Opinion Magazine
Number of visits: 9449407
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગંગાબહેન પટેલ પુરસ્કાર: પ્રતિભાવ

દીપક મહેતા|Opinion - Opinion|27 March 2018

મારી સાથે અને સામે બેઠેલા મુરબ્બીઓ અને મિત્રો,

‘ફૂલછાબ’ના પંદરમી ઓગસ્ટ ૧૯૪૧ના અંકમાં ગુરુદેવ ટાગોરને અંજલિ આપતાં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું: “તમે કવિ હતા. ‘કવિ’ શબ્દ હવેથી અમે સાચવીને વાપરશું.” પણ આપણે ગુજરાતીઓ સાચવીને વાપરીએ પૈસા, શબ્દો નહિ.

જેમ ‘કવિ’ શબ્દ સાચવીને વાપરવા જેવો છે, તેમ ‘વિવેચક’ શબ્દ પણ સાચવીને વાપરવા જેવો છે. આપણી ભાષાની જ વાત કરીએ તો પણ વિવેચક તો કોઈ નવલરામ પંડ્યા કે નરસિંહરાવ દિવેટિયા, કોઈ બળવન્તરાય ઠાકોર કે કોઈ ભૃગુરાય અંજારિયા, કોઈ આનંદશંકર ધ્રુવ કે કોઈ ઉમાશંકર જોશી, કોઈ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કે કોઈ રામપ્રસાદ બક્ષી કોઈ રામનારાયણ પાઠક કે કોઈ જયંત કોઠારી. વધુમાં વધુ બીજાં પાંચ-દસ નામ ઉમેરી શકાય. બાકીના બધા તે પણ વિવેચક? ના રે, ના. બહુ બહુ તો સમીક્ષક, આલોચક, આસ્વાદક, કે સાહિત્યિક પત્રકાર. મારો સમાવેશ પણ તેમનામાં જ થાય, વિવેચકોમાં નહિ. વાઘ અને ‘વાઘતણી માશી’ વચ્ચે જેટલો તફાવત, તેટલો તફાવત ‘વિવેચક’ અને અમારી  સૌની વચ્ચે.

કશું સર્જનાત્મક લખવાનું તો હાડમાં હશે જ નહિ એમ લાગે છે. એટલે ભર યુવાનીમાં ય કવિતાની એકાદ પંક્તિ પણ લખી નથી. પણ પુસ્તકો સાથેનો ઘરોબો ઘરમાંથી જ બંધાયો. મારાં મા વિદ્યાબહેન આમ તો ઝાઝું ભણેલાં નહિ, પણ નામનાં થોડાં ગુણ એમનામાં ઊતર્યા હશે એટલે વાંચવાનો જબરો શોખ. નવરાશને સમયે કંઈ ને કંઈ વાંચતાં રહે. અને યાદશક્તિ સારી એટલે તેમાંનું ઘણું યાદ રહી જાય. અસંખ્ય કાવ્યો કંઠસ્થ. ગાતાં પણ મીઠું. ઘણી વાર અમારી કસોટી કરે. બે-ચાર કાવ્યપંક્તિઓ બોલે, અને પછી પૂછે: ‘કહો જોઉં, કયા કવિની પંક્તિઓ છે?’ મારા પિતા શેરબ્રોકર. આંકડામાં રસ તેટલો બારાખડીમાં નહીં. પણ મારાં માને માટે તેમણે ઘરમાં પાંચેક હજાર પુસ્તકો વસાવેલાં. પાંચ-સાત મેગેઝીનો આવે. પુસ્તકોમાંનાં જેટલાં જાતે વાંચેલાં એના કરતાં મેં સાંભળેલાં વધુ. કારણ રોજ રાતે મોટા ભાઈ – રમણકાંતભાઈ – એકાદ કલાક માટે કોઈ પણ પુસ્તકનું પઠન કરે અને ઘરનાં સૌ આસપાસ બેસી તે સાંભળે એવો રિવાજ. એટલે બાળપણથી જ સાહિત્યના શબ્દ સાથે ઘરોબો બંધાયો.

બાળક જન્મે તે પહેલાં તેને સ્કૂલમાં ધકેલી દેવાનો ચાલ ત્યારે શરૂ નહોતો થયો. એટલે આઠ વર્ષની ઉંમરે પહેલી વાર સ્કૂલનું મોઢું જોયું. મુંબઈની ન્યૂ ઈરા સ્કૂલ. ભણતર તો ખરું જ, પણ સાથોસાથ સાહિત્ય, સંગીત, ચિત્રકલા, નાટક, વગેરે દ્વારા વિદ્યાર્થીના વ્યક્તિત્ત્વના ચણતર પર પણ એટલો જ ભાર. સાહિત્ય અંગે સ્નેહ અને સૂઝ ધરાવતા કેટલાંક શિક્ષકો સદ્ભાગ્યે મળ્યાં – પિનાકિન્ ત્રિવેદી, સોમભાઈ પટેલ, મધુભાઈ પટેલ, સુશીલાબહેન વાંકાવાળા. તેથી વાંચવાના શોખને દિશા મળી.

પણ સાહિત્ય અંગેની સમજણ મળી તે તો મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં. મનસુખભાઈ ઝવેરી ગુજરાતી શીખવે અને ઝાલાસાહેબ — ગૌરીપ્રસાદ ઝાલા — સંસ્કૃત શીખવે. બંને ઉત્તમ શિક્ષકો, પણ બંનેની તાસીર સાવ જુદી. ઘણી બાબતોમાં એકબીજાના પૂરક થઈ શકે એવા અધ્યાપકો.

એ કોલેજનો ગુજરાતી વિભાગ દર વર્ષે ‘રશ્મિ’ નામનું વાર્ષિક પ્રગટ કરે. બી.એ.માં ભણતો હતો ત્યારે મનસુખભાઈ અને ઝાલાસાહેબે ‘રશ્મિ’ માટે લેખ લખવા કહ્યું. ત્યારે ભરતભાઈ, સ્વર્ગ હાથવેંતમાં હોય એમ લાગેલું. કૃષ્ણલાલ શ્રીધરાણીના કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ વિષે લખીને લેખ તો આપી દીધો. પણ જીવ તાળવે ચોંટેલો. ‘રશ્મિ’માં છપાશે કે નહિ? પૂછવાની તો હિંમત જ કેમ ચાલે? અંક બહાર પડ્યો, હાથમાં આવ્યો. ‘પ્રખર સહરાની તરસથી’ અનુક્રમનું પાનું જોયું. અને આપણા રામની તરસ છીપી. ગ્રંથ-સમીક્ષાની એ પહેલી દીક્ષા.

૧૯૬૪ના જાન્યુઆરીમાં ‘ગ્રંથ’ માસિક શરૂ થયું. બીજા ઘણાને મોકલેલાં, તેમ મને પણ એક પુસ્તક યશવંતભાઈ દોશીએ અવલોકન માટે મોકલ્યું. અમારો અંગત પરિચય બિલકુલ નહિ. અવલોકન લખીને આપવા માટે પરિચય ટ્રસ્ટની ઓફિસે ગયો ત્યારે પહેલી વાર મળ્યો. પણ ત્યારથી યશવંતભાઈ, ‘ગ્રંથ’, અને પરિચય ટ્રસ્ટ સાથે જે મનમેળ થયો તે ૧૯૭૪માં યશવંતભાઈના સહાયક સંપાદક તરીકે જોડાતાં વધુ ગાઢ થયો. સમીક્ષા-લેખનની ગલીકૂંચીઓમાં હાથ પકડીને કોઈએ ફેરવ્યો હોય તો તે યશવંતભાઈએ.

પણ ગ્રંથસૃષ્ટિની વિશાળતા, વિવિધતા, અને સમૃદ્ધિનો ખરો ખ્યાલ આવ્યો તે તો ૧૯૭૬ના ડિસેમ્બરમાં લાયબ્રેરી ઓફ કોંગ્રેસની દિલ્હી ઓફિસમાં જોડાયા પછી ત્યાં દસ વર્ષ કામ કર્યું ત્યારે. અમેરિકન ડિરેક્ટર જિન સ્મિથ એટલે ગ્રંથકીટ. ગુજરાતી સહિતની ભારતની ઘણી બધી ભાષાઓ અને તેમના સાહિત્ય વિષેની જાણકારીનો તેમની પાસે ખજાનો. બધી ભાષા જાણીએ તો ક્યાંથી, પણ દેશની દરેક ભાષાના જાણકારો તે ત્યાં હતા સહકાર્યકરો. એમની સાથેની વાતચીત, ચર્ચા, આપ-લે, રોજ નવા નવા દરવાજા ખોલે. વળી રેર અને એન્ટિક્વેરિયન બુક્સના જિન સ્મિથ ભારે જાણકાર અને સંગ્રાહક. દરેક ભાષાનાં એવાં પુસ્તકો ભેગાં કરવાનો ખાસ પ્રોજેક્ટ કરેલો. વખત જતાં ઓગણીસમી સદીનાં પુસ્તકો, સામયિકો, લેખકો, વગેરેમાં જે રસ જાગ્યો તેનાં મૂળમાં આ જિન સ્મિથ. અને બીજા તે મરાઠીના અગ્રણી લેખક, સંશોધક, પત્રકાર, અને સહકાર્યકર ડો. અરુણ ટીકેકર – અડધી જિંદગી અને અડધા કરતાં વધુ કમાણી રેર બુક્સ ખરીદવા પાછળ ખર્ચી નાખનાર. ગ્રંથનિષ્ઠાની દીક્ષા, આમ દિલ્હીમાં મળી.

આટલાં વર્ષોમાં ધીમે ધીમે જે કાંઈ એકઠું કર્યું હતું તેનો નિયમિત ઉપ-યોગ કરવાની તક મળી તે તો ૧૯૯૯ની આખરમાં નિવૃત્તિ લીધી તે પછી. ઈ.સ. ૨૦૦૦ના માર્ચથી બાર વર્ષ ‘મુંબઈ સમાચાર’માં દર ગુરુવારે ‘વર્ડનેટ’ પાનાનું લેખન-સંપાદન કરવાનું બન્યું. તંત્રી પિન્કીબહેન દલાલની અને મારી પહેલેથી એવી પાક્કી સમજણ કે આને બીબાંઢાળ ‘સાહિત્યનું પાનું’ કે ‘અવલોકનનું પાનું’ નથી બનાવવું. વૈવિધ્યનો આગ્રહ. શક્ય હોય તેટલું ટોપિકલ બનાવવું. દરેક લખાણ સચિત્ર હોય જ. ગુજરાત ઉપરાંત દેશ અને દુનિયાનાં ભાષા-સાહિત્યને પણ બને તેટલો સ્પર્શ કરવો. છાપેલા શબ્દ ઉપરાંતનાં શબ્દનાં રૂપોની વાત પણ વણી લેવી. સાહિત્યિક પત્રકારત્ત્વ, ગ્રંથસમીક્ષા અને ગ્રંથનિષ્ઠાના જે પાઠ અગાઉ ભણવા મળેલા તેનો બને તેટલો સદુપયોગ કરી આ બાર વર્ષમાં ‘સાહિત્યના પાના’ને વાચકપ્રિય કરવાનો પ્રયત્ન કર્યો. લોકપ્રિયતા મેળવવી એ ગુનાહિત કૃત્ય છે તેમ માનનારા વિવેચકો કે અભ્યાસીઓએ એ પાનાની નોંધ પણ ન લીધી એનો વાંધો નહિ. આપણે ક્યાં એમને માટે લખીએ છીએ? 

‘વર્ડનેટ’નું કામ કરતાં કરતાં ઓગણીસમી સદીનાં લેખકો, પુસ્તકો, સામયિકો, સંસ્થાઓમાં એવો તો રસ પડ્યો કે બીજું બધું ધીમે ધીમે આઘું જતું રહ્યું. આપણા સાહિત્યના ઇતિહાસ કે વિવેચનનાં ઘણાંખરાં પુસ્તકો માટે ઓગણીસમી સદી એટલે દસ-પંદર લેખકો અને તેમની વીસ-પચ્ચીસ કૃતિઓ. તેમાં ય નર્મદ-દલપત પહેલાંના લેખકો અને પુસ્તકોની તો કોઈ વાત જ ન કરે. હા, એ બધાંની વાત માત્ર સાહિત્યના ત્રાજવે તોળીને ન થાય. એ જમાનાનાં મુદ્રણ, પુસ્તક-પ્રકાશન, શિક્ષણ, રાજકારણ, સમાજ, બધાંનો સાથેલાગો વિચાર કરવો પડે. ઓગણીસમી સદીને સમજવી હોય તો આપણી શરતે ન સમજાય, તેની શરતે સમજવી જોઈએ. અગાઉ અમદાવાદની એક સાહિત્યિક સંસ્થાને હાથ જોડીને જાહેરમાં વિનંતી કરેલી કે ૧૯મી સદીના સાહિત્યનાં સંશોધન, અભ્યાસ, જાળવણી, પુનઃપ્રકાશન, માટે એક અલાયદો વિભાગ શરૂ કરો. પણ એ સંસ્થાને પોતાને સાહિત્યનાં કરવા જેવાં કામો કરવામાં રસ જ નથી, બીજી વ્યક્તિઓ અને સંસ્થાને ‘સ્વાયત્તતા’ને બહાને સાહિત્યનાં કામ કરતી રોકવામાં રસ છે. અમદાવાદમાં જે ન થઈ શક્યું, તે મુંબઈમાં થઈ શકે? જવાબ આપ સૌએ આપવાનો છે.

સારે નસીબે પહેલેથી એવી વ્યક્તિઓ સાથે કામ કરવાનું બન્યું કે જેમના મનમાં વાચકનું મહત્ત્વ વસેલું હોય. એટલે પહેલી વાત એ શીખવા મળી કે લખાણ વાંચવામાં સરળ હોવું જોઈએ. એમાં આપણા શોખ ખાતરના શૈલીવેડા ન ચાલે. વાત સહેલી રીતે કહેતાં ન આવડે તો ન કહેવી. પરિભાષાનો પ્રયોગ ન છૂટકે જ કરવો. સંસ્કૃત શબ્દોનો મોહ રાખવો નહિ, આપણી ભાષાના શબ્દથી કામ સરે તેમ ન હોય તો જ તત્સમ શબ્દ વાપરવો. અંગ્રેજી શબ્દોની સૂગ ન જ રાખવી. અઘરું લખવું સહેલું છે પણ સહેલું લખવું અઘરું છે એ વાત સતત યાદ રાખી. પરિણામે જો અને જે લોકોમાં વંચાય તો અને તે સાહિત્ય નહિ. જે ઓછામાં ઓછું વંચાય અને તેનાથી ય ઓછું સમજાય તે જ ઉત્તમ સાહિત્ય એવી સમજણથી સતત દૂર રહેવાનું બન્યું. 

પ્રગતિ મિત્ર મંડળ સાથે વર્ષોથી નિકટનો નાતો છે. તેના તરફથી આ સન્માન મળે છે ત્યારે હવે આ ઉંમરે આવાં સન્માનોથી હરખ-શોક શો, એમ કહેવાનો દંભ નહિ કરું. ‘સુધા’ સાપ્તાહિકના તંત્રી હતાં ત્યારથી જેમની સાથે આત્મીયતાભર્યો સંબંધ બંધાયો છે તે પ્રિય મુરબ્બી ધીરુબહેનનાં કર્મઠ માતા ગંગાબહેનના નામ સાથે આ પુરસ્કાર સંકળાયેલો છે તેનો વિશેષ આનંદ છે. મૃચ્છકટિક, પૂર્ણિમા, ઝેર તો પીધાં છે જાણી જાણી જેવાં વર્ષાબહેનનાં નાટકો ધોબી તળાવ પાસેના રંગભવન નામના ઓપન એર થિયેટરમાં બે-બે રુપિયાની ટિકિટ લઈને જોયેલાં. એ વર્ષાબહેનનો પહેલો અંગત પરિચય વિલ્સન કોલેજની બહારના બસ સ્ટોપ પર ૧૯૬૧માં થયેલો. તે પછી એ પરિચય વધુ ને વધુ વિકસતો ગયો છે. એટલે વર્ષાબહેન બહારગામથી ઘરે ગયા વગર સીધાં અહીં આવ્યાં અને પોતાપણાથી  જે બોલ્યાં તે માટે તેમનો આભાર માનું તો એ ન તો મને ગમે કે ન તો તેમને ગમે. તેઓ મોટા ગજાનાં લેખિકા તો છે જ, પણ સૌથી પહેલાં ઉષ્મા અને ઉમળકાનાં માણસ છે, એટલે એમ ન કરે તો જ નવાઈ.

૧૯૬૩માં સોમૈયા કોલેજમાં ગુજરાતી ભણાવવાનું શરૂ કર્યું ત્યારે બી.એ.ના ક્લાસમાં પહેલા ખોળાની બે વિદ્યાર્થિનીઓ ગીતા અને લતા. એ ન્યાયે લતાપતિ કાન્તિભાઈ તો જમાઈ થાય! તેમના બોલાતા અને લખાતા શબ્દમાં હંમેશ સ્વસ્થતાની અને સમતોલતાની કાંતિ જોવા મળે. તબિયત ઓછી સારી હોવા છતાં તેઓ આવ્યા તે માટે તેમનો આભાર. ભરતભાઈ ઘેલાણી માથે ભાર રાખ્યા વગર ‘ચિત્રલેખા’ જેવા માતબર લોકપ્રિયતા ધરાવતા સાપ્તાહિકનું સુકાન સંભાળે છે. અને સાથોસાથ સાહિત્યની ચિંતા પણ સેવે છે. તેમનાં સ્નેહ અને સૌજન્યનો પરિચય સતત થતો રહે છે. તેમની હાજરીથી આજે હૂંફ મળી છે. અને આપ સૌ સાહિત્યપ્રેમી શ્રોતાઓ ન આવ્યા હોત તો અમે બે-પાંચ જણા અહીં બેસીને શું કરી શકવાના હતા? એટલે સૌથી વધુ તો આપ સૌનો આભાર.

***

e.mail : deepakbmehta@gmail.com

Loading

27 March 2018 admin
← જન સશક્તિકરણનું માધ્યમ છે જન સુનાવણી
ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયાં : નારીસંવેદનાની પરાકાષ્ઠા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved