Opinion Magazine
Number of visits: 9449460
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીના અંતેવાસી મીરાબહેનની નજરે બાલાકોટ

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|7 October 2020

ગાંધીજી રાષ્ટ્રપિતાનું બિરુદ પામ્યા કારણ કે તેમણે પોતે અથવા અનુયાયી કાર્યકરો દ્વારા ભારતના ખૂણે ખૂણે સામાન્ય માણસ સુધી પહોંચવા પ્રયત્ન કર્યો. ગયા વર્ષે ભારતે આતંકવાદ વિરોધી અભિયાનના ભાગરૂપે હાલ પાકિસ્તાનમાં આવેલ બાલાકોટમાં હવાઈ હુમલા કર્યા. તે આ પ્રદેશ ધ્યાનમાં આવ્યો.

પરંતુ આજથી લગભગ ૮૦ વર્ષ પહેલાં ગાંધીના અંતેવાસી મીરાબહેન (મેડેલીન સ્લેડ) આપણી સામે આ જ પ્રદેશનું વિભાજન પહેલાનું જરા જુદું ચિત્ર રજૂ કરે છે. આમ તો ઇતિહાસમાં જે બન્યું તેનો જ અભ્યાસ કરવામાં આવે છે … એક ઘડી એ વિચાર ચોક્કસ આવે કે મીરાબહેન – બાદશાહ ખાનના પ્રભાવ હેઠળ આ પ્રદેશમાં ગાંધીનું રચનાત્મક કામ વિકસ્યું હોત તો આજે ત્યાં કેવી પરિસ્થિતિ હોત?!

− સંપાદક

સૈન્યનો ઇતિહાસ લખનાર માટે બાલાકોટ એક એવી જગ્યા છે કે જ્યાં ૧૮૩૧માં મહારાજા રણજીતસિંહ અને સૈયદ અહમદ બરેલવીની સેના વચ્ચે મોટું યુદ્ધ થયું હતું. જ્યારે સામાન્ય વ્યક્તિ માટે બાલાકોટ જાણીતું બન્યું ફેબ્રુઆરી ૨૦૧૯માં, જ્યારે ભારતીય સેના દ્વારા જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગકેમ્પ પર હુમલો કરવામાં આવેલો.

આ લેખનો વિષય પણ બાલાકોટ જ છે પરંતુ એનો સંબંધ એક ત્રીજી ઘટના સાથે છે, જે બાકીની બે ઘટનાઓ વચ્ચેના સમયગાળામાં બની હતી. મે ૧૯૩૯માં એક મહાન દેશભક્તે બાલાકોટ અને એની આસપાસના પ્રદેશની યાત્રા કરી. આ ભારતીયએ પોતાની ડાયરીમાં આ પ્રદેશના ભૂગોળ અને લોકો વિશેનું વર્ણન લખ્યું છે. હાલમાં જ મને એમની અપ્રકાશિત ડાયરી આર્કાઇવસમાંથી મળી આવી.

આ ભારતીય દેશભક્તનું નામ ક્યારેક મેડલીન સ્લેડ હતું. તેઓ એક અંગ્રેજ એડમિરલનાં દીકરી, જે આગળ જતાં મહાત્મા ગાંધીના અનુયાયી બન્યાં અને અમદાવાદ અને સેવાગ્રામ સ્થિત આશ્રમોમાં રહ્યાં. તેમણે પોતાનું નામ મીરા રાખ્યું હતું. ભારત માટે એટલો પ્રેમ હતો કે તેમણે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો અને ઘણા લાંબા સમય સુધી જેલમાં રહ્યાં. મીરાબહેને શોષિતના હક માટે રાષ્ટ્ર અને વંશની દીવાલ તોડી દીધી હતી. ભારતીય સ્વતંત્રતા અંદોલન સમયના સાહિત્યમાં તેમને ખૂબ આદરપૂર્વક યાદ કરવામાં આવે છે.

હું મીરાબહેન વિશે ઘણું જાણું છું, તેમ છતાં ય મને હાલમાં જ ખબર પડી કે તેમણે ૧૯૩૯માં બાલાકોટનો પ્રવાસ કર્યો હતો. ત્યારે ભારત અને પાકિસ્તાન અલગ રાષ્ટ્રો ન હતા. બાલાકોટ બ્રિટિશ ભારતના નોર્થ વેસ્ટ પ્રોવિન્સમાં આવતું હતું. આ પ્રદેશમાં ખુદાઇ ખિદમતગાર નામનો એક સમૂહ પણ સક્રિય હતો. એની કમાન એવા વ્યક્તિના હાથમાં હતી જે મીરાબહેન કરતાં પણ ગાંધીના મોટા અનુયાયી હતા. એમનું નામ અબ્દુલ ગફ્ફાર ખાન હતું. એમને પોતાના નૈતિક બળ વડે સામાન્ય રીતે આક્રમક માનસ ધરાવતા પઠાણોને અહિંસા અને સહિષ્ણુતાના પાઠ ભણાવ્યા.

૧૯૩૯ની વસંત ઋતુની વાત છે. ગાંધીજીએ મીરાબહેનને ફ્રંટિયર પ્રોવીન્સ મોકલ્યા. તેમનો હેતુ એ વિસ્તારમાં ચરખા કાંતણ અને વણાટના પ્રસારનો હતો. એ યાત્રા દરમ્યાન મીરાબહેન એબટાબાદ(જ્યાં અમેરિકના નેવી સિલ્સે ઓસામા બિન લાદેનને માર્યો હતો)ના રસ્તે બાલાકોટ ગયા હતાં. મીરાબહેન પોતાની ડાયરીમાં એ યાત્રાનું વર્ણન કંઇક આ રીતે કરે છે : ‘ગામ-ખેતરોની ચારે બાજુ અને પાણીના નાળાઓના કિનારે લીલાછમ વૃક્ષો દેખાય છે. પહાડોના ઢોળાવો પરના પગથિયાં આકારના ખેતરો દરિયાનાં મોજાં જેવાં દેખાય છે, જેમાં ભૂરા અને લીલા રંગોની વિવિધતાના દર્શન થાય છે. આ નાની દુનિયા વાદળી પહાડીઓથી ઘેરાયેલી છે જેની પેલે પાર વિશાળ હિમશિખર છે.”

બાલકોટ જતા અડધે રસ્તે પહોચ્યાં પછી મીરાબહેન અને એમના ખુદાઇ ખિતમતગાર સાથી એક જગ્યાએ રાત વિતાવા રોકાયાં. બીજા દિવસે સવારે જલદી ઊઠીને મીરાબહેન ચાલવા ગયાં. એમણે લખ્યું કે, ’ખેતરોમાં કામ શરૂ થઈ ગયું હતું. મકાઈનો પાક ખળામાં હતો અને સાથે તેની વાવણીનું કામ ચાલી રહ્યું હતું. જ્યારે તે પોતાને ઠેકાણે પાછા પહોંચી રહ્યાં હતાં ત્યારે તેમને કોયલનો મીઠો કલરવ સંભળાયો.’

નાસ્તો કર્યા પછી મીરાબહેન અને એમના સાથી બાલકોટ તરફ રવાના થઈ ગયાં. રસ્તામાં તેમને વન વિભાગનો એક બંગલો દેખાયો. જે જોઈને મીરાબહેનને વિચાર આવ્યો કે ‘આ જગ્યાએ બાપુજી થોડો આરામ કરી શકે છે.’ તે બંગલો ૩,૯૦૦ ફૂટની ઊંચાઈ પર અને આરામદાયક હતો : ‘જંગલ વચ્ચે એકલી ઇમારત હતી જેની પાછળ હિમ શિખર હતું અને નીચે પર્વતો અને ઘાટીઓ, આ ઘણું આકર્ષક રહેઠાણ હતું. પરંતુ ત્યાં પાણીની તંગી હતી.’ (ગાંધી ગયા વર્ષે ફ્રંટીયર પ્રોવિન્સે આવ્યા હતા અને પછી અહીંની યાત્રા વિશે વિચારી રહ્યા હતા. પરંતુ તે થઈ ન શક્યું. જ્યારે આજે આ વિચારીને ને જ અજબ લાગી રહ્યું છે કે બાલાકોટની આટલી નજીક આવેલા બંગલામાં સ્વાસ્થ્ય લાભ લઇ શકતા હતા.)

બાલાકોટ ગામનો રસ્તો કુનહર નદીની ઘાટીમાંથી પસાર થાય છે. રસ્તો ‘સાંકડો’ અને ‘ખરાબ’ હતો. ‘સીધું ચઢાણ અને વળાંકો’ હતા. ખાડા અને વળાંકવાળા રસ્તા પર ગાડી બહુ જ મુશ્કેલીથી ચાલી રહી હતી. મીરાબહેને લખ્યું છેકે તેઓ ત્યાંની સુંદરતામાં ખોવાઈ ગયા હતાં. તેમના શબ્દો છે, ‘જો કે રસ્તો નદીના ડાબા કિનારાની સાથે સાથે ચાલતો હતો અને બરફના પહાડોમાંથી નીચે આવી રહેલી એ નદીનું સ્વરૂપ ખૂબ જ રૌદ્ર હતું. પહાડના ઢોળાવો પરથી ઝડપથી નીચે ઊતરતી અને કેટલા ય વળાંકોને અથડાઈને આવતી નદીમાં એવી વિશાળ લહેરો ઊઠી રહી હતી કે જેવી સાબરમતીમાં પૂર દરમ્યાન ઊઠતી હોય છે. એના કિનારા પર જ્યાં-ત્યાં વિશાળ વૃક્ષોના થડ પડેલા હતા જે તેના પ્રવાહમાં આવી ગયા હતા.’

પોતાની મંઝિલ પર પહોંચીને પણ મીરાબહેને તે સ્થાનનું જીવંત વર્ણન કર્યું છે. તેમણે લખ્યું છે કે, ’બાલાકોટ એક નાની પહાડીની એક બાજુએ વસેલું મોટું અને નજીક-નજીક વસેલું (ગીચ) ગામ છે જે મધમાખીના મધપૂડા જેવુ લાગે છે. તે કંગન ઘાટીના મુખ પર વસેલું છે. અહીં કોઈ જ રસ્તા નથી. માત્ર પથ્થરોથી બનેલી પગદંડીઓ છે જે આમ તો પગથિયાં જેવું વધારે લાગે છે. ઘણીવાર તે રસ્તાઓમાંથી પાણીની કોઈક ધારાઓ પસાર થતી હોય છે. બજાર પણ જરા ગીચ છે અને નીચેના ઘરની છત ઉપર આવેલાં ઘર માટે પાયાનું કામ કરે છે. બજારમાં ઘણા હિન્દુ અને શીખ દુકાનદારો છે.’

મીરાબેહેનને કહેવામાં આવ્યું હતું કે બાલાકોટમાં રહેનારા ગુજ્જર કાંતણ અને વણાટ કરે છે અને બહુ જ સારા ધાબળા બનાવે છે. પરંતુ તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ગુજ્જરો ત્યાં ન હતા. વસંત ઋતુને કારણે તેઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઊંચા પહાડોમાં ગોચર તરફ જતાં રહ્યા છે. તેમની સાથે આવેલ ખુદાઇ ખિદમતગારના નેતા અબ્બાસ ખાનના કહેવાથી ગુજ્જરોને ખબર મોકલતા તેમનામાંથી કેટલાક નીચે (ઘાટીમાં) એટલે કે ગામમાં આવ્યા પછી મીરાબહેને એમને કામ વિશે વાતચીત કરી.

બાલાકોટથી મીરાબહેન અને તેમના સાથીઓ વધુ ઊંચા પહાડો તરફ ગયાં. તેઓ ભોગરમંગ નામના ગામમાં રોકાયા. અહીં સરસ રીતે તૈયાર થયેલા ડાંગરના ખેતરો હતા અને ગામ લોકો વણાટ અને મધમાખી પાલનનું કામ કરતાં હતાં. મીરાબહેન તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયાં. પરંતુ મહત્ત્વની વાત એ હતી કે જેના અંગે તેમણે પોતાની ડાયરીમાં લખ્યું છે કે, ‘જે બાબતની મને સૌથી વધારે ખુશી છે તે છે હિન્દુ-મુસ્લિમ એકતા … એક હિન્દુ પરિવાર, જેમના વડીલ, શ્વેત કેશધારી, ગામના જુવાન ખાન સમુદાય સાથે ખૂબ જ પ્રેમથી રહેતા હતા. લોકોનું કહેવું હતુ કે આ વ્યક્તિ, તેમના પિતા અને દાદાના મિત્ર રહ્યા છે અને બંને સમુદાયો વચ્ચેનો સંબંધ હંમેશાં પરસ્પર સહયોગ અને એકબીજાંનું ધ્યાન રાખવાનો રહ્યો છે.’ આ સાંભળીને મીરાબહેન આગળ લખે છે, ’સ્વાભાવિકપણે મારા હૃદયમાં પ્રાર્થના ઊઠી કે કોઈ નેતા આ નાનકડા ગામ ન પહુંચે, અને અહીંના સહજ જીવન પર ગ્રહણ ન લગાડે.’

હિન્દુ-મુસ્લિમ એકતાની મિસાલ સમું આ ગામ મીરાબહેનની યાત્રાનો છેલ્લો પડાવ હતો. બીજી સવારે તેઓ એબટાબાદ પાછા ફર્યાં. સપ્ટેમ્બર ૧૯૩૯માં યુરોપમાં જે વિશ્વયુદ્ધ છેડાયું તેણે ઇતિહાસને હંમેશાં માટે બદલી નાખ્યો. ભારત માટે આ લડાઈનું એક પરિણામ એ હતું કે હિન્દુ અને મુસલમાન વચ્ચેની ખાઈ વધારે પહોળી થઈ. મીરાબહેનને જે આશંકા હતી તેમ આ આગને નેતાઓ જ વધારે ભડકાવી રહ્યા હતા. જે બંને તરફથી ઘણી મોટી સંખ્યામાં હતા. યુદ્ધ જેમ-જેમ આગળ વધતું ગયું, ફ્રંટિયર પ્રોવીન્સમાંથી ગફ્ફારખાનની પાર્ટીનો આધાર ઝડપથી ઓસરતો ગયો અને મુસ્લિમ લીગનો પ્રભાવ વધતો ગયો. તેની સાથે સાંપ્રદાયિક સહિષ્ણુતા પૂરેપૂરી ખલાસ થઈ ગઈ. જો કે અહીંયા ઓગસ્ટ ૧૯૪૭ જેવા ખૂની દંગા તો નથી થયા. જેવા પંજાબમાં થયા હતા. પરંતુ ત્યાં રહેનારા હિન્દુ અને શીખોએ પાકિસ્તાન છોડીને ભારતમાં શરણ લેવી પડી.

જે બાલાકોટમાં મીરાબહેન ૧૯૩૯માં ગયા હતાં તે આજે તો સાવ જ બદલાઈ ગયું છે. હવે અહીંનું વાતાવરણ બહુ ધાર્મિક રહ્યું નથી. એના બદલે અહીંયાં ઇસ્લામીક કટ્ટરવાદને જ પ્રોત્સાહન આપવા વાળા જિહાદીઓના ટ્રેનીગ કેમ્પ છે. બાલાકોટના દ્રશ્યો પણ ઘણા બદલાઈ ગયા હશે જેવા દક્ષિણ એશિયાના બીજા પર્વતીય વિસ્તારોમાં થયું છે, જ્યાં જંગલ ઝડપથી ઘટી રહ્યાં છે અને પથ્થર અને લાકડાનાં સુંદર મકાનોની જગ્યા કોંક્રીટના કદરૂપા ઢાંચાઓએ લઈ લીધી છે. બાલાકોટની સ્થાનિક શિલ્પ કળાઓ પણ વિલુપ્તિને આરે પહોંચી ગઈ હશે.

આ લેખમાં આપણે ઐતિહાસિક સ્મૃતિના એક ભાગની વાત કરી. પરંતુ છેલ્લે હું એ બાબત પર વિચાર કરવા માંગુ છું કે એ ભૂતકાળ પાસેથી આપણે વર્તમાનમાં શું બોધ લઈ શકીએ છે? નોર્થ વેસ્ટ ફ્રાંટિયર પ્રોવીન્સને આજે ખૈબર પખ્તૂનખ્વા કહેવામા આવે છે જ્યાં મુઠ્ઠીભર જ હિન્દુ અને શીખ રહ્યા છે. જ્યારે ભારતના મોટા ભાગના રાજ્યોમાં મુસ્લિમ અલ્પસંખ્યકોની સંખ્યા નોંધપાત્ર છે. શું આપણે આશા રાખી શકીએ કે આ દેશનાં ગામડાંઓમાં હિન્દુઓ અને મુસલમાન વચ્ચે પરસ્પર સહયોગ અને એકબીજાંનો ખ્યાલ રાખવાનું વાતાવરણ બનાવી શકાશે? કે પછી આપણાં ‘નેતાઓ’ એવું નહીં થવા દે?

(‘ધ ટેલિગ્રાફ’માં પ્રકાશિત લેખનો અનુવાદ; મૂળ લેખની લિંક નીચે આપી છે. − વિ.ક.)

રામચંદ્ર ગુહા જાણીતા ઇતિહાસકાર તેમ જ કટાર લેખક છે. હાલના સમયમાં તેઓ ગાંધીજીના જીવનચરિત્રકાર તરીકે વિશેષ જાણીતા છે. તેમના સંશોધનના વિષયોમાં પર્યાવરણ, રાજકીય, સામાજિક, અર્થતંત્ર, સમકાલીન બાબતો તેમ જ ક્રિકેટના ઇતિહાસ જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેમનું છેલ્લું પ્રકાશિત પુસ્તક ‘ગાંધી : ધ યર્સ ધેટ ચેન્જ્ડ ધ વર્લ્ડ’ છે.

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 01 ઑક્ટોબર 2020

https://www.telegraphindia.com/opinion/mira-behn-and-lessons-from-the-history-of-balakot-and-khyber-pakhtunkhwa/cid/1785224

Loading

7 October 2020 admin
← મઘરાતે ….
નહીં મળે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved