Opinion Magazine
Number of visits: 9448942
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેનામાં સર્જનાત્મકતા હોય તે કોઇની કઢી ચાટે નહીં

રમેશ ઓઝા|Opinion - Opinion|8 September 2024

રમેશ ઓઝા

૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી આજ સુધીમાં ઓછામાં ઓછી ત્રીસેક ફિલ્મ અને ટી.વી. સિરિયલ કે વેબ સિરીઝ આવી હશે, જેમાં ગાંધીજીને, જવાહરલાલ નેહરુને, ઇન્દિરા ગાંધીને, ડૉ. મનમોહન સિંહને નીચા દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં મુસલમાનોને, ખ્રિસ્તીઓને, ડાબેરીઓને, સેક્યુલરિસ્ટોને અને એકંદરે માનવતાવાદીઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિવેક અગ્નિહોત્રી, અક્ષય કુમાર, અનુપમ ખેર વગેરે અઢળક કમાયા છે. ગોદી સર્જકોને પૈસા આપવામાં આવતા હતા અને તેમણે માલિકોને ઉજળા દેખાડવાના હતા અને માલિકોના દુ:શ્મનની બદનામી કરવાની હતી. ગોદમાં બેસાડનારાઓ એમ માનતા હશે કે ભારતની સમગ્ર પ્રજા બેવકૂફ છે અને આખી જિંદગી તેમ જ પેઢી-દર-પેઢી બેવકૂફ રહેવા સર્જાયેલી છે.

પણ એમાં બે સમસ્યા છે. પ્રજા એકના એક ગાયનવાદનથી કંટાળી જાય. બેવકૂફમાં બેવકૂફ માણસ પણ એક દિવસ તો વિચારે કે આ લોકો પોતાને મહાન દેખાડવા માટે બીજાને શું કામ નાના ચીતરે છે? દરેક પ્રસંગે અને દરેક સ્થળે બીજાઓને નીચા દેખાડવાની પ્રવૃત્તિ આ લોકો શું કામ કરે છે? શું પોતાનાં કોડિયામાં ઓછું તેલ છે કે બીજાનાં કોડિયાનું તેલ ઢોળી નાખવું પડે? કોડિયું બુઝાઈ જવાનો ડર છે? આવો સવાલ તો બેવકૂફમાં બેવકૂફ હોય તેને પણ એક દિવસ થાય. બીજી સમસ્યા એ છે કે જે લોકો પૈસા લઈને પ્રચારક બને તેનામાં સર્જનાત્મકતા ઓછી હોવાની. અમર કૃતિ રચવાની આવડત તેનામાં ન હોય અને એવી આવડત જેનામાં હોય એ કોઈની કઢી ચાટે નહીં. કોઈ ભાટની કવિતા કાલીદાસની કવિતા સામે ટકે? એટલે તેણે કરેલું સર્જન આંખ સહન ન કરી શકે એવું જાડું હોય અને કાન સહન ન કરી શકે એટલું ઘોંઘાટિયું હોય. ઘણીવાર સવાલ થાય કે આ માલિકની પ્રસંશા કરે છે કે ઠેકડી ઊડાડે છે? વધારે વહાલા થવા વધારે અતિશયોક્તિ કરે. વિવેક અગ્નિહોત્રીની ‘કાશ્મીર ‘ફાઈલ્સ’ આનું ઉદાહરણ છે. એ ફિલ્મને ઓસ્કરમાં મોકલવામાં આવી હતી અને ઓસ્કરની જ્યુરીએ જ્યારે એ ફિલ્મ જોઈ ત્યારે દરેકે દરેક સભ્યએ ગુસ્સે થઈને કહ્યું હતું કે આવી ફૂહડ ફિલ્મ અહીં સુધી પહોંચી જ કેવી રીતે? આ કોઈ ફિલ્મ છે? પ્રોપેગેન્ડા ફિલ્મ અમારે જોવાની? જ્યુરીનો અભિપ્રાય જોઇને અગ્નિહોત્રી અને ખેરને મરચાં લાગ્યાં હતાં.

ટૂંકમાં બીજાની બદનામી કરતો એક સરખો પ્રચાર જોઇને એક દિવસ લોકો કંટાળી જાય અને શંકા કરતા થઈ જાય. જેણે જિંદગીમાં હાથમાં દાંડી પકડી ન હોય એ ઢોલ વગાડે તો અવ્વલ દરજ્જાનો ભક્ત પણ કાને હાથ મૂકી દે. અત્યારે આવું બનવા લાગ્યું છે. પ્રોપેગેન્ડા કરનારી ફિલ્મો નિષ્ફળ નીવડી રહી છે.

આની સામે કોઈ અવ્વલ દરજ્જાનો સર્જક શાસકોને માફક ન આવે એવા કોઈ વિષય પર કૃતિ રચે તો? માત્ર એક ઉદાહરણ બસ રહેશે. પશ્ચિમ બંગાળમાં જ્યારે નક્સલવાદી આંદોલન જોરમાં હતું ત્યારે એ સમયના પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સિદ્ધાર્થ શંકર રેએ સરકારી હિંસાનો સપાટો બોલાવ્યો હતો. જે અવાજ કરે એ દરેક નક્સલી અને નક્સલી જીવતો ન બચવો જોઈએ. કોલકાતામાં અને સમગ્ર રાજ્યમાં હજારો યુવકોની લાશો બિછાવી દેવામાં આવી હતી. નકલી એન્કાઉન્ટરનો અને બુલડોઝરનો ન્યાય પહેલેથી જ અપનાવામાં આવી રહ્યો છે. ફરક એ છે કે આગળના યુગના બાહોશ શાસકો સરકારી હિંસાનો મહિમા કરતા નહોતા. વાંકી આંગળીએ ઘી એ લોકો પણ કાઢતા હતા, પણ કહેતા નહોતા. હાથ હંમેશાં જોડેલા જ હોય.

ખેર, પશ્ચિમ બંગાળની સરકાર એ સમયે જે રીતે યુવકોને મારતી હતી, જે રીતે અવાજોને રૂંધતી હતી, જે રીતે તેણે માનવીય જીવનને સસ્તું કરી મૂક્યું હતું એ જોઇને લબ્ધપ્રતિષ્ઠ બંગાળી સાહિત્યકાર મહાશ્વેતા દેવીએ એક કૃતિ રચી હતી જેનું નામ હતું; ‘હજાર ચુરાશીરમા’ (૧૦૮૪). કોલકાતાના મુર્દાઘરમાં એક યુવકની લાશ પડી છે જેની ઓળખ છે, ‘હજાર ચુરાશીરમાં.’ લાશ ક્રમાંક ૧૦૮૪. આ શીર્ષક જ હચમચાવી મૂકે એવું છે. માબાપ માટે જે લાડકવાયો છે એ બંદૂકના નાળચામાં સમાયેલા શાસન માટે એક નંબર માત્ર છે. એ કૃતિ માંડ સો પાનાંની હશે, પણ અમર કૃતિ છે. એનો અનેક ભાષામાં અનુવાદ થયો છે, ગુજરાતીમાં પણ થયો છે. એ જ નામની ફિલ્મ પણ બની છે. એ કૃતિ રચાઈ ત્યારથી લઈને આજ સુધી અને હવે પછી પણ, જ્યારે એ કૃતિની વાત થશે ત્યારે સિદ્ધાર્થ શંકર રાય અને તેની પુલીસ માનવીય સભ્યતાના દુ:શ્મન તરીકે હાજર થશે. તેમનું સ્વતંત્ર અસ્તિત્વ તો સત્તા છોડ્યા પછી ક્યારનું ય મટી ગયું છે, તેઓ એક નાનકડી કૃતિ દ્વારા એ કૃતિએ આપેલા ચહેરા સાથે જીવે છે.

આ ફરક છે, બળુકા સર્જકોમાં અને ખુશામતખોરોમાં. એક સો પાનાંની કૃતિએ કાયમ માટે શાસકોના અસલી ચહેરાને કાળની ભીંતમાં કોતરી દીધો. કોઈની તાકાત નથી એ ભૂંસવાની, પછી ભલે હજાર વિવેક અગ્નિહોત્રીઓને કામે લગાડવામાં આવે! આવાં અમર સર્જનોનાં તો બીજાં અનેક દાખલા આપી શકાય. ચાર્લી ચેપ્લિનની ફિલ્મ ‘ગ્રેટ ડિક્ટેટર’ જોઈ લો. હિટલર અને હિટલરની વિચારધારા પર લખાયેલાં હજારો પુસ્તકો એક તરફ અને ‘ગ્રેટ ડિક્ટેટર’ એક તરફ. એ ફિલ્મ મૂંગી છે, પણ સતાવે છે. ભેગભેગા પાયલ કાપડિયાને યાદ કરી લઈએ. પાયલ કાપડિયાને તેની ફિલ્મ ‘ઑલ વી ઈમેજીન એઝ લાઈટ’ માટે કાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં ગ્રેંડ પ્રિક્સ એવોર્ડ મળ્યો. આ પાયલ કાપડિયા પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભણતી હતી ત્યારે મોદી સરકારે ‘મહાભારત’ ટી.વી. સિરિયલમાં યુધિષ્ઠિર બનેલા ગજેન્દ્ર સિંહ ચોહાણને તેનાં અધ્યક્ષ બનાવ્યા હતા. તેમની જમા બાજુ એટલી જ હતી કે તેઓ ભા.જ.પ.ના સભ્ય છે. વિદ્યાર્થીઓએ ગજેન્દ્રસિંહની નિમણૂકનો વિરોધ કર્યો, આંદોલન કર્યું, પાયલે તેનું નેતૃત્વ કર્યું હતું અને સરકારે તેને હેરાન કરવામાં કશું બાકી નહોતું રાખ્યું. આજે ગજેન્દ્રસિંહ ચોહાણને દેશમાં પણ કોઈ ઓળખતું નથી અને પાયલે વિદેશમાં નામ રોશન કર્યું.

કાળ નીરવતાને સાંભળતો હોય છે અને ઘોંઘાટને ચાળી નાખતો હોય છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 સપ્ટેમ્બર 2024

Loading

8 September 2024 Vipool Kalyani
← ‘ઉપયોગિતાની દૃષ્ટિએ ખેડૂતો મારાં કરતાં ઘણી ઉચ્ચ કક્ષાએ છે !’
IC-814 કંદહાર હાઈજેકઃ  રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમ વચ્ચેની ભેદરેખા ઓળંગી જઇએ ત્યારે થતી ભૂલો ટાળવી જરૂરી →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved