Opinion Magazine
Number of visits: 9448695
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (13)

દીપક મહેતા|Opinion - Opinion|19 July 2024

૧૩

“મારે સારે નસીબે મને કવીશ્વર દલપતરામનો પરિચય પ્રમાણમાં વહેલો થયો. અને ૧૮૪૮થી મેં તેમની સેવાનો લાભ લેવાનું શરૂ કર્યું ત્યારથી મારા આ સહકાર્યકર લગભગ સતત મારી સાથે રહ્યા છે. સ્થાનિક તવારીખો, રૂઢિઓ, હસ્તપ્રતો, અને લેખો મેળવવા માટે કે તેમની નકલ કરાવી લેવા માટે તેમણે ગુજરાતના ઘણા ભાગોનો પ્રવાસ કર્યો – અલબત્ત, તે માટેની સગવડો મેં તેમને કરી આપી હતી – તેને પરિણામે અમને ધીમે ધીમે સફળતા મળી.”

(અંગ્રેજી રાસમાળાની ૧૮૫૬માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિની પ્રસ્તાવનાના અંશનો અનુવાદ)

*

“છેલ્લે દિવસે રાસમાળાનાં અસલ દલપત લખ્યાં ગુજરાતી પ્રકરણોના બે ચોપડા, જાણે જગત ઉંબરે ઊભી દલપત ભણાવ્યું દલપતરામને પાછું સોંપતો હોય તેમ દલપતરામને પાછા આપીને ફાર્બસે કહ્યું કે આ પ્રકરણો ગોઠવીને યથાસ્થિત છપાવાય તો મારાં બધાં કામ પૂરાં થયાં હું લેખીશ.એ ચોપડા તે દલપત રાસમાળા, જેના ઉપરથી ફાર્બસ રાસમાળા લખાઈ ને છપાઈ.”

(કવીશ્વર દલપતરામ, ભાગ ૨, ઉત્તરાર્ધ / નાનાલાલ દલપતરામ કવિ, પા. ૧૧૨-૧૧૩) (અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે)

*

જો આપણે શબ્દો ગળી જનારા નહિ, પણ ચાવીને વાંચનારા હોઈએ તો સવાલ થયા વગર ન રહે કે ફાર્બસ અને નાનાલાલ, બેમાં કોણ સાચું? કોણ નહિ? ફાર્બસની રાસમાળા તેમની મૌલિક કૃતિ, કે દલપતરામની ગુજરાતી કૃતિનો અનુવાદ માત્ર? રાસમાળા એક કે બે? રાસમાળાના ફાર્બસ લેખક કે અનુવાદક? દલપતરામની મહેનતનો જશ ખાટી જવાનો પ્રયત્ન ફાર્બસે કર્યો? કે ફાર્બસની કૃતિ દલપતરામના ખાતામાં જમા કરાવવાની મહેનત નાનાલાલે કરી છે?

ફાર્બસે દલપતરામની સહાય વિષે જે લખ્યું તેનું મૂળ જાત-માહિતીમાં રહેલું છે. નાનાલાલે જે લખ્યું તેનો આધાર? ફાર્બસના અવસાન પછી ‘બુદ્ધિપ્રકાશ’ના ઓક્ટોબર ૧૮૬૫ના અંકથી દલપતરામે ‘આનરએબલ ફારબસસાહેબનું મરણ’ નામની પોતાની લેખમાળા છાપવાનું શરૂ કર્યું હતું. તેમાં ફાર્બસ સાથેની પોતાની છેલ્લી મુલાકાત વિષે લખતાં દલપતરામ કહે છે: “એક કામ ઘણી જરૂરનું બાકી છે. તે એ કે રાસમાળામાં હિંદુ રાજાઓની વાતો જેમાંથી આપણે લીધી છે, તે અસલ પ્રકરણો હું તમને આપું તે ગોઠવીને છપાય તો હું જાણીશ કે મારાં બધાં કામ પૂરાં થયાં … એમ કહીને કેટલાંક પ્રકરણો મને સોંપ્યાં. વળી કહ્યું કે અમદાવાદની ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના સાહેબને હું લખીશ, કે તેઓ આ પુસ્તક તમારી મારફતે રચાવીને છાપે.” પણ પછી આગળ જતાં આ જ લેખમાળામાં દલપતરામ આખી વાતને જૂદો જ વળાંક આપે છે : “ફારબસસાહેબના ફરમાવ્યા પ્રમાણે રાસમાળાનાં કેટલાંક અશલ પ્રકરણો ગોઠવીને તેનું પુસ્તક કાવ્યદોહનના બીજા પુસ્તક જેવડું બે ભાગમાં તૈયાર કરીને મેં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના શેક્રેટરી સાહેબને આપ્યું, તથા તે છાપવા સારૂ આશરે રૂ. ૨૦૦)ના કાગળો ફારબસસાહેબે મોકલેલા તે પણ સાહેબ મોસુફને મેં સોંપ્યા. અને એ પુસ્તક રચતાં જે ખરચ થયું તે સોસાયટીએ આપ્યું. તે પુસ્તક સોસાયટીએ મુંબઈની ફારબસ ગુજરાતી સભામાં મોકલ્યું છે.”

દલપતરામે ઉપરોક્ત લેખમાં જે લખ્યું કે ‘હિંદુ રાજાઓની વાતો જેમાંથી આપણે લીધી છે, તે અસલ પ્રકરણો હું તમને આપું’ તેનાથી નાનાલાલ કાં ગેરમાર્ગે દોરવાયા છે, અથવા તેમની પિતૃભક્તિ તેમને દલપતરામના શબ્દોનું જૂદું (અને ખોટું) અર્થઘટન કરવા પ્રેરે છે, અથવા તો એક પિતૃશોકમાં ડૂબેલા કવિની આ અહોભાવપ્રેરિત કલ્પના છે. તેને હકીકતો સાથે ભાગ્યે જ કશી લેવાદેવા છે. ‘અસલ પ્રકરણો’ એટલે જે ગુજરાતી હસ્તપ્રતોમાંથી દલપતરામે ઉતારા કરેલા તે, ‘રાસમાળા’નાં અસલ ગુજરાતી પ્રકરણો નહિ. આ બે ચોપડા ૧૮૬૮માં સોસાયટીએ મુંબઈની ‘ફાર્બસ ગુજરાતી સભા’ને મોકલ્યા, પણ તેમાંનો ફક્ત કેટલોક જ ભાગ એ સભાએ છેક ૧૯૩૩માં પ્રગટ કર્યો. પોતાના આ ‘પુસ્તક’ની પ્રસ્તાવના પણ દલપતરામે લખી રાખી હતી અને તેમાં તેને ‘ગુજરાતી રાસમાળા’ તરીકે ઓળખાવ્યું હતું. પણ ‘ફાર્બસ ગુજરાતી સભા’એ એ નામે નહિ, પણ ‘ગુજરાતના કેટલાક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ’ એવા નામે એમાંનો કેટલોક ભાગ પ્રગટ કર્યો. એટલે કે, ૧૮૯૮માં દલપતરામનું અવસાન થયું ત્યાં સુધી આ ચોપડા છપાયા નહોતા. જે બે ચોપડાનો ઉલ્લેખ દલપતરામ, નાનાલાલ, અને અંબાલાલ કરે છે તે બે ચોપડા (ક્રમાંક ૪૮-૩-૬ અને ૪૮-૧૧) સારે નસીબે આજ સુધી ‘ફાર્બસ ગુજરાતી સભા’માં સચવાયા છે, પણ અત્યારે તે અત્યંત જીર્ણ અવસ્થામાં છે. એ જોતાં સ્પષ્ટ જણાય છે કે આ ચોપડામાં જે છે તે રાસમાળા માટે એકઠી કરેલી કાચી સામગ્રી છે. એને કોઈ રીતે ગુજરાતી કે અસલ રાસમાળા તરીકે ઓળખાવી શકાય તેમ નથી.

કવીશ્વર દલપતરામના હસ્તાક્ષરમાં તેમના ચોપડાનું એક પાનું

આ બંને ચોપડા ૧૮૫૬ અને ૧૮૬૫ની વચમાં ક્યારેક, એટલે કે અંગ્રેજી રાસમાળા પ્રગટ થઈ તે પછી, અને ૧૮૬૫માં ફાર્બસનું અવસાન થયું તે પહેલાં લખાયા છે. કારણ, તેમાં અંગ્રેજી રાસમાળા ૧૮૫૬માં પ્રગટ થઈ તેનો ઉલ્લેખ છે. તો બીજી બાજુ મૂળ લખાણ શરૂ કરતાં પહેલાં “સાહેબને પૂછવાનું” એવા મથાળા નીચે ૧૦ મુદ્દા નોંધ્યા છે. તેમાંનો પહેલો મુદ્દો આ છે : “ગુજરાતી ગ્રંથ બને તેનું નામ સું પાડવું?” એટલે કે, આ ચોપડો લખાયો ત્યાં સુધી ‘ગુજરાતી રાસમાળા’ નામ નક્કી થયું નહોતું. વળી, ‘રાસમાળા’નો ઉલ્લેખ કરીને દલપતરામ કહે છે : “તેમાં જે અસલ પુસ્તકો પરથી પ્રકર્ણાદિ દાખલ કરેલાં છે તેમાના કેટલાએક પ્રકર્ણો મને સોંપીને કહ્યું જે આટલા પ્રકરણોનું એક પુસ્તક ગુજરાતીમાં છપાવીને પ્રગટ કર્યું હોય તો ગુજરાતી વાચનારાઓને ઘણું ઉપયોગી થઈ પડે.” એટલે કે, આ ‘ગુજરાતી રાસમાળા’ પ્રગટ કરવા અંગેની વાત એ મરણપથારીએ પડેલા ફાર્બસની ‘છેલ્લી ઈચ્છા’ નહોતી, એ અંગે અગાઉ પણ તેમણે દલપતરામ સાથે વાત કરી હતી. આ ઉપરાંત, ‘ગુજરાતી રાસમાળા’ની બીજી એક હસ્તપ્રત (ક્રમાંક ૭૩૮) પણ ‘ફાર્બસ ગુજરાતી સભા’માં સચવાઈ છે. તે હસ્તપ્રત ૪૮-૧૧ની ૧૯૩૦માં કરાવેલી નકલ છે. ફાઉન્ટન પેનથી, ઝીણા, પણ અત્યંત સુવાચ્ય અક્ષરે આ નકલ લખાયેલી છે. તેનું લેખન ૧૯૩૦ના નવેમ્બરની ૩૦મી તારીખે વિલેપાર્લેમાં પૂરું થયું છે. મૂળ હસ્તપ્રત આજે અડતાં પણ બીક લાગે એવી દશામાં છે ત્યારે આ નકલ ઘણી મહત્ત્વની બની જાય છે. વળી એને સ્કેન કરીને પણ સાચવી લીધી છે.  

પોતાના અનુવાદના પહેલા ભાગની પ્રસ્તાવનામાં રણછોડભાઈએ નોંધ્યું છે કે રાસમાળાનો ગુજરાતી અનુવાદ પ્રગટ થાય એવી ફાર્બસની પોતાની જ ઇચ્છા હતી અને તેમણે યોગ્ય અનુવાદકનું નામ સૂચવવા સર ટી.સી. હોપને વિનંતી કરી હતી. એ વખતે તેમણે રણછોડભાઈનું નામ સૂચવ્યું હતું, પણ તે માટે મુંબઈ જઈ ફાર્બસને મળવું જરૂરી હતું, જે એ વખતે રણછોડભાઈ માટે શક્ય નહોતું. એટલે અનુવાદ થઈ શક્યો નહિ. ફાર્બસના અવસાન પછી ‘ફાર્બસ ગુજરાતી સભા’એ અનુવાદનું કામ માથે લીધું અને તે માટે એ વખતની રીત પ્રમાણે અનુવાદના નમૂના મોકલવા જાહેર અપીલ કરી. આ રીતે આવેલા નમૂના ચકાસવા માટે એક સમિતિની નિમણૂક કરી. તેણે રણછોડભાઈનો નમૂનો પસંદ કર્યો અને તેથી અનુવાદનું કામ તેમને સોંપાયું.  

એ પણ નોંધવું જોઈએ કે આ ‘ગુજરાતી રાસમાળા’ની વાત ફાર્બસના અવસાન પછી જ વહેતી થઈ. ૧૮૫૬માં અંગ્રેજી રાસમાળા પ્રગટ થઈ ત્યારથી ૧૮૬૫ સુધી આવો દાવો કોઈએ કર્યો નથી. અગાઉ જે બે ચોપડાનો ઉલ્લેખ કર્યો છે તેમાં પણ ક્યાં ય આવો દાવો દલપતરામે કર્યો નથી. 

પણ દલપતરામની ‘ગુજરાતી રાસમાળા’ના પ્રકાશન અંગેની સૌથી વધુ ચોંકાવનારી માહિતી તો ‘બુદ્ધિપ્રકાશ’ની જૂની ફાઈલો ફંફોસતાં અણધારી રીતે મળી આવી છે. દલપતરામ, ફાર્બસ અને ‘રાસમાળા’ અંગે આજ સુધીમાં ઘણાંએ લખ્યું છે, ઘણું લખ્યું છે, પણ નવાઈની વાત એ છે કે આજ સુધી કોઈનું એ તરફ ધ્યાન જ ગયું નથી. ફાર્બસની અંગ્રેજી રાસમાળા ૧૮૫૬માં લંડનથી પ્રગટ થઈ. આ પુસ્તક લખવા માટે ફાર્બસ લાંબી રજા લઈને સ્વદેશ ગયા હતા. પુસ્તક પ્રગટ થયું તે પછી તેઓ હિન્દુસ્તાન પાછા આવ્યા અને ૧૮૫૭ના જાન્યુઆરીની ૧૦મી તારીખે સુરત પહોંચ્યા અને એક્ટિંગ જજ અને એજન્ટ ટુ ધ ગવર્નરની બેવડી જવાબદારી સંભાળી. અને ‘બુદ્ધિપ્રકાશ’ના ૧૮૫૮ના માર્ચ અંક(પાનું ૪૦)થી દલપતરામ ‘રાસમાળાની વાત’ હપ્તાવાર પ્રગટ કરવાનું શરૂ કરે છે. એ વખતે બીજાં ઘણાં સામયિકોની જેમ ‘બુદ્ધિપ્રકાશ’માં પણ આખા વરસના અંકોના સળંગ પાના નંબર અપાતા. ૧૮૫૮ના પાંચમા વર્ષમાં પાના નંબર ૪૦, ૬૩, ૮૦, ૯૮, ૧૧૩, ૧૨૯, ૧૫૨, ૧૬૭, અને ૨૦૯ ઉપર ‘રાસમાળા’ કે રાશમાળા’ શીર્ષક સાથે દલપતરામનું લખાણ પ્રગટ થયું છે. ૧૮૫૯માં પણ પાના નંબર ૩૦ અને ૪૪ ઉપર તે ચાલુ રહે છે. છેલ્લા હપ્તાને અંતે ‘અધૂરું’ લખ્યું છે, પણ તે પછી કોઈ હપ્તો છપાયો નથી. કશી ચોખવટ કર્યા વગર પ્રકાશન આ રીતે અધવચ્ચે કેમ અટકાવી દેવું પડ્યું હશે એ એક કોયડો છે. દલપતરામ ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી હતા અને પોતાનું દરેક લખાણ પહેલાં ‘બુદ્ધિપ્રકાશ’માં છાપતા. ફાર્બસ સાથેનો તેમનો સંબંધ જોતાં ફાર્બસે એ પ્રકાશન અટકાવવા કહ્યું હોય એમ માનવું મુશ્કેલ. એક અનુમાન સૂઝે છે : ૧૮૫૩થી ૧૫ વરસ સુધી ટી.બી. કર્ટિસ સોસાયટીના સેક્રેટરી હતા. ફાર્બસના અવસાન પછી તેમણે દલપતરામની ‘ગુજરાતી રાસમાળા’નું પ્રકાશન એ છાપવા માટે ફાર્બસે ૨૦૦ રૂપિયાના કાગળ મોકલ્યા હોવા છતાં સોસાયટી દ્વારા ન કરતાં દલપતરામના બે હસ્તલિખિત ચોપડા મુંબઈ ‘ફાર્બસ ગુજરાતી સભા’ને મોકલી દીધા હતા. તો ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થતી લેખમાળાનું પ્રકાશન તેમણે અટકાવ્યું હોય? નહીંતર દલપતરામ પોતાની લેખમાળાનું પ્રકાશન અધવચ્ચે પડતું શા માટે મૂકે?

‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલી ‘જયસીખરી ચાવડાની વાત’

એવી જ રીતે આ લેખમાળાની શરૂઆત પણ ગૂંચવણ ભરેલી છે. પાંચમા પુસ્તકના ૪૦મા પાના પર પહેલી વાર ‘રાસમાળાની વાત’ મથાળાથી લખાણ છપાયું છે. પણ તેને મથાળે લખ્યું છે : ‘ગયા ચોપાનિયાના પૃષ્ટ ૧૬મેથી સાંધણ. ભાગ ત્રીજો.’ પણ ૧૮૫૮ના પહેલા અંકમાં પાના ૧૩-૧૬ ઉપર ‘રાસમાળા’ મથાળા નીચે નહિ, પણ સ્વતંત્ર રીતે ‘જયશિખરી ચાવડાની વાત’ લખાણ છપાયું છે. અને તેને મથાળે છાપ્યું છે ‘ગયા પુસ્તકમાંના પૃષ્ટ ૧૬૪મેથી સાંધણ.’ ‘ગયું પુસ્તક’ એટલે ૧૮૫૭નું (ચોથું) પુસ્તક. એ વરસના ૧૫૫થી ૧૬૪મા પાના સુધી ‘જયસિખરી ચાવડાની વાત’ છપાઈ છે. એ પહેલાંના કોઈ અંકમાં તેનું પુરોસંધાન જોવા મળતું નથી. એના પરથી અનુમાન કરવું રહ્યું કે ‘જયસિખરીની વાતના’ બે હપ્તાને પછીથી દલપતરામે ‘રાસમાળા’ના પહેલા બે હપ્તા ગણીને નામ બદલીને ‘રાસમાળાની વાત’ કર્યું હશે. એટલે કે, અંગ્રેજી ‘રાસમાળા’ના પ્રકાશન પછી ફાર્બસ હિન્દુસ્તાન પાછા આવ્યા તે જ વરસે દલપતરામે તેની કાચી સામગ્રી ફાર્બસનો, કે તેની રાસમાળાનો ઉલ્લેખ સુધ્ધાં કર્યા વગર ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ કરવાનું શરૂ કરી દીધું હતું! 

એટલે, ‘ગુજરાતી રાસમાળા’ પ્રગટ થાય એવી ખુદ ફાર્બસની જ ‘છેલ્લી ઇચ્છા’ હતી, એ ઇચ્છા પૂરી કરવા દલપતરામ આતુર હતા, પણ તેમની હયાતિમાં એ પૂરી થઇ નહિ, એવી વાત કોઈ રીતે ટકી શકે તેમ નથી. વળી એવો સવાલ પણ કરી શકાય કે જો આ બે ચોપડા ૧૮૫૭-૫૮-૫૯માં દલપતરામ/સોસાયટી પાસે હતા (એ વગર હપ્તાવાર પ્રકાશન શક્ય ન બન્યું હોય) તો તે પાછા ફાર્બસ પાસે ક્યારે અને શા માટે ગયા? કારણ દલપતરામ કહે છે કે ફાર્બસના અવસાનના થોડા દિવસ પહેલાં મુંબઈમાં થયેલી છેલ્લી મુલાકાત વખતે ફાર્બસે તે પોતાને આપ્યા હતા.     

જેમ દલપતરામના ચોપડા ‘ફાર્બસ ગુજરાતી સભા’માં સચવાયા છે તેમ ફાર્બસના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલા ચાર મોટા, લેજર સાઈઝના ચોપડા પણ સચવાયા છે. તેમાંથી બે નંબરના ચોપડામાં ‘પ્રબંધચિંતામણી’નો ફાર્બસે કરેલો અંગ્રેજી અનુવાદ છે, જે આજ સુધી અપ્રગટ રહ્યો છે. પાંચ નંબરના ચોપડામાં શત્રુંજયવર્ણન (સંસ્કૃત), દશેરા બનાવ (ગુજરાતી), જેવી કેટલીક પ્રકીર્ણ કૃતિઓ તથા મૌખિક પરંપરામાંથી ભેગી કરેલી કથાઓ છે. છ નંબરના ચોપડામાં પૃથુરાજરાસો (ગુજરાતી) અને દ્વયાશ્રય (સંસ્કૃત) જેવી કૃતિઓના વિગતવાર સારાંશ અંગ્રેજીમાં લખ્યા છે. આઠ નંબરના ચોપડામાંની સામગ્રી પ્રકીર્ણ પ્રકારની છે. તેમાં કેટલાંક કથા, કિસ્સા, વંશાવળી, શિલાલેખો અને તામ્રલેખોના અનુવાદ જોવા મળે છે. આ સામગ્રી જોતાં લાગે છે કે મોટે ભાગે આ છેલ્લો ચોપડો હશે. એક, ત્રણ, ચાર, અને સાત નંબરના ચોપડા ‘ફાર્બસ ગુજરાતી સભા’ના સંગ્રહમાં જોવા મળતા નથી. દેશના કે વિદેશના બીજા કોઈ પુસ્તકાલય પાસે એ હોય એવી માહિતી હજી સુધી મળી નથી, પણ શોધ ચાલુ છે. 

એટલે, ‘રાસમાળા’ ફાર્બસની જ કૃતિ. તેને માટેની કેટલીક કાચી સામગ્રી દલપતરામે ભેગી જરૂર કરી આપેલી. અને એ અર્થમાં તેઓ ફાર્બસના સહાયક પણ ખરા. પણ ‘રાસમાળા’ એ મૂળ દલપતરામની કૃતિ, અને ફાર્બસ તો તેના માત્ર અનુવાદક, કે મહેનત બધી દલપતરામની અને જશ મળ્યો ફાર્બસને તેવી વાત કોઈ રીતે ટકી શકે તેમ નથી.

e.mail : deepakbmehta@hotmail.com

Loading

19 July 2024 Vipool Kalyani
← असुरक्षा का भाव चमका रहा है बाबाओं का धंधा
ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી), સંવિધાન દિવસ (26 નવેમ્બર) : આવા સકારાત્મક અભિગમને બદલે આમ નકારાત્મક ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved