Opinion Magazine
Number of visits: 9448602
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિન્દુઓને સંગઠિત કરવાનો ઉપાય શો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|3 October 2021

હિંદુ સમાજમાં શુદ્ધ ધર્મનિષ્ઠ, પ્રામાણિક, મૂળભૂતવાદી ધાર્મિક આંદોલન અને એ આંદોલન આધારિત રાજકારણ શક્ય નથી. કારણ દેખીતું છે. હિંદુઓમાં એટલા બધા સંપ્રદાય, પેટા સંપ્રદાય, દેવ-દેવીઓ, ઇષ્ટપુરુષો, પંથો, ધર્મગ્રંથો, ધર્મગુરુઓ છે કે એમાંથી કોના આદેશોને હિંદુઓ માટે મૂળભૂત સમજવા એ સમસ્યા છે. દયાનંદ સરસ્વતીએ બધા હિંદુઓને એક ચોક્કસ મૂળભૂત તત્ત્વનિષ્ઠા પર આધારિત હિંદુ ધર્મના એક ખીલા પર બાંધવાની કોશિશ કરી હતી પણ તેમાં તેમને સફળતા મળી નહોતી. ખૂબી એ છે કે એક હિંદુને બીજા હિંદુનો ખીલો સ્વીકાર્ય નથી તો તેને બીજાના ખીલા સામે વાંધો પણ નથી. બાપ શૈવ હોય અને દીકરો વૈષ્ણવ હોય તો કોઈ પણ પ્રકારના સંઘર્ષ વિના એક છાપરા નીચે જીવી શકે. એક જ ઘરમાં બે ખીલા હોય અને લહેર થઈ જીવન વ્યતીત થતું હોય. શ્રદ્ધાઓનો આ જે બગીચો છે અને એમાં દરેકને પોતપોતાની રીતે વિહરવાની સ્વતંત્રતા છે એ હિંદુ ધર્મની વિશેષતા છે. આ હિંદુઓની ખરી તાકાત છે, એક અનોખી ઓળખ છે; પણ કેટલાક લોકોને એમ લાગે છે કે આ હિંદુઓની નબળાઈ છે. હિંદુઓ પરાજીત થતા આવ્યા છે એનું કારણ અનેક ખીલાઓનું અસ્તિત્વ છે.

હવે જો એક ઈશ્વર, એક પેગંબર અને એક ધર્મગ્રંથ આધારિત અને હિંદુ ધર્મ કરતાં તો પ્રમાણમાં અનેક ગણા સંગઠિત ધર્મોની અનુયાયી પ્રજાને એક ખીલે બાંધવી શક્ય ન બનતી હોય તો હિંદુઓ માટે તો એ ક્યાંથી શક્ય બનવાનું. આ સિવાય દયાનંદ સરસ્વતીનો નિષ્ફળ પ્રયોગ સામે છે. તો પછી હિંદુઓને સંગઠિત કરવાનો ઉપાય શો?

ઉપાય એક જ છે, હિંદુઓની કોમી ઓળખ વિકસાવવાનો. તમે હિંદુ ધર્મમાં જન્મ્યા છો અને હિંદુ છો એટલું પૂરતું છે. જેમ ગુજરાતી પરિવારમાં જન્મેલો માણસ ગુજરાતી હોવાપણાને નકારતો નથી એમ તમારે હિંદુ હોવાપણાને નકારવાનું નથી. તમે આસ્તિક છો કે નાસ્તિક, શૈવ છો કે વૈષ્ણવ, કબીરપંથી છો કે નાનકપંથી, સનાતની હિંદુ છો કે બૌદ્ધ કે જૈન જેવા શ્રમણધર્મી એની સાથે અમને કોઈ લેવાદેવા નથી. તમે ઉપર કહ્યા એવા કોઈ પણ પ્રકારના હિંદુ પરિવારમાં જન્મ્યા છો અને માટે હિંદુ છો અને આ દેશમાં હિંદુઓ બહુમતીમાં છે એટલે હિન્દુસ્તાન હિંદુઓનો દેશ છે. ઉપરથી જો તમે આટલું નિષ્ઠાપૂર્વક સ્વીકારી લેશો તો હિન્દુસ્તાન હજુ વધુ મોટા પ્રમાણમાં હિંદુઓનો દેશ બનશે. દરેક રીતે હિંદુઓનો દેશ બનશે. સંખ્યાથી બનશે, વિધર્મીઓ સામે રાજકીય સરસાઈની દૃષ્ટિથી બનશે, વિધર્મીઓ સામે આર્થિક સરસાઈની દૃષ્ટિથી બનશે, વિધર્મીઓ સામે સાંસ્કૃતિક સરસાઈ મેળવીને હિન્દુસ્તાનને હિંદુઓનો દેશ બનાવી શકાશે. એમ દરેક રીતે ફાયદો જ ફાયદો છે. બસ, તમે હિંદુ હોવાની કોમી ઓળખ સ્વીકારી લો, તમારી અંગત શ્રદ્ધા સાથે બાંધછોડ કર્યા વિના તમે હિન્દુસ્તાનને હિંદુઓનો દેશ બનાવી શકશો. તમારી તાકાતમાં વૃદ્ધિ થશે અને પછી જુઓ કોઈ તમારી સામે આંખ નહીં કાઢી શકે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં આ શીખવાડવામાં આવે છે. હિંદુ તરીકેની ધાર્મિક શ્રદ્ધાકીય ઓળખ વિકસાવવાની જરૂર નથી, હોય તો તેને બાજુએ મુકો અને કોમી ઓળખ વિકસાવો. આને એ લોકો ‘હિન્દુત્વ’ કહે છે. હિંદુ હોવાના સર્વસામાન્ય અને સર્વમાન્ય લક્ષણો જે ધરાવતો હોય એ હિંદુ. વિનાયક દામોદર સાવરકરે પૃથકતાવાચક ‘ત્વ’ અન્વય ઉમેરીને હિંદુનાં વ્યવચ્છેદક લક્ષણો બતાવ્યાં છે; જે માત્ર હિંદુ જ ધરાવતો હોય, પછી તે ગમે તે પ્રકારનો હિંદુ હોય. જે હિંદુ હિંદુ પરિવારમાં જન્મ્યો હોય, જે હિંદુની પિતૃભૂમિ (પિતૃભૂમિ, માતૃભૂમિ નહીં, કારણ કે સ્ત્રી તો ક્ષેત્ર છે જેને વિધર્મી પુરુષ પણ ફલવતી કરી શકે. હિન્દુત્વ સમર્થક બહેનોએ આ માનસિકતાને સમજવી જરૂરી છે. તેમના અને તેમની કુખે જન્મ લેનારી દીકરીઓના લાભ ખાતર પણ સમજવાનો પ્રયાસ કરે.) હિન્દુસ્તાન હોય અને જેમની પવિત્રભૂમિ પણ હિન્દુસ્તાન હોય. બસ, આટલાં વિધર્મીઓથી હિંદુને અલગ પાડનારાં વ્યવચ્છેદક લક્ષણો ધરાવતો હિંદુ પોતાને હિંદુ તરીકે ઓળખાવતો થાય એટલું પૂરતું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં હિંદુને વિધર્મીથી નોખો પાડવા આ પણ શીખવાડવામાં આવે છે.

અહીં હમણાં મેં ‘ગમે તે પ્રકારનો હિંદુ હોય’ એવો વાક્ય પ્રયોગ કર્યો ત્યારે મને એક પ્રસંગ યાદ આવી ગયો. ખિલાફત આંદોલન વખતે ગાંધીજીને અસહયોગ આંદોલનમાં સાથ આપનારા મૌલાના મહમ્મદઅલીને કોઈકે (સંભવત: સપડાવવાના ઈરાદે) પૂછ્યું કે તમે કહો છો કે ઇસ્લામ જગતનો શ્રેષ્ઠ અને સંપૂર્ણ ધર્મ છે એટલે ઇસ્લામ ધર્મમાં જન્મ લેનારો માણસ શ્રેષ્ઠ જ હોવાનો. તમે એમ પણ કહો છો કે માત્ર મુસલમાન જ જન્નતનો અધિકારી છે, પછી તે ગમે તેવો હોય, કારણ કે તે મુસલમાન છે. શું આ વાત ખરી છે? મૌલાનાએ કહ્યું કે હા, આમાં કોઈ શંકા નથી. એ પછી સવાલ પૂછવામાં આવ્યો કે ‘તો પછી એ કહો મૌલાનાસાહેબ કે બળત્કારી મુસલમાન અને મહાત્મા ગાંધીમાં શ્રેષ્ઠ કોણ? જન્નતનો અધિકારી કોણ ?’ મૌલાના તો ઇસ્લામનાં મૂળતત્ત્વમાં પાકી નિષ્ઠા ધરાવનારા મૂળભૂતવાદી મુસલમાન હતા એટલે તેમણે નિ:સંકોચ કહી દીધું, મુસલમાન. આમ શ્રદ્ધાથી મુસલમાન હોય એ ઇસ્લામિક મૂળભૂતવાદીઓ માટે પૂરતું છે અને ઓળખથી હિંદુ હોય એ હિંદુ કોમવાદીઓ માટે પૂરતું છે, પછી હિંદુ કે મુસલમાન ગમે તેવો હોય.

મૂળભૂતવાદી રાજકારણમાં અને કોમી રાજકારણમાં નૈતિકતા જળવાતી નથી એનું આ કારણ છે. બન્ને પ્રકારના લોકો માણસને તેના ચારિત્ર્યથી નથી માપતા પણ તેની ધર્મશ્રદ્ધા અથવા ઓળખથી માપે છે. ગાંધીજી જેવા પવિત્રતમ મહાત્માનો મૌલાના મહમ્મદઅલીએ સાથ છોડ્યો હતો અને સાવરકરે સાથ આપ્યો નહોતો કારણ કે ગાંધીજી ધર્મ કરતાં માણસાઈને વધારે મહત્ત્વ આપતા હતા. તેમને બળાત્કારી મુસલમાન ચાલે, પણ ગાંધીજી જેવો સંસારનો પવિત્રતમ મહાપુરુષ ન ચાલે. તેમને હિંદુ ઓળખ ધરાવનારો ગમે તેવો હિંદુ ચાલે, પણ ગાંધીજી જેવો સંસારનો પવિત્રતમ સર્વશ્રેષ્ઠ હિંદુ ન ચાલે. આ એક મોરચે મૂળભૂતવાદીઓ અને કોમવાદીઓ એક ભૂમિકાએ ઊભા છે. માણસાઈના ત્રાજવાને નકારવાની બાબતે તેમને પોતપોતાનાં વ્યવચ્છેદક લક્ષણો વિકસાવવાની જરૂર નથી પડતી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 ઑક્ટોબર 2021

Loading

3 October 2021 admin
← ચલ મન મુંબઈ નગરી—114
દેવને જન્મ સ્ત્રી આપે, પણ દેવની પૂજા ન કરી શકે … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved