Opinion Magazine
Number of visits: 9446358
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇરાક યુદ્ધ અને આપણે તમાશબીનોની વાહવાહી અને ચિચિયારીઓ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 August 2016

લોકો જ્યારે ટોળે વળે, ચાહે એ સિનેમા હોલમાં હોય, ટીવીના પડદા સામે હોય કે પછી દેશના તારણહાર સામે હોય, તાળીઓ પડવી અને તાળીઓ માટે તમાશો થવો એ બહુ સ્વાભાવિક છે. ટોળાંનો સ્વભાવ તમાશબીનનો હોય છે. તમારો રાજ્યાભિષેક થાય ત્યારે જે ટોળું વાહવાહી કરે એ જ ટોળું તમારો શિરચ્છેદ થાય ત્યારે પણ સરાહના જ કરશે. ઇતિહાસમાં જે બ્લન્ડર થયા છે તે આવી રીતે ટોળાંને ખુશ કરવામાંથી થયાં છે.

2003માં તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ બુશ અને પ્રધાનમંત્રી ટોની બ્લેરે ચિયરલીડર મીડિયા અને તમાશબીન જનતાની ચિચિયારીઓ વચ્ચે તાનાશાહ સદ્દામ હુસેનના ‘નર્ક’ ઇરાક પર ચઢાઈ કરીને જગતભરના ટેલિવિઝન સ્ક્રીન ઉપર હોળી-દિવાળીનો તમાશો કર્યો હતો. ઘણીવાર આપણને નાસમજણનું એવું ઝનૂન ચઢે છે કે એમાં લાખો લોકો હોમાઈ જાય છે, અને એમાંથી આપણે કંઈ સમજીએ તે પહેલાં નવા તમાશાની તૈયારી કરી લઈએ છીએ. દાખલા તરીકે રાષ્ટ્રપ્રમુખપદની 2016ની ચૂંટણીના પ્રબળ દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પે એની ‘કડક’ ભાષામાં એકથી વધુ વખત ત્રીજા મહાયુદ્ધના સંકેત આપ્યા છે.

બ્રિટનમાં અત્યારે પૂર્વ બ્યુરોક્રેટ સર જોન ચિલ્કોટનો એક રિપોર્ટ ચર્ચામાં છે, જે આપણી યુદ્ધપરસ્ત માનસિકતાને ઝકઝોરી નાખે તેવો છે. એક એવું યુદ્ધ જેમાં સૈનિકો સહિત અઢી લાખથી વધુ લોકો મરી ગયા હોય અને એમાં જખ્મી, વિકલાંગ, માનસિક આઘાત ઝીલી રહેલા સૈનિકો અને નાગરિકોની સંખ્યા એના કરતાં પણ વધુ હોય, જે યુદ્ધની તબાહીમાંથી ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ સીરિયા (આઇ.એસ.અાઇ.એસ.) નામના દુર્જેય સંગઠનનો જન્મ થયો હોય, અગર આ યુદ્ધનાં 13 વર્ષ પછી ખબર પડે કે આ યુદ્ધ તદ્દન ગલત હતું, અન્યાયી હતું અને એના ફેંસલા માટે ટોની બ્લેરને પસ્તાવો થઈ રહ્યો છે તો વિચારો કે તમારા દિલ પર શું અસર થાય?

સર જોન ચિલ્કોટે 7 વર્ષની મહેનત પછી 6,000 પાનાંનો રિપોર્ટ પેશ કર્યો છે. તેમાં 26 લાખ શબ્દો છે અને 12 વોલ્યુમ છે. સર ચિલ્કોટને એક જ મુદ્દાને છાનબીન કરવાની હતી: 2003માં ઇરાક ઉપર ચઢાઈ કરવી જરૂરી અને ઉચિત હતી? આ રિપોર્ટમાં 28 જુલાઈ, 2002ના રોજ ટોની બ્લેરે જ્યોર્જ બુશને લખેલી એક નોંધનો ઉલ્લેખ છે, જેમાં એ વાતનો સંકેત છે કે યુદ્ધ કરવાના ફેંસલા પર જલદીથી અમલ કેમ થઈ ગયો. એમાં બ્લેરે બુશને લખ્યું હતું, ‘જે થવું હોય તે થાય, હું તમારી પડખે રહીશ.’

એ વખતે પૂરી દુનિયા યુદ્ધના વિરોધમાં હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુદ્ધને લીલી ઝંડી ફરકાવવા ઇન્કાર કરી દીધો હતો. અમેરિકાએ ત્યાં પણ ધોંસ જમાવી હતી. અમેરિકાએ રાષ્ટ્રવાદના નામ પર એવું ઝનૂન પેદા કર્યું હતું કે યુદ્ધનો વિરોધ કરનારને આતંકવાદનો સમર્થક ઘોષિત કરવામાં આવતો હતો. અમેરિકન મીડિયાને જાણે તમાશો મળી ગયો હોય તેમ ભાવુકતા પેદા કરી રહ્યું હતું. દુનિયાના જનમતની ઐસી તૈસી કરીને ચેનલોએ એમની રેટિંગને જ જનમત બનાવી દીધો અને યુદ્ધના તમાશામાં સામેલ થઈ ગઈ.

ચિલ્કોટ રિપોર્ટ કહે છે કે ટોની બ્લેરે એમની જનતા સમક્ષ સદ્દામ હુસેનના સંભવિત ખતરાના નામે ગપગોળા જ પેશ કર્યા હતા. જ્યોર્જ બુશે સદ્દામ હુસેનને ‘દુષ્ટતાની ધરી’ (એક્સિસ ઑફ ઇવિલ) તરીકે ઘોષિત કર્યો હતો, જેણે પશ્ચિમી રાષ્ટ્રો સામે આતંકવાદની કમાન રચી હતી. ઇરાક સામે યુદ્ધ છેડવાનું એક ‘નક્કર’ કારણ સદ્દામ હુસેનનો સામૂહિક વિનાશના હથિયારનો કાર્યક્રમ હતો. અમેરિકી અને બ્રિટિશ સૈન્યએ સદ્દામનો ખાત્મો કર્યો તે પછી ખબર પડી કે સદ્દામ પાસે એવાં કોઈ જ હથિયાર ન હતાં.

ઇરાક યુદ્ધમાં બુશ અને બ્લેર બંને ભલે એમના દેશવાસીઓને ગુમરાહ કરતા રહ્યા હોય, પણ જંગના અસલી કારણની બધાને ખબર છે. ઇરાક યુદ્ધ પર ચોપડી લખનાર બ્રિટિશ સમાચાર પત્ર ‘ધ ઇન્ડિપેન્ડેન્ટ’નો પૂર્વ પત્રકાર જસ્ટિસ હગલર કહે છે, ‘ઇરાક યુદ્ધનું એક માત્ર કારણ તેલ હતું. 2003માં બગદાદમાં ધડાધડી થઈ તો અમેરિકાએ સૌથી પહેલાં તેલના કૂવાને સુરક્ષિત કરી દીધા હતા, કારણ કે તેલ જ ખરી તાકાત છે. જનતંત્ર અને માનવમૂલ્યોની સ્થાપનાનાં નામ પર અમેરિકા અને બ્રિટને ઇરાકમાં જે કર્યું, એ હવે દુનિયાની સામે છે. આવી ભયંકર તબાહીનો બીજો દાખલો ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળશે.’

આજે ડોનાલ્ડ ટ્રમ્પ જેની સામે ‘કડક હાથે’ કામ લેવાની ભાષા વાપરે છે અને જેણે બ્રિટનને આતંકની ગિરફ્તમાં લઈ લીધું છે તે આઇસીસ સંગઠન ઇરાકની આ તબાહીમાંથી પેદા થયું છે, એ આપણી યુદ્ધપરસ્ત માનસિકતામાં જડીને રાખવા જેવી હકીકત છે. ટોની બ્લેરે આ વાત સ્વીકારી છે. ઇરાક યુદ્ધ માટે માફી માગતી વખતે બ્લેરે કહ્યું હતું, ‘આતંકવાદી ઇસ્લામિક સંગઠનના જન્મ માટે મારા પર ઇલ્ઝામ મૂકી શકાય. અગર ઇરાક યુદ્ધ ન થયું હોત તો આજે આઇ.એસ. જેવું સંગઠન પૂરી દુનિયામાં હિંસા અને આતંકનો કહેર વરસાવતું ન હોત. સદ્દામ હુસેનને હટાવ્યા પછીની સ્થિતિનો અંદાજ મેળવવામાં ભૂલ થઈ હતી.’

જ્યોર્જ બુશ પણ ઇરાક યુદ્ધની ગલતી માની ચૂક્યા છે. ‘ડિસિઝન પોઇન્ટ’ નામની ચોપડીમાં બુશે લખ્યું છે, ‘ઇરાક યુદ્ધમાં ઘણી ભૂલો થઈ હતી. મારા કાર્યકાળના અંતિમ દિવસોમાં મારી હાલત એવી હતી જાણે હું એક ડૂબતા જહાજનો કપ્તાન હોઉં.’ બુશની વિદેશ મંત્રી રહી ચૂકેલી મૈડલીન અલબ્રાઇટ પણ એક સ્થાને લખે છે, ‘ઇરાક યુદ્ધ અમેરિકાની સૌથી મોટી ભૂલ હતી, જેનાં ફળ આપણે હજુ ય ભોગવી રહ્યાં છીએ.’

જંગમાંથી ઊભરેલું ઇરાક અંતિમવાદી સુન્ની સમૂહ આઇ.એસ.ના કબજામાં આવી ગયું છે. 2003થી ઇરાક અને સીરિયામાં જે ભયાનક સ્થિતિ નિર્માણ થઈ તેમાંથી બચવા લોકો પલાયન થઈ રહ્યા છે અને આઇ.એસ. એ અસ્થિરતામાં પગદંડો જમાવી રહ્યંુ છે. દુનિયાભરમાંથી જે ઇલાકામાંથી સૌથી વધુ શરણાર્થી નીકળી રહ્યા છે, તેમાં ઇરાક અને સીરિયા મોખરે છે. 2003માં બુશ અને બ્લેરે એક ‘સમસ્યા’નું ‘સમાધાન’ લાવવા ખાતરી આપી હતી. આપણે એ ખાતરીમાં તણાઈ ગયા હતા. આજે એ સમાધાન નવી સમસ્યા બની ગયું છે, અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી બુશની જ ભાષામાં ‘સમાધાન’ની વાત કરે છે.

બુશથી લઈને ટ્રમ્પ સુધીની જો બીજી કોઇ નિષ્ફળતા હોય તો એ છે કે લીડરોના સ્તર ઘટી રહ્યા છે. ઇરાક યુદ્ધ વખતે બુશ અને બ્લેર માનવતા અને એમના દેશવાસીઓના મસીહા તરીકે ઊભર્યા હતા. એ વખતે એમણે કેવી ભવ્ય વાતો કરી હતી એ યાદ છે? સર ચિલ્કોટના રિપોર્ટ પછી આજે બંને સામે ‘યુદ્ધ અપરાધી’ તરીકે કામ ચલાવવાની માગણી થઈ રહી છે. આપણને એમાં રસ ન પડે, કારણ કે સામાન્ય જનમાનસ તો ઝનૂનમાં જ જિંદગીનો અહેસાસ કરે છે, વિવેકબુદ્ધિમાં નહીં.

આપણા લીડરો જો શ્રેષ્ઠ અને લાયક હોય તો એ આપણામાં ભાવનાનાં પૂર પેદા ન કરે, પણ સારા-નરસાનો ભેદ પારખવાની સમજ આપે.

ઇરાક યુદ્ધમાં દુનિયાની શાંતિ તો જોખમાઈ જ, સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન જેવા ‘માથાના ફરેલા’ લીડરોનો ઉદય થયો તે બોનસમાં.

ઘણીવાર આપણી સામે એવી સ્થિતિ આવી જાય છે કે આપણે એનાં મૂળમાં જવાની હિંમત અને કાબેલિયત ગુમાવી દઈએ છીએ. આવી દરેક સ્થિતિમાં લીડરો અને મીડિયા આરપારની લડાઈનાં સમાધાન આપતાં રહે છે. આપણે આવી ગોળીઓ ગળતા પણ રહીએ છીએ. સર ચિલ્કોટનો રિપોર્ટ આપણી આ સમજને ઝકઝોરે તેવો છે. ઘણીવાર આંધળા ઝનૂનથી લેવાયેલા નિર્ણય દુનિયાને બહેતર બનાવવાને બદલે કેવી રીતે બદતર બનાવે એના સાક્ષાત્ સાક્ષી બુશ અને બ્લેર છે.

ઇતિહાસ હર મોડ ઉપર કંઇક શીખવાનો અવસર પૂરો પાડે છે. આપણે એ અવસરને તક ગણીએ છીએ કે તમાશો એના પર ભવિષ્યના ઇતિહાસનો આધાર રહે છે.

સૌજન્ય : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 07 અૉગસ્ટ 2016

https://www.facebook.com/permalink.php?story_fbid=1647581552236564&id=1379939932334062&substory_index=0

Loading

9 August 2016 admin
← જગતમાં કોઈ દેશને મળી નથી એટલી અનુકૂળતાને પ્રતિકૂળતામાં ફેરવી નાખનારા મૂરખાઓનો આ દેશ છે
Banks →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved