Opinion Magazine
Number of visits: 9485366
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેઓ ડરતા નથી તેને ડરાવી શકાતાં નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|5 August 2021

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને નોટિસ આપીને પૂછ્યું છે કે રાજદ્રોહને ગુનો ગણાવતા ભારતીય દંડ સંહિતાના સેક્શન ૧૨૪(એ)ને શા માટે રદ્દ કરવામાં ન આવે? આ કાયદાનો વ્યાપકપણે દુરુપયોગ થઈ રહ્યો છે. પહેલાં અંગ્રેજો દુરુપયોગ કરતા હતા, આઝાદી પછી ભારત સરકાર અને રાજ્ય સરકારો કરતી આવી છે અને અત્યારે હિંદુ રાષ્ટ્રવાદી સરકાર તેનો સૌથી વધુ દુરુપયોગ કરે છે. અંગ્રેજો કરતાં પણ વધુ, અભૂતપૂર્વ પ્રમાણમાં.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર આવી એ પછી અત્યાર સુધીમાં છ વરસમાં રાજદ્રોહના ૫૧૯ ગુના દાખલ થયા છે. એ પહેલા ડૉ. મનમોહન સિંહના રાજમાં ૨૦૧૦-૨૦૧૪નાં ચાર વરસમાં રાજદ્રોહના ૨૭૯ ગુના નોંધાયા હતા. બન્ને સરકારોના કાર્યકાળના એક દશક દરમ્યાન કુલ ૧૦,૯૩૮ વ્યક્તિઓ સામે રાજદ્રોહ કરવાના ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૬૫ ટકા એટલે કે ૭,૦૮૫ વ્યક્તિઓ સામે રાજદ્રોહના ગુના નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછી નોંધાયા છે. નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા એ પછી સરકારની ટીકા કરવી એને રાજદ્રોહ ઠરાવીને કુલ ૪૦૫ ભારતીય નાગરિકો સામે રાજદ્રોહના કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને તેમાંથી ૯૬ ટકા એટલે કે ૧૪૯ અને ૧૪૪ કેસ અનુક્રમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથની ટીકા કરવાને લગતા છે. રાજદ્રોહ કહી શકાય કે ખપાવી શકાય એવા ગંભીર કોઈ આરોપ જ નથી, માત્ર ટીકા કરી એને રાજદ્રોહ ગણાવવામાં આવ્યો છે.

આ કાયદાનો ઉઘાડો દુરુપયોગ છે. આનો અર્થ એવો નથી કે આ કાયદાનો બીજા શાસકોએ દુરુપયોગ નથી કર્યો. અંગ્રેજોએ તો આ કાયદો દુરુપયોગ કરવા માટે જ ઘડ્યો હતો કે જેથી ભારતીય પ્રજા અન્યાય સામે અવાજ ઉઠાવતા અને હક તેમ જ અધિકારોની માગણી કરતા ડરે. ૧૮૩૭ની સાલમાં લૉર્ડ મૅકોલેએ આ કાયદો ઘડ્યો હતો જે ત્યારે સેક્શન ૧૧૩ હતો. પાછળથી ૧૮૭૦ની સાલમાં એ કાયદો ભારતીય દંડસંહિતાના સેક્શન ૧૨૪ બનીને કાયદાપોથીમાં આવ્યો હતો અને આજ સુધી એના એ સ્વરૂપમાં કાયમ છે. આ કાયદાનો દુરુપયોગ લોકમાન્ય તિલક સામે, મહાત્મા ગાંધી સામે, કૉન્ગ્રેસના બીજા અનેક નેતાઓની સામે અને સશસ્ત્ર ક્રાંતિકારીઓ સામે કરવામાં આવ્યો છે. એ સમયે જ રાજદ્રોહના કાયદાનો નાગરિકોની સામે થઈ રહેલા દુરુપયોગને જોઇને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે ભારતને આઝાદી મળતાની સાથે જ લોકોની અભિવ્યક્તિને રુંધનારા આ કાળા કાયદાને રદ્દ કરવામાં આવશે.

ભારતને આઝાદી મળી એ પછી જવાહરલાલ નેહરુએ આ કાયદાને કાયદાપોથીમાંથી રદ્દ કરવાનો પ્રયાસ કર્યો હતો; પરંતુ ત્યારે દલીલ કરવામાં આવી હતી કે આઝાદ ભારત હજુ બાલ્યાવસ્થામાં છે, તેનો જન્મ જ કોમી વિભાજન સાથે થયો છે, તે કમજોર છે, હજુ પણ અલગતાવાદી અવાજો સંભળાઈ રહ્યા છે, માટે તેને રક્ષણની જરૂર છે અને રાજદ્રોહનો કાયદો રક્ષણ આપવાનું કામ કરશે. ત્યારે એવી પણ દલીલ કરવામાં આવી હતી કે એક સ્થળેથી મજબૂત કેન્દ્ર સરકાર દ્વારા આસેતુ હિમાલય સમગ્ર ભારત ઉપર શાસન થતું હોય એવા રાજ્યનો પ્રયોગ ભારત માટે નવો છે, એટલે એમાં સાવધાન રહેવાની જરૂર છે. મજબૂત શાસકો, મજબૂત કેન્દ્રમાંથી મજબૂતીપૂર્વક દેશ ઉપર શાસન કરી શકે એ સારુ તો કૉંગ્રેસના નેતાઓએ પાકિસ્તાનની માગણીનો સ્વીકાર કરી લીધો હતો. બાકી રાજ્યોને વ્યાપક સતા આપનારા અને કેન્દ્રની સત્તાને ક્ષીણ કરનારા સમવાય ભારતની મુસ્લિમ લીગની માંગણી સ્વીકારી લીધી હોત તો ભારતનું વિભાજન ટાળી શકાતું હતું. તો વાતનો સાર એટલો કે દેશ પગભર થાય અને કેટલીક સમસ્યાઓથી મુક્ત થાય ત્યાં સુધી આ કાયદો ટકાવી રાખવો જોઈએ એવો અભિપ્રાય ત્યારે આવ્યો હતો અને એ કાયદો ટકી ગયો હતો.

દેશ પગભર તો થયો, પણ બહુ ઝડપથી સમસ્યામુક્ત થઈ શક્યો નથી. થઈ શકે એમ જ નહોતો. સમસ્યાઓ જૂની અને જટિલ છે અને તેમાં લાગતીવળગતી પ્રજા એકબીજાના પગની આંટી મારે છે અને સમસ્યાને ઉકેલવા દેતી નથી. આનો અંત લાવવા હજુ વધારે આકરા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. નેશનલ સિક્યુરિટી એક્ટ (એન.એસ.એ.), પબ્લિક સેફટી એક્ટ (પી.એસ.એ.), અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ (યુ.એ.પી.એ.), પ્રિવેન્શન એક ટેરરીઝમ એક્ટ (પી.ઓ.ટી.એ. – પોટા) અને બીજા આવા અનેક કાયદાઓ સત્તાધીશો પાસે હાથવગા છે. આ બધા કાયદાઓ રાજ્યદ્રોહના કાયદા કરતાં વધારે આકરા છે અને છતાં સમસ્યાઓનો કે અશાંતિનો અંત આવતો નથી, હા, તેનો અવાજ કરનારાઓ સામે કે અણમાનીતી પ્રજા સામે દુરુપયોગ જરૂર કરવામાં આવે છે. જેમ કે આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા એ પછી એન.એસ.એ. હેઠળ ૧૬૦ મુસલમાનોને જેલમાં ધકેલવામાં આવ્યા હતા.

ટૂંકમાં સરકાર પાસે રાજદ્રોહ કરતાં પણ વધુ વિકરાળ કાયદાઓ હાથવગા છે, પણ વર્તમાન શાસકોને રાજ્યદ્રોહનો કાયદો વધારે માફક આવે છે. કારણ? કારણ બહુ સ્પષ્ટ છે. રાષ્ટ્રીય સુરક્ષાને લગતા આકરા કાયદાઓ ગંભીર ગુનાઓ માટેના છે એટલે તે સ્વતંત્ર અવાજોને રૂંધવામાં, તેમને ડરાવવામાં અને હેરાન કરવામાં ઓછા કામમાં આવે છે. સરકાર એટલે રાજ્ય, રાજ્ય એટલે દેશ, દેશ એટલે નરેન્દ્ર મોદી અને દેશરૂપી નરેન્દ્ર મોદીની આલોચના કરી જ કેમ શકાય? દેશભક્ત તરીકેની લાયકાત સાબિત કરવા માટે નરેન્દ્ર મોદીની ટીકા કરી જ ન શકાય! તો ટીકાકારોનાં મોઢાં બંધ કરવાં છે અને તેમાં આ કાયદો વધુ માફક આવે છે. કોઈ વાચકને આ કાયદાના દુરુપયોગની સંપૂર્ણ વિગત જોઈતી હોય તો article14.com અને scconline.com પર મળી રહેશે.

માટે સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે બહુ થયું, કોઈ માત્ર સરકારની ટીકા કરે એને સીધો રાજદ્રોહનો ગુનો ગણવાનો? કેદારનાથ સિંહ વિરુદ્ધ બિહાર સરકારના કેસમાં ૧૯૬૨ની સાલમાં સર્વોચ્ચ અદાલતના પાંચ ન્યાયાધીશોની બેન્ચે ઉપર કહી એ દેશ હજુ નિર્બળ છે એવી દલીલને માન્ય રાખીને રાજદ્રોહના કાયદાને બંધારણીય ઠરાવ્યો હતો, પરંતુ સરકારનો વિરોધ કરનારા નાગરિકો સામે તેનો દુરુપયોગ કરવામાં ન આવે એ સારુ કેટલાક આદેશ આપ્યા હતા. એવી જ રીતે ૧૯૯૫ની સાલમાં પણ સર્વોચ્ચ અદાલતે બલવંતસિંહ અને ભુપિન્દર સિંહ વિરુદ્ધ પંજાબ સરકારના કેસમાં પણ આ કાયદાનો ઉપયોગ કેવા સંજોગોમાં કોની સામે કરી શકાય એની સમજ આપી હતી.

સવાલ એ છે કે ડરે છે કોણ? સરકાર કે તેની સામે બોલનારાઓ? સરકાર ડરાવે છે, સતાવે છે અને છતાં વિરોધ કરનારાઓ તો વિરોધ કરે જ છે. અંગ્રેજોએ ઘડેલા કાળા કાયદા પછી પણ ભારતના નેતાઓ નિર્ભયપણે બોલ્યા હતા અને દેશને આઝાદી અપાવી હતી. જે વિચારી શકે છે, જે વ્યાપક પ્રજાહિતને જોઈ શકે છે અને જેનો અંતરાત્મા જાગી ગયો છે તે ડરતા નથી. જો ડરાવવાથી પરિવર્તનો રોકી શકાતાં હોત તો સમાજ આગળ જ ન વધ્યો હોત. જગતમાં ક્રાંતિઓ ન થઈ હોત. સંસ્થાનવાદનો અંત ન આવ્યો હોત. ભારતમાં જ્ઞાતિઓની પંચાયતોની નાગચૂડ ઢીલી ન પડી હોત. દલિતોને અને સ્ત્રીઓને મોકળાશ ન મળી હોત. ડરાવનારા દરેક યુગમાં અને દરેક સમાજમાં હોય છે. સ્થાપિત હિતોને સત્તા છોડવી નથી, પછી એ રાજસત્તા હોય, ધર્મસત્તા હોય, સમાજસત્તા હોય કે પુરુષસત્તા હોય. કોઈને સત્તા છોડવી નથી અને માટે તેઓ ડરાવે છે.

પણ પ્રશ્ન એ છે કે ડરે છે કોણ? કોણ ડરપોક છે? એ જેઓ ડરાવે છે. તેઓ ડરાવે છે, કારણ કે તેઓ ડરે છે. બીજો સવાલ એ છે કે જેમને ડરાવવામાં આવે છે એ જ્યારે ડરતા તો નથી તો પછી આ ખોટનો ધંધો શા માટે કરવામાં આવે છે? ટીકા કરનારાઓ તો ટીકા કરે જ છે અને તેને રોકવા જતા ભારતના શાસકો તાનાશાહી શાસન કરે છે એવી જગતમાં છાપ પડી છે અને બદનામી થઈ રહી છે. તો પછી શા માટે આવો ખોટનો ધંધો કરે છે?

આનો જવાબ એ છે કે આ કાયદાનો દુરુપયોગ કરીને વિરોધ કરનારા લોકોને સતાવીને જે ડરેલા છે તેને ડરાવવામાં આવે છે. જે નીડર છે તેને ડરાવી શકાતા નથી. વ્યાપક સામજિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો સમાજના સભ્યો ઉપર અંકુશ મુકનારા અને સમાજવ્યવસ્થાનું નિયમન કરનારા રીવાજો, રૂઢિઓ, સામાજિક-રાજકીય કાયદાઓ અને નિંદા (આજના યુગમાં સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા ઓળખ છૂપાવીને કરવામાં આવતી સામૂહિક નિંદા-ટ્રોલીંગ) એ લોકો માટે છે જે ડરે છે. જે નીડર છે એ ડરવાના નથી એ તેમને ખબર છે. સરકારી દાવાઓ વિષે શંકા કરનારાઓને, પ્રશ્ન કરનારાઓને, પરીક્ષણ કરીને સત્ય ઉજાગર કરનારાઓને અને સરકારનાં પક્ષપાતી પગલાંઓનો વિરોધ કરનારાઓને સતાવવામાં આવી રહ્યા છે. તેમને ખબર છે કે જે નીડર છે એ ડરવાના નથી અને સતામણી પછી પણ તૂટવાના નથી પણ જે ડરેલા છે એ વધારે ડરેલા રહે અને જે કઢીચટ્ટાઓ છે એ વધારે લાભની લાલચે વફાદારી બદલે નહીં એ માટે આ કાયદાનો દુરુપયોગ કરવામાં આવે છે.

તેમને એ વાતની પણ જાણ છે કે જે ડરેલા છે એ ડરપોક છે, પણ એમાંના બધા બેવકૂફ નથી. તેઓ બધું જ જાણે છે અને જો ડર હટી જાય તો કાલે બોલે પણ ખરા અને રસ્તા ઉપર ઊતરે પણ ખરા. આવું ભૂતકાળમાં અનેકવાર બન્યું છે. ઈમરજન્સી હળવી કરતાની સાથે ઇન્દિરા ગાંધીને આનો અનુભવ થયો હતો.

તો રણનીતિ એવી છે કે બહાર જે મુક્ત અવાજો સંભળાઈ રહ્યા છે તેને ભલે રોકી ન શકાય, પણ આડકતરી રીતે રૂંધી તો શકાય. તેમને ડરાવીને ડરપોક લોકોને ડરાવી શકાય. આ સિવાય કઢીચટ્ટાઓ વિચારોને રોકવા પાળ બાંધવાનું કામ કરે છે. તેઓ સત્તાધીશના જયજયકારનો દેકારો કરશે અને એ રીતે ટીકાકારની ટીકા લોકો સુધી ન પહોંચે એ માટે કામ કરશે. તેઓ ટીકાકારની નિંદાનો દેકારો પણ કરતા જોવા મળશે. તમારા કાને મુક્ત અવાજ મુક્ત રીતે ન પહોંચે એ જોવાનું કામ આ કઢીચટ્ટાઓ કરે છે. યાદ રહે, આગળ કહ્યું તેમ તેમને પણ ડરાવવામાં આવે છે.

જોઇએ સર્વોચ્ચ અદાલત શું કરે છે!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 05 ઑગસ્ટ 2021

Loading

5 August 2021 admin
← મહામારી અને ભેદભાવ : અતીત અને વર્તમાન
ભણવા કરતાં પણ પ્રવેશ મેળવવો અને પરીક્ષા આપવી એટલો જ અર્થ શિક્ષણનો બચ્યો છે … →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved