Opinion Magazine
Number of visits: 9733732
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વાવલમ્બન કે પરસ્પરાવલમ્બન?

સુમન શાહ|Opinion - Opinion|24 March 2020

જીવનમૂલ્ય શ્રેણી – ૧૧

== ઇન્ટરડિપેન્ડન્સી – પરસ્પરાવલમ્બન – આજે બઝવર્ડ છે ==

== આપવાથી વધે જ વધે અને ન આપવાથી ઘટે જ ઘટે એવી કોઈ ચૉક્કસ વસ્તુ આ સંસારમાં હોય તો તે વિદ્યા છે ==

સ્વાવલમ્બન મોટું જીવનમૂલ્ય છે. સ્વાવલમ્બી વ્યક્તિ કોઈને ભારે ન પડે. જાતે કમાય જાતે ખાય-પીએ ને મૉજમાં પણ જાતે જીવે. માણસ સ્વતન્ત્ર હોય, ન હોય તો થાય, ને પછી સ્વતન્ત્રતાનો સરસ વિનિયોગ કરે તો ક્રમે ક્રમે સ્વાવલમ્બી થઈ જાય. કોઈનો એને ટેકો નહીં. કહેવાય છે ને કે એ તો પોતાના પગ પર ઊભો છે. સ્વાવલમ્બીના સ્વને કેન્દ્ર સાંપડ્યું હોય છે એટલે એ વ્યક્તિ હંમેશાં સૌને સ્વ-કેન્દ્રી લાગતી હોય છે, પણ એ કેન્દ્રને લીધે સ્તો એના જીવનની ત્રિજ્યાઓ વિસ્તરતી હોય છે. એવી વ્યક્તિ જનતાને એકલપેટી અને સ્વાર્થી લાગે. અને કેટલાક દાખલાઓમાં એમ હોય છે પણ ખરું. એવા તેઓ પોતાની જ વાતમાં ડૂબેલા હોય છે. સંસ્કૃત શબ્દ વાપરવો હોય તો એમને ‘આત્મનિરત’ કહેવાય.

રોજિંદા વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે સામાન્ય મુદ્દો હોય તો પણ એ આત્મનિરતો બોલ્યે જ રાખે છે ને આપણને બોલવાની તો તક જ નથી મળતી. ઘણી વાર ઊંધું પણ બને છે. આપણને સાંભળતા હોય પણ એમનો વારો આવે ત્યારે તેઓ પોતાની એ જ વાત ચલાવે છે જે એમને આપણા વારા માટે છોડવી પડેલી ! એટલે કે આપણે બોલતા'તા ત્યારે તેઓ પોતાના મનમાં પોતાની જ વાતને વાગોળતા'તા. આઈ મીન, પોતાના આત્મા જોડે વાતો કરતા'તા ! આપણો ભ્રમ હતો કે તેઓ આપણને સાંભળે છે …

જો કે બીજાને અડ્યા-નડ્યા વિના વ્યક્તિ પોતાનો સ્વાર્થ સાધતી હોય તો શો વાંધો? પણ એ પ્રકારે જો બધાં જ મનુષ્યો સ્વાર્થ સાધતાં થઈ જાય તો શું થાય? એક રીતે સારું થાય : હું મારો સ્વાર્થ સાધું, તમે તમારો, બન્ને સરખેસરખા સ્વાવલમ્બી, આખો સમાજ સ્વાવલમ્બી. પરન્તુ સમાજ નામની વસ્તુ અને સ્વાવલમ્બન? ના, સમાજ એટલે જ, ન માત્ર હું કે ન માત્ર તું કે તમે, બલકે આપણે ! પરસ્પરાવલમ્બન. કેમ કે, નહિતર, મારો સ્વાર્થ તમારા સ્વાર્થની આડે આવે અને તમારો સ્વાર્થ મારા સ્વાર્થની આડે આવે. એવું મોટે ભાગે બને જ છે. વળી એ પણ ખરું કે પ્રકાર પ્રકારની સિસ્ટમ્સ પણ માણસના સ્વાર્થની આડે આવે છે ને એના વિકાસને રૂંધે છે. બને છે એવું કે સ્વાર્થીઓ એ કારણે પણ જીવન હારી જાય છે. આમ, સ્વાવલમ્બન સારી વસ્તુ છે પણ વ્યક્તિને સ્વાર્થમાં દોરી જાય છે ત્યારે અતિ નકામું પુરવાર થાય છે. એટલે લગી કે એવા સ્વાવલમ્બીઓ એકલા પડી જાય છે. જતે દિવસે એકલતા એમને ખાઈ જાય છે.

એટલે જ, સંસારમાં પરમાર્થ અને પરમાર્થીઓની જરૂર પડે છે. પોતા પાસે જે કંઈ હોય એમાંથી થોડું કે આપી શકાય એટલું બીજાને કશા હેતુ વગર અમસ્તા જ આપે, એવી વ્યક્તિઓ પરમાર્થી છે. આમ તો અનેક પરમાર્થો છે, પણ વિદ્યાના ઉપાસક તરીકે મને વિદ્યાવિષયક પરમાર્થની વાત કરવી વધારે ફાવે છે. વિદ્યા બીજાને આપવી, બીજાને ન વેચવી પણ બીજામાં વહેંચવી, બીજાને એનો સહભાગી બનાવવો, એ મોટો પરમાર્થ છે. મોટો એટલા માટે કે એ પરમાર્થથી બીજા નાના નાના પરમાર્થ આપોઆપ થવા માંડે છે. મને કોઈએ સહજપણે કિંચિત્ આપ્યું હોય તો મને એમ જરૂર થવાનું કે હું પણ કોઈ બીજાને મારામાંનું કંઈક તો આપું. વિદ્યા બીજાને આપવાથી હંમેશાં વધે છે. આપવાથી વધે જ વધે અને ન આપવાથી ઘટે જ ઘટે એવી કોઈ ચૉક્કસ વસ્તુ આ સંસારમાં હોય તો તે વિદ્યા છે.

આપણે જે સમયમાં જીવીએ છીએ એમાં ઇન્ડિપેન્ડન્સીનું કે ડિપેન્ડન્સીનું – સ્વાવલમ્બનનું કે પરાવલમ્બનનું – અલગ અલગ અસ્તિત્વ ટકી શકે એમ છે જ નહીં. ટક્યું હશે તો તૂટી પડવાના જોખમમાં હશે. આ દોડતીભાગતી – રનઅવે – દુનિયામાં સ્વાવલમ્બી શી હોડ બકવાનો'તો? કમજોર પડી જવાનો. પરાવલમ્બી કોનો ટેકો લેવાનો? પેલા કમજોરનો? કશો ભલી વાર નહીં. એ પણ બેસી પડવાનો.

આ તો ઇન્ટરનેટ નામની જાળનો યુગ છે. ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક્સથી એ જાળ જીવન્ત રહે છે ને સદા વિકસતી ચાલે છે. હું એમ ખાંડ ખાઉં કે મારા જેવો સ્વાવલમ્બી કોઈ નથી પણ મારું સ્વાવલમ્બન બહારનાં અનેક તત્ત્વોના ટેકે ટક્યું હોય છે. મને લાગે કે મારો ‘હું’ અકબંધ ને એક છે પણ એ બહારનાં અનેક તત્ત્વોથી રસાઈને બન્યો હોય છે. સમજવાનું એ છે કે ઇન્ટરનેટે બહારનાં એ તત્ત્વોને હવા જેવાં ઝડપી બનાવી દીધાં છે. ને એટલે આપણામાં એ આપણી જાણ બહાર ગોઠવાઈ ગયેલાં છે. પુરવાર એ થઈ રહ્યું છે કે વાસ્તવમાં ઇન્ડિપેન્ડન્સી એક લાગણીથી વધારે કંઈ નથી, હકીકતે આપણે ઇન્ટરડિપેન્ડન્ટ છીએ. દરેક 'હું'-માં 'તું' ને 'તે' સન્નિહિત છે. લાચારી એ છે કે 'હું' 'તું' ને 'તે'-ને માટેનો કોઈ એક જ શબ્દ ભાષામાં નથી. બને કે નજીકના ભવિષ્યમાં રચાઈ આવે.

એક જણો પર્વત પર છે, બીજો પર્વતની ધારે. બન્ને એકબીજાના સજાગ અવલમ્બને ટક્યા છે. ઉપરવાળો ન તો ઢીલ છોડશે, ધારે ઊભેલો ન તો જોર કરશે. એમ કરે તો શું થાય તે સમજાય એવું છે. પરસ્પરાવલમ્બનનું સાર્થક ચિત્ર.

લેખનો સાર એ કે ઇન્ટરડિપેન્ડન્સી – પરસ્પરાવલમ્બન – આજે બઝવર્ડ છે. એ અનિવાર્ય થઈ ગયું છે. થાય એટલું એને આત્મસાત્ કરીએ ને જીવનશૈલીમાં જોડી દઈએ.

નાનપણમાં જોયેલું એક દશ્ય, કરુણ છે, પણ એટલે જ યાદ રહી ગયું છે. અમારા ફળિયામાં કાયમથી માગણ આવતા. એક હતું ચાર માગણનું ઝૂમખું. આંધળા બાપના ખભે લંગડી મા પગ લબડાવીને બેઠી હોય જે બાપને આગળ શેનું ધ્યાન રાખવાનું છે તે કહેતી રહે. બાપનો જમણો હાથ ઝાલ્યો હોય દીકરીએ, ટેકો કરવા. ડાબો ઝાલ્યો હોય દીકરાએ, ટેકો કરવા. બાપ સિવાયનાં એ ત્રણેય જણાં ભજન જેવું લલકારતાં હોય ને વચ્ચે વચ્ચે બ્રેક લઈને દીકરો ને દીકરી બન્ને બોલતાં હોય – કોઈ બૅન કઢી દાળબાળ હોય તો આલોઓઓઓ બૅઍઍન …

એમનું એમ બોલવું હું આબાદ બોલી બતાવી શકું એમ છે. પણ એ ચારેયનું પરસ્પરાવલમ્બન નૉંધપાત્ર છે. ખાસ તો, આંધળા બાપ અને લંગડી મા વચ્ચેનું અર્થાત્ લાચાર પતિ અને ઓછી લાચાર પત્ની વચ્ચેનું ખૂબ પ્રેરક છે.

વાત એમ છે કે આપણને જો આપણી લાચારીની ઓળખ હોય તો અન્ધના ખભે પંગુની રીતેભાતે પરસ્પરાવલમ્બનની રમ્ય ઘટના જરૂર ઘટે …

= = =

(March 21, 2020 : Ahmedabad)

Loading

24 March 2020 admin
← फांसी का जश्न
સરકારી સેવામાં મહિલા પ્રતિનિધિત્વની ગૂંચ →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved