Opinion Magazine
Number of visits: 9495026
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંદના દાદાનું બસોમું વરસ શરૂ થઈ રહ્યું છે!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 September 2024

દાદાભાઈ નવરોજી

જન્મ : 4-9-1825 — મૃત્યુ : 30-6-1917

આજે ચોથી સપ્ટેમ્બરે હિંદના દાદા તરીકે પંકાયેલા દાદાભાઈ નવરોજી(4-9-1825 : 30-6-1917)નું બસોમું વરસ શરૂ થઈ રહ્યું છે.

1885માં રાષ્ટ્રીય મહાસભા(ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસ)ની સ્થાપના થઈ એના બીજે જ વરસે 1986માં એ વ્યોમેશચંદ્ર બેનરજી પછીના બીજા પ્રમુખ તરીકે દેશભરમાં ઊંચકાયા હતા અને લાંબા જાહેર જીવનમાં એક નહીં, બે નહીં પણ ત્રણ-ત્રણ વાર કાઁગ્રેસ પ્રમુખ તરીકે પ્રકાશ્યા હતા.

પ્રકાશ ન. શાહ

1906માં કાઁગ્રેસના બાવીસમા પ્રમુખ તરીકેના ભાષણમાં એમણે ‘સ્વરાજ'(સેલ્ફ રુલ)નો પહેલ પ્રથમ ટંકાર કીધો હતો. જે વર્ષોમાં સ્વાભાવિક જ એવી વ્યાપક લાગણી હતી કે અંગ્રેજી રાજે દેશમાં વ્યવસ્થા સ્થાપી આપણને નવી દુનિયા સાથે સંપર્કમાં મૂકી આપ્યા છે ત્યારે ભલે સીમિત અર્થમાં પણ સ્વરાજ ટંકાર અક્ષરશ: એક ઘટના હતી.

આટલે સુધી કેવી રીતે પહોંચ્યા હશે એ? નવસારીનું સંતાન. મુંબઈમાં એલ્ફિન્સ્ટનમાં અધ્યયન-અધ્યાપન. (બાય ધ વે, એમના એક ટૂંકમુદતી છાત્ર નર્મદ પણ ખરા. જો કે, નવેમ્બર 1850માં માતાના અવસાન સાથે એમણે ભણવાનું છોડી દીધું હતું.) થોડીક ધંધાકીય કામગીરી, 1874માં વડોદરાનું ટૂંકજીવી દીવાનપદું, વચગાળામાં ‘રાસ્ત ગોફ્તાર’ એ ગુજરાતી પત્ર મારફતે પારસી સમુદાયને ધર્મ સમજ ઉપરાંત સંસાર સુધારાની કોશિશ.

વળી ધંધાકીય કામગીરી સારુ લંડન પહોંચ્યા તો ત્યાં સાથે સાથે કેટલોક વખત યુનિવર્સિટી કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે પણ કામગીરી બજાવી. યુ.કે.ની ગુજરાતી લિટરરી એકેડેમી આ ગરવા ગુજરાતીને સબહુમાન સંભારશે ને? દ્વિશતાબ્દીનો અવસર જો કે બ્રિટનની લિબરલ પાર્ટીની (અને એક અર્થમાં બ્રિટિશ પાર્લામેન્ટનીયે) જવાબદારી બને છે, કેમ કે 1892-1895નાં વર્ષોમાં દાદાભાઈ લિબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે લંડનના સેન્ટ્રલ ફિન્સબરી મતવિસ્તારમાં આમની સભા(હાઉસ ઓફ કોમન્સ)માં ચૂંટાઈ આવ્યા હતા. ફિન્સબરી વિસ્તારમાં બુટસોતા (મનોમન જો કે અડવાણે પાય) ચાલતાં મેં અનુભવેલો રોમાંચ તો ક્યાંથી લખું- કવિ નહીં ને!

ઇતિહાસના છાત્ર તરીકે પાછળ નજર કરું છું તો મને દાદાભાઈનો પાર્લામેન્ટ-કાળ જગતતખતે ભારત છેડેથી અતિ મહત્ત્વનો લાગે છે. 1892નું સ્તો એ વરસ હતું જ્યારે શિકાગોની વિશ્વ ધર્મ સંસદમાં વિવેકાનંદ પ્રકાશ્યા હતા. એ જ વરસો હતાં જ્યારે બેરિસ્ટર ગાંધી દક્ષિણ આફ્રિકાના હિંદીજનોના હક્ની લડાઈમાં પરોવાઈ રહ્યા હતા. (હજી લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’ના ઉદય આડે દસકો હતો.)

દાદાભાઈનું મોટું પ્રદાન તે હિંદની ગરીબીની એમની નકરી સંવેદનશક્તિ નહીં પણ શત પ્રતિશત સ્વાધ્યાયપુત માંડણી. શરૂમાં એમના લંડનના સહકારીઓમાં મંચેરજી ભાવનગરી પણ હતા. પણ ભાવનગરીને આ લિબરલ ખાસ્સા રેડિકલ વરતાતા એ ખસતા ગયા, અને કોન્ઝર્વેટિવ પક્ષમાં એમણે નિજનું મોચન લહ્યું. આ મંચેરજી પછીનાં વર્ષોમાં કોન્ઝર્વેટિવ પાર્ટી તરીકે હાઉસમાં ચૂંટાઈ પણ આવ્યા હતા.

દાદાભાઈ એમના લંડન કાળ દરમ્યાન સેકંડ ઈન્ટરનેશનલ સાથે સંકળાયા હતા. સેકંડ ઈન્ટરનેશનલમાં જોડાયેલાઓમાં રૂસી માર્ક્સવાદના પિતાનું બિરૂદ પામેલા પ્લેખેનોવ અને જર્મનીની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના સુપ્રતિષ્ઠ સિદ્ધાંતકોવિદ કોટ્સ્કી પણ હતા. યાદ રહે, આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ(મે ડે)નું એલાન આ સેકંડ ઈન્ટરનેશનલને નામે ઇતિહાસદર્જ છે.

1867-68 આપણે ત્યાં આકરા દુકાળનો કાળ હતો. એ સંદર્ભમાં રિલીફ ફંડ સારુ લંડનમાં ઈસ્ટ ઇન્ડિયા એસોસિયેશનની સભાને સંબોધતા દાદાભાઈએ કહ્યું હતું કે અંગ્રેજ અમલ હિંદની સઘળી કમાણી ઇંગ્લેન્ડ ભેગી કરે છે. જંગી કર આવકનો મોટો હિસ્સો આમ હિંદ બહાર ચાલ્યો જાય છે. બ્રિટિશ અમલદારો હિંદમાં કમા ય ને હિંદમાં ખર્ચે તો આપણે ત્યાં મૂડીનિર્માણ થાય. આ મૂડીનિર્માણ રોજગારની તકોને બહોળી કરે અને એના પાયાનોયે વિસ્તાર કરે. પણ પાણીમૂલે કાચો માલ ઉશેટી જ્યો અને હિંદને પોતાનું ફરજિયાત બજાર બનાવી સોનામૂલે પાકો મહાલ લાદવો, એ પદ્ધતિ હિંદમાં દુષ્કાળ રાહત જેવાં કામોના સ્રોતને શોષી લે છે અને સ્વદેશી મૂડીનિર્માણ સારુ કોઈ રસકસ બચતા નથી.

1876માં એક સહલેખક સાથે એમણે ‘પોવર્ટી ઓફ ઇન્ડિયા’ એ પુસ્તક બહાર પાડ્યું, તો 1901માં એ ‘પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા’ લઈને આવ્યા. હિંદની આર્થિક સમૃદ્ધિના શોષણ ને દોહનના આ દસ્તાવેજ સાથે એમનો સિક્કો પડ્યો અને ‘ડ્રેઈન થિયરી’નું વિરૂપ ને અમાનવીય સત્ય સૌની સામે આવ્યું. સંસ્થાનવાદ થકી સધાતું શોષણ જે તે દેશમાં કેવું અનર્થકારણ સર્જે છે એ પ્રત્યક્ષ થયું.

સમાજવાદી વિચારધારાના પંડિત ને સ્વાતંત્ર્યસેનાની અશોક મહેતાએ એ વિગતે કૌતુક કીધું છે કે કાર્લ માર્ક્સએ (1818-1883) લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમમાં બેસી ‘દાસ કેપિટલ’નું શકવર્તી કામ કરી રહ્યા હતા એની જ આસપાસના દસકામાં દાદાભાઈએ સાંસ્થાનિક શોષણથી સર્જાતા મૂડીવાદની અસલિયત પર પાયાનું કામ કર્યું હતું.

અને હા, દાદાભાઈની કીર્તિદા કિતાબમાં ‘અનબ્રિટિશ’ એ પ્રયોગ નોંધ્યો તમે? બ્રિટન વતનઆંગણે જે ધોરણસર સોજ્જું રાજવટ ચલાવે છે તે હિંદમાં બિલકુલ અનબ્રિટિશ એવી શોષણ રીતિએ પેશ આવે છે. માટે પોતાનાં આર્થિક ને બીજાં વાનાંમાં હિંદ પાસે મર્યાદિત પણ સ્વશાસનની, સેલ્ફ રુલ કહેતાં ‘સ્વરાજ’ની જરૂર છે, એમ એમનું કહેવું હતું.

હમણાં મેં આ હાડના લિબરલ માર્ક્સવાદી હોઈ શકતી આંતરરાષ્ટ્રીય સંગઠન – સેકંડ ઈન્ટરનેશનલ સાથે સંકળાયા હતા એ ઉલ્લેખ કર્યો ત્યારે ધડ ધડ દડી આવેલી સ્મૃતિ –

‘જાગો, જગના ક્ષુધાર્ત! જાગો, દુર્બલ અશક્ત!

ઈન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે …’ 

એ યાદગાર મેઘાણી પંક્તિઓની હતી જે વાસ્તવમાં સેકંડ ઈન્ટરનેશનલના ગાનનું અનુરણન છે.

સોબતી બલકે સાગરીત મૂડીવાદના આજના દોરમાં દાદાભાઈની દ્વિશતાબ્દી એક નવા જ ડ્રેઈનવાસ્તવ સાથે ઈન્સાફી તખ્ત પર નવજાગરણનો નેજો ફરકાવવા ચહે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 04 સપ્ટેમ્બર 2024 

Loading

4 September 2024 Vipool Kalyani
← આખો જન્મારો તને આંખ્યુંમાં રાખું, મને વ્હાલું લાગે છે તારું મુખ
લોક અદાલતોનો શીઘ્ર, સસ્તો અને સમાધાનકારી ન્યાય →

Search by

Opinion

  • બુકસ્ટોર પણ સત્તાનો પ્રતિકાર કરી શકે !
  • ફિરંગી  આચાર્ય 
  • ‘ઘૂસપેઠિયા’ ગજબના ચમત્કારી છે !
  • આંસુભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં !
  • દિવાળી, ઘરવાળી ને કામવાળી ….

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને

Poetry

  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved