Opinion Magazine
Number of visits: 9448716
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગૃહસ્થ સંન્યાસ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|18 July 2025

અરુણાના મનમાં ઉચાટ હતો અને હૃદય ધકધક થઈ રહ્યું હતું. હજી અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશનને આવવાને વાર હતી. પણ, અરુણાનું હૃદય સ્વ-ગૃહે પાછા ફરવાના હર્ષ સાથે દ્વિધાથી ભરાઈ ગયું હતું. અરુણાને ખબર હતી કે રેલવે સ્ટેશને તેની આવવાની રાહ જોઇને કોઈ ઊભું નહીં હોય. અરુણા મનમાં જ બોલી કે કોઈને ખબર હોય તો રેલવે સ્ટેશન પર તેડવા આવે ને, અને ટ્રેઈન આવવાની રાહ જોઇને ઊભું રહેને. અરુણા મનમાં જ આ વિચારથી હસી કે કોઈને પોતાના આવવાની ખબર નથી અને હું વિચારું છું કે રેલવે સ્ટેશન પર મારી રાહ જોતું કોઈ ઊભું હશે. અરુણાએ પોતાને સવાલ કર્યો, `અરુણા, તું જ વિચાર કે કોણ તારી રાહ જોઇને ઊભું હશે. તે, ઘર છોડ્યા પછી ક્યાં તારો કોઈ સાથે સંપર્ક રહ્યો છે.` અમદાવાદ આવવાને હજી વાર હતી. અરુણા વિચારોના ભવરમાં ખોવાઈ ગઈ, અતિતમાં આંટો મારવા ચાલી ગઈ.

અરુણાનો જન્મ સામાન્ય પણ ધાર્મિક વાતાવરણથી ભરેલા ઘરમાં થયો હતો. નાનપણથી તેને મંદિરે જવું, પૂજાપાઠ, વ્રતો કરવા એ બહુ ગમતું. ઘણી વખત દાદા, દાદી સાથે કથામાં જતી, સંતોની વાણીને સાંભળતી, તેને મજા આવતી. ઘરે આવીને કથામાં સાંભળેલી, સંતો પાસેથી સાંભળેલી વાતો, કથન વિશે દાદીમાને પ્રશ્નો પણ પૂછતી અને ન સમજાય ત્યા સુધી દાદીમાનો પીછો નહોતી છોડતી. એક દિવસ અરુણાએ દાદીમાને પૂછ્યું, “દાદીમા, પ્રભુભજન અને આત્મકલ્યાણ માટે ઘર છોડી સંન્યાસ લેવાની જરૂર ખરી?” દાદીમા આ પ્રશ્નથી વિચારમાં પડી ગયાં હતાં કે આ નાની બાળકી ગતજન્મના ધાર્મિક સંસ્કાર લઈને જન્મી લાગે છે. એ સિવાય તેને રમવાની ઉંમરે આવા પ્રશ્નો ન સૂઝે.

ત્યારે દાદીમાએ કહ્યું હતું કે “ના બેટા, આત્મકલ્યાણ અને પ્રભુભજન માટે સંન્યાસ લેવો જરૂરી નથી. ગૃહસ્થાશ્રમ, શ્રેષ્ઠ આશ્રમ છે. સાંસારિક જવાબદારી સાથે પણ પ્રભુભજન થઈ શકે. મીરાબાઈ, પાનબાઈ, નરસિંહ મહેતા, તુલસીદાસ આવા ઘણા બધાં સંતોએ ગૃહસ્થજીવન સાથે પ્રભુભજન કર્યું હતું. દાદીમા, માતા, પિતા સાથે ધાર્મિક ચર્ચા અને અભ્યાસ સાથે અરુણા વયસ્ક થઈ યુવાનીના ઉંબરે પહોચી ગઈ હતી. કોલેજમાં અભ્યાસ ચાલતો હોવા છતાં આધુનિક સમાજનો, સોશિયલ મીડિયાનો રંગ તેને લાગ્યો નહોતો. આ બાબતે એ ઘણી વખત સહિયરોમાં હાંસીને પાત્ર પણ થતી એટલે જ અરુણાનાં માતાપિતાને અરુણા માટે યોગ્ય વર શોધવાની ચિંતા હતી. પણ, કહેવાય છે ને જોડી તો પ્રભુ નિર્મિત હોય છે પૃથ્વી પર તો ખાલી મેળાપ થાય છે. અરુણા માટે પણ જોઈએ એવું સંસ્કારી અને ધાર્મિક કુટુમ્બ મળી ગયું અને રંગેચંગે અરુણાના લગ્ન પણ સંપન્ન થઈ ગયા.

અરુણાના પતિનું નામ મનોજ હતું. ગવર્નમેન્ટ ઓફિસમાં સર્વિસ હતી. લોકોની માન્યતા પ્રમાણે તેની પાસે મલાઈદાર ખાતું હતું. પણ, મનોજ ઘરના સંસ્કાર પ્રમાણે ઈમાનદારીથી સર્વિસ કરવામાં માનતો હતો. તેને ઉપરની આવકનો કોઈ મોહ નહોતો. અરુણા, મનોજ સાથે ઘરમાં સેટ થઈ ગઈ હતી. ક્યારેક ક્યારેક મનોજ સાથે મંદિરે જતી અને સાસુજી સાથે કથા, વાર્તા, ભજનમાં જતી.

પૂર્વજન્મના સંસ્કાર કહો કે ઘરનું ધાર્મિક વાતાવરણ કહો, એક વખત અરુણા સાસુજી સાથે એક હરિદ્વારથી આવેલા સંતની કથા સાંભળવા ગઈ હતી. સંતની કથામાં એવી તો ઓતપ્રોત થઈ ગઈ કે પછી સંતની બધા દિવસની કથા સાંભળવા ગઈ અને મનમાં સંન્યાસ લેવાની ઈચ્છા જાગૃત થઇ ગઈ. એક દિવસ સમય લઈને સંતને મળી.

સંતે કહ્યું, “બેટા, અત્યારે તારો ધર્મ સાસુ-સસરાની સેવા અને ગૃહસ્થધર્મ નિભાવવાનો છે. એ ધર્મ સાથે તું આત્મકલ્યાણ અને પ્રભુભક્તિ કરી શકે છો. આ માટે સંન્યાસ લેવો જરૂરી નથી. બેટા, સંન્યાસનો પથ બહુ વિકટ પથ છે. તેમાં ડગલે ને પગલે સમસ્યાઓ ઊભી થતી હોય છે. સંન્યાસીનું કોઈ નિયત ઠેકાણું હોતું નથી. વળી, તું, તો દીકરી છો એટલે બેટા, તું સંન્યાસ માટેનો વિચાર તજીને અત્યારનો તારો ગૃહધર્મ નિભાવ. ઘરે રહીને પ્રભુની આરાધના કર.” અરુણા, સંતના આ પ્રકારના કથનથી નારાજ થઈને ઘરે આવતી રહી. સંત મહાત્મા તો કથા પૂરી થતાં તેની આગળની યાત્રા પર ચાલ્યા ગયા.

મનોજે જોયું કે અરુણાનું મન હમણાં હમણાં વિચલિત દશામાં હોય એવું લાગે છે. તેણે એક દિવસ પૂછ્યું, “અરુણા, શું વાત છે? સંત મહાત્માની કથા સાંભળ્યા પછી તું કઈક દ્વિધામાં અને વિચલિત મનોદશામાં હોય એવું લાગે છે. કોઈ વાત કે મુશ્કેલી હોય તો મને કહે. તારા મનમાં જે કઈ મૂંઝવણ હોય એ મને કહે, તો તારી મૂંઝવણનો રસ્તો નીકળી શકે. આપણે પતિ-પત્ની છીએ આપણી વચ્ચે કોઈ વાતનો પડદો ન હોય.”

અરુણાએ કહ્યું, “ના,ના,એવું કંઈ નથી પણ મને સંન્યાસ લેવાની અને આત્મ કલ્યાણ માટે કંઈક કરવાની ઈચ્છા જાગી છે. મીરાબાઈની જેમ પ્રભુમાં એકાકાર થવાની ઈચ્છા જાગી છે. હું, સંત મહાત્માને મળી હતી એમણે કહ્યું કે `અરુણા, ગ્રહસ્થ આશ્રમ એ જ શ્રેષ્ઠ આશ્રમ છે. તારે સંન્યાસ લેવાની કોઈ જરૂર નથી. તું, અત્યારે જે કરે છો એ તારો આત્મકલ્યાણ માટેનો જ રસ્તો છે.”

“અરુણા, સંત મહાત્માએ જે કહ્યું એ સાચું જ કહ્યું છે. તું અત્યારે જે કરી રહી છો એ આત્મકલ્યાણનો જ માર્ગ છે. માતાપિતાની સેવા અને ગૃહસ્થાશ્રમની જવાબદારી સાથે પ્રભુભજન કરવું એ ખૂબ જ કઠિન અને અઘરું કાર્ય છે. તું અત્યારે તો એ બંને જવાબદારી નિભાવી રહી છો એટલે મનમાંથી એ વિચાર કાઢી નાખ. તું એ વિચાર કે તારા વગરનું આ ઘર કેવું થઈ જશે. આ ઘર મંદિર છે એ મૂર્તિ વગરનું મકાન થઈ જશે. તારા વગર અમે નોધારા અને પ્રાણ વગરના થઇ જઈશું. તું તો અમારા જીવનનો આધાર છો. મારું મન અને આ ઘર ખાલી ખાલી થઇ જશે. મને આવી આકરી સજા ન કરતી, હું, તારા ધર્મના કે આત્મકલ્યાણના માર્ગમાં ક્યાં ય આડો નહીં આવું.”

આખરે એક દિવસ કોઈને પણ જાણ કર્યા વગર અરુણા હરિદ્વાર સંત મહાત્માના આશ્રમે પહોંચી ગઈ. સંત મહાત્મા તો જ્ઞાની મહાત્મા હતા તેણે વિચાર્યું કે અત્યારે આ દીકરીને કંઈ કહેવાનો અર્થ નથી. સમય આવે સમજણ આપવી પડશે. અરુણા હજી આશ્રમના વાતાવરણને અનુકૂળ થવાનો પ્રયત્ન કરી રહી હતી. સંત મહાત્મા પાસે બેઠી હતી ત્યાં એક યુવક આવ્યો અને કહ્યું, “ગુરુજી, તમારી વાત આજે મને સમજાય છે. અત્યારે પ્રાથમિકતા સંન્યાસજીવન નહીં પણ સાંસારિક જવાબદારીની છે. મારા જન્મદાતાની પાછલી અવસ્થાને સંભાળવાની અને સરળ બનાવવાની છે એટલે ગુરુજી, મને આજ્ઞા આપો અને આશીર્વાદ આપો કે એ જવાબદારી પૂરી કરીને હું તમારી સેવામાં ફરી ઉપસ્થિત થઈ શકું.”

“બેટા, મેં તને પહેલાં પણ કહ્યું હતું કે આપણા ઋષિ મુનિઓએ જીવનને ચાર આશ્રમમાં વહેચ્યું છે તેનું કારણ આજ છે. આપણા ઋષિ મુનિઓ પણ ગૃહસ્થજીવન સાથે આત્મઉધ્ધાર અને આત્મકલ્યાણ માટે સાધનાઓ પણ કરતા હતા. એ સાધનામાંથી મેળવેલ જ્ઞાનને લોકોમાં વહેચતા હતા. ગ્રહસ્થજીવન દરમ્યાન જ તેમને વેદો, પુરાણોની અનેક ધાર્મિક ગ્રંથોની રચના કરી છે. મારા તને આશીર્વાદ છે કે તું તારી ઈચ્છા પૂરી કરી શકીશ. ફરી તું આ આશ્રમમાં આવીને રહી શકીશ.”

અરુણા આ વાર્તાલાપ સાંભળી રહી હતી. તેણે સંત મહાત્મા સામે જોયું. સંત મહાત્માએ કહ્યું “હું તારા મનોભાવ સમજી ગયો છું. મેં તને કથા પછી દર્શને આવી ત્યારે આ જ વાત કરી હતી. બેટા, તારી જવાબદારી નિભાવ અને ગૃહસ્થજીવન સાથે આત્મકલ્યાણ કર. આ જ તારી સાચી પ્રભુ ભક્તિ છે.”

અચાનક અરુણાની વિચાર તંદ્રા તૂટી કારણ કે ટ્રેન કાળુપુર રેલવે સ્ટેશનમાં દાખલ થઈ રહી હતી. અરુણા પાસે સામાન તો બહુ હતો નહીં. રિક્ષા કરી ઘરે પહોંચી, રિક્ષામાં એ વિચારી રહી હતી કે મેં જે કર્યું છે તેનાથી ઘરના બધાં નારાજ તો થયાં જ હશે. મને કેવો આવકાર મળશે? મનોજ મને સ્વીકારી તો લેશે ને? ઘરમાં પ્રવેશવા અને રહેવા તો દેશે ને? મેં, મનોજને વધુમાં વધુ પીડા આપી છે. જો મને મનોજ અને મારા સાસુ સસરા નહીં સ્વીકારે તો મારું શું થશે? વળી વિચાર આવ્યો, ના, એવું નહીં બને. મેં ક્યાં કોઈ ખરાબ કૃત્ય કર્યું છે કે કોઈ અપરાધ કર્યો છે. મારી સાથે સંત મહાત્માના આશીર્વાદ છે એટલે કોઈ વિરુદ્ધ બાબત નહીં બને. આ વિચારમાં રિક્ષા ક્યારે ઘરના બારણે પહોંચી ગઈ એ ખબર ન રહી.

અરુણાએ ધીરેથી બારણાની ડોરબેલ વગાડી. મનમાં તો ફડકો હતો કે શું થશે? શું થશે? મનોજે બારણું ઊઘડ્યું, સામે અરુણાને જોઈને તેનું હૃદય થડાકો ચૂકી ગયું, સ્વસ્થ થઈને કહ્યું, “આવ, આવ, લાવ તારો સામાન મને આપ, સ્વગૃહે તારું હાર્દિક સ્વાગત છે.” અને અવાજ કરી કહ્યું, “મમ્મી, અરુણા સ્વગૃહે પાછી આવી ગઈ છે.” અરુણાએ મનોજ સામે જોયું અને મનોજે કહ્યું કે અરુણા સ્વગૃહે પછી આવી ગઈ છે. આ શબ્દો સાંભળી અરુણાનો મનનો બધો ભય ભાગી ગયો. મનમાં ઊભી થયેલી દ્વિધા અને ઉચાટ દૂર થઇ ગયા.

અરુણાએ દોડીને સાસુસસરાને પગે લાગીને કહ્યું, “મમ્મી, મારી દાદીમા કહેતા કે ‘બેટા આત્મકલ્યાણ અને પ્રભુભજન માટે સંન્યાસ લેવો જરૂરી નથી. ગૃહસ્થાશ્રમ, શ્રેષ્ઠ આશ્રમ છે. સાંસારિક જવાબદારી સાથે પણ પ્રભુભજન થઈ શકે. મીરાબાઈ, પાનબાઈ, નરસિંહ મહેતા આ બધાંએ ગૃહસ્થજીવન સાથે જ પ્રભુભજન કર્યું હતું. મમ્મી, દાદીમાની વાત આજે મને સાચી લાગે છે. મારી બધી ગેરસમજણ દૂર થઇ ગઈ.”

“હા, બેટા. તું થાકી ગઈ હોઈશ,આરામ કરી લે, પછી નિરાંતે વાત કરશું.”

અરુણાને આજે ગૃહસ્થજીવન સાથે આત્મકલ્યાણ અને પ્રભુભજનનો સુમેળ થતો હોય એવું લાગ્યું. ગૃહસ્થ સંન્યાસના સૂર્યનો ઉદય થતો લાગ્યો.

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

18 July 2025 Vipool Kalyani
← અભી બોલા અભી ફોક
જિજ્ઞાસાની ભાવના અમને પણ યલોસ્ટોન ખેંચી લાવી છે ! →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved