Opinion Magazine
Number of visits: 9559947
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાત ફાઇલ્સ : ફરી વાગોળવાની વેળા

પાર્થ ત્રિવેદી|Opinion - Opinion|18 July 2016

રાણા અયુબના પુસ્તક ‘ગુજરાત ફાઈલ્સ-એનાટોમી ઑફ અ કવરઅપ’નું વિમોચન ૨૬મી જૂનના રોજ અમદાવાદમાં આવેલા કૉન્ફલિક્ટૉરિયમમાં યોજાયું. પુસ્તકનું વિમોચન બાબા મુકુલ સિન્હાને યાદ કરી નિર્ઝરી સિન્હાને હસ્તે થયું. પુસ્તક જે વ્યક્તિઓને અર્પણ કરવામાં આવ્યું છે, તેમાંના એક મુકુલ સિન્હા છે. અમદાવાદમાં આ પુસ્તકના વેચાણ પર જ્યારે અઘોષિત પ્રતિબંધ હોય ત્યારે તેનું વિમોચન યોજાય તે મહત્ત્વની ઘટના છે. પુસ્તકની વિગતો અને ચર્ચાયેલા મુદ્દાઓની વાત કરીએ તે પહેલાં ગગન શેઠીએ આ કાર્યક્રમનું આયોજન કર્યું તે બદલ ધન્યવાદ આપવા ઘટે.

રાણા અયુબ ‘તહેલકા’માં પત્રકાર હતાં, ત્યારે ગુજરાતમાં શોધ – પત્રકારિતાના ભાગ રૂપે તેમણે જે પડકારરૂપ કામ કર્યું, તેની વિગતોનું પુસ્તક એટલે ગુજરાત ફાઇલ્સ. તહેલકા સ્ટિંગ ઑપરેશન અને શોધ – પત્રકારિતા અંગે વિ(કુ)ખ્યાત છે. ૨૦૧૦માં તહેલકા અંતર્ગત રાણા અયુબ દ્વારા ગુજરાતમાં સ્ટિંગ ઑપરેશન કરી ગુજરાતની ઘટનાઓ અને અધિકારીઓની ભૂમિકા અંગેની વિગતો મેળવવાનું નક્કી થયું.

છવ્વીસ વર્ષની ઉંમરે રાણાએ આ પડકાર ઝીલી લીધો. રાણાએ પોતાની ‘મૈથિલી ત્યાગી’ કે જે અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ બાદ ગુજરાતના વિકાસ અંગે જાણવા-સમજવા આવનાર ફિલ્મમેકર છે તેવી ઓળખ ઊભી કરી. ગુજરાતના ફિલ્મનિર્માણ સાથે જોડાયેલા કલાકારોના સંપર્ક દ્વારા તેમને બીજા અધિકારીઓ અને રાજકારણીઓનો સંપર્ક કર્યો. આઠ માસના સમયગાળામાં મૈથિલીએ ગુજરાતમાં બનેલા ૨૦૦૨ના હત્યાકાંડ, ફેક ઍન્કાઉન્ટર અને હરેન પંડ્યા-હત્યા વગેરે સાથે જોડાયેલા અધિકારીઓ અને રાજકારણીઓનું સ્ટિંગ ઑપરેશન કર્યું, જેની વિગતો એટલે કે સ્ટિંગના સંવાદો સ્ટિંગ કર્યા પહેલાં અને પછીના સંદર્ભ સાથે પુસ્તકમાં છે. સ્ટિંગ કરવા માટેની પૂર્વતૈયારી, પોતાની ઓળખ બદલી નવું વ્યક્તિવ (મૈથિલી ત્યાગી) કઈ રીતે જીવવું, સ્ટિંગ કરવા દરમિયાન અનુભવેલા પડકારો, પકડાઈ જવાનો ભય અને બચાવ પ્રયુક્તિઓ, અધિકારીઓ પાસેથી મળતી માહિતી વગેરે વિશે વધુ જાણવા પુસ્તક વાંચવું રહ્યું. પુસ્તક એક વાર વાંચવાનું શરૂ કરીએ, તો અંત સુધી જિજ્ઞાસા જળવાઈ રહે તે રીતે લખાયું છે. પુસ્તકમાં જે સંવાદોનું લખાણ છે, તેની વીડિયો ક્લિપ્સ રાણા પાસે છે, જે સંવાદોને પુરાવારૂપ પીઠબળ પૂરું પાડે છે. ઑનલાઇન બુકસ્ટોર ઍમેઝોન પર પણ ૨૯મી મે દરમિયાનના બેસ્ટ સેલર પુસ્તકમાંનું એક ગુજરાત ફાઇલ્સ છે. ગુજરાત જ્યારે આ ઘટનાઓમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે કિશોરાવસ્થામાં રહેલી આજની યુવા પેઢીએ આ પુસ્તક ખાસ વાંચવા જેવું છે.

પુસ્તકની વિગતો, પત્રકારિતાના માધ્યમ તરીકે સ્ટિંગ અને પત્રકારની નિસબત વગેરે મુદ્દાઓની ચર્ચા કરવી જરૂરી લાગે છે. ‘તહેલકા’માં રાણા તે સમયે કામ કરતાં હતાં છતાં, તેના તંત્રી શોમા ચૌધરી અને તરુણ તેજપાલે આ વિગતો છાપવા નનૈયો ભણ્યો. વળી, કેટલાકે તેને મહત્ત્વહીન સહજ સંવાદોમાં પણ ખપાવ્યા. છેલ્લાં પાંચ વર્ષમાં રાણાએ સંપર્ક કરેલી ન્યુઝચેનલ્સ કે પબ્લિકેશન સંસ્થાનોમાંથી પણ કોઈએ પુસ્તક પ્રકાશિત કરવાની તૈયારી ન બતાવી, જે પુસ્તકની ગંભીરતા બતાવે છે. રાણાની પુસ્તક પ્રકાશિત કરવા પાછળની પાંચ વર્ષની જદ્દોજહદ અને તે પછી પણ સ્વયંપ્રકાશિત કરવું પડ્યું, તે પુસ્તકની અલગ જ સફર છે. વળી, આપણા માધ્યમોમાં સ્વતંત્રતા અને નિસબત કેટલાં જળવાયેલાં છે તેની સાક્ષી પણ છે. રાણાએ સ્ટિંગ કરવા પાછળ જે ધીરજ અને બહાદુરી બતાવી તેના કરતાં અનેક ગણી ધીરજ સ્ટિંગ થયા બાદ પુસ્તક પ્રકાશિત થયા સુધીનાં પાંચ વર્ષમાં રાખી હશે. પત્રકાત્ત્વ-વર્તુળમાં આ સ્ટિંગ અંગેનો ખ્યાલ હોવાથી રાણાને બીજે પત્રકાર તરીકે પણ નોકરી ન મળી. છતાં પાંચ વર્ષો સુધી મથ્યા રહેવાનું અઘરું કામ રાણાએ કર્યું.

સરકારી અધિકારીઓ અને રાજકારણીઓનાં સ્ટિંગ બાદ તે સમયના મુખ્યપ્રધાન સુધી પહોંચવાની શક્યતા ઊભી થઈ અને એક મુલાકાત પણ ગોઠવાઈ. પરંતુ તે પછી આગળ સ્ટિંગ ન કરવા ‘તહેલકા’ના તંત્રીઓએ જણાવતા સ્ટિંગ ઑપરેશન ત્યાં પડતું મૂકાયું. જે વ્યક્તિ આઠ મહિનાથી ઊંડાં ઉતરી કામ કરતી હોય તેના માટે, તેને મળેલા કહેતા ઊભા કરેલા અવસરને છોડી સ્ટિંગ ઑપરેશન પડતું મૂકવું કેટલો ધક્કો આપનારું હોય તે કલ્પવું સહેલું પણ જીરવવું અઘરું હોય છે.

પોતે મુસ્લિમ હોઈ હિન્દુ ઓળખ ધારણ કરી, ગુજરાતમાં સરકારી અધિકારીઓ અને રાજકારણીઓનું સ્ટિંગ કરવું તે ઘણી જ બહાદુરીનું કામ છે. સાથે જોડાયેલો બીજો મુદ્દો છે રાણાનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો. તનાવ અને નિરાશાને કારણે મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર લેવી. રાત્રે ઊંઘ લાવવા માટે દવાઓનું સેવન અને બંધાણ. વ્યક્તિ જ્યારે સરકારી માળખાં સામે ઝીંક ઝીલી, જે તીવ્રતા અને નિસબતથી પોતાની વાત મૂકે છે, તેની પાછળ તેનાં મનોવૈજ્ઞાનિક પરિબળો કેટલી અસરકારક ભૂમિકા ભજવે છે, તેનો ખ્યાલ આપણને આવે છે. અંગત મિત્રો અને પરિવારનો સહકાર ન હોય, તો આવી વ્યક્તિની સ્થિતિ શું થાય તે વિચારવું રહ્યું. વળી, અનેક પ્રકારનાં માધ્યમોથી ઇરાદાપૂર્વકની હેરાનગતિઓ અને લાલચોમાં ફસાવાની પ્રયુક્તિઓમાંથી બચીને અને ઝઝૂમીને ટકી રહેવા માટે પણ માનસિક રીતે ઘણું જ મજબૂત હોવું અનિવાર્ય છે.

માધ્યમ તરીકે સ્ટિંગનો ઉપયોગ કરવો કે નહીં તેની ચર્ચા પણ આ પુસ્તકથી જાહેર વિમર્શમાં કરવી રહી. રાણાએ દરેક અધિકારીઓ સાથે એક વિશેષ સંબંધ ઊભો કર્યો જેથી માહિતી મળી શકે. બધાના પરિવારો સાથે થયેલા ઘરોબા બાદ પણ વ્યાપક નાગરિક-નિસબત માટે અધિકારીઓના સ્ટિંગકાર્યની વાત કરતાં રાણાનો ખચકાટ, તેની આંતરિક ગ્લાની કહેતા સૂક્ષ્મ રીતે પણ વિશ્વાસઘાત કર્યાની ભાવના હશે તેમ માની શકાય.

સ્ટિંગની પોતાની એક મર્યાદા એ છે કે ટૂંકા ગાળામાં તેનો ઉપયોગ કોઈ કરી શકતું નથી. વળી, માહિતીને વધુ ગોપનીય રાખવાના રસ્તાઓ માટે સરકાર અને અધિકારીઓ પ્રયત્નશીલ બને છે. તેમ જ જે મર્યાદાઓનો લાભ લઇ સ્ટિંગ ઑપરેશન શક્ય બન્યું હોય તેને નિષ્ક્રિય બનાવતા પગલાં લેવાય તેમ પણ બને. આમ, ફરી વાર સ્ટિંગથી સત્ય બહાર લાવવું અઘરું ચોક્કસ છે, પણ અશક્ય નથી. વળી, પત્રકારિતા માટે સ્ટિંગ વ્યાપક રીતે ઉપયોગમાં લઈ શકાય કે નહીં તે પણ વિચારવાનો મુદ્દો છે.

ગુજરાતને કેન્દ્રમાં રાખીને લખાયેલું આ પુસ્તક જરા વ્યાપક વિમર્શના મુદ્દાઓને પણ ખોલી આપે છે. અધિકારીઓ અને રાજકારણની ભાગીદારી અને કેટલીક વખત અધિકારીઓનો હાથા તરીકે થતો ઉપયોગ, વ્યક્તિ તરીકે અધિકારીઓ સારા હોય પરંતુ તંત્રના ભાગ રૂપે, તેમાં ટકી રહેવા અને લાભ મેળવવા કરવા પડતાં સમાધાનો, સરકારને સાચું કહેવાની હિંમત અને તે પછીનાં પરિણામો ભોગવવાની તૈયારી, વળી જે વિગતો રાણા સાથેની અંગત વાતમાં તેમણે જણાવી તે જ વિવિધ તપાસ પંચો સમક્ષ કેમ ન કહી તે ન્યાયનો પ્રશ્ન તો ઊભો જ છે. તદુપરાંત, ગુજરાત સિવાય પણ જ્યાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે, તેમાં સરકારનું ચારિત્ર્ય સમાન છે. ફક્ત ગુજરાતમાં કદાચ તે ઘટનાઓનો રાજકીય લાભ જેટલો સરળતાથી લેવાયો અને જે ઊંચાઈએ પહોંચ્યો, તે બીજે લેવાયો નથી.

અંતે તો એટલું જ કે સ્ટિંગ ઑપરેશનથી મળતી માહિતી આપણને સત્યની વધુ નજીક ચોક્કસપણે લઈ જાય છે, પણ લોકતંત્રમાં જ્યાં સુધી તેને લોકમતના ઘડતર સુધી વિસ્તારીને લઈ જવામાં ન આવે ત્યાં સુધી તેનું અસરકારક પરિણામ આપણને મળી ન શકે. આ સાથે જ જ્યારે આપણે ટોળાનો કે તંત્રનો ભાગ હોઈએ, ત્યારે અંગત હિતને બાજુ પર રાખી વ્યાપક હિતમાં સાચું બોલી અથવા જે સાચું બોલે છે તેને પડખે ઊભા રહેવાની હિંમત વિકસાવી શકીએ ખરાં? કારણ કે હિંસા કરવામાં ભાગીદાર બન્યા બાદ પસ્તાવો કરવો અથવા કોઈનો હાથો બન્યાનો ભાવ સેવવો કોઈ રીતે યોગ્ય નથી. આ ઘટનાઓ આપણને માણસજાત તરીકે ઘસાયાનો ભાવ ચોક્કસ ઉપજાવે છે, પણ આપણે ઊજળા થઈએ છીએ ખરાં? આ લખાણના પ્રારંભે કહ્યું તેમ, આ પુસ્તકનાં વેચાણ પર જ્યારે અઘોષિત પ્રતિબંધ હોય ત્યારે તેવું વિમોચન યોજાય તે મહત્ત્વની ઘટના છે. પંરતુ કાર્યક્રમ દરમિયાન આયોજક કે અન્યો દ્વારા લાંબા અને ઓછા સંગત પ્રશ્નો પૂછીને ચર્ચાને પુસ્તકથી વિમુખ કરી, જેથી નિરસતા ઊભી થઈ. તો વળી પ્રશ્નોત્તરીમાં પણ કેટલાક અતિ ઉત્સાહી પ્રેક્ષકોએ પોતાની વિદ્વત્તા અને નિસબત બતાવવાનું ચાલુ રાખ્યું, જેથી રાણા અયુબને ઉત્તર આપવાનો અવકાશ ઘટ્યો કે નહીં તેની ખબર નથી. પરંતુ શ્રોતા તરીકે વક્તાને મન ભરીને સાંભળી ન શકાય તે તો ન જ ગમ્યું.

e.mail : parth.trivedi18@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 06-07

Loading

18 July 2016 admin
← પાકિસ્તાનના માનવધર્મી ગુજરાતી સેવક: અબ્દુલ સત્તાર એધી
Business As Usual →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved