Opinion Magazine
Number of visits: 9507615
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગ્રાન્ટેડ કોલેજોનું કોકડું ઉકેલાય તો સારું …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 August 2021

ગઈ કાલે એવા બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે હવે નહીં થાય ગ્રાન્ટેડ કોલેજોનો ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ. એક ચેનલે તો એમ પણ કહી દીધું કે ખાનગી યુનિવર્સિટીમાં હવે પછી કોઈ પણ ગ્રાન્ટેડ કોલેજોનાં જોડાણ થશે નહીં. ચેનલોની વાત સાચી જ હશે, પણ એ જાહેરાત સરકારની નથી તે સમજી લેવાનું રહે. થોડી આડ વાત લાગે તો પણ એ કહેવું છે કે ગુજરાતી ચેનલો સાચું, ખોટું કરીને કહેતી હોય છે ને ખોટું, સાચું હોય તેમ બોલતી રહે છે. કોઇની પણ સામે માઇક ધરીને થતા ઈન્ટરવ્યૂ એટલા અણઘડ હોય છે કે વર્ષો પછી પણ એમાં પરિપક્વતા જણાતી નથી. ઘણી વાર તો સત્ય જાણવું હોય તો કોઈ પણ ગુજરાતી ચેનલ જોવી ને એનાથી ઊલટું શું હોય તે વિચારીએ તો સત્ય લાધે એમ બને. પરીક્ષા બંધ રહેવાની હોય ને જૂનાં  ક્લિપિંગ્સ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય તેનાં બતાવાય. એવું કેટલી ય વાર બન્યું છે કે રેલનાં દૃશ્યો જૂનાં ઠઠાડી દેવાતાં હોય. એક તાજો દાખલો જોઈએ. અફઘાનિસ્તાનમાં તાલિબાનોના હાથમાં અણુશસ્ત્રો આવ્યાની વિગતો એક ચેનલે આપી. તાલિબાનોના હાથમાં શસ્ત્રો આવે તો શું થાય તે કહેવાની જરૂર નથી. ચેનલો બહુ થાય તો એ શસ્ત્રોનો જથ્થો બતાવી શકે, પણ એ ચેનલે તો એટલા વિસ્ફોટો બતાવ્યા કે વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હોય એવું લાગે. ચેનલોનું ચાલે તો તે આખી દુનિયામાં ભડકા કરી દે. અફઘાનિસ્તાન સાથે હજી તો વેપાર બંધ થયાની વાત જ આવે છે એટલામાં તો ભારતમાં ડ્રાયફ્રૂટ મોંઘાં થવાં લાગે છે. આમ પ્રજાને ભયભીત કરવાનો ગુનો નોંધાતો નથી, બાકી, કાનૂની રાહે જે તે ચેનલ પર કાર્યવાહી થઈ શકે.

ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ ખાનગી યુનિવર્સિટી સાથે નહીં થાય એ ન્યૂઝ, ચેનલોમાં ફ્લેશ જરૂર થયા છે, પણ એ સંપૂર્ણ સત્ય નથી. તે એટલા માટે કે આ લખાય છે ત્યાં સુધીમાં સરકારે એવી જાહેરાત કરી નથી કે ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટી સાથે નહીં જ જોડાય. એ જે જાહેરાત થઈ છે તે ગુજરાત અધ્યાપક મંડળ દ્વારા થઈ છે. મંડળની જાહેરાતને શંકાથી જોવાનું કોઈ કારણ નથી, પણ આ જાહેરાત સરકાર દ્વારા થઈ નથી તે નોંધવું ઘટે. જે થયું છે તેનો આનંદ જ છે, પણ હજી રાહ જોવાની રહે જ છે.

2009માં પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટ અમલમાં આવ્યો તેમાં 2011 અને 2021માં સુધારાઓ થયા ને ગ્રાન્ટેડને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાની વાત આવી. એ રીતે ગ્રાન્ટેડ કોલેજો જોડાય તો તેનું ફીનું ને પગારનું ધોરણ શું હશે તેની કોઈ સ્પષ્ટતાઓ સરકાર દ્વારા કરવામાં ન આવી ને એવી મૌખિક વાતો આવતી રહી કે ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટી સાથે જોડાય તો વિદ્યાર્થીઓની ફીનું ધોરણ ને અધ્યાપકોનું પગારનું ધોરણ સરકારી જ રહેશે, પણ આજ સુધી સરકારે કાનૂની સુધારો એ બાબતે કર્યો નથી. જે ખાતરી  અપાઈ તે મૌખિક હતી ને મૌખિક પર ભરોસો એટલે થાય એમ નથી કે કશું પુરાવા રૂપે હાથમાં આવ્યું નથી. ખાનગી યુનિવર્સિટી તો ગ્રાન્ટેડનું ભારણ ન ઉઠાવવા બાબતે સ્પષ્ટ હતી જ, બીજી તરફ ખાનગી યુનિવર્સિટી સાથે ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ કરવાને મામલે સરકાર પણ મક્કમ હતી. એટલે જ તો સરકારી યુનિવર્સિટી એ ગ્રાન્ટેડ કોલેજોને ખંખેરી મૂકી. એમાં થયું એવું કે ગ્રાન્ટેડ કોલેજો ન ઘરની રહી, ન ઘાટની ને એનો અધ્યાપકોએ, વિદ્યાર્થીઓએ, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળોએ વિરોધ કર્યો ને હવે અધ્યાપક મંડળોએ એવી જાહેરાત કરી છે કે ગ્રાન્ટેડનું જોડાણ જે તે યુનિવર્સિટી સાથે પૂર્વવત રહેશે. એ જાહેરાત થઈ ન થઈ ત્યાં તો વીર નર્મદ યુનિવર્સિટીની સિંડિકેટની બેઠક પણ મળી ગઈ ને એમાં એવું પણ ઠરાવી દેવાયું કે ગ્રાન્ટેડ કોલેજોને મામલે સરકાર જે નિર્ણય કરે તેનો અમલ કરાવવાની બધી સત્તા કુલપતિની રહેશે. જો સરકાર ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ વીર નર્મદ સાથે રાખે છે તો સુરત, બારડોલીની ગ્રાન્ટેડ કોલેજોનું કોકડું ઉકેલાઈ જશે, પણ તે પહેલાં અધ્યાપકો ને વિદ્યાર્થીઓ પ્રશ્ન ઊકલી ગયો છે એમ માનીને ઉત્સાહ દાખવી રહ્યા છે એમાં ઉતાવળ થતી હોવાનું લાગે છે.

કુલપતિ પાસેથી મળેલી માહિતી પ્રમાણે તો આ અંગેનો વટહુકમ બહાર પડશે અને કાયદામાં સુધારો થયા પછી અમલ થશે. એ વટહુકમ ક્યારે બહાર પડશે એ અંગે કોઈ વાત સરકાર તરફથી આવી નથી. એ આવતાં સમય લાગશે, ત્યાં સુધી યુનિવર્સિટી ઈચ્છે તો પણ કોઈ કાર્યવાહી કરી શકે એમ નથી. ધારો કે કોલેજોનું જોડાણ પૂર્વવત થયું છે એમ માનીએ તો પણ, વિદ્યાર્થીઓનો જે તે શાખામાં પ્રવેશ તો લંબાયો જ છે. એની ફી, એની ટર્મ, એની પરીક્ષાઓ વગેરે બાબતો તો ઘોંચમાં પડી જ છે. અધ્યાપકોનો પગાર તો મોડો વહેલોય થશે, પણ જે ટર્મ જૂનમાં ચાલુ થઈ જતી હતી તે સપ્ટેમ્બરમાં પણ શરૂ થશે કે કેમ તે પ્રશ્ન જ છે.

સરકારે ખાનગી યુનિવર્સિટીને લાગતો કાયદો 2009માં કર્યો. તેની કલમ 3 (1) (5)માં – એકસેપ્ટ ધ ગ્રાન્ટ ઇન એડ કોલેજ એન્ડ ઈન્સ્ટિટ્યૂશન્સ – શબ્દો હતા તે 22/05/21 થી પ્રસિદ્ધ કરવામાં આવેલા ગેઝેટથી દૂર કરવામાં આવ્યા. 21/05/2021 સુધી જે કોલેજો વીર નર્મદ યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી હતી તે ખાનગી યુનિવર્સિટી સાથે જોડી દેવાતાં 22/05/2021થી જોડાણ મુક્ત થઈ અને ખાનગી યુનિવર્સિટી તો ગ્રાન્ટેડને લેવા જ માંગતી ન હતી, કારણ સરકારે કોઈ ગ્રાન્ટ ન આપવાની શરતે જ ખાનગી યુનિવર્સિટીઓને અસ્તિત્વ બક્ષ્યું હતું, એટલે ગ્રાન્ટેડ કોલેજો નધણિયાતી થઈ ગઈ. પછી એવી વાત પણ આવી કે ખાનગી સાથે ગ્રાન્ટેડ કોલેજો જોડાશે તો વિદ્યાર્થીઓએ વધારે ફી નહીં ભરવાની આવે કે અધ્યાપકોનું હિત પણ નહીં જોખમાય, એનો ખર્ચ સરકાર ઉઠાવશે.

અહીં સવાલ એ થાય કે જો ગ્રાન્ટેડનો બધો જ બોજ સરકાર ઉઠાવવાની હતી તો તેને સરકારી યુનિવર્સિટીથી જુદી કરવાની જરૂર શી હતી? હતી ત્યાં શું ખોટી હતી? અધ્યાપક મંડળ કહે છે તે સ્વીકારીએ તો ગ્રાન્ટેડ કોલેજો જૈસે થે-ની સ્થિતિમાં આવશે. આ જૈસે થે – સુધી આવતાંમાં ઘણું બગડયું છે. સરકાર હજી પણ જૈસે થે-ની સ્થિતિમાં આવે તે અપેક્ષિત છે, ખબર નહીં, એને માટે એ કેટલો સમય લેશે, પણ તેણે જે સમય લીધો છે તે ગુનાહિત બગાડથી વિશેષ કૈં નથી. સરકારે હજી જેટલા ઠેકડા મારવા હોય એટલા મારી લે, પણ એક વાત સ્પષ્ટ છે કે જો ગ્રાન્ટેડને બંધ કરવાનો ઇરાદો ન હોય તો, તેનો બોજ સરકારે જ ઉપાડવાનો છે, ભલે પછી તે કોલેજોને સરકારી કે ખાનગી યુનિવર્સિટી સાથે જોડે. 21/05/2021 સુધી ગ્રાન્ટેડ કોલેજોનો કોઈ પ્રશ્ન ન હતો. તે સરકારી યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી. એ જોડાણ ચાલુ રહ્યું હોત તો વિદ્યાર્થી-અધ્યાપકોનો વિરોધ ઊઠ્યો ન હોત. જૂન સુધીમાં કોલેજોમાં પ્રવેશ થઈ શક્યા હોત, નવી ટર્મનું શિક્ષણ કાર્ય શરૂ થઈ શક્યું હોત કે અત્યાર સુધીમાં સામયિક પરીક્ષાઓ શરૂ થઈ શકી હોત, પણ એવું ન થયું. હજારો વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અટવાતા રહ્યા. ન તો તેમને સરકારી યુનિવર્સિટી સંઘરતી હતી કે ન તો ખાનગી યુનિવર્સિટી. આ આખું શૂળ પેટ ચોળીને સરકારે ઊભું કર્યું છે.

આ આખા ય વેપલામાં શિક્ષણ વિભાગની એ વિશેષતા બહાર આવી છે કે તેને દૂરનું જોવા-સમજવાની ટેવ નથી. આખો ય કારભાર તુક્કાઓથી ચાલે છે ને એનો ભોગ યુનિવર્સિટીઓ, કોલેજો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ બને છે. શેખચલ્લીને પાછળ મૂકી દે એવી મેધાવી ક્ષમતા શિક્ષણ વિભાગ ધરાવે છે. ખાનગી યુનિવર્સિટી એક્ટ 2009માં આવ્યો પછી એમાં જ 2011માં અને 2021માં સુધારાઓ થયા ને હજી એ અખતરાની સ્થિતિમાં જ છે એના પરથી લાગે છે કે આ વિભાગમાં દૂરંદેશીપણાનો ને સ્વસ્થતાનો અભાવ છે. કોઈ અખતરાખોર પેધો પડી ગયો તો હજી ઘણું ધનોતપનોત નીકળી શકે એમ છે. થોડું પણ દૂરનું વિચારવાનું બને તો પ્રજા અટવાતી બચે. ખાનગી યુનિવર્સિટીનો કોઈને વાંધો નથી ને જે જરૂરતમંદો સ્થિતિ સંપન્ન છે તે પૈસા ખર્ચીને જોઈતું શિક્ષણ મેળવે તેનો ય વાંધો નથી, કારણ સરવાળે તો એનાથી દેશને જ લાભ છે. પણ, બધાં જ એટલું મોંઘું શિક્ષણ ન મેળવી શકે. એવાં મોંઘાં શિક્ષણ માટે લોન મળતી હોય છે. એ લોન લઈને પણ ભણી શકાય, પણ ઘણાં એટલાં સંવેદનશીલ હોય છે કે લોન ન ભરાઈ તો મુશ્કેલીમાં મુકાઇ જાય. એવાઓ સરકારની મદદથી જ ભણવાનું પસંદ કરતા હોય છે. સરકાર લોકોના પૈસામાંથી જ એ મદદ કરે છે ને એનો જરૂરતમંદ લાભ લઈને શિક્ષિત થાય છે. એનાથી પણ દેશને લાભ જ છે. એટલે બે માર્ગો છે. ધનિકો પોતાને ખર્ચે સંતાનો માટે શિક્ષણની સગવડ ઊભી કરે અને સાધારણ સ્થિતિના સરકારી મદદથી ભણે ને ઉત્તમ પરિણામો મેળવે. જો સરકાર ગરીબ કે મધ્યમ વર્ગના પણ શિક્ષણ લે એમ ઇચ્છતી હોય તો તેને ગ્રાન્ટેડથી હાથ ધોઈ નાખવાથી ચાલવાનું નથી.

એટલે બીજા કોઈ પણ ખેલ કરવા કરતાં સરકારે કાયમી ધોરણે ગ્રાન્ટેડને ખાનગી કે સરકારી રાહે મદદ કરવા સક્રિય રહેવાનું જ છે. જો આટલું ગળે ઊતરતું હોય તો સરકારે પૂરી પ્રમાણિક્તા ને નિષ્ઠાથી ગુણવત્તા સભર શિક્ષણની વ્યવસ્થા વિચારવાની રહે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ઑગસ્ટ 2021

Loading

27 August 2021 admin
← મોટા ભાગના મુસ્લિમ દેશો મહાસત્તા માટે કેમ ઉપલબ્ધ છે
હરિગીત →

Search by

Opinion

  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’
  • પીયૂષ પાંડેઃ જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
  • આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી
  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved