Opinion Magazine
Number of visits: 9484141
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાયદાનું પાલન કરાવવાને નામે પણ લૂંટ જ ચાલે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 October 2021

કાયદા તોડવા માટે જ છે એવું ઘણાં માને છે ને એવું માનનારાઓમાંથી કાયદાનું પાલન કરાવનારા પણ બાકાત નથી. ઘણાં પોતાનાં કામને બહુ વફાદાર હોય છે, તો ઘણાં અધિકારીઓ કાયદાને જ ગજવામાં ઘાલીને ફરતાં હોય છે. મોટે ભાગે તો કાયદાનું પાલન કરાય એટલે પાલન કરાવનારા તંત્રો સક્રિય રહે છે, પણ કાયદાને નામે કેટલાક અધિકારીઓ લોકોને લૂંટે પણ છે. આ લૂંટનો અનુભવ ઘણાંને છે, હશે. પટાવાળાથી માંડીને ઉપરી અધિકારીઓ સહિતના ઘણાં આ લૂંટમાં સામેલ હોય છે. ઘણાં, પોલીસનું ગુજરાતી, હપ્તો, એવું પણ કરે છે તે સાવ ખોટું નથી લાગતું.

આજના જ સમાચાર છે કે ટ્રાફિક પોલીસ કોમર્શિયલ વાહનો પાસેથી હપ્તા વસૂલે છે. જુદાં જુદાં વાહનોના ભાવ નક્કી થયેલાં છે. જેમ કે સ્કૂલ ઓટો કે વાન હોય તો તેનો ભાવ 500 કે 1,000 રૂપિયા છે. ટેમ્પાના 1,000થી 1,500, ટ્રક, ટ્રેક્ટરના 2,000, લક્ઝરી બસના 2,500 ને હાઈવા ટ્રકના 3,500 એમ ભાવ નક્કી થયા છે. આ ગેરકાયદે છે, પણ કાયદેસર હોય તેમ સૌ સરવાળો કરતા જાય છે. ટ્રાફિક શાખાના જ એ.સી.પી.ના એક અંગત રિક્ષાવાળાએ આવાં ઉઘરાણાંના વીડિયો જાહેર કર્યા છે તેના પરથી ટ્રાફિક વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો ખ્યાલ આવે છે. આ ઉઘરાણી કેમ થાય છે તેનો ખુલાસો નથી, પણ થાય છે એ જગજાહેર છે. એક સમયે ભ્રષ્ટ માણસ શરમાતો, હવે ભ્રષ્ટતા એટલી વધી છે કે શરમ માટે જગ્યા જ બચી નથી.

આર.ટી.ઓ.માં પણ ટેસ્ટ લીધા વિના ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢી આપનારા આસપાસ ભમતા હોય છે. ગોળના ઢેફા પર પણ આટલો બણબણાટ નથી હોતો. એક તરફ ટ્રેનિંગ લીધી હોય તેને નાપાસ કરવામાં આવે છે ને બીજી તરફ વગર ટેસ્ટે લાઇસન્સ કાઢી આપવાનું પણ ચાલે છે. વાહન વ્યવહાર સરળતાથી ચાલે એ માટે જે ધોરણો કે કાયદા ઘડાયાં હોય એમાં જ મનસ્વી રીતે અધિકારીઓ પોતાની રીતિ(અ)નીતિ દાખલ કરી લૂંટ ચલાવે છે ને એમાં માલેતુજારો ઉપરાંત સાધારણ વાહન ચાલકોને ય લૂંટવામાં આવે છે ને એને કોઈ પડકારી શકે એમ નથી, કારણ ફરિયાદ કોને કરવાની? જેમને કરવાની હોય એ જ આરોપી હોય તો રડવાનું કોને ને રડવાનું કોનું?

આજ સ્થિતિ વેપારીઓ અને જી.એસ.ટી. વસૂલતા અધિકારીઓ સંદર્ભે પણ છે. ભૂતપૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીએ જે મૂરતમાં જી.એસ.ટી.નું ભૂંગળ વગાડ્યું છે તે એટલી મૂંઝવણો ઊભી કરે છે કે એનો આજીવન નિકાલ આવે એમ લાગતું નથી. આમ તો જી.એસ.ટી.ની વાત આવેલી ત્યારે બીજા ટેક્સ નહીં લાગે એવી મજાક પણ થયેલી, પણ રમત એવી થઈ છે કે બીજા ટેક્સ વધ્યા છે ને જી.એસ.ટી. તો કરમે ચોંટેલો જ છે. સરકાર જી.એસ.ટી.માંથી કેટલો ટેક્સ કમાઈ છે એના અબજો અબજોના આંકડા જાહેર કરતી રહે છે ને એનું ટેક્સનું માળખું આજે પણ એટલું મૂંઝવનારું છે કે સરકાર સિવાય કોઈને રાહત થતી નથી. એમાં વળી કોઈએ રિફંડ લેવાના થતાં હોય તો આ ટેક્સના કેટલાક કન્સલ્ટંટ્સ કે સી.એ. પણ પોતાની હોજરી ભરી લે છે. રિફંડ પચાસ લાખથી ઓછી રકમનું હોય તો આ લોકો 5 ટકાનું ને 50 લાખથી વધુનું હોય તો 3 ટકાનું ઉઘરાણું વેપારીઓ પાસેથી કરતાં હોય છે. એમાં અધિકારીને નામે દોઢ બે ટકા જુદા કઢાય છે. જો આ માંગ સંતોષાય તો કલાકોમાં વેપારીને રિફંડ મળી જાય છે ને એમાં જો કોઈ સિદ્ધાન્ત કે કાયદાની વાત કરવા ગયું તો રિફંડ ને દંડ વચ્ચે ઝાઝો ફરક રહેતો નથી. આ અધિકારીઓ, સી.એ. કે ટેક્સ કન્સલ્ટંટ્સ પર તપાસ મૂકાય તો જ વેપારીઓની કનડગત અટકે તેમ છે. વેપારીઓ આવા કેસમાં ફરિયાદ કરી શકે, પણ પછી એમના કાન માથા સાથે જડેલા છે ને ભવિષ્યમાં આ જ નમૂનાઓ જોડે પાણીમાં રહેવાનુ હોય તો વેર કરીને ક્યાં જવું? ટૂંકમાં, વધારે હેરાનગતિ ન થાય એટલે લૂંટાઈને પણ સૌ ચૂપ રહે છે.

એમ લાગે છે કે ભ્રષ્ટ લોકો કે અધિકારીઓ મળી સમજીને તોડ પાડી લે છે ને ભાગે પડતું હક વગરનું લઈને કમાણી કરી લે છે. એમાં કોઈને જરા પણ ઓછું આવ્યું તો હેરાનગતિ શરૂ થઈ જાય છે. આમાં કોઈ પ્રમાણિક કે સિદ્ધાન્તવાદી ભૂલેચૂકે અડફેટે ચડ્યો તો એનું એટલું લોહી પીવાય છે કે તેણે મરવા સુધી જવું પડે અથવા તો આ કહેવાતાં તંત્રનું શરણું સ્વીકારી લેવું પડે. ભ્રષ્ટતા જાણે કે લોહીમાં વણાઈ ગઈ છે. આ એવો રાષ્ટ્રીય પ્રવાહ છે કે એનાથી જુદો પડીને કોઈ સામા પૂરે તરવા ઇચ્છે તો તેણે આત્મહત્યા કે શહીદી જ વહોરવી પડે. કેવું છે આ? સત્યમેવ જયતે-નું સૂત્ર બોલતાં જઈને અસત્યનો મહિમા કરનારી ભીડમાં તણાતાં જવાનું ભાગ્ય લઈને આવ્યાં હોઈએ એવી સ્થિતિ છે. આમાં કેટલાક અધિકારીઓ પ્રમાણિક અને સત્યનિષ્ઠ છે જ, એ જ રીતે કેટલાક પ્રજાજનો પણ સત્યનિષ્ઠ સાત્વિકતાને સ્વીકારે છે, પણ મોટો ભાગ પ્રજાનો અને તંત્રનો પૈસા વેરીને કામ કઢાવી કે કાઢી લેવામાં માને છે. આ બધામાં ઘણુંખરું તો હેતુ વધુને વધુ પૈસા ભેગા કરવાનો જ હોય છે. એટલા પૈસા કે અનેક પેઢીઓ સુધી ખાતાં ખૂટે નહીં, જ્યારે વાસ્તવિકતા તો એ જ છે કે જીવવાનું અનેક પેઢીઓ સુધી કોઈનું નથી ચાલતું, ભલે પછી એ સાધુ હોય કે શેતાન જ કેમ ન હોય !

આજે એવું છે કે કેમ તે ખબર નથી, પણ એક સમય હતો જ્યારે પોલીસ અધિકારીઓ સુરત કે ગુજરાતમાં બદલી માંગતા ને એને માટે લાખોની લાંચ પણ આપતા. એમને વિશ્વાસ હતો કે લાખો રૂપિયા પછી તો મળી જ રહેવાના છે ને એમાં એ ખોટા ન પડતા એ પણ ખરું. તે એટલા માટે કે એ સૌ જાણતા હતા કે ગુજરાતમાં દારૂબંધી છે. ગાંધીજી ગુજરાતનાં હતા એટલે અહીં તો દારૂબંધી જ હોય ને ! એમ કરીને આપણે ગાંધીજીને ગુજરાત પૂરતા જ સીમિત કરી દીધા કે પછી ગુજરાતમાં જ દારૂબંધી રાખીને એમાંથી વધુ કમાવાની સગવડ ઊભી કરી તે નથી ખબર, પણ દારૂને કારણે થતી અન્ય રાજયોની કમાણી કરતાં ગુજરાતની કમાણી ઓછી છે કે વધારે એની તપાસ કરવા જેવી છે. બને કે ગુજરાતની કમાણી વધારે હોય. આ દારૂબંધી આમ તો નામની છે, બાકી દારૂને નામે વધુ કમાણી અહીં છે તે તંત્રો જાણે છે, એટલે અહીં બે નંબરની આવક સરળ છે, એ ગણતરીએ અહીં અધિકારીઓ બદલી માંગી લે છે ને બીજે બદલી ન થાય એની કાળજી પણ રાખે છે. અગેઇન, આમાં પણ કેટલાક ખરેખર સેવા કરનારા લોકો છે જ, પણ મોટો ભાગ મેવા લૂંટનારો છે તેની ના પાડી શકાશે નહીં. દારૂબંધીને કારણે કેટલા અધિકારીઓ ગાડી બંગલાવાળા થયા છે તે આસપાસ નજર નાખીએ તો પણ સમજાય એમ છે. એ ઈમાનદારીનું પરિણામ નથી, બેઇમાનીનું હોય તો હોય, આ કમાણી પગારમાંથી કદી શક્ય નથી ને કોઈ વારસો ન મળ્યો હોય તો, આટલો વૈભવ ધરાવનારા અધિકારીઓ કેવી રીતે બધું પામ્યા હશે તે કહ્યા વગર પણ સમજાય એમ છે.

આમ તો આ અરણ્યરુદન જ છે. એવું પણ માની લેવાયું છે કે ભ્રષ્ટ થયા વગર હવે ચાલે એમ જ નથી. નાનો, નાની ચોરી કરે ને મોટો, મોટી ચોરી કરે એવું ઘણાંએ સ્વીકારી લીધું છે. આમ કરવું જ પડે એવું પણ માની લેવાયું છે. કોણ નથી કરતું આવું, એવું કહીને તેની પાછળ પોતાની જાત પણ સંતાડાય છે, તો ભલે તેમ ! સ્વીકારી લઈએ આ ભ્રષ્ટતા, પણ પછી આપણાં બાળકોને એ શીખવવું પડશે કે ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર છે. એને કહેવું પડશે કે લુચ્ચાઈ જ સચ્ચાઈ છે. એને ભણાવવું પડશે કે ચંદ્ર એની ચાંદની વેરે છે તેમાં એનો કોઈ સ્વાર્થ છે, કારણ સ્વાર્થ વગર તો દુનિયા ચાલતી જ નથીને ! એને કહેવું પડશે કે સૂર્ય અજવાળું કરવાનું બિલ મોકલે છે ને પેલાં મૂરખ ફૂલો એટલાં સ્વાર્થી છે કે તમને હસાવવા ન હોત તો એણે કદી સ્મિત વેર્યું ન હોત ! શું કહીશું એ નદીને જેનો સ્વાર્થ જ તમને તૃપ્ત કરવાનો છે. આ સમુદ્રો એટલે જળ સંઘરી બેઠા છે જેથી સૂર્ય એને શોષે અને એક એક ટીપું ભેગું કરીને વરસતી ઋતુ બનાવે. હવે તો પંખીને જોવાનો જ સમય નથી, ત્યાં એના ટહુકાના એ કેટલા લે છે તે પૂછવું પડે. સ્વાર્થ વગર તો પંખી પણ શું કામ ગાય? આ ને આવનારી પેઢીને એ કહેવું પડશે કે કુદરત જો આટલી સ્વાર્થી હોય તો આપણે પહેલો એકડો તો અબજોનો જ પાડવો જોઈએ. કહી શકાશે, આવું?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 ઑક્ટોબર 2021

Loading

1 October 2021 admin
← મોહનદાસ કરમચંદ ગાંધી અને ભાવનગરની શામળદાસ કૉલેજ
ગાંધીજી સાહિત્યકાર ખરા? હા. →

Search by

Opinion

  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved