સંસદના આરંભે
બાળકબુદ્ધિ દાખલો જો 543માંથી 99નો છે તો વડીલબુદ્ધિને નહિ સમજાતું વાસ્તવ 303માંથી 272 ઉપર નહિ અટકતાં છેક 240 ઉપર પહોંચી ગયાનું છે : દાયિત્વ અને ઉત્તરદાયિત્વનું નવું રાજકારણ ખીલવી જાણશો તો ટકશો.
રાષ્ટ્રપતિના ભાષણ પરની ચર્ચામાં ચોથી જૂન પછીની પરિસ્થિતિનું વાસ્તવચિત્ર કદાચ ઝિલાયું છે, કદાચ નથી ઝિલાયું. વસ્તુતઃ અઢારમી લોકસભા એક નવસંકેતનો સંદેશ લઈને આવી છે. સત્તાપક્ષ પરત્વે અપેક્ષિત ઉત્તરદાયિત્વની જે સોઈ કહો તો સોઈ અને દબાણ કહો તો દબાણ હમણેનાં દસ વરસ દરમિયાન લુપ્તપ્રાય હતાં. તે હવે પ્રત્યક્ષપણે સામે આવ્યાં છે. સંસદીય લોકશાહી સંદર્ભે તે અવશ્ય સુચિહ્ન છે, પણ એકતરફી સત્તાની આસાએશ પછી આ નવી પરિસ્થિતિ જોડે ધોરણસર ગોઠવાવું અસુખકર, અકારું ને અઘરું હોઈ શકે છે તે ચર્ચામાં સત્તાપક્ષે અને એના નેતૃત્વે જે ભૂમિકા લીધી એથી સમજાઈ રહે છે.
મુદ્દે, જો 543માંથી 99ને ધોરણે બાળકબુદ્ધિની રીતે દાખલો ગણી શકાતો હોય તો સુવાંગ 303માંથી 272 ઉપર નહીં પણ સીધા 240 પર જઈ પડવાની રીતે પણ દાખલો ગણી તો શકાય. કહેવું હોય તો કહી શકાય કે જેની હાજરી વરતાતી નહોતી તે સહસા વરતાવા લાગી છે અને જેની હાજરી જ હાજરી મહાલતી હતી તે સહસા સંકોચાઈ ગઈ છે. 2014થી શરૂ થયેલી કાઁગ્રેસમુક્ત ભારતની રણભેરી હાલ બસૂરી બજી રહી છે અને ભા.જ.પ. જ ભા.જ.પ.નું સપનું હાલ નંદવાયેલું માલૂમ પડે છેઃ એન.ડી.એ. અને ‘ઇન્ડિયા’ એમ દ્વિપક્ષવત્ ચિત્ર ઉભર્યું છે.
ચર્ચાના મુદ્દાઓ વિશે વિગતે ચર્ચા કરી શકાય, પણ આ ક્ષણ એવી તપસીલમાં નહીં જતા નવા તકાજા અને તાકીદને સમજવાની છે. રાહુલ ગાંધીએ નેતા પ્રતિપક્ષ તરીકે અધ્યક્ષીય ચૂંટણી પછી જે ગરવાઈથી વિચારો મૂક્યા એ ધોરણે રાષ્ટ્રપતિના ભાષણ પરની ચર્ચામાં આગળ વધી શક્યા હોત તો એ રૂડં થાત. તેમ છતાં એમણે નેવું મિનિટની રજૂઆતમાં ઉપસ્થિત કરેલા મુદ્દાઓ સબબ સત્તાપક્ષ અને એના નેતાનો પ્રતિભાવ હજુ ચૂંટણીપ્રચારના મિજાજમાં હોય એવું કેમ લાગે છે, તે વિચારવું સાર્વત્રિક હિતમાં હશે.
“બાલકબુદ્ધિ’ નેતા પ્રતિપક્ષે ખરું જોતાં એક પાયાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. એમણે ધર્મચિંતન અને ઇશ્વરચિંતનને અભયમુદ્રા રૂપે ઘટાવીને નફરત અને ડરની રાજનીતિ સામે ભારતીય પરંપરામાં રહીને વળતા વિમર્શની એક શક્યતા સરજી હતી. “હિંદુ’ હોવું તે નફરત અને ડરની રાજનીતિથી વિપરીત છે એ ધોરણે નેતા પ્રતિપક્ષે વાત મૂકી કથિત હિંદુત્વ રાજનીતિની ટીકા કરી હતી. આ ટીકા, ન સમજવું હોય તો જ ન સમજાય એ રીતે સમગ્ર હિંદુસમાજની કે હિંદુધર્મની નહોતી – ચોક્કસ પક્ષપરિવારે જે “હિંદુ” ઉપસાવ્યો છે એની સામે હતી. નેતા સત્તાપક્ષે અને એમની પૂંઠે બીજા ભા.જ.પ. સાંસદોએ તમે સમગ્ર હિંદુસમાજનું અપમાન કર્યું છે એવી હોહલ્લા મચાવી, ક્યાંક તો આ તરજ પર ફરિયાદ નોંધાવવાની ચેષ્ટા સુધ્ધા થઈ, તે બેશક મૂળ મુદ્દા પરત્વે મરોડમાસ્તરીનું રાજકારણ હતું. સ્પિનોડી તે સ્પિનોડી, બીજું શું.
નહીં કે વિશેષ ચર્ચાને અવકાશ નથી. એકએક મુદ્દાને ખોલીને તપાસી શકાય. નેતા પ્રતિપક્ષે હવે પોતાની નવી ભૂમિકા અને ગૃહ બહારની સક્રિયતા વચ્ચે કેવી રીતે લોકશાહીને અનુરૂપ મેળ બેસાડવાનો છે, કથિત ફતેહ પછી કેટલો લાંબો વિપક્ષે ધોરણસર કાપવાનો છે તેને અંગે હિતવચનો અવશ્ય અપેક્ષતિ બલકે આવશ્યક પણ છે. શાસનને પક્ષે નવા સંજોગોમાં વચલાં વરસોમાં રેઢું મુકાયેલું પોતાના પરનું અનુશાસન કેવું ને કેટલું જરૂરી છે તે વિશે પણ હિતવચનો સારુ અવકાશ જ અવકાશ છે. યથાપ્રસંગ, યથા અવસર, યથા અવકાશ આ બંને બાબતે કહેવું જેવું કહીશું, કહેતાં રહીશું.
હમણાં આરંભને તબક્કે એટલી જ એક આશા અપેક્ષા બસ રહેશે કે આવડ્યાં એવાં વૉર્મિંગ અપ પછી બંને બાજુઓ નવસંદર્ભમાં નવેસર પોતાને ધોરણભેર ગોઠવે.
Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 03 જુલાઈ 2024