણ જો એકતા લુપ્ત થશે તો સમગ્ર માનવજાતનું નુકસાન હશે.”

મૌલાના આઝાદના કૉન્ગ્રેસ પ્રમુખના કાર્યકાળ દરમિયાન જ કૉન્ગ્રેસે ભારતના ભાગલાની દરખાસ્ત વિચારી અને અંતે સ્વીકારી. ભારત-પાકિસ્તાનના ભાગલા સાથેની આઝાદીનો સ્વીકાર મૌલાનાના જીવનનો સૌથી દુ:ખદાયી દિવસ હતો. જ્યારે ગાંધીજી પણ આ નિર્ણય આગળ લાચાર ઠર્યા ત્યારે અબુલ કલામ પાસે પણ તેના સ્વીકાર સિવાયનો કોઈ વિકલ્પ નહોતો. ભાગલા અંગે એપ્રિલ ૧૯૪૬માં એમણે કહેલું, “પાકિસ્તાન શબ્દ જ મારા સંસ્કારની વિરુદ્ધ છે. દુનિયાનો કોઈ ભાગ પાક (પવિત્ર) છે અને કોઈ નાપાક (અપવિત્ર) એવી વહેંચણી બિનઈસ્લામી છે. ઈસ્લામ આવા ભાગલા સ્વીકારતું નથી. “ એટલે જ કૉન્ગ્રેસ મહાસભાની બેઠકમાં (૧૪ જૂન, ૧૯૪૭) વિભાજનના સ્વીકાર અંગેના ઠરાવ પર તેમણે કહ્યું હતું,” રાજકીય દ્રષ્ટિએ બંને દેશો જુદા થવાના હોય તો પણ સંસ્કૃતિ અને સંસ્કારની દ્રષ્ટિએ બંને દેશોએ સાથે રહેવું જોઈએ.

સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી  (૧૯૪૭થી ૧૯૫૮) તરીકે મૌલાના આઝાદે  વિજ્ઞાન અને તકનિકી શિક્ષણનો વિકાસ કર્યો હતો. વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતી સંશોધન સંસ્થાઓ તેમણે સ્થાપી યુ.જી.સી, આઈ.આઈ.ટી., સાહિત્ય અકાદેમી, સંગીત નાટક અકાદમી અને લલિત કલા અકાદમીની સ્થાપના તેઓ શિક્ષણ મંત્ર્રી હતા તે દરમિયાન થઈ હતી. શિક્ષણ મંત્રી મૌલાનાસાહેબે વિજ્ઞાન અને તકનિકી શિક્ષણ દ્વારા ભારતને આધુનિક બનાવવા પ્રયાસો કર્યા હતા. ભારતની જરૂરિયાતો ભારતમાં જ સંતોષાય અને તે માટેનું શિક્ષણ મળી રહે તેવા પ્રબંધો ઘડ્યા હતા. નોકરી અને ડિગ્રી વચ્ચેનો વિચ્છેદ અને શિક્ષણ માત્ર રોજી રોટીનું સાધન ન બની રહે તે દિશામાં તેમણે કરેલાં પ્રયત્નોને ઝાઝી સફળતા મળી નહોતી.

મૌલાના અઝાદની નખશિખ દેશભક્તિ અને તેમનું કોમી એકતા પ્રત્યેનું સમર્પણ એ બાબતથી પણ પરખાય છે કે  પોતાની આત્મકથા ”ઈન્ડિયા વીન્સ ફ્રીડમ”ની રોયલ્ટીની અડધી રકમમાંથી તેઓએ ભારત અથવા પાકિસ્તાનના કોઈ બિન મુસ્લિમને અંગ્રેજી ભાષામાં ઈસ્લામ વિશે ઉત્તમ પુસ્તક લખવા કે મુસ્લિમને હિંદુ ધર્મ વિશે પુસ્તક, લખવા પુરસ્કાર આપવાની યોજનાની પોતાના વસિયતમાં જોગવાઈ કરી હતી !

મહાદેવ દેસાઈએ લખેલા મૌલાના આઝાદના જીવન ચરિત્રની પ્રસ્તાવનામાં, ૧૯૪૦માં, ગાંધીજીએ લખ્યું હતું, છેક ૧૯૨૦થી મૌલાના અબુલ કલામ આઝાદ સાથે રાષ્ટ્રીય કાર્યમાં સાથીદાર રહેવાનો લાભ મને મળેલો છે. એમનું ઈસ્લામ ધર્મનું જ્ઞાન અજોડ રહ્યું છે. તેઓ અરબીના મહાન વિદ્વાન છે. એમની રાષ્ટ્રીયતા, ઈસ્લામ પ્રત્યેની એમની શ્રદ્ધા જેવી જ બુલંદ છે. ભારતીય ઇતિહાસના કોઈ પણ અભ્યાસીએ એમના આજના સ્થાન(કૉન્ગ્રેસના પ્રમુખ)નો મર્મ પામવો જોઈશે.”

૧૯૯૨માં “ભારતરત્ન”થી નવાજાયેલા મૌલાના આઝાદનો જન્મ દિવસ (૧૧મી નવેમ્બર) ૨૦૦૮થી “રાષ્ટ્રીય શિક્ષણ દિન” તરીકે સરકારી રાહે મનાવાય છે. સાંપ્રદાયિક સોહાર્દની જેને સવિશેષ જરૂર છે તેવા આપણા બિનસાંપ્રદાયિક દેશને અને તેની નવી પેઢીને મૌલાના અબુલ કલામ આઝાદના જીવનકાર્ય અને વિચારોનું સ્મરણ વારંવાર કરાવવાની જરૂર છે.

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 13 નવેમ્બર 2019

Loading

13 November 2019 admin
← ખુસરોનું સ્વર્ગ કાશ્મીર નહીં, દિલ્હી હતું :
સેના-ભા.જ.પ. વચ્ચેની ખાઈ એવી પહોળી થઈ ગઈ છે કે હવે સાથે થવું હોય તો પણ શરમ આવે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved