Opinion Magazine
Number of visits: 9504409
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ … કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’

વિરાગ સૂતરિયા|Opinion - Opinion|20 March 2025

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ; 

કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ;                                           

                                                — ઝવેરચંદ મેઘાણી

વિરાગ સૂતરિયા

19 – 20 માર્ચ 1927, મહાડ, મહારાષ્ટ્ર … આ દિવસોમાં માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર માનવજાતિના ઇતિહાસમાં કાયમી સ્થાન પામે એવી “ચવદાર” તળાવ સત્યાગ્રહની ઘટના બની. વિશ્વ ઇતિહાસના તમામ સત્યાગ્રહોમાં આ સત્યાગ્રહ અનોખો એટલા માટે કે, વિશ્વમાં કોઇ જગ્યાએ ક્યારે ય પણ જીવતા – જાગતા માનવીઓએ એક તળાવનાં પાણીને સ્પર્શ કરવા માટે સત્યાગ્રહ કરવો પડ્યો હોય, એવી ઘટના માત્ર અને માત્ર આપણા દેશમાં બની. કૂતરાં – બીલાડાં જેવાં પ્રાણીઓ તળાવનું પાણી પી શકે, પણ ભારતમાં જન્મેલા હજારો વર્ષોથી અસ્પૃશ્યતાની અમાનવીય પરંપરામાં સબડતા જો દલિતો એ પાણીને સ્પર્શે તો સ્પર્શ માત્રથી પાણી અભડાઇ જાય !!!!

કોલાબા જિલ્લાના મહાડમાં દલિતોને પાણી પીવાની કોઇ વ્યવસ્થા નહોતી, આ વાત બાબાસાહેબના ધ્યાન પર હતી. એ વિષયની ફરિયાદો ઘણીવાર એમના સાંભળવામાં આવી હતી. એટલે ‘ચવદાર’ તળાવમાંથી દલિતો પાણી ‘પી’ શકે એટલા માટે સંવાદ કરવાનું અને જો એનાથી સફળતા ના મળે તો સત્યાગ્રહ કરીને પણ અધિકાર મેળવવાનું બાબાસાહેબ અને એમના સાથીઓએ નક્કી કર્યું હતું.

1927ની 19-20 માર્ચે ‘બહિષ્કૃત પરિષદ’નું બે દિવસીય સંમેલન મહાડમાં બોલાવવાનું નક્કી થયું. બાબાસાહેબ, સુરબા ટીપણીસ, સૂબેદાર સવાદકર, અને અનંતરાવ ચિત્રે સંમેલન માટે તૈયાર થયા. કાર્યકર્તાઓએ સંમેલનની સફળતા માટે રાતદિવસ મહેનત કરી, પત્રિકાઓ વહેંચી, ગામેગામ ફરીને, બે મહિના સુધી પ્રચાર કર્યો. જેના પરિણામે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં સેંકડો ગામોમાંથી હજારોની સંખ્યામાં ગરીબ દલિતો પગપાળા, તો કેટલાક ગાડાંમાં બેસીને, સંમેલનના સ્થળે પહોંચ્યા હતા. સ્ત્રીઓ, બાળકો, યુવાનો, વૃદ્ધો સૌ કોઇ પોતાના ‘માનવ’ હોવાનો અધિકાર મેળવવા ‘મહાડ’ પહોંચ્યા હતા. કેટલાક સાથે રોટલો-ચટણી તો કેટલાક સીધુ લાવેલા. આવેલા તમામ ઉત્સાહથી છલકાતા હતા. સૌને લાગતું હતું કે સદીઓથી જે અવ્યવસ્થા, અત્યાચાર, દમન, શોષણનો ભોગ બન્યા છીએ, એ હવે તૂટશે. સદીઓથી અમાનુષી અત્યાચારનો ભોગ બનેલ ચીંથરેહાલ દલિતોની આંખોમાં નવા પ્રભાતના સોનેરી કિરણની આશા હતી, એનો ઉલ્લાસ હતો. જ્યારે ઘણીવાર મનમાં રૂઢિવાદીઓ આખો કાર્યક્રમ છિન્નભિન્ન કરી દેશે એવો ડર પણ હતો.

મહાડમાં ત્યાંના ગ્રામદેવતા ‘વિરેશ્વર’નું મંદિર હતું. એના નામે મંડપ ઊભો કરવામાં આવ્યો હતો. એ વખતના કહેવાતા મુખ્ય રાજકીય પક્ષોના મંડપ જેવો મંડપ તો ક્યાંથી હોય?!!? આ મંડપ તો જાતે વાંસડા રોપી, ઉપર ઘાસ-પરાળ નાખીને બનાવેલો હતો. મહાડના ગ્રામજનો આ સંમેલન સફળ બને એવું ઇચ્છતા નહોતા. સંમેલનના સ્થળે પાણીની પણ તકલીફ હતી. આયોજકોએ ‘ચાલીસ રૂપિયા’ ભરીને સરકાર પાસેથી સંમેલન માટે પાણી મેળવ્યું હતું.

19 માર્ચે બપોરે, બાબાસાહેબ સંમેલન સ્થળે આવ્યા. સંમેલનમાં કેટલાક બિનદલિત આગેવાનો પણ હતા કે જેઓ માનતા કે અસ્પૃશ્યતા કલંક છે અને એ ભૂંસાવું જોઇએ. બાબાસાહેબે લગભગ બે કલાક સુધી સૌ સમક્ષ શિક્ષણ, કુરિવાજોમાંથી મુક્તિ, આત્મસન્માન, સ્વાવલંબન, ખેતી વગેરે જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો મૂક્યા. સંમેલનમાં હાજર બિનદલિતોએ પણ પોતાની વાત કરી. સંમેલનમાં બપોર પછી કાર્યકારિણી સમિતીની બેઠકે મંજૂર કરેલા 10 ઠરાવોનું વાચન કરી તેના પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યા.

બીજા દિવસનો કાર્યક્રમ નક્કી કરવા માટે નગરપાલિકાના ગેસ્ટ હાઉસમાં બેઠક બોલાવવામાં આવી. સરકારે કરેલા નિર્ણયના અનુસંધાને મહાડ નગરપાલિકા દ્વારા પણ ‘સાર્વજનિક સ્થળો’ અસ્પૃશ્યો પણ ઉપયોગમાં લઇ શકશે, એવો ઠરાવ કર્યો હતો. પરંતુ, રૂઢિચુસ્તોનાં દબાણને લીધે એ ઠરાવ અમલમાં આવી શકતો નહોતો. આ બેઠકમાં બીજા દિવસે એટલે કે, 20 માર્ચના રોજ સામૂહિક રીતે તળાવ પર જઇને પાણી મેળવવાનો નિર્ણય કરવામાં આવ્યો. 20 માર્ચે સંમેલન ભરાયું, ત્યારે અનંતરાવ ચિત્રેએ ઘોષણા કરી કે, આપણે સૌ મહાડ નગરપાલિકાએ કરેલા ઠરાવના અમલીકરણ માટે ‘ચવદાર’ તળાવે જઇશું. બાબાસાહેબે સૌને વાકેફ કર્યા કે, આપણો વિરોધી વર્ગ આપણને ઉશ્કેરવા કેટલીય રીત-રસમો અજમાવશે. આપણે કોઇને અન્યાય કરવા નહીં પણ ન્યાય મેળવવા જઇએ છીએ. વિરોધીઓની ચાલમાં ફસાઇને ધાંધલ-ધમાલ અને અશાંતિ સર્જાશે તો આપણા હાથમાંથી બાજી સરી પડશે. વિરોધીઓને સફળતા મળશે. આપણે ‘ મારીશું નહીં અને માનીશું નહીં.’

સંમેલનમાં ભેગા થયેલા સૌ દલિતો સત્યાગ્રહ માટે તૈયાર થયા. આ જાહેરાતો જોઇને સંમેલનમાં જોડાયેલા બિનદલિત નેતાઓ ગભરાયા. હિંદુ ધર્મનું પાપ ધોઇ નાખવાની વાતો કરતા એ સૌ, ‘હજુ પરીક્ષા લેવાનો સમય આવ્યો નથી, લોકમત કેળવાયો નથી, આપણે ઉતાવળિયા પગલાંથી દૂર રહેવું જોઇએ, ઉતાવળિયું પગલું ના ભરવું જોઇએ’, વગેરે વાતો કરીને મંડપના પાછલે દરવાજેથી વિદાય થયા.

બાબાસાહેબના નેતૃત્વમાં 4,000 જેટલાં બાળકો, સ્ત્રીઓ, જવાનો અને વૃદ્ધો ચાર-ચારની હરોળમાં ચવદાર તરફ જવા નીકળ્યાં. મહારો વર્ષો સુધી લશ્કરમાં રહેલા, યુદ્ધો લડેલા હતા. એમણે કદમતાલ કરતા હોય એ રીતે કૂચ કરી, જેમને કદમતાલ નહોતું આવડતું એ પણ એમને અનુસર્યા. અને સૌ જે તળાવમાં અન્ય ધર્મીઓ પાણી પી શકે અને કૂતરાં બીલાડાં પણ પાણી પી શકે એ તળાવમાંથી માત્ર અસ્પૃશ્યો પાણીને અડી પણ જાય તો પાણી અભડાઇ જાય એ રૂઢિ, અત્યાચાર, શોષણ તોડવા આગળ વધ્યા. આખરે બાબસાહેબે તળાવમાંથી પાણીની અંજલી ભરી. અને સદીઓની પરંપરા તોડી. સૌ દલિતોને સદીઓની જંજીરો તૂટવાનો હર્ષ થયો. હર્ષના, વિજયના ઘોષ થયા. જે તળાવ બાજુ જવાની સદીઓથી હિંમત નહોતી થતી એ તળાવમાંથી સૌએ ખોબે ખોબા ભરીને પાણી પીધું. પાણીની મીઠાશ કરતાં એક કુચક્રના અંતનો, બેડી તોડવાનો, અન્યાય સામે માથું ઊંચકવાનો, ન્યાય માટે લડીને વિજય મેળવવાનો આનંદ વધુ હતો.

શાંતિપૂર્ણ ચાલતા આ સત્યાગ્રહથી અને તેની સાથે કટ્ટરપંથીઓના એકાધિકારનો અંત આવશે અને એમને પોતાનું આસન ડોલતું લાગતાં, પૂજારીએ ગામમાં દાંડી પીટાવી કે અસ્પૃશ્યો મંદિરમાં પ્રવેશવાના છે, આવી જાહેરાતથી કટ્ટરપંથીઓ, અસ્પૃશ્યો મંદિરને અભડાવે નહીં એટલા માટે લાકડીઓ – દંડાઓ લઇને મંદિરમાં જમા થઇ ગયા. ડો. આંબેડકર અને સ્થાનિક ફોજદારની સમજાવટની કોઇ અસર ના થઇ. ધાર્મિક ટોળાએ “બહિષ્કૃત પરિષદ”ના ભોજન સ્થળ પર હુમલો કર્યો. અને ભોજન માટેના સામાનનો નાશ કર્યો. એકઠા થયેલા દલિતો પર હુમલાઓ કર્યા જેનાથી અસંખ્ય દલિતો ઘાયલ થયા. ખુદ ડો. આંબેડકરે પોતાના જીવની સલામતી માટે આખી રાત પોલીસ મથકે ગાળી. અને આ બધું મેજીસ્ટ્રેટની હાજરીમાં થયું કારણ કે તેણે કોઇ પગલાં  લીધાં નહોતાં ……

21 માર્ચ 1927 એટલે કે સત્યાગ્રહના બીજા દિવસે મહાડના સનાતનીઓએ તળાવનાં પાણીમાં પંચગવ્ય મેળવીને વૈદિક મંત્રોચ્ચારથી શુદ્ધ કર્યું કારણ કે, દલિતોએ તળાવ અભડાવેલું !!!!

આ સત્યાગ્રહ અલગ એ રીતે છે કે એમાં સદીઓથી કચડાયેલા લોકોએ સંગઠિત બની માત્ર પાણી લેવાનો જ નહીં, પણ પોતાના માનવીય અધિકારો માટે લડવાનો સામૂહિક “હું કાર” કરેલો. અને એના પછી જ ભારતમાં અસ્પૃશ્યતા જેવી અમાનવીય પ્રથા સામે સંઘર્ષની ચેતના વધુ પ્રબળ બની.

આજે “ચવદાર” તળાવ સત્યાગ્રહના 90 કરતાં પણ વધુ વર્ષો બાદ પણ અસ્પૃશ્યતાની બદીમાંથી સમાજ સંપૂર્ણ મુકત નથી બન્યો, એ બાબત પોતાની જાતને માણસ તરીકે ઓળખાવતા દરેક માટે શરમજનક છે.

e.mail : viragsutariya@gmail.com

Loading

20 March 2025 Vipool Kalyani
← પિતાની સેવા
ગાંધીજી અને મહિલાઓ  →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved