Opinion Magazine
Number of visits: 9446641
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હ્રદય છલકાઈને મારું તમારો પ્યાર માગે છે ……. કૈલાસ પંડિત

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|29 July 2023

૧૯૭૧ના જુલાઈ માસની એક ઝરમર વરસતી સાંજે ઘાટકોપરમાં બાંદરા બસસ્ટૉપ પર બસની કતારમાં ત્રીસ-પાત્રીસ વર્ષની ઉંમરના દૂબળા દેહવાળા માણસને માથા પર બચેલા બે-ચાર વાળને વહાલ કરતાં એક યુવાનની જેમ કાંસકો ફેરવી રહેલ જોઈને મને તેમ જ મારા મિત્ર શૈલેશને હસવું આવી ગયું.

અમારા હાસ્યને કારણે તે વ્યક્તિનું ઘ્યાન અમારા તરફ દોરાયું. તે મહાઅનુભવી માણસ સમજી ગયા કે અમે શા માટે હસી રહ્યા છીએ! તેણે અમારા હાસ્ય પર ગુસ્સે થવાને બદલે એક વડીલમિત્રના ભાવે સ્મિત ફરકાવતાં ઘીરજથી અમને કહ્યુંઃ ‘મિત્રો, તમારા હસવાના દિવસો છે તો ખુશીથી હસો. ક્યારેક હું પણ તમારી ઉંમરે બીજાની હસીમજાક કરી લેતો હતો. ત્યારે મને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે ક્યારેક કોઈ મારી પણ આવી જ રીતે મજાક કરશે.’

આ માણસની દુવા સાંભળી ઝરમર વરસતાં વાદળો ઘોઘમાર વરસી પડયાં. ક્ષણ પહેલાં અમે જેના પર હસી રહ્યા હતા તે વ્યક્તિની છિદ્રવાળી છત્રીમાં વરસાદથી બચવા અમે ઘૂસી ગયા. જે છત્રીમાં ફકત એક જણની જગ્યા હતી તેમાં અમે ત્રણ એકમેકને ઘક્કા મારતાં પ્રેમને છાપરે ભીંજાઈ રહ્યા હતા. ઘક્કામુક્કીમાં મારા હાથમાંનાં પુસ્તકોમાંથી તાજેતરમાં જ પ્રગટ થયેલ “કવિતા” સામયિક સરકીને નીચે પડ્યું. શૈલેશે “કવિતા”ને ભોંય પરથી ઉપાડીને મને આપ્યું એટલે પેલી છત્રીવાળી વ્યક્તિનું ઘ્યાન “કવિતા” પર જતાં, તેમણે ‘કવિતા”ને જોવા મારી પાસે માગ્યું. છ-સાત પાનાં પર આમતેમ નજર ફેરવ્યા બાદ એકાએક તેમની નજર એક પાના પર ખોડાઈ ગઈ. તેમને બહુ જ એકાગ્ર થઈ ને ભાવુકતાથી તે પાના પર પ્રગટ થયેલી કવિતાને વાંચતા જોઈને શૈલેશથી તેમને પૂછાઈ ગયું, ‘વડીલ તમે કોની કવિતા આટલા ખંતથી વાંચી રહ્યા છો?’ તેમણે અમને કહ્યું, ‘મારી’.

અને અમે ફરીથી તેમના સામે જોઈને ખડખડાટ હસવા લાગ્યા. અમારા હાસ્યની દરકાર કર્યા વિના બહુ જ નમ્રતાથી તેમણે અમને કહ્યું, ‘મિત્રો, તમારે મારું માનવું, ન માનવું એ તમારી મરજી! બાકી આ કવિતા મારી જ છે. અને મારું નામ કૈલાસ પંડિત છે.’

•••

કૈલાસ પંડિતને હું જ્યારે પણ મળ્યો છું ત્યારે મેં તેમને સદા હસતા, આનંદી, એક લહેરાતા મોજીલા દરિયા સમા ઊછળતા જોયા છે. કયારેક તેઓ સખત થાકેલા હોવા છતાં આપણા આનંદ ખાતર તેના થાક્ને મન પરથી ઉતારીને એક બાજુએ મૂકી દેતા. જો આપણે એકાદ ક્ષણ માટે તેના ખડખડાટ હાસ્યમાંથી બહાર નીકળી તેની આંખોમાં ડૂબી જઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે આ હસતા ચહેરાએ જીવનમાં પારાવાર યાતનાઓ ભોગવી છે. દરદ તો તેમને મન એક અનોખો નશો હતો. પોતાના દરદને એ જીવનજામમાં ઘૂંટીઘૂંટીને મસ્તીભર્યા શરાબની જેમ લિજ્જતથી એકાંતે પીતા રહેતા. દુઃખદરદ જ્યારે પોતાપણાની સીમાબહાર ચાલ્યું જતું, ત્યારે કૈલાસભાઈ દરદને હસતાંહસતાં ગઝલના શેરોમાં ગૂંથી લેતા.

કૈલાસ પંડિતની મૈત્રીના વર્તુળમાં તમને શહેનશાહ રાજા-મહારાજા જેવી ઘનવાન વ્યક્તિના દર્શન થાય તો કયારેક ફકીર જેવા ઢંગઘડા વિનાના મુફલિસ જેવા પણ જોવા મળે. આ માણસને મન શહેનશાહ કે ફકીર મૈત્રીમાં સરખા હતા. કયાં ય, કોઈ પ્રત્યે રતીભારનો ફરક નહી. કૈલાસ પંડિતને તમે જો એક વાર મળો અને તમે તેને જરા ખરોખોટો પ્રેમ દેખાડો તો આ માણસ તમને પોતાની રીતે પોતાપણામાં બાંઘી લે. ભલે પછી તમે તેમને લાખોનાં ટોળાંમાં મળો. તેનું ઘ્યાન તમારા પર પડતાં જ ઊમળકાથી સાદ પાડીને તે તમને પોતા તરફ ખેંચી લે.

કૈલાસ પંડિત સાથે જો કોઈ રેસ્ટોરાંમાં સમય ફાળવીને મોકળા મને બેઠા હોઈએ તો તેમની પાસેથી કવિતા/ગઝલ તો અચૂક સાંભળવા મળે, પણ આ માણસ પાસે કવિતા/ગઝલ જેટલો જ ગાળોનો પણ ભંડાર ! જેમ તેમને મુશાયરામાં સાંભળવાનો એક લહાવો તેમ તેમને બે-ચાર મિત્રોની અંગત મહેફિલમાં ખીલેલા જોવા તે પણ એક અણમોલ આનંદ તો ખરો જ! તેની ગાળો ક્યારે ય કોઈને નુક્સાન કરે નહીં. ઘડી બે ઘડી શબ્દકોશથી તરછોડાયેલા અનાથ શબ્દોને પાળીપોષીને લાડ લડાવે!

૧૯૯૩ના મે મહિનાની એક ઘોમઘખતી બપોરે હું, કૈલાસ પંડિત અને કુલીન વોરા ઘાટકોપરમાં રેસ્ટોરાં ‘પૂજા’માં બેઠા હતા. આદતથી મજબૂર એટલે અમે અમારી રીતે સાહિત્યજગતની ખાનાખરાબી કરી રહ્યા હતા. અચાનક અમારા ત્રણેના મુખેથી સુરેશ દલાલનું નામ આવી ગયું. તે ચર્ચા દરમિયાન કૈલાસે અમને સુરેશ દલાલ બાબત પોતાનું અંગત જે મંતવ્ય કહ્યું તે પર આજે જ્યારે કૈલાસ પંડિત આપણી વચ્ચે નથી ત્યારે પણ તેના નિખાલસ શબ્દોને ગર્વથી સલામ દેવાનું મન થાય છે, ‘મને જો સુરેશ દલાલ સાથે કંઈ મતભેદ જેવું હોય તો તે વિચારોને લીઘે હોય, કારણ કે હું તેના વિચારોને સમજવામાં બે ડગલાં કદાચ પાછળ હોઈશ! જો આપણે આપણી અંગત બળતરાને એક બાજુ પર મૂકી દઈએ તો ખરેખર, સુરેશ દલાલને તેના કવિતા વિશેના પ્રેમને જેટલી દાદ આપીએ એટલી ઓછી કહેવાય, કારણ કે આ માણસે કવિતાને જનસમૂહ સુઘી વહેતી કરી છે. બીજી ખાસ વાત, તેમના વિશે એમ કહેવાય છે ગમે તેની સાથે જો તેમને કોઈ પણ પ્રકારનો મતભેદ હોય તો પણ જ્યાં કવિતાની વાત આવી, ત્યાં તેમણે એ વાતને ભૂલી જઈને, ફકત કવિતાના ભવિષ્યનો ખ્યાલ રાખીને સારી ઉત્તમ કવિતાઓને કવિતામાં સ્થાન આપ્યું છે. તેમણે આ બાબતમાં કયાંક કોઈ કવિ પ્રત્યે કોઈ પ્રકારનો ભેદભાવ નથી રાખ્યો.’

‘આજે મુંબઈમાં જે કંઈ કવિસંમેલનો, મુશાયરાઓ જીવતાંજાગતાં જોવા મળે છે તેનો યશ સુરેશ દલાલને દેવો ઘટે અને સર્વથી વિશેષ વાત તો એ છે કે ખાલી કવિતાનું સામયિક પચીસ વર્ષથી એક પણ જાહેરાત વિના ચલાવવું તે કંઈ સાઘારણ વાત નથી. ‘કવિતા’ જેવા સામયિકને લીઘે આપણને ૧૦૦થી ૧૨૫ જેટલી નવી ઉત્તમ કવિ-કલમો મળી.’

કૈલાસ પંડિત આનંદી અને દિલાવર મનના એક રમૂજી માણસ હતા. તેમણે જિંદગીમાં ગરીબીને બહુ જ સૂક્ષ્મતાથી જોઈ છે. તે કોઈ ગરીબ માણસને જોતા ત્યારે તેમનું  કવિ હ્રદય દ્રવી ઊઠતું. બેચાર વર્ષ પહેલાં અમે બંને મિત્રો એક સાંજે માટુંગા રોડ સ્ટેશનમાં એક બુક્સ્ટોલ પર સામયિકો પર નજર ફેરવતાં ગાડી આવવાની રાહ જોતા હતા. કૈલાસભાઈના રોજના પરિચિત બુકસ્ટોલવાળા છોકરાએ તેની આદત મુજબ તેમના પાસે એક સિગરેટની માગણી કરી. કૈલાસે તેમના બગલથેલામાંથી મેં આપેલી માર્લબરો કાસ્ટનના ખોખામાંથી એક પાકીટ કાઢી તેના હાથમાં મૂકતાં તેને કહ્યું, ‘જા, દોસ્ત, તું પણ મજા કર’ પછી મને કહે કે, ‘દોસ્ત, તું ખોટું ન લગાડીશ. આ બિચારાને જિંદગીમાં કોણ આવી વિદેશની મોંઘી સિગારેટ આપવાનું! જો મારા નસીબમાં હશે તો મને કયાંયથી પણ મળી રહેશે! આમેય હવે આ સિગારેટ મારા જેવા બળેલાને વઘુ બાળીને કયાં વઘારે રાખ કરવાની છે?’

કૈલાસ પંડિતે મારી પાસેથી અમેરિકાનાં વીસ વર્ષના પત્રવ્યવહારમાં કયારે ય સોયની અણી જેટલી વસ્તુ પણ મંગાવી નથી. અથવા હું અહીંથી મુંબઈ ગયો હોઉં ત્યારે તેણે કોઈ ચીજની આશા રાખી નથી. ક્યારેક હું અહીંથી કંઈક એકાદ નાની-મોટી ચીજ કૈલાસ માટે મારી ઈચ્છાથી લઈ ગયો હોઉં તો તે મને ખુશીથી પરત કરતાં કહેતા, ‘દોસ્ત ,તારો મારા પ્રત્યે પ્રેમ છે એટલું ઘણું! મને પરદેશની વસ્તુઓનો બહુ મોહ નથી. તું આ ચીજવસ્તુ કોઈ જરૂરિયાતવાળા મિત્રોને  પ્રેમથી આપી દેજે.’

હું જેટલા દિવસ મુંબઈમાં હોઉં ત્યારે કૈલાસ પંડિત મને રેસ્ટોરામાં કે ટૅકસીમાં કયાં ય એક પૈસો કાઢવા ન દે. પોતાના ગજાબહારનો ખર્ચ મારા માટે કરે. હું કયારેક કૈલાસભાઈને કહેતો કે તમે મને કયાંક તો પૈસા ખર્ચવા દો, તો મને એ કહેતા કે તું મારો નાનો ભાઈ છો. હું તારી સાથે હોઉં ત્યારે ખિસ્સાને હાથ ન અડાડવો.

મઘ્ય પ્રદેશના વતની, આ માનવીની માતૃભાષા ગુજરાતી ન હતી. ગુજરાતી ભાષા તો તેમને માટે એક સાવકી મા હતી. પરંતુ કૈલાસ પંડિતે પોતાની સગી મા જેટલો પ્રેમ સાવકી માને કરી જનની તેમ જ સાવકી મા વચ્ચેના ભેદને ઓગાળી નાખ્યો હતો.

કોઈ સાંજે હું કોઈ પુસ્તકનું પાનું ઉઘાડું છું ત્યારે અચાનક મારી નજરમાં તેમનો પત્ર કે તેમની કોઈ ગઝલ ડોકાઈ જાય છે. ત્યારે મારું મન કોઈ કાળે માનવા તૈયાર થતું નથી કે કૈલાસ પંડિત આટલા જલદી મુશાયરામાંથી ઊઠી ગયા હશે!

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

29 July 2023 Vipool Kalyani
← વતનની ઘૂળથી માથું ભરી લઉં આદિલ ……….. આદિલ મન્સૂરી 
ચલ મન મુંબઈ નગરી—207 →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved