Opinion Magazine
Number of visits: 9446392
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાશ, નવી દિલ્હી ‘દિલ્હીપણા’ને દિલી અલ્વિદા કહી શકે!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 July 2023

સ્વાતંત્ર્ય, સામાજિક ન્યાય, માનવીય ગૌરવ જેવાં મૂલ્યોની સ્થાપનામાં કંઈ ને કંઈ સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું એ ઉમાશંકરના કિસ્સામાં પૂર્વશરત નહીં તો પણ ભૂમિકા જેવું રહ્યું છે. આ બંને વસ્તુઓ સર્જનકાર્યની વિરોધી જેવી લેખાતી હશે પણ એમને એવી લાગી નથી – કહો કે એમને માટે એ બાબતમાં પસંદગીને અવકાશ જ નથી

પ્રકાશ ન. શાહ

બસ, હવે બે દિવસ, અને તરત ઉમાશંકર જયંતી (21 જુલાઈ) : ચારેક દાયકા પાછળ ચાલ્યો જાઉં છું અને શામળાજીમાં ઉમાશંકર જોશીને બોલતા ભાળું  છું. નકરું ભાળું જ શીદને, સાંભળું પણ છું. અવસર જેપી પ્રણિત લોકસમિતિના રાષ્ટ્રીય અધિવેશનનો હતો. બિહારથી આચાર્ય રામમૂર્તિ તો દિલ્હીથી રજની કોઠારી સામેલ થયા હતા. તો, ગુજરાતના જેપી આંદોલનના જોગંદર ભોગીલાલ ગાંધી અને કટોકટી કાળે ‘ભૂમિપુત્ર’-ખ્યાત ચુનીભાઈ વૈદ્ય તો હોય જ. ઉદ્દઘાટનનું ટાણું હતું અને, કેમ કે કવિ મંગલ વચનો ઉચ્ચારવાના હતા, આસપાસની શાળાઓનાં બાળકો બેલાશક હકડેઠઠ હતા.

કવિ વતનની ભોમકામાં હતા અને વળી સમવયસ્કો વચ્ચે હતા … ઉઘાડમાં જે ખીલ્યા છે! એમણે કહ્યું, સાચું કહું, મને કેવું લાગે છે … જાણે પિયરમાં ન આવ્યો હોઉં! બાળુડાં તો ઘેલાં ઘેલાં, ને એકદમ એમના હેવાયાં થઈ ગયાં. બાળ કિલ્લો સર કરી કવિએ બુરજબંધી હાથ ધરી, પિયર ને સાસરાને જોડવાની રીતે. પળવાર તો મને થયું, પેટલીકર પંડમાં પધાર્યા. પણ ઉમાશંકર આગળ ચાલ્યા, આપણી નાનકડી દુનિયા અને વિશાળ દુનિયા, એમાં સમાવું તે શું – એની રાજ્યશાસ્ત્રીય ને સમાજશાસ્ત્રીય ચર્ચા ભણી વળ્યા … અને શો ચમત્કાર!

સહસા સ્વાયત્તતાના મુદ્દા પર નાંગર્યા. એ દિવસોમાં ગુજરાતમાં યુનિવર્સિટીઓની સ્વાયત્તતાનો મુદ્દો સુરખીઓમાં હતો અને કવિ એનો મહિમા કરવા ઈચ્છતા હતા તે તરત પકડાયું. આજે નોકરિયાત મંડળી ઈચ્છતાં તંત્રોને શિક્ષણ સંસ્થાઓ અને એમની સ્વાયત્તતાનો મુદ્દો કેટલો પકડાશે, નહીં પકડાશે, દઈ જાણે.

1981માં, સિત્તેરમે, ઉમાશંકર ‘સમગ્ર કવિતા’ લઈને આવ્યા. એનાં પ્રાસ્તવિક વચનોમાં એમના, આપણને તો વિક્રમ વરતાય એવા જીવનક્રમનો એમણે સોજ્જો ખ્યાલ આપ્યો છે :

‘ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો? સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં, – એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ …’

2011-12માં નિરંજન ભગતની નિગેહબાનીમાં અમે ગેરસરકારી રાહે ઉમાશંકર શતાબ્દીનું આયોજન કરી રહ્યા હતા ત્યારે સ્વાતિ જોશીએ પરિપ્રેક્ષ્યની ગરજ સારતો એક સરસ લેખ કર્યો હતો, જેમાં ઉમાશંકર જોશીને જાહેર જીવનના કવિ તરીકે ઓળખાવ્યા હતા. શબ્દ ક્યાંથી ક્યાં લઈ ગયો, એ કેફિયતનુમા ઉદ્દગારોમાંથી તે તરત પમાય છે. 1981નાં હજુ હમણાં ટાંક્યાં પ્રાસ્તાવિક વચનોમાંથી જ આગળની થોડીક પંક્તિઓ ટાંકું એટલે એમનું જાહેર જીવનના કવિ હોવું તે શી વસ છે એ વિશે વધુ કંઈ કહેવાનું રહેશે નહીં : ‘સ્વાતંત્ર્ય, સામાજિક ન્યાય, માનવીય ગૌરવ જેવાં મૂલ્યોની સ્થાપનામાં કંઈ ને કંઈ સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું એ જાણે કે કાવ્યરચનાની પૂર્વશરત નહીં તો પણ ભૂમિકા જેવું રહ્યું છે. આ બંને વસ્તુઓ સર્જનકાર્યની વિરોધી જેવી લેખાતી હોય છે, મને એવી લાગી નથી – કહો કે મારે માટે એ બાબતમાં પસંદગીને અવકાશ જ નથી.’

વિશાળ ગુજરાતી વાચક સમાજે ઉમાશંકરને કવિ તરીકે વાંચ્યા-વધાવ્યા હશે, પણ એમનું જાહેર જીવનના કવિ હોવું વર્ગખંડોના પાઠ્યક્રમમાં કેવું ને કેટલું પહોંચ્યું હશે તે આપણે જાણતા નથી – ભલે ભોમિયા વિના ભણ્યાભમ્યા હોય ઉમાશંકર, આપણે સારુ તો એ ભોમિયાઓ પૈકી ખરા જ ને!

રાજ્યસભાના સભ્ય તરીકે અને પછીથી કેન્દ્રની સાહિત્ય અકાદમીના એ પોતે સાભિપ્રાય સંભારતા તેમ ‘ચૂંટાયેલા’ પ્રમુખ તરીકે, એમને દિલ્હીનો બાહ્યાભ્યંતર પરિચય છે, એવો જ પરિચય જેમ કે દાંડીકૂચના સૈનિક ને ખ્યાત પત્રકાર કવિ શ્રીધરાણીને પણ લાંબા દિલ્હીવાસને કારણે સહજ હતો. આ લખું છું ત્યારે સાંભરે છે કે એક તબક્કે બલ્લુકાકાને દુરારાધ્ય બ.ક.ઠા.ને) સુંદરમ્-ઉમાશંકર બેઉ કરતાં શ્રીધરાણીમાં કશુંક વિશેષ વરતાયેલું. ગમે તેમ પણ, શ્રીધરાણીનું દિલ્હી અને ઉમાશંકરનું દિલ્હી સાથે મળીને સત્તા-પ્રતિષ્ઠાન સામેનો સ્વતંત્ર સર્જક મિજાજ તે શું એ આબાદ ઉપસાવી આપે છે; અને આગળ ચાલતાં એમાંથી સ્તો નવયુગી નાગરિક એજન્ડા પણ નિ:સ્ત્રવે છે.

શ્રીધરાણીની લાંબી રચનામાંથી બે પંક્તિઓ : સર્વવ્યાપ્ત સરકાર બિરાજે, કવિને કરતી ભાટ /જંગલ છોડી દિલ્હી-કાંઠે યોગી માંડે હાટ … શ્રીધરાણીએ સ્વરાજની પહેલી પચીસીમાં ઝીલેલી આ છબિ છે. સ્વરાજની બીજી પચીસી બેઠે ત્રીજું વરસ ચાલે છે અને 1976ના એપ્રિલમાં (રાજ્યસભાની મુદ્દત પૂરી થતાં) ઉમાશંકર ‘અલ્વિદા દિલ્હી’ લઈને આવે છે. એની છેલ્લી થોડી પંક્તિઓ :

નવી, સાતમી દિલ્હી, ખબર છે તને તો –

ઇતિહાસ રાજધાનીઓની છેડતી કરે છે.

ખેડુની-શ્રમિકની વાંકી વળેલી પીઠ પર ઊભી છે

એને વધુ વાંકી વાળતી

દુનિયાની રાજધાનીઓ

રૂડી રૂડી વાતોને નામે.

સાતમી દિલ્હી, નીચે ઊતરી શકીશ,

જીવી જઈશ.

દિલ્હીપણાને કરી તારી – અને મારી પણ –

દિલી અલ્વિદા?

ઉમાશંકર, પ્રસંગે, ચોક્કસ રચનાઓનું પ્રકાશન મુદ્રિત સ્વરૂપે કરતાં પૂર્વે પઠનથી કરતા. એમની આ રચના પણ 1976ના માર્ચમાં લખાઈ અવાજ થકી પ્રકાશન પામી છે જાન્યુઆરી 1977માં, અને તે પણ ગુજરાતી સાહિત્ય પરિષદે યોજેલ કવિસંમેલનમાં. (બાય ધ વે, ’77નો જાન્યુઆરી સાંભરે છે ને? કટોકટીની કાલરાત્રિ પછી પોહનાં ઉંબર અઠવાડિયાં છે અને કવિ દિલ્હીને એના દિલ્હીપણાની અલ્વિદાનો અવાજ લઈને આવે છે, આર્ત અને આર્ષ.)

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 19 જુલાઈ 2023

Loading

19 July 2023 Vipool Kalyani
← ગમતાનો ગુલાલ સાંઈ મકરન્દ દવે
ટેક્સ ટેરરિઝમ : કરવેરાને સંગઠિત લૂંટ કહેવાય? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved