Opinion Magazine
Number of visits: 9449503
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇટાલિયન લેખક ઉમ્બેર્તો ઇકો સમજાવે છે કે ફાસીવાદ એટલે શું? એ અંગે આપણે ય વિચારવાનું છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|2 June 2018

‘ઉર ફાસિઝ્મ’ નિબંધ  આપણા દેશ માટે પ્રસ્તુત ન બને તે સાચવવાનું છે ….

બીજા વિશ્વયુદ્ધનું એક કારણ બનનાર ફાસીવાદી વિચારધારા વિશે ઇટાલિયન નવલકથાકાર-ચિંતક ઉમ્બેર્ટો ઇકો(૧૯૩૨-૨૦૧૬)એ લખેલા દીર્ઘનિબંધનો સાર એક મરાઠી સામયિકમાં અને પછી મૂળ અંગ્રેજી પાઠ ઇન્ટરનેટ પર વાંચવા મળ્યો. પશ્ચિમના અગ્રણી બૌદ્ધિક ઉમ્બેર્ટોએ સેમિઑટિક્સ (ચિહ્નશાસ્ત્ર), ભાષાવિજ્ઞાન, માનવવંશશાસ્ત્ર, સમૂહમાધ્યમો, મધ્યયુગનું સૌંદર્યશાસ્ત્ર, સાહિત્યવિવેચન જેવાં ક્ષેત્રોમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. યુરોપની અનેક યુનિવર્સિટીઓમાં ભણાવી ચૂકેલા ઉમ્બેર્ટો મોટા પુસ્તકપ્રેમી હતા. મિલાન અને ઉર્બિનોનાં ઘરોમાં થઈને તેમણે પચાસ હજાર જેટલાં પુસ્તકો વસાવેલાં. આ પ્રકાંડ વિદ્વાનને ચિત્રકથા એટલે કે કૉમિક્સમાં બહુ રસ હતો, એટલું જ નહીં પણ તેમણે બાળસાહિત્ય પણ લખ્યું છે. તેમની સહુથી જાણીતી નવલકથા ‘ઇન ધ નેઇમ ઑફ ધ રોઝ’નો ‘ખાલી નામ ગુલાબ કા’ નામે મદન સોનીએ કરેલો અનુવાદ રાજકમલ પ્રકાશને બહાર પાડ્યો છે.

હિટલર અને સ્ટાલિનની હરોળના ફાસીવાદી શાસક એવા ઇટાલીના મુસોલિની (૧૮૮૩-૧૯૪૫)ના અંત વખતે ઉમ્બેર્ટો તેર વર્ષનાં હતા. પોતાની કિશોરાવસ્થાનાં વર્ષોમાં મુસોલિનીનાં વાગ્મિતાભર્યા ભાષણોનાં પ્રભાવ, મુસોલિનીના જુલાઈ ૧૯૪૩માં થયેલાં અંત અને ત્યાર બાદ ફાસીવાદ વિશે ઉઘડતી ગયેલી પોતાની સમજનાં સંભારણાંથી ઉમ્બેર્ટો પોતાના ફાસીવાદ વિશેના નિબંધની શરૂઆત કરે છે. ત્યાર બાદ આંતરાષ્ટ્રીય પરિસ્થિતિની વાત છે, અને બાકીના ભાગમાં ફાસીઝમની છણાવટ છે. ‘ન્યુ યૉર્ક રિવ્યૂ ઑફ બુક્સ’માં ૧૯૯૬માં પ્રસિદ્ધ થયેલાં આ દીર્ઘનિંબધનું નામ છે ‘ઉર ફાસિઝમ’. આ શબ્દસમૂહનો અર્થ ઉમ્બેર્ટો આપે છે ‘ઇટર્નલ ફાસીઝમ’ એટલે કે શાશ્વત ફાસીવાદ. પછી તે વિચારધારાના ચૌદ લક્ષણો વર્ણવે છે. [ઉક્ત નિબંધ નીચે આપીએ છીએ : વિ.ક.]

તેમાંનું પહેલું લક્ષણ છે તે પરંપરાવાદ. ફાસીવાદીઓ પરંપરાને સનાતન સત્યનો સ્રોત ગણે છે અને તેને પરિણામે તેઓ નવું જ્ઞાન મેળવવા તરફ વિમુખ હોય છે. તેમાં જ સમાયેલું બીજું લક્ષણ તે આધુનિકતાનો અસ્વીકાર. ફાસીસ્ટો ટેક્નોલૉજિને પૂજે છે, અને છતાં વિજ્ઞાન અને ટેક્નોલૉજિ અધ્યાત્મિક મૂલ્યોના વિરોધમાં છે એવું માને છે. ફાસીવાદ આધુનિકતાના ઇન્કારમાં ફ્રેન્ચ ક્રાન્તિના અને જ્ઞાનપ્રકાશના સ્પિરિટને નકારે છે. ત્રીજું લક્ષણ છે તે ‘એક્શન ફૉર એક્શન્સ સેઇક’ એટલે કે બસ કંઈક કરી નાખવાનું, તેના પહેલા કે પછી કોઈ વિચાર કરવાનો નહીં, કારણ વિચાર એટલે દુર્બળતા. એટલા વિચાર કરનાર વર્ગ કે બૌદ્ધિક વિશ્વ માટે સંદેહ અને નકારાત્મક વલણ. ચોથા ક્રમે છે સમરસતાનો એવો આગ્રહ જેમાં ભિન્ન મતનો જાકારો સમાયેલો હોય. વૈજ્ઞાનિક વિચારણા ક્રિટિકલ અભિગમથી ભેદ પાડતા શીખવે છે. ફાસિઝમ માટે ‘મતભેદ એટલે દેશદ્રોહ’. ફાસીવાદ બીજા પ્રત્યેના માનવસહજ પ્રકૃતિગત ભયને વધુ મોટો બતાવીને તેનો ઉપયોગ કરે છે. અન્ય લોકો, બહારના લોકોને, ઘુસણખોરો ગણી તેમના વિરોધમાં લાગણીઓ ઉશ્કેરવી એ ફાસીવાદનું એક ધ્યેય અને તેનું પાંચમું લક્ષણ છે. ફાસીવાદ વ્યક્તિગત અને સામાજિક હતાશામાંથી જન્મે છે જે તેનું છઠ્ઠું લક્ષણ છે. આર્થિક ભીંસ, રાજકીય રીતે ઉપેક્ષા અને પોતાની નીચેના વર્ગોના દબાણના ભય વચ્ચે જીવતો હતાશ મધ્યમવર્ગ ફાસીવાદનો ભોગ બને છે એમ આ વિચારધારાનો ઇતિહાસ બતાવી આપે છે. સાતમું લક્ષણ તે પોતાની વિરુદ્ધ સતત કોઈ કાવતરું, ખાસ તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ, રચાઈ રહ્યું હોય તેવું એક વળગણ. લોકોને લાગવું જોઈએ કે તેઓ ઘેરાઈ ચૂક્યા છે. આ ઘેરાવમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો ઝેનોફોબિઆ, એટલે કે બીજા દેશના લોકો તરફ ભયની લાગણી ફેલાવવી. પછીનું લક્ષણ એ કે ફાસીવાદીઓ એવું ફેલાવે છે કે દેશના દુશ્મનો તેમની પાસે આપણા કરતાં ઘણાં વધુ સંપત્તિ અને બળ છે, પણ છતાં આપણે તેમને પરાસ્ત કરી શકીએ.

આવા બેધારા જૂઠાણાંને કારણે ફાસિસ્ટો એમના અનુયાયીઓને દુશ્મનની ચોક્કસ તાકાતનો અંદાજ આવવા દેતા નથી, અને અંતે હારે છે. જીવન માટે સંઘર્ષ નહીં, પણ સંઘર્ષ માટે જીવન એ ફાસીવાદનું નવમું લક્ષણ. એટલે ફાસીવાદી લોકોની દુશ્મન સાથે ખેંચતાણ ચાલુ જ રહે છે, જેને પરિણામે જિંદગી હંમેશની લડાઈ બની જાય છે. એલિટિઝમ એટલે ઉજળિયાતપણું ફાસીઝમનું દસમું લક્ષણ છે. ઐતિહાસિક રીતે સંપન્ન સમૂહમાં તેના લોકો ઉત્કૃષ્ટ છે એવી લાગણી ઊભી કરવામાં આવે. વળી સમાજ આખો એક કોટિક્રમમાં ગોઠવાઈ જાય જેમાં દરેક વ્યક્તિ પોતાનાથી ઉપરનાને ખુશ કરતો હોય અને નીચેવાળાને ખાસડાં મારતો હોય. હિરોઇઝમ ફાસીવાદનું અગિયારમું લક્ષણ. દરેકને વીરનાયક થવાની તાલીમ અપાતી હોય છે. વીરમરણ  જીવન માટેનું સર્વોચ્ચ સન્માન એમ શીખવવામાં આવે છે. ‘લૉન્ગ લિવ ડેથ’ એ ફાસીવાદનું એક સૂત્ર છે. ફાસિસ્ટ હિરો મરવા માટે અધીરો હોય છે, પણ એણે એની અધીરાઈમાં તે બીજાનાં મોત નિપજાવ્યાં હોય એવું ઘણી વાર બન્યું છે.

યૌન અર્થમાં પૌરુષત્વ ફાસીવાદનું બારમું લક્ષણ છે નિરંતર યુદ્ધ અને વીરકાર્ય એ અઘરી લીલા છે. એટલે ફાસીવાદી તેની ઇચ્છાશક્તિને યૌન બાબતો તરફ ટ્રાન્સફર કરે છે. ‘વળી સેક્સ ખુદ જ અઘરી રમત હોવાથી ફાસીવાદી વીરનાયક તે રમત શસ્ત્રોથી રમે છે. શસ્ત્ર ઉગામવું એ જાણે એક વૈકલ્પિક શિશ્નોત્થાન બને છે’, એમ ઉમ્બેર્તો લખે છે.

સિલેક્ટિવ પૉપ્યુલિઝમ અથવા ક્વાલિટેટિવ પૉપ્યુલિઝમ, એટલે કે ગુણવત્તા આધારિત લોકપ્રિયતાવાદ એ તેરમું લક્ષણ. લોકશાહી લોકોને અધિકાર આપે છે. ફાસીવાદ એમ કરતો નથી, તેના માટે લોક એટલે પોતાનો મત ધરાવનાર એક-એક વ્યક્તિ નહીં પણ સમૂહ, ટોળું. સમૂહની ઇચ્છાને એ સ્વીકારે છે, પણ સમૂહની ઇચ્છા એટલે કેટલા લોકોની ઇચ્છા એ ગણી શકાય એમ હોતું નથી, એટલે ફાસિસ્ટ નેતા જ સમૂહની ઇચ્છા નક્કી કરે છે. આ લક્ષણ ફાસીઝમ વિચારધારાને સંસદીય શાસન પદ્ધતિની વિરોધી બનાવે છે.

ન્યૂઝસ્પીકનો ઉપયોગ ફાસીવાદનું ચૌદમું લક્ષણ. આ શબ્દ આપનાર અંગ્રેજી નવલકથાકાર  જ્યૉર્જ ઑરવેલનો ઉલ્લેખ ઉમ્બેર્ટો કરે છે. તેનો અર્થ થાય છે રાજકારણીઓ દ્વારા લોકોને મૂંઝવણમાં રાખવા અને પોતાનો હેતુ સાધવા માટે વપરાતી રૂપકાત્મક અસ્પષ્ટ ભાષા. એ પછી ઇકો કહે છે કે બધાં જ નાઝી કે ફાસિસ્ટ પાઠ્યપુસ્તકોમાં કંગાળ ભાષા અને બાળબોધ કક્ષાની વાક્યરચનામાં લખાયેલાં હોય છે. તેનાથી સંકુલ અને ક્રિટિકલ વિચાર કરવાની બાળકોની ક્ષમતા કુંઠિત થાય  છે. ઉમ્બેર્ટો લખે છે કે સત્ત્યાવીસમી જુલાઈ ૧૯૪૩ની સવારે તે છાપું ખરીદવા ગયા. ફાસીઝમના પતન અને મુસોલિનીની ધરપકડના સમાચાર તો રાત્રે જ રેડિયો પર આવી ચૂક્યા હતા. ઉમ્બેર્ટો લખે છે : ‘છાપાં જોતાં મને પહેલી વાર જાણવા મળ્યું કે મારા દેશમાં અનેક રાજકીય પક્ષો છે. ફ્રીડમ, ડિક્ટેટરશીપ, લિબર્ટિ શબ્દો મેં પહેલી વાર વાંચ્યા. આ શબ્દોના બળે પશ્ચિમના મુક્ત માનવી તરીકે મારો પુનર્જન્મ થયો હતો.’

આપણે આવું કહેવાનો વારો ન આવે તેના માટે જાગતા રહેવાની જરૂર છે. ઉમ્બેર્તોએ બતાવેલાં કેટલાં લક્ષણો આપણા દેશનાં શાસનમાં છે તે પણ તપાસવા જેવું છે.

++++++

૧૭ મે ૨૦૧૮

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 18 મે 2018

http://www.nybooks.com/articles/1995/06/22/ur-fascism/

Loading

2 June 2018 admin
← તુતીકોરિનના ગોળીબાર પાછળ છે પક્ષોની પનાહ પામેલ બદનામ વેદાન્તા ગ્રુપનો બેફામ વિસ્તાર
સુજાતા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved