Opinion Magazine
Number of visits: 9448629
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીએ ખરેખર સાવરકરને માફી માટે અરજી લખવા કહ્યું હતું?

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|4 December 2021

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મંગળવારે, ઑક્ટોબર ૧૨, ૨૦૨૧ના રોજ સાવરકર વિશેના જાહેર પ્રવચનમાં દાવો કર્યો કે 'સાવરકર વિશે વારંવાર જૂઠાણાં ફેલાવવામાં આવ્યાં હતાં. એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે સાવરકરે જેલમાંથી છૂટવા માટે સરકારને અરજીઓ કરી હતી … (હકીકતમાં) ગાંધીજીએ તેમને દયાની અરજીઓ કરવા માટે કહ્યું હતું …’ વર્ષો સુધી તો સાવરકરે અંગ્રેજ સરકાર સમક્ષ છુટકારા માટે કોઈ અરજી કરી છે, એ હકીકત જ છુપાવવામાં આવતી હતી, તે હકીકતના પૂરા દસ્તાવેજી પુરાવા હોવા છતાં.

દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના દાવામાં ઇતિહાસ અને ઐતિહાસિક તથ્યોની સદંતર ઉપેક્ષા કરવામાં આવી છે અને હિંદુત્વની વિચારધારાના આદ્ય ગણાતા સાવરકરના બચાવ માટે ગાંધીજીને ખરાબ ચીતરવાની કોશિશ કરવામાં આવી છે.

વિનાયક સાવરકરના નામ આગળ લગાડાતા 'વીર’ના વિશેષણની સાથે, તેમણે અંગ્રેજ સરકારને કરેલી છુટકારા માટેની અરજીઓનો મેળ શી રીતે બેસાડવો, તે હિંદુત્વની વિચારધારાના લોકો માટે મૂંઝવનારો સવાલ રહ્યો છે. અત્યાર લગી તેની સાથે જુદી-જુદી રીતે પનારો પાડવાની કોશિશો થઈ છે.

ધનંજય કીરે ૧૯૫૦માં સાવરકરની હયાતીમાં તેમના વિશે ભક્તિભાવથી લખેલા ચરિત્રમાં આ અરજીઓનો કશો ઉલ્લેખ નહોતો.

જાણીતા ઇતિહાસકાર આરસી મઝુમદારે 'પિનલ સેટલમેન્ટ્‌સ ઇન આંદામાન્સ’(શિક્ષણ અને સમાજકલ્યાણ મંત્રાલય, ભારત સરકાર, ૧૯૭૫)માં સાવરકરની અરજીઓ વિશે આધારભૂત દસ્તાવેજો ટાંકીને લખ્યું હતું. (પૃ. ૨૧૧-૨૧૩)

અન્ય વિદ્વાનોએ પણ સાવરકરની છુટકારા માટેની અરજીઓ વિશે ઐતિહાસિક પ્રમાણો આપ્યાં.

છતાં, ગુજરાતી સામયિક 'સાધના’એ પ્રગટ કરેલા વીર સાવરકર વિશેષાંક (ઑગસ્ટ ૧૫, ૧૯૮૩)માં સ્વાભાવિક રીતે જ ક્યાં ય સાવરકરની અરજીઓનો કશો ઉલ્લેખ ન હતો.

સાવરકરની અરજીઓ બાબતે ઘણા સમય સુધી બચાવમુદ્રામાં રહ્યા પછી છેલ્લાં થોડાં વર્ષમાં, 'એ અરજીઓનું અવળું અર્થઘટન કરવામાં આવે છે. હકીકતમાં સાવરકરનો એ અરજીઓ પાછળનો આશય જુદો હતો.’ એવો પ્રચાર શરૂ થયો, પરંતુ સાવરકરે કરેલી ત્રણ-ત્રણ અરજીઓની સામગ્રી ઉપલબ્ધ હોય ત્યારે, ગમે તેટલી તોડમરોડ કર્યા પછી પણ, અરજીઓને વાજબી કે વીરત્વને અનુરૂપ ઠરાવવી અઘરી પડે.

હિંદુત્વની વિચારધારામાં રંગાયેલા તો આ બધું માની લેવા તૈયાર હોય, પણ એ સિવાયના લોકોનું શું ? કદાચ આવી મૂંઝવણના નિવારણ માટે કે પછી ચર્ચાની દિશા ફંટાઈ જાય એવા આશયથી રાજનાથસિંહે નવો ફણગો ફોડ્યો લાગે છે, જે સદંતર જૂઠાણું છે.

રાજનાથસિંહે દાવો કર્યો છે કે (માફીની) અરજીઓ કરવાનું ગાંધીજીએ સાવરકરને કહ્યું હતું.

સાવરકરના સંરક્ષણના ઉત્સાહમાં સંરક્ષણ મંત્રી એટલી સાદી હકીકત ચૂકી ગયા કે સાવરકરે અંગ્રેજ સરકારને પહેલી બે અરજીઓ અનુક્રમે વર્ષ ૧૯૧૧માં અને વર્ષ ૧૯૧૩માં કરી હતી. તે સમયે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા. ત્યારે તેમની અને સાવરકરની વચ્ચે કોઈ પત્રવ્યવહાર થયો હોવાનું ગાંધીજીનાં કે સાવરકરનાં ચરિત્રોમાં નોંધાયું નથી.

ગાંધીજીનો વિનાયક સાવરકર સાથે પરિચય ૧૯૦૯માં થઈ ચૂક્યો હતો અને ગાંધીજીને સાવરકરબંધુઓ ગણેશ તેમ જ વિનાયકના ક્રાંતિકારી ભૂતકાળ માટે આદર હતો. પણ જેલમાંથી છુટકારો મેળવવા માટે સરકારને અરજીઓ કરવાની નીતિ કદી દક્ષિણ આફ્રિકામાં કે ભારતમાં ક્યાં ય ગાંધીજીની પદ્ધતિ નહોતી.

ગાંધીજી સાવરકરભાઈઓની મુક્તિ ચોક્કસ ઇચ્છતા હતા.

૧૯૪૫માં વિનાયક સાવરકરના ભાઈ ગણેશ સાવરકરનું અવસાન થયું, ત્યારે આશ્વાસનપત્રમાં ગાંધીજીએ વિનાયક સાવરકરને લખ્યું હતું, 'આપના ભાઈના કૈલાસવાસના સમાચાર જોઈ આ લખું છું. એમના છુટકારાને અંગે મેં કંઈક કર્યું હતું, ત્યારથી એમને વિશે હું રસ લેતો જ ગયો. મૃત્યુનો શોક તમારી આગળ શો કરવો ? આપણે તો મૃત્યુના મુખમાં પડ્યા છીએ ને …’ (ગાંધીજીનો અક્ષરદેહ-૭૯, પૃ.૨૯૫)

સાવરકરે શું ખરેખર અંગ્રેજોની માફી માગી હતી?

જ્યારે ગાંધીજીએ સાવરકરને જેલમાંથી છોડવાની હિમાયત કરી ત્યારે વિનાયક સાવરકર જેલમાંથી છૂટે, તેની હિમાયત પણ ગાંધીજીએ કરી હતી. પરંતુ માફીની અરજીની સલાહ આપીને નહીં.

ગાંધીજીના પ્રયાસો બદલ સાવરકરપ્રેમીઓએ તેમનો આભાર માનવો જોઈએ.

અંગ્રેજી 'યંગઇન્ડિયા’ના મે ૨૬, ૧૯૨૦ના અંકમાં 'સાવરકરબ્રધર્સ’ એવા મથાળા હેઠળ એક લેખમાં ગાંધીજીએ બ્રિટનના શાહી ઢંઢેરાનો એ હિસ્સો ટાંક્યો હતો, જેમાં રાજકીય ગુનેગારોને માફી બક્ષવાની વાત કરવામાં આવી હતી.

ગાંધીજીએ લખ્યું હતું કે ડિસેમ્બર, ૧૯૧૯માં પ્રસિદ્ધ થયેલા આ ઢંઢેરાનો લાભ સાવરકરભાઈઓને મળ્યો નથી.

ગાંધીજીએ નોંધ્યું હતું : 'આ બંને ભાઈઓએ પોતાના રાજદ્વારી વિચારો જાહેર કરી દીધા છે અને બંનેએ કહ્યું છે કે અમે કોઈ પણ પ્રકારના ક્રાંતિકારી વિચારો ધરાવતા નથી. અને જો અમને છોડી મૂકવામાં આવશે, તો અમે રિફૉર્મ્સ ઍક્ટ (સુધારાધારા) નીચે કામ કરવાનું પસંદ કરીશું … આ બંને સ્પષ્ટ ભાષામાં જણાવે છે કે હિંદુસ્તાન બ્રિટિશ સંબંધ છોડી દે એમ તે પોતે ઇચ્છતા નથી. ઊલટું તેમને એમ લાગે છે કે બ્રિટિશ લોકો સાથેની મિત્રાચારી દ્વારા જ હિંદુસ્તાનનું ભાવિ સૌથી સારી રીતે ખીલવી શકાય એમ છે …’ (ગાંધીજીનો અક્ષરદેહ-૧૭, પૃ.૪૪૭)

ત્યાર પહેલાં જાન્યુઆરી ૧૮, ૧૯૨૦ના રોજ વિનાયક સાવરકર અને ગણેશ સાવરકરના બહાર રહેલા ભાઈ નારાયણ સાવરકરે ગાંધીજીને પત્ર લખીને જણાવ્યું હતું કે તાજ દ્વારા રાજકીય કેદીઓને આપવામાં આવેલી માફીનો લાભ સાવરકરબંધુઓને મળ્યો નથી, તો મારે શું કરવું ?

આ પત્રમાં નારાયણ સાવરકરે પોતાના બંને ભાઈઓ વિનાયક અને ગણેશની કફોડી સ્થિતિનું વર્ણન કરીને તેમને છોડાવવા માટે શું કરવું એ અંગે ગાંધીજીની સલાહ માગી હતી. એ પત્રનો ગાંધીજીએ લખેલો જવાબ તો ઉપલબ્ધ નથી, પણ જવાબ આપવા માટે ગાંધીજીએ જે ડ્રાફ્‌ટ (મુસદ્દો) તૈયાર કર્યો હતો, તેમાં તેમણે લખ્યું હતું, 'તમને સલાહ આપવાનું મુશ્કેલ છે, તેમ છતાં હું સૂચવું છું કે તમે એક ટૂંકી અરજી તૈયાર કરો. એમાં કેસની હકીકતો એવી રીતે રજૂ કરો કે જે ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે કે તમારા ભાઈએ કરેલો ગુનો કેવળ રાજકીય હતો. આવી સૂચના હું એટલા માટે કરું છું કે એ પ્રમાણે લખાશે તો જનતાનું ધ્યાન એના ઉપર કેન્દ્રિત કરવાનું શક્ય બનશે. દરમિયાન … આ બાબતમાં હું મારી રીતે પગલાં લઈ રહ્યો છું.’ (ગાંધીજીનો અક્ષરદેહ-૧૬, પૃ.૪૮૦-૪૮૧)

આ પત્રમાં ક્યાં ય અંગ્રેજ સરકાર સમક્ષ નાકલીટી તાણવાની કે બીજી કશી બાંહેધરી આપવાની સલાહ આપી નથી (જે સાવરકરે તેમની અરજીઓમાં કર્યું હતું.) સાવરકર રાજકીય કેદી છે એ વિગત પર જ ભાર મૂકવાનું તેમણે જણાવ્યું છે, કેમ કે બ્રિટિશ તાજ તરફથી રાજકીય કેદીઓને માફી જાહેર કરવામાં આવી હતી.

આ પત્ર આગળ કરીને ગાંધીજીએ સાવરકરને માફી માગવા કહ્યું હતું એમ કહેવું એ સચ્ચાઈનું શીર્ષાસન છે અને કુટિલતાની પરાકાષ્ઠા છે.

ગાંધીજીએ કેમ અપીલ પર સહી કરવાની ના પાડી ?

આ બનાવના દોઢેક દાયકા પછી, વર્ષ ૧૯૩૭માં એવો પણ પ્રસંગ આવ્યો, જ્યારે ગાંધીજીએ સાવરકરની મુક્તિની અપીલ પર સહી કરવાની ના પાડી હતી. તેની પાછળનું કારણ જુદું હતું, પરંતુ કેટલાક સાવરકરપ્રેમીઓએ તે બાબતે ગાંધીજીની ટીકા કરી.

ત્યારે મહારાષ્ટ્રની પ્રાંતિક કાઁગ્રેસ સમિતિની પ્રમુખ શંકરરાવ દેવને ગાંધીજીએ લખ્યું હતું : 'સાવરકરની બાબતમાં અરજી ઉપર સહી કરવાની મેં જરૂર ના પાડી હતી. કારણ, મારી પાસે જેઓ આવ્યા હતા તેમને મેં કહ્યું હતું તેમ, એ બિનજરૂરી હતું. કારણ નવો કાયદો અમલમાં આવ્યા પછી ગમે તે પ્રધાન હોય તોયે તેમનો છુટકારો થવાનો જ હતો અને બન્યું પણ એમ જ.’

'કંઈ નહીં તોયે સાવરકરભાઈઓ જાણે છે કે અમારી વચ્ચે ગમે તેવા પાયાના મતભેદો હોય તેમ છતાં તેમનો બંદીવાસ હું સ્વસ્થ ચિત્તે કદી સહી ન શકું.’

'કદાચ, ડૉ. સાવરકર એ વાતની સાક્ષી પૂરશે કે તેમની મુક્તિ માટે મેં મારાથી જે કંઈ થઈ શકે તે કર્યું હતું, અને બૅરિસ્ટરને (વિનાયક સાવરકરને) પણ કદાચ અમે પહેલવહેલાં મળ્યા અને જ્યારે કોઈ તૈયાર થતું ન હતું ત્યારે તેમના માનમાં ભરવામાં આવેલી સભાનું પ્રમુખસ્થાન મેં લીધું હતું, એની સુખદ સ્મૃતિ હશે.’ (ગાંધીજીનો અક્ષરદેહ-૬૫, પૃ.૪૩૪)

ગાંધી સાવરકરને મળવા ગયા

૧૯૪૮માં મહાત્મા ગાંધીની હત્યાના છઠ્ઠા દિવસે વિનાયક દામોદર સાવરકરની પણ ધરપકડ કરાઈ હતી. ગાંધીજી સાવરકરને તેમના રત્નાગિરિના નિવાસસ્થાને મળવા ગયા હતા અને બધા મતભેદો સહિત તેમની સાથે ચર્ચા કે પત્રચર્ચાનો ઉમળકો દેખાડ્યો હતો, પરંતુ તે શક્ય બન્યું નહીં.

ગાંધીહત્યાના કેસમાં સાવરકરની સંડોવણી હોવાનું બહાર આવ્યું, પરંતુ પુરાવાના અભાવે તે નિર્દોષ છૂટી ગયા. ત્યારે કેટલાક સાક્ષીઓની જુબાની ન લેવાથી માંડીને કેટલીક પ્રક્રિયાગત બાબતો અંગે ગંભીર શંકાઓ ઊભી થઈ હતી, પરંતુ તક્‌નિકી રીતે સાવરકર નિર્દોષ છૂટ્યા હોવાથી તેમની વિચારધારાના સમર્થકોને એટલી નિરાંત થઈ, પરંતુ અરજીઓના મામલે સાવરકરની પ્રતિષ્ઠાનું પુનઃસ્થાપન પ્રમાણમાં ઘણું કઠણ છે.

કદાચ એટલે જ, વખતોવખત તેમની અરજીઓને લઈને અવનવી સફાઈઓ પેશ કરવામાં આવે છે. રાજનાથસિંહનું નિવેદન એ જ દિશામાં લેટેસ્ટ પ્રયાસ જણાય છે.

જૂઠાણાંની બોલબાલાએ રાજકીય ચર્ચાની જગ્યા લીધી છે અને ગાંધીજયંતીએ ટિ્‌વટર પર ગોડસે ટ્રેન્ડિંગ થાય તેનાથી સરકારનું રુંવાડું પણ ફરકતું નથી, તેવા સંજોગોમાં રાજનાથસિંહનું નિવેદન પણ ચાલુ નાટકનો વધુ એક, પણ છેલ્લો નહીં એવો અંક બની રહેશે, એવું માની શકાય.

E-mail : uakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 05-06

Loading

4 December 2021 admin
← લોકશાહીમાં વિરોધ કરનારનું સ્થાન પોલીસ સ્ટેશનમાં?!
અસંમતિનો આટલો ભય શેને કારણે ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved