Opinion Magazine
Number of visits: 9448703
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિન્દુ કોમવાદને ફૂલવા અને ફેલાવામાં કેટલાક કૉન્ગ્રેસીઓનો મોટો ફાળો છે

રમેશ ઓઝા|Gandhiana|2 February 2018

આપણે જોયું કે ગાંધીજીની હત્યાના પ્રયાસ વારંવાર કરવામાં આવતા હતા.

પાકિસ્તાન અને પંચાવન કરોડ રૂપિયાનો પ્રશ્ન ઉપસ્થિત પણ નહોતો થયો એ પહેલાંથી હત્યાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. હત્યાના દરેક પ્રયાસમાં એક જ પ્રાંતના, એક જ શહેરના, એક જ કોમના એટલે કે બ્રાહ્મણોના અને ૧૯૩૪નો અપવાદ છોડીને એક જ ટોળકીનો હાથ હતો.

આની વિગતો પોલીસના ચોપડે નોંધાયેલી છે. એના અહેવાલો વિગતે અખબારોમાં પ્રકાશિત થયા છે. ગાંધીજીની હત્યાના વારંવાર કરવામાં આવતા પ્રયાસો વિશે ઊહાપોહ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના પરા કોટીના વિદ્વાન આચાર્ય જાવડેકરે ગાંધીજીની હત્યાના પ્રયાસ પાછળની કારણમીમાંસા કરી છે. આ બધી વાતની મહારાષ્ટ્રની પ્રજાને જાણ હતી એટલે જ્યારે ગાંધીજીની હત્યા થઈ ત્યારે મહારાષ્ટ્રમાં બ્રાહ્મણો વિરુદ્ધ હિંસા ફાટી નીકળી હતી. બહુજન સમાજે બ્રાહ્મણોનાં ઘરોને આગ ચાંપી હતી. સાને ગુરુજીએ ગાંધીજીની હત્યા પછી પ્રાયશ્ચિત્ત કરવા ઉપવાસ કર્યા હતા. સાને ગુરુજી મહારાષ્ટ્રના પુણેમાં રહેતા ચિત્પાવન બ્રાહ્મણ હતા એટલે તેમને એમ લાગ્યું હતું કે તેઓ આડકતરી રીતે ગાંધીજીની હત્યામાં ભાગીદાર છે.

આ બધું આટલું ઉઘાડું હોવા છતાં ઉઘાડું સત્ય હાંસિયામાં ધકેલાઈ ગયું અને અસત્ય ચલણી બની ગયું. આની પાછળનાં ત્રણ કારણો મુખ્ય છે. એક તો એ કે આ લખનાર જેવા ઉદારમતવાદીઓ પ્રતિવાદ કરવામાં ઓછા પડ્યા. ગાંધીજીની વિરાટતા પર ભરોસો રાખીને અસત્યની ઉપેક્ષા કરી. આની ચર્ચા આગળના લેખમાં આવી ગઈ છે.

બીજું કારણ એ કે આપણી અંદર બ્રાહ્મણ કે દલિત, હિન્દુ કે મુસ્લિમ, આર્ય કે દ્રવિડ, મરાઠી કે ગુજરાતી જેવું કોઈક બેઠું છે જે આપણી અંદરના માણસને માણસ બનતાં રોકે છે. ગાંધીજી વિરાટ બનવાની ઉઘરાણી કરતા હતા અને આપણે આપણી સંકુચિત ઓળખ છોડવી નથી એટલે આપણે ગાંધીજીને પોતીકા કર્યા નથી. જે પોતાના ન હોય તેના વિશે કાંઈ પણ કહેવામાં આવે આપણને શો ફરક પડે છે? આમ ઓળખોમાં વહેંચાયેલા દેશમાં ગાંધીજી કોઈના નથી અને કોઈને પરવડતા નથી.

ત્રીજું કારણ એ છે કે હિન્દુઓમાં એક વર્ગ એવો છે જે એમ માને છે કે મુસલમાનોના કોમવાદને અંકુશમાં રાખવા હિન્દુ કોમવાદીઓનું હોવું જરૂરી છે. આપણને કોઈ હિન્દુ રાષ્ટ્ર જોઈતું નથી, પરંતુ મુસલમાનોને સખણા રાખે એવા થોડા હિન્દુ હોવા જોઈએ. સરદાર પટેલ સહિતના દિગ્ગજ કૉન્ગ્રેસી નેતાઓ આમ માનતા હતા અને આજે પણ કેટલાક લોકો આમ માને છે. તેઓ હિન્દુ કોમવાદીઓને આડકતરી મદદ કરે છે, આંખ આડા કાન કરે છે અને તેઓ જ્યારે સત્તામાં હતા ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરના પ્રતિબંધો ઉઠાવીને અને બીજી અનેક રીતે મદદ કરી હતી. તેઓ હિન્દુ કોમવાદને ટકાવી રાખવા માગતા ગાંધીજનો હતા કે જેથી વખત આવ્યે કામ આવે. (ગાંધીજીને આની પાછી જાણ હતી કે કોણ શું કરે છે) એક વાત નક્કી કે હિન્દુ કોમવાદને ફૂલવા-ફેલાવામાં કેટલાક કૉન્ગ્રેસીઓનો મોટો ફાળો છે.

આ ત્રણ કારણે સત્ય ઉઘાડું હોવા છતાં ઢંકાઈ ગયું અને પંચાવન કરોડ રૂપિયા પાકિસ્તાનને આપવાના ગાંધીજીના દુરાગ્રહથી ગુસ્સે ભરાયેલા માથાફરેલા હિન્દુએ ગાંધીજીની હત્યા કરી હતી એ અસત્ય રૂઢ થઈ ગયું.

જો એમ હોત તો ૧૯૩૪ના જૂન મહિનામાં ગાંધીજીની હત્યાનો પહેલો પ્રયાસ પુણે શહેરમાં થયો એ ન થયો હોત. ત્યારે ક્યાં પાકિસ્તાનની વાત હતી? જો એમ હોત તો ૧૯૪૪ના જુલાઈ મહિનામાં મહારાષ્ટ્રમાં પંચગનીમાં ગાંધીજીની હત્યાનો બીજો પ્રયાસ થયો એ ન થયો હોત. ત્યારે પાકિસ્તાન હજી બહુ દૂર હતું. જો એમ હોત તો બે મહિના પછી એ જ વરસના સપ્ટેમ્બર મહિનામાં સેવાગ્રામ આશ્રમમાં ગાંધીજીની હત્યા કરવાનો ત્રીજો પ્રયાસ થયો એ ન થયો હોત. બે મહિનામાં પાકિસ્તાન આકાર નહોતું પામ્યું. જો એમ હોત તો ૧૯૪૬ની ૨૯ જૂનની રાતે ગાંધીજી મુંબઈથી પુણે ટ્રેનમાં જતા હતા ત્યારે નેરળ અને કર્જત વચ્ચે પાટા પર મોટો પથ્થર મૂકીને ટ્રેનને પાટા પરથી ઉથલાવવાનો પ્રયાસ ન કરવામાં આવ્યો હોત. ગાંધીજી ખાસ ટ્રેનમાં મુંબઈથી પુણે જવાના છે એવા સમાચાર અખબારોમાં આવ્યા હતા એટલે હત્યાનો પ્રયાસ કરનારાઓને આની જાણ હતી. ત્યારે પાકિસ્તાનની વાત હતી, પરંતુ નહોતી વિભાજનની રેખા દોરાઈ કે નહોતી સ્થાવર-જંગમ મિલકતની વહેંચણીની કોઈ વાત આવી. પંચાવન કરોડ રૂપિયા આ વહેંચણીનો હિસ્સો હતો. ઊલટું વિભાજન ટળી પણ શકે એવી આશા પણ હતી.

આ બધા જ પ્રયાસો મહારાષ્ટ્રમાં થયા હતા, એક જ કોમ અને વિચારધારાના લોકોએ કર્યા હતા અને ૧૯૩૪ને છોડીને બાકીના ત્રણ પ્રયાસમાં ગોડસે-આપ્ટે જોડીનો હાથ હતો એની વિગતો પોલીસને ચોપડે નોંધાયેલી છે. નેરળના પ્રયાસમાં ગોડસે-આપ્ટેની સંડોવણીના પાક્કા પુરાવાઓ મળ્યા નહોતા. ગાંધીજીના ખૂનનો જ્યારે ખટલો ચાલ્યો ત્યારે ખૂનના કાવતરાને સાબિત કરવા માટે આ દસ્તાવેજી પુરાવાઓ અદાલતમાં પેશ કરવામાં આવ્યા હતા. બધું જ ઉઘાડું છે. સત્ય શોધવાની જરાક મહેનત લો, સત્ય શું છે એની તમને જાણ થઈ જશે. કોઈના સહારાની જરૂર નથી. હા, ગાંધી ક્યાં આપણા છે એવી માનસિકતા હશે તો સત્ય હાથ નહીં લાગે અને કોમવાદી મુસલમાનો સામે કોમવાદી હિન્દુઓનો ખપ છે એવું જો માનતા હશો તો ત્યાં સત્યપરાયણતાનો જ અંત આવી જાય છે એટલે કાંઈ કહેવાનું રહેતું નથી. આવું માનનારાઓએ ખૂનખટલામાં વિશ્વવંદ્ય ગાંધીજીને ન્યાય નથી કર્યો એ હકીકત છે, પણ એની વાત આજે નથી કરવી.

તો પછી ગાંધીજીના ખૂનના વારંવાર પ્રયાસ શા માટે કરવામાં આવતા હતા? એનાં કેટલાંક કારણો હતાં, મજેદાર કારણો હતાં અને પંચાવન કરોડ રૂપિયા તો એક બહાનું હતું. આવતી કાલે કારણોની વાત કરવામાં આવશે અને શનિવારે પંચાવન કરોડના ક્ષુલ્લક પ્રકરણ સાથે આ શ્રેણી પૂરી થશે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 02 ફેબ્રુઆરી 2018

Loading

2 February 2018 admin
← ઇતિહાસ
મંત્રકવિતાના વધૈયા નિરંજન ભગત →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved