Opinion Magazine
Number of visits: 9504799
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંદુઓનાં હિંદુ સંતાનો શક્તિશાળી બનવાં જોઈએ કે માથાભારે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|11 April 2021

ગયા સપ્તાહથી આપણે હિંદુ રાષ્ટ્રની ચર્ચા આરંભી છે. આપણા કેટલાક હિંદુ ભાઈઓને એમ લાગે છે કે આઝાદી પછી આપણા વડવાઓએ ભારતીય રાષ્ટ્રની સ્થાપના કરી એ મોટી ભૂલ હતી, તેમણે હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવી જોઈતી હતી. હિન્દુત્વવાદી હિંદુ ભાઈઓને તેમનો અભિપ્રાય ધરાવવાનો, તેને વ્યક્ત કરવાનો, તેને માટે પ્રચાર કરવાનો અને તેને સાકાર કરવા માટે રસ્તા ઉપર ઊતરીને આંદોલન કરવાનો અધિકાર છે. તેમણે આ બધું કર્યું પણ છે અને સત્તા સુધી પહોંચી ગયા છે. યાદ રહે, તેમને આ બધું કરવાની મોકળાશ ભારતીય રાષ્ટ્રે આપી હતી અને એ આપે તો જ તેને ભારતીય રાષ્ટ્ર કહી શકાય. નાગરિક અધિકાર, લોકતંત્ર, સેક્યુલરિઝમ અને કાયદાના રાજ વગરનું ભારતીય રાષ્ટ્ર ન હોઈ શકે. બાકી આઝાદી પછી ભારતીય રાષ્ટ્રના પહેલી પેઢીના શાસકો પાસે એટલી તાકાત હતી અને એટલી લોકચાહના હતી કે તેઓ ધારત તો હિન્દુત્વવાદીઓને ઘોડિયામાં જ દૂધ પીતા કરી શક્યા હોત.

તો પહેલી વાત તો એ કે અત્યારના હિંદુ રાષ્ટ્રના મશાલચીઓને ભારતીય રાષ્ટ્રે મોકળાશ આપી હતી અને એ મોકળાશ એટલી હતી કે તેઓ હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવા સત્તા સુધી પહોંચી શક્યા છે. હવે ઉપર કહ્યો એ સવાલ આવે છે કે હિંદુ રાષ્ટ્ર જ્યારે સ્થાપવા જ માગો છો અને સ્થાપવાની સ્થિતિમાં પણ છો તો એ કેવું હશે? શક્તિશાળી કે માથાભારે? હિંદુ રાષ્ટ્ર કેવા હિંદુઓને પેદા કરશે, શક્તિશાળી કે માથાભારે? હિંદુ રાષ્ટ્રનું ભવિષ્ય કોના હાથમાં સુરક્ષિત હશે, શક્તિશાળી હિંદુઓના હાથમાં કે માથાભારે હિંદુઓના હાથમાં? મહાન હિંદુ દેશનો જગતમાં જયજયકાર શક્તિશાળી હિંદુઓ દ્વારા થશે કે માથાભારે હિંદુઓ દ્વારા? જગતનો ઇતિહાસ શું કહે છે? મહાન રાષ્ટ્રો, સામ્રાજ્યો અને સભ્યતાઓને શક્તિશાળી પ્રજાએ આકાર આપ્યો છે કે માથાભારે પ્રજાએ?

હિંદુ રાષ્ટ્ર જ્યારે સ્થાપવા નીકળ્યા જ છો ત્યારે તમારે આ પ્રશ્નો વિષે વિચારવું જ પડશે. ખાસ કરીને જો તમે સાચા હિંદુ હો, જો તમને ભારતવર્ષ કે આર્યાવર્ત માટે સાચો પ્રેમ હોય અને જો તમે તમારાં સંતાનને તમારી છાતી ગજગજ ફૂલે એવા હિંદુ રામરાજ્યમાં સુખચેનમાં જીવતા જોવા માગતા હો તો તમારે આ પ્રશ્નો વિષે વિચારવું જ પડશે. શક્તિશાળી બનવામાં લાભ છે કે માથાભારે? સેક્યુલર હિંદુઓની ચિંતા કરવાની જરૂર નથી, એ જાય ભાડમાં. એ એમનું ફોડી લેશે. આપણાં અસલી હિંદુઓનાં હિંદુ સંતાનો શક્તિશાળી બનવાં જોઈએ કે માથાભારે? લાભાલાભની સમજ તો અસલી હિંદુઓ ધરાવતા જ હશે એમ હું માની લઉં છું.

એક નજર આપણા બાપદાદાઓએ અપનાવેલા વલણ ઉપર કરી લઈએ.

દેશમાં આઝાદીની લડત ચાલતી હતી ત્યારે એ સમયના આપણા બાપદાદાઓ એ સમયના આપણા નેતાઓને પૂછતા હતા કે તમે આઝાદીની વાત તો કરો છો, પણ પહેલા એ તો કહો કે આઝાદ ભારત કેવું હશે? એમાં શું હશે અને શું નહીં હોય? તેમને કહેવામાં આવ્યું હતું કે આઝાદ ભારતમાં હિંદુઓની બહુમતી હોવા છતાં પણ તે ભારતીય રાષ્ટ્ર હશે. શા માટે ભારતીય રાષ્ટ્ર? શા માટે હિંદુ રાષ્ટ્ર નહીં? એ સમયના સંસ્કૃત અને ભારતીય દર્શનના કેટલાક દિગ્ગજ પંડિતોએ આ પ્રશ્ન પૂછ્યા હતા. જ્યારે સ્પષ્ટ ભાષામાં ફોડ પાડવામાં આવ્યો કે આઝાદ ભારત ભારતીય રાષ્ટૃ હશે ત્યારે દરેક પ્રજાએ સવાલ કર્યા હતા કે તો પછી એ પણ બતાવો કે તેમાં શું હશે અને શું નહીં હોય? આ તો જોઈએ જ અને આ તો નહીં જ જોઈએ એવા આગ્રહ રાખવામાં આવ્યા હતા. તેમના અધિવેશનો મળતા હતા, ચર્ચાઓ થતી હતી, ઠરાવો થતા હતા, પ્રતિનિધિમંડળો નેતાઓને મળતા હતા, આવેદનો-નિવેદનો આપવામાં આવતાં હતાં, તેમની પત્રિકાઓ નીકળતી હતી, પ્રચાર-પ્રસાર થતા હતા, વગેરે બધું જ.

ટૂંકમાં આઝાદી પહેલાં આપણા બાપદાદાઓએ એ સમયના નેતાઓને ભારતીય રાષ્ટ્ર વિષે અનેક સવાલ પૂછ્યા હતા અને ખુલાસા માગ્યા હતા. ઇતિહાસ તપાસી જુઓ, આપણા એ સમયના નેતાઓનો અડધો સમય તો ભારતીય રાષ્ટ્રની સંકલ્પના વિષે ખુલાસા કરવામાં જતો હતો. થકવી દીધા હતા. ગાંધીજી દ્વારા સંપાદિત સામયિકોની ફાઈલો જોઈ લો; એમાં એક અંક એવો જોવા નહીં મળે જેમાં આઝાદ ભારત કેવું હશે એ વિષે ગાંધીજી પાસે કોઈને કોઈ સમાજે કે વાચકે પ્રશ્ન પૂછીને ખુલાસો ન માગ્યો હોય. આમ હું જવાબદારીપૂર્વક ગેરંટીથી કહું છું. એક અંક એવો જોવા નહીં મળે જેમાં ગાંધીજી પાસે ખુલાસો માગવામાં ન આવ્યો હોય.

આપણા એ સમયના અભણ કે અલ્પશિક્ષિત વડીલોને એટલી સમજ હતી કે દેશમાં કશુંક નવું થઈ રહ્યું છે તો એ કેવું હશે અને તેમાં શું હશે અને શું નહીં હોય એ સમજી લેવું જોઈએ. આપણું અને આપણી આવનારી પેઢીનું ભવિષ્ય દાવ પર લાગવાનું છે. અત્યારે દેશમાં ફરી એક વાર કશુંક નવું થઈ રહ્યું છે. આપણા કેટલાક હિંદુ ભાઈઓ ભારતીય રાષ્ટ્રને હિંદુ રાષ્ટ્રમાં પરિવર્તિત કરવા માગે છે ત્યારે તેમણે તેમના નેતાઓને પ્રશ્ન પૂછવા જોઈએ કે હિંદુ રાષ્ટ્ર કેવું હશે, તેમાં શું હશે અને શું નહીં હોય?

તમને આશ્ચર્ય થશે, હમણાં કહ્યું એમ ગાંધીજીનાં મુખપત્રોનો એવો એક અંક જોવા નહીં મળે જેમાં પ્રશ્નકર્તાએ ગાંધીજી પાસે આઝાદ ભારતના સ્વરૂપ વિષે ખુલાસો ન માગ્યો હોય અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખપત્રોનો એવો એક અંક જોવા નહીં મળે જેમાં હિંદુ રાષ્ટ્રના સ્વરૂપ વિષે કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય અને ખુલાસો આપવામાં આવ્યો હોય!

પણ તમને પ્રશ્ન પૂછતા ન આવડતું હોય કે તમે પ્રશ્ન ન પૂછો એટલે પ્રશ્ન મટી નથી જતો. પ્રશ્ન તો બચે જ છે કે હિંદુ રાષ્ટ્ર શક્તિશાળી હિંદુઓનું હશે કે માથાભારે હિંદુઓનું? તમારો પોતાનો, તમારા સંતાનોનો, હિંદુ રાષ્ટ્રનો અને હિંદુ પ્રજાનો ફાયદો શેમાં હશે?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ઍપ્રિલ 2021

Loading

11 April 2021 admin
← ચલ મન મુંબઈ નગરી—90
અક્કલ બડી કે ભેંસ? : હવે તો ભેંસ જ બડી છે … →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved