Opinion Magazine
Number of visits: 9446094
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંદુત્વ કોનું?: ફિલ્મને કારણે છેડાયેલા વિવાદનો જવાબ ઇતિહાસ અને દર્શનશાસ્ત્રના અભ્યાસમાં

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|16 October 2022

હિંદુ ધર્મ, હિંદુત્વ અને હિંદુવાદ વચ્ચેનો ફેર સમજવા માટે ઇતિહાસ અને દર્શનશાસ્ત્ર પ્રત્યેની આપણી અવગણનાને નેવે મુકવી પડશે.

દક્ષિણ ભારતીય દિગ્દર્શક મણિરત્નમે હંમેશાં ‘ક્લાસ અપાર્ટ’ ફિલ્મો બનાવી છે પછી તે ‘રોજા’ હોય કે ‘બૉમ્બે’ હોય. તાજેતરમાં એમની એક ભવ્યાતિભવ્ય ફિલ્મ રિલીઝ થઇ ‘પોન્નીઅન સેલ્વન-1’ (PS-1). પ્રાચીન ભારતના ચોલ સામ્રાજ્યની પ્રગતિ અને વિકાસનો જેને શ્રેય અપાય છે તેવા રાજરાજા ચોલનની વાત આ ફિલ્મમાં કરાઇ છે.  આ ફિલ્મ કલ્કી ક્રિષ્ણમૂર્થી નામના લેખકની પાંચ ભાગમાં લખાયેલી ‘ફિક્શન’ નવલકથાના આધારે બનાવાઇ છે. આ ફિલ્મ રિલીઝ થઇ અને તેના ‘સિનેમેટિક’ વિવેચનને બદલે કોઇ બીજા જ મુદ્દે ચર્ચાનો વિષય બની ગઇ. રાજરાજા ચોલા હિંદુ રાજા હતો કે ન હતો તેની પર હુંસાતુંસી શરૂ થઇ ગઇ.

શરૂઆત થઇ જ્યારે ફિલ્મ રિલીઝ થવા ટાણે અભિનેતા વિક્રમે ચોલ વંશની સિદ્ધિઓની ચર્ચા કરી અને કેટલાકે ચોલ રાજાઓને હિંદુ રાજવીઓ તરીકે ઓળખાવ્યા. એવામાં તમિળ દિગ્દર્શક વેત્રિમારને એવી ટિપ્પણી કરી કે રાજરાજા ચોલનને સતત હિંદુ રાજા કહેવામાં આવી રહ્યા છે અને વલ્લુરનું ભગવાકરણ થઇ રહ્યું છે, અમારા પ્રતીક અમારી પાસેથી છીનવાઇ રહ્યા છે. આમાં ભા.જ.પ.ના નેતા એચ. રાજા ભડક્યા અને તેમણે કહ્યું કે વેત્રિમારનને ઇતિહાસ ખબર હશે, મને એટલો સારી પેઠે નથી ખબર પણ રાજરાજા ચોલને જો ચર્ચ કે મસ્જિદ બનાવ્યા હોય તો તે બતાડો. આટલું થયું અને અભિનેતા કમલ હાસનને વેત્રિમારનને ટેકો આપવા માટે એમ કહ્યું કે હિંદુ ધર્મ જેવો કોઇ શબ્દ રાજરાજા ચોલનના કાળમાં હતો જ નહીં, વૌનાનમ, શિવમ અને સમનામ જેવા શબ્દો ચલણમાં હતા અને અંગ્રેજોએ ભારત પર શાસન કરવાનું શરૂ કર્યું ત્યારે તેમણે બધાને એક સરખી ઓળખાણ આપવા – પોતાને સરળતા રહે તે માટે – હિંદુ શબ્દનો ઉપયોગ શરૂ કર્યો.

આ વાત આગળ વધે તે પહેલાં આ ચર્ચા, આ સંદર્ભ, આ ટિપ્પણીઓ પછી તે વેત્રિમારનની હોય કે કમલ હાસનની કે ભા.જ.પ.ના નેતા એચ. રાજા, બધું જ બિનજરૂરી છે એ સમજી લેવું પડે.  માત્ર વિરોધ દર્શાવવા કે સવાલ ખડો કરવાના ઇરાદાથી વેત્રમારને આવી કોઇ ટકોર કરવાની જરૂર હતી જ નહીં. કમલ હાસન માત્ર અભિનેતા નથી – રાજકારણી પણ છે. એ જે બોલ્યા તે  તેમની રાજકીય ઓળખના સંદર્ભે હોઇ શકે, તો ભા.જ.પા.એ જે કહ્યું તે તેમની રાજકીય વિચારધારાને આધારે હતું.

આ વિગતો તેની ‘ક્રોનોલૉજી’ અને સંદર્ભ સમજવા આપવી જરૂરી હતી. આમાં બે મુદ્દા ખડા થાય છે. એક તો એક કે ચોલ વંશનો ધર્મ કયો હતો? હિંદુત્વ શું સામ્રાજ્યવાદની અંગ્રેજોની ભેટ છે? આ વિવાદ પર બધા મન ફાવે તેમ પોતાની વાત મૂકે છે આમાં હિંદુ ધર્મને નહીં પણ વાદને પકડીને હોહા કરનારા રાજકારણીઓને પણ મજા પડી ગઇ છે કારણ કે એમને તો એટલું જ જોઇતું હતું.

પહેલા સવાલની ચર્ચા વિગતવાર કરીએ તો જે રીતે અબ્રાહમનો ધર્મ જે એક આખા વંશ કે સમુદાયને લાગુ પડે છે તેવો કોઇ એક જ ધર્મ ચોલ વંશ વખતે નહોતો. ચોલ વંશના ઇતિહાસ અનુસાર તેઓ શૈવિઝમ – શિવભક્તિમાં (શૈવવાદ) માનતા હતા. તાંજોર જે ચોલ વંશનું પાટનગર છે ત્યાંનું બ્રિહદેશ્વર મંદિર ચોલ વંશનું સૌથી અગત્યનું સ્થાપત્ય ગણાય છે – આ મંદિર શિવ મંદિર છે. ૮૦૦થી ૧૨૦૦ સી.ઈ.માં બંધાયેલા મંદિરો એક યા બીજી રીતે શિવ મંદિરો જ છે. શૈવવાદ તો વેદિક યુગ પહેલાની પરંપરાઓમાં પણ હતો. ઇતિહાસકાર અનુસાર બી.સી.ઇ. – એટલે કે બિફોર ધી કૉમન એરા એટલે કે ઈસવીસન પૂર્વેની સદીના છેલ્લા તબક્કા દરમિયાન. વૈદિક દેવ રુદ્રની પૂજા થવા માંડી, સાથે શિવની જે ભક્તિ થતી તે બ્રાહ્મણોની માન્યતાઓમાં ઉમેરાઇ. વળી, તામિલ કે દ્રવિડ મૂળના લોકો શિવમાં માનતા અને વૈદિક કાળનો ધર્મ આર્યન હતો – જે બધું સમયાંતરે સમાંતર થયું. જો કે ચોલ વંશના એક માત્ર ભગવાન શિવ નહોતા, ચોલ રાજા આદિત્યએ વિષ્ણુના મંદિરો પણ બનાવડાવ્યા છે. દક્ષિણ ભારતના પલ્લવ અને પાંડવા વંશમાં બૌદ્ધ અને જૈન ધર્મ પણ અનુસરાયો છે પણ જે તે રાજ્યમાં અમુક જ ધર્મ કેન્દ્ર સ્થાને હતો એવું ઇતિહાસમાં ક્યાં ય ટાંકેલું નથી. રાજાને જે દેવની પૂજા કરવી હોય તેની પૂજા થતી. 

તે સમયે હિંદુ શબ્દ અસ્તિત્વમાં હતો નહીં, પણ રાજાઓ જે શૈવવાદ કે વૈષ્ણવવાદમાં માનતા હતા તેમનું સામાન્યીકરણ તો હિંદુ રાજા તરીકે જ થાય. શિવ હોય કે વિષ્ણુ હોય બધા આખરે આપણા ૩૩ કરોડ દેવોના વિશાળ સમૂહનો જ હિસ્સો છે.

અહીં કમલ હાસનની વાતના સંદર્ભને આપણે અને કમલ હાસન બન્નેએ સમજવા જરૂરી છે. હવે એમ કહેવું કે હિંદુત્વ તો સામ્રાજ્યવાદની દેન છે એ પણ વેતા વગરનું છે કારણ કે જે રીતે ભા.જ.પા.ને બધો વાંક નહેરુનો દેખાય છે એ રીતે બુદ્ધિજીવીઓ કોઇ પણ વાતને મામલે અંગ્રેજો પર દોષનો ટોપલો ઢોળે છે, જે સાવ ખોટું છે. જમણેરીઓને એમ માનવું છે કે સામ્રાજ્યવાદે આપણને જાતિવાદ આપ્યો અને હિંદુત્વ તો સદીઓથી હતું તો ડાબેરીઓ એમ કહે છે કે જાતિવાદ પહેલેથી હતો પણ સામ્રાજ્યવાદી અંગ્રેજોએ આપણને હિંદુત્વ આપ્યું. આ બન્ને વાતોમાં અધુરું સત્ય છે એમ કહીએ તો ચાલે. વર્ણવ્યવસ્થા આપણે ત્યાં વૈદિક યુગથી છે. જાણીતા લેખક અમિષ ત્રિપાઠી સાથેની એક વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે એક સમયે તો માણસ જે કામ કરતો તેનાથી જ તેની જાતિ નક્કી થતી, વર્ણવ્યવસ્થા પણ એ જ રીતે ઘડાઈ હતી. સામ્રાજ્યવાદી અંગ્રેજોને કારણે આપણે હિંદુ ધર્મ વિષે જે રીતે વાત કરીએ છીએ, તેનો સંદર્ભ લઇએ છીએ તે બદલાયું – તેની પાછળ કાયદાથી માંડીને, વસ્તી ગણતરીના કારણો છે કોઇ બીજા ઇમોશનલ કે રાજકીય કારણો નથી. એ વાત અલગ છે કે અંગ્રેજોએ હિંદુ અને મુસલમાનોના ભાગલા કરીને દાટ વાળ્યો પણ ત્યારે પણ વાત ધાર્મિક નહીં રાજકીય જ હતી.

ભારતની વિવિધતાને જોડતી કડીઓમાંની એક કડી બહુમતીમાં અનુસરાતો હિંદુ ધર્મ અથવા તેવી માન્યતાઓ રહી છે અને વિદેશી અવલોકનકારની નજરમાં તે કડી હિંદુત્વ હતી જેને ‘વાદ’ અને ‘રાજકારણ’ સાથે કોઇ લેવાદેવા નહોતી – પણ કમનસીબે તેને આધુનિક ઇતિહાસમાં એટલે કે ભાગલા સમયે અંગ્રેજોએ તોડી-મરોડીને વાપર્યો અને આ અળવિતરી સમજ કે ગેરસમજને આજે રાજકારણીઓ કોટે વળગાડીને પોતાના દાવપેચ કર્યા કરે છે.

હિંદુત્વની ચર્ચા ફિલોસોફી, ઇતિહાસ અને ધર્મની એરણે સુક્ષ્મ રીતે થાય તે જરૂરી છે. સદીઓ જૂના ધર્મને વાદના ઘોંઘાટમાં લપેટીને લોકોને માથે રાજકીય ખેલ કરાય ત્યારે બધું ગોટે જ ચઢે.

બાય ધી વેઃ

એક સમયે ડાયનોસૉર્સ અસ્તિત્વમાં હતા પણ ત્યારે તેમને ડાયનોસૉર્સ કહેવાય એવું કોઇને નહોતી ખબર. પણ શું એનો અર્થ એમ કે ડાયનોસૉર્સ – ડાયનૉસૉર્સ મટીને ગરોળી કે સાપ થઇ ગયા? આ હિંદુ ધર્મને લઇને થયેલી ચર્ચા કંઇ આવી જ છે. ધર્મને મનમાં રખાય, કોટે ન વળગાડાય પણ લોકોની નબળાઇ રાજકારણીઓ જાણે છે એટલે તેઓ ધર્મને નામે રમી લે છે. હિંદુ ધર્મ, હિંદુત્વ અને હિંદુવાદ વચ્ચેનો ફેર સમજવા માટે ઇતિહાસ અને દર્શનશાસ્ત્ર પ્રત્યેની આપણી અવગણનાને નેવે મુકવી પડશે. હિંદુત્વની ઓળખ ઘેરી છે. તેના સંદર્ભને વૈદિક કાળથી માંડીને સલ્તનત કાળ, મુગલ કાળ અને સામ્રાજ્યવાદી અંગ્રેજોના સમયની ચારણીમાંથી પસાર કરીને સમજવા માટે ધીરજ અને મોકળું મન જોઇએ કોઇ રાજકારણીઓનો ઘોંઘાટ નહીં. અંગ્રેજોએ જે કહ્યું એ કહ્યું પણ આપણે તો આપણા પ્રાચીન કાળના રાજાઓની માન્યતાઓને ગણતરીમાં લેવી ઘટે. જાહેરમાં બોલાયેલી કોઇપણ વાતના પ્રત્યાઘત હોય છે તે બોલનારને બરાબર ખબર હોય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 ઑક્ટોબર 2022

Loading

16 October 2022 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—166
સ્વતંત્રતાની ૭૫મી પૂર્વ સંધ્યાએ થોડુંક ચિંતન →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved