Opinion Magazine
Number of visits: 9447959
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જગતમાં આટલું અસરકારક આંદોલન કદી નથી થયું !

રમેશ ઓઝા|Opinion - Opinion|9 August 2020

ગાંધીજીનો જ્યાં અને જ્યારે જન્મ થયો હતો એ કાઠિયાવાડમાં જાણે કે સમય થીજી ગયો હતો. તો બીજી બાજુ યુરોપમાં સમયે એવી કરવટ બદલી હતી અને એવો નવો ચહેરો ધારણ કર્યો હતો કે તેનાં પ્રભાવ અને પરિણામથી ભાગ્યે જ કોઈ અક્ષુણ નહોતું. ભારતના સનાતની મુસલમાનો અને સનાતની હિંદુઓ પણ તેના પ્રભાવથી મુક્ત નહોતા. તેમની સનાતનતા પશ્ચિમ સામેની પ્રતિક્રિયારૂપે હતી. પહેલાં એક નજર યુરોપ પર કરી લઈએ.

યુરોપ અને લગભગ આખું જગત ગાડાવટે જેમ ગાડું ચાલતું જાય એમ સેંકડો વરસથી ચાલતું હતું. કોઈ નવી પ્રેરણા નહોતી, કોઈ નવો વિચાર નહોતો કે કોઈ નવો આવિષ્કાર નહોતો. સુખ માટેની જદ્દોજહદ પણ નહોતી જે એક રીતે સ્વાભાવિક પ્રેરણા છે. એની વચ્ચે ઇસુની ૧૪-૧૫મી સદીમાં યુરોપમાં એક નવો સળવળાટ થયો જેને પુનર્જાગરણ તરીકે ઓળખાવવામાં આવે છે. એ માનવકેન્દ્રી આંદોલન હતું. Renaissance ફ્રેંચ શબ્દ છે જેનો અર્થ થાય છે નવો જન્મ. એ એક એવું આંદોલન હતું જેમાં માણસ શંકા કરતો થયો હતો, પ્રશ્ન પૂછતો થયો હતો, પરંપરાઓનો અને ધર્મસંસ્થાઓનો અસ્વીકાર કરતો થયો હતો, કાંઈક નવું શોધતો થયો હતો, સાહસ કરતો થયો હતો અને સૌથી વધુ તો તેના કેન્દ્રમાં માનવી હતો. ભગવાન નહીં, બાયબલ કે બીજો કોઈ ધર્મગ્રંથ નહીં, ધર્મ નહીં, પોપ નહીં, રાજવી નહીં, પરંપરાઓ પ્રત્યે અહોભાવ નહીં, સંગઠિત સમાજના પરંપરાગત બંધનો નહીં; માત્ર માનવી. એ માનવકેન્દ્રી આંદોલન હતું. માનવીની વધુમાં વધુ સુખાકારી તેના કેન્દ્રમાં હતી.

એને પરિણામે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો. એને પરિણામે ઔદ્યોગિક ક્રાંતિઓ થઈ. એને પરિણામે રાજાશાહીની જગ્યાએ લોકતંત્ર વિકસ્યું અને એને પરિણામે ધર્મશાહીની જગ્યાએ સેક્યુલરિઝમ વિકસ્યું. એને પરિણામે ગ્રામીણ અર્થતંત્ર અને ગ્રામીણ સમાજવ્યવસ્થા ધ્વસ્ત થવા લાગી અને શહેરો વિકસ્યાં. એને પરિણામે ઓછી મહેનત અને વધુ નફાને સુખ તરીકે ઓળખવામાં આવ્યું. એને પરિણામે સુખ અને સમૃદ્ધિની નવી વ્યાખ્યા કે સમજ વિકસી. એને પરિણામે આધુનિક રાષ્ટ્ર (નેશન સ્ટેટ) વિકસ્યાં. એને પરિણામે સુખ માટેની હરીફાઈ શરૂ થઈ. એને પરિણામે સુખ માટેની દોટને માનવ-પુરુષાર્થનો ઉદાત્ત દરજ્જો મળ્યો. એને પરિણામે કાચો માલ, ઉપભોક્તા અને બજારની શોધ શરૂ થઈ જેમાંથી સંસ્થાનો કબજે કરવાની હોડ જામી જેને સંસ્થાનવાદ તરીકે ઓળખવામાં આવે છે. એને પરિણામે ગુલામી, શોષણ અને હિંસા સુખનાં સાધનો બન્યાં. એને પરિણામે સેક્યુલરિઝમ સામે પરાજીત થયેલા ચર્ચે એશિયા અને આફ્રિકાના દેશોમાં ધર્માન્તરણ કરાવીને નવો ખ્રિસ્તી સમાજ પેદા કર્યો. એને પરિણામે એશિયા અને આફ્રિકાની પ્રજાને પહેલીવાર ધર્મના સંખ્યા સાથેના સંબંધની જાણ થઈ. એને પરિણામે આધુનિક રાષ્ટ્રવાદનો જન્મ થયો અને એને પરિણામે જ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનાં મૂલ્યો પણ વિકસ્યાં.

જગતના ઇતિહાસમાં એક સાથે આટલાં પરિણામો પેદા કરનારું અને આટલી વ્યાપક અસર પેદા કરનારું બીજું કોઈ આંદોલન આ પહેલાં અને એ પછી થયું નથી. આખા જગતનો ચહેરો બદલી નાખ્યો અથવા બદલાવા લાગ્યો. ભારત પણ એના પ્રભાવથી મુક્ત નહોતું અને એમાં ભારત તો પાછું ઇંગ્લેંડનું સંસ્થાન હતું. ૧૯મી સદીમાં રાજા રામમોહન રોય અને એ પછીના મહાનુભાવો સામે પ્રશ્ન થયો કે પશ્ચિમનું કેટલું ગ્રાહ્ય સમજવું અને કેટલું અગ્રાહ્ય. અલગ અલગ લોકોના અલગ અલગ મત હતા. મત સિવાય વલણો પણ હતાં. પણ સર્વસાધારણ મત પશ્ચિમના ‘પુરુષાર્થ’ના ઓવારણા લેનારો હતો. આપણે પણ પશ્ચિમ જેવો સમાજ વિકસાવવો જોઈએ જેમાં વધુમાં વધુ માનવીનું સુખ એ પુરુષાર્થ કહેવાય. આપણે પણ વિજ્ઞાન અને ટેકનોલોજી અપનાવવાં જોઈએ. ભારતનું પણ ઔદ્યોગીકરણ થવું જોઈએ, નગરો વિકસવાં જોઈએ અને ગ્રામીણ અર્થવ્યવસ્થા અને ગ્રામીણ ઢાંચાની પુનર્રચના થવી જોઈએ અથવા તો ભલે તે સમૂળગું તૂટી જાય. ભારત પણ નેશન સ્ટેટ બનવું જોઈએ અને તેનો પણ એક પોતીકો રાષ્ટ્રવાદ હોય. ભારતે પણ કોઈક કેન્દ્રવર્તી ઓળખ વિકસાવવી જોઈએ જેના પાયા પર રાષ્ટ્રની રચના કરી શકાય.

આની વચ્ચે સમયના એક નિર્ણાયક પડાવ પર ગાંધીજી આવે છે, જ્યારે પુનર્જાગરણનાં પરિણામો તેની ટોચ પર હતાં અને કાઠિયાવાડ સાંસ્કૃતિક જીવાશ્મ (ફોસ્સિલ) હતું. હમણાં કહ્યું એમ જગતના ઇતિહાસમાં આટલી વ્યાપક અસર પેદા કરનારું બીજું કોઈ આંદોલન આ પહેલાં અને એ પછી થયું નથી. આખા જગતનો ચહેરો બદલી નાખ્યો અથવા બદલાવા લાગ્યો, પરંતુ ગાંધીજીના માનસ પર એનો પણ ઊંડો પ્રભાવ નહોતો.

ગાંધીજીની આત્મકથામાં તેમણે ભારતીય રાષ્ટ્રની મહાનતાની, મહાન આર્યાવર્તની, મહાન હિંદુ ધર્મની, ભારતનાં ઉજ્વળ ઇતિહાસની, ભારતની ગુલામીની, અંગ્રેજો દ્વારા કરવામાં આવતાં શોષણની અથવા બીજા અંતિમે આંખ ખોલી આપીને અંગ્રેજોએ આપણા પર કરેલા ઉપકારની, ભારતના અધિકારોની, પશ્ચિમ કે પૂર્વ વચ્ચે કોના ચડિયાતાપણાની, પહેલો સુધારો કે પહેલું સ્વરાજ વગેરેની કોઈ વાતો જોવા નથી મળતી; જે એ દિવસોમાં ફેશનમાં હતી. ગાંધીજીનો જન્મ કાઠિયાવાડમાં થયો હતો અને તે છતાં ગાંધીજીએ તેમની તરુણાવસ્થામાં કાઠિયાવાડમાંની સામંતશાહી અને આધુનિકતા વચ્ચે કોઈ પ્રકારનો ઝઘડો અનુભવ્યો હોય એનો ઉલ્લેખ પણ તેમની આત્મકથામાં મળતો નથી.

હા, બે અપવાદ જરૂર છે, પરંતુ ગાંધીજીએ તેની પૂંઠ પકડી નહોતી. પહેલો માંસાહારનો. ગાંધીજી આત્મકથામાં લખે છે કે તેઓ શાળામાં ભણતા હતા એ ‘દિવસોમાં કવિ નર્મદ (નર્મદાશંકર લાલશંકર દવે)નું નીચેનું કાવ્ય ગવાતું:

અંગ્રેજો રાજ્ય કરે, દેશી રહે દબાઈ,
દેશી રહે દબાઈ, જોને બેનાં શરીર ભાઈ
પેલો પાંચ હાથ પૂરો, પૂરો પાંચસેંને.

ગાંધીજીએ જે કવિતા આત્મકથામાં ટાંકી છે એ કવિ નર્મદની નથી પણ નવલરામની છે. ગાંધીજી તેમના મિત્ર શેખ મહેતાબની સલાહને પરિણામે અને ઉપર ટાંકેલી કવિતાના પ્રભાવમાં થોડો સમય માટે એમ માનતા થયા હતા કે તાકાત શરીરમાં રહેલી છે અને દેશ આખો જો માંસાહાર કરે તો અંગ્રેજોને હરાવી શકાય. એ પ્રભાવ સાવ થોડો સમય ટક્યો હતો. એક વાર માંસાહાર કર્યો તો ખરો, પણ તેઓ હિંસા સહન કરી શક્યા નહોતા.

બીજો પ્રસંગ શાળામાં વિદાય સમારંભનો છે. ચોથી જુલાઈ ૧૮૮૮ના દિવસે યોજાયેલા વિદાયસમારંભમાં આ મુજબ વાંચીને બોલ્યા હતા એમ તેમણે તેમના અક્ષરદેહના પહેલા ભાગમાં નોંધ્યું છે : ‘હું આશા રાખું છું કે બીજાઓ મારો દાખલો લેશે અને ઇંગ્લેન્ડથી પાછા આવ્યા બાદ હિંદુસ્તાનમાં સુધારાનાં મોટાં કામો કરવામાં પોતાના ખરા જીગરથી ગૂંથાશે.’

બસ, આ બે પ્રસંગો છોડીને ગાંધીજીની આત્મકથામાં ક્યાં ય સંસારસુધારો, સ્વરાજ, આધુનિકતા કે ભારતની મહાન પ્રાચીનતાની કોઈ વાત આવતી નથી જે એ દિવસોમાં અપેક્ષિત હતી.

પણ આ જ મોહનદાસ ગાંધી જ્યારે લંડન જવાનો નિર્ણય લે છે ત્યારે તેનો વિરોધ કરવા તેમની નાતની સભા મુંબઈમાં મળે છે અને તેમાં તેમને હાજર રહેવાનો આદેશ આપવામાં આવે છે. નાત વિલાયત નહીં જવા દેવાનો ઠરાવ કરે છે ત્યારે ગાંધીજી કહી દે છે કે તેઓ ઠરાવનો અસ્વીકાર કરે છે. ગાંધીજી આત્મકથામાં લખે છે કે ન્યાતના શેઠે પ્રશ્ન પૂછ્યો હતો:

‘પણ નાતનો હુકમ તું નહીં ઉઠાવે?

‘હું લાચાર છું. મને લાગે છે કે આમાં નાતે વચમાં ન આવવું જોઈએ.’

વિલાયતમાં પરસ્ત્રીગમન અને માંસાહાર નહીં કરવાનું વચન તેમણે તેમના માતાને આપ્યું હતું અને માતા, મોટાભાઈ અને પરિવારના એક હિતચિંતક પાસેથી વિલાયત જવાની રજા મેળવી હતી એ તેમના માટે પૂરતું હતું. આ સિવાયની બીજી કોઈ પણ સત્તાનો (જ્ઞાતિની હોય કે ધર્મની) સ્વીકાર કરવાની તેઓ દ્રઢતાપૂર્વક ના પાડી દે છે.

આમ જે મોહનદાસ ગાંધી વિલાયત ગયા હતા એ વિલાયત જનારા તેમના સમકાલીન યુવકો કરતાં જુદા હતા એમ નજરે પડે છે. સ્વરાજની કે સંસારસુધારાની કોઈ મોટી ધગશ યુવા ગાંધીમાં નજરે પડતી નથી. પૂર્વ અને પશ્ચિમની સભ્યતા વિશે કોઈ ગૃહિત ધારણા તેઓ ધરાવતા હોય એમ જોવા મળતું નથી. મ્લેચ્છોને શીખવાડી આવવાની કે ચડિયાતાઓ પાસેથી શીખી આવવાની કોઈ તાલાવેલી તેમની અંદર જોવા મળતી નથી. તેઓ તો સહેલાથી બે પૈસા રળી શકાય એ માટેની વ્યવસાયિક લાયકાત પ્રાપ્ત કરવા લંડન ગયા હતા. રેનેસાઁના પ્રભાવની અને પરિણામની તેમને કોઈ વિશેષ જાણકારી હોય એવું લાગતું નથી. મૂલ્યનિષ્ઠા પણ તેમની પોતીકી છે. શુદ્ધ પૌર્વાત્ય નથી અને રેનેસાઁપ્રણિત પાશ્ચાત્ય પણ નથી. ગ્રંથ અને પંથ વિશે શંકા અને પ્રશ્નો તેમના પોતાનાં છે, ‘ઍજ ઑફ રીઝન’નું પરિણામ નથી. શ્રદ્ધા પણ તેમની પોતીકી છે, પરંપરાજન્ય કે ગ્રંથપ્રેરિત નથી.

જે મોહનદાસ ગાંધી ૧૮૮૮માં વિલાયત ગયો હતો એ નહોતો ટિપિકલ પૂર્વનું ફરજંદ કે નહોતો આધુનિક યુગને પામવા મથતો પશ્ચિમનો વિદ્યાર્થી. કોઈક જુદું જ રસાયણ તેની અંદર વિકસી રહ્યું હતું.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 ઑગસ્ટ 2020

Loading

9 August 2020 admin
← ચલ મન મુંબઈ નગરી—56
સ્ત્રી … →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved