Opinion Magazine
Number of visits: 9448942
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીની કલ્પનાનું ભારત નેહરુની કલ્પનાના ભારત કરતાં થોડુંક અલગ હતું 

રમેશ ઓઝા|Opinion - Opinion|27 August 2023

રમેશ ઓઝા

આઝાદી પહેલાં કાઁગ્રેસ મેઘધનુષ જેવો પક્ષ હતો. એમાં દરેક રંગના લોકો હતા. વિચારધારાની દૃષ્ટિએ પણ અને જે તે સમાજના પ્રતિનિધિત્વની દૃષ્ટિએ પણ. અલબત્ત મુસલમાનો અને દલિતો સંપૂર્ણપણે કાઁગ્રેસ સાથે હતા એવું નથી. કેટલાક કાઁગ્રેસની સાથે હતા તો કેટલાક તેની વિરુદ્ધમાં. હિંદુ ધર્મ અને સંસ્કૃતિ માટે ગર્વ ધરાવનારા હળવા હિંદુવાદીઓ કાઁગ્રેસની સાથે હતા, પણ વિનાયક દામોદર સાવરકરના રાજકારણપ્રવેશ પછી કોમવાદી હિન્દુત્વવાદીઓ કાઁગ્રેસથી દૂર રહેતા હતા. સમાજવાદીઓ તો સંપૂર્ણપણે કાઁગ્રેસની સાથે હતા અને કાઁગ્રેસને સમાજવાદી દિશામાં લઈ જવા માટે તેમણે કાઁગ્રેસ અંતર્ગત કાઁગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના કરી હતી. સામ્યવાદીઓ પણ કેટલોક સમય કાઁગ્રેસની સાથે હતા. ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધમાં સામ્યવાદી રશિયાએ મિત્ર દેશોના પક્ષે યુદ્ધમાં પ્રવેશ કર્યો એ પછી સામ્યવાદીઓએ બ્રિટનને મદદ કરવાનું શરૂ કર્યું હતું અને કાઁગ્રેસ સાથેના સંબંધોનો અંત આવ્યો હતો. પ્રસિદ્ધ વિચારક એમ.એન. રોયના શુદ્ધ બુદ્ધિપ્રમાણિત માનવતાવાદમાં માનનારાઓ પણ કાઁગ્રેસની સાથે હતા. દક્ષિણનાં દ્રવિડો શરૂઆતમાં કાઁગ્રેસની સાથે હતા, પણ દક્ષિણમાં કાઁગ્રેસ પર બ્રાહ્મણોનું વર્ચસ હોવાથી તેઓ દૂર ગયા હતા. કાઁગ્રેસમાં આદિવાસીઓનું ખાસ પ્રતિનિધિત્વ નહોતું અને ઇશાન ભારતનું પ્રતિનિધિત્વ પણ નહીં જેવું હતું.

કેવા એ દિવસો હશે એની કલ્પના કરી જુઓ! દિવસરાત ચર્ચા, વિમર્શ, મલ્લીનાથી, વિતંડા, ઘર્ષણ, સંઘર્ષ ચાલતાં હતાં. એમાં કડવાશ નહોતી એવું નથી, પણ સંવાદ તો હતો જ. ચર્ચાના મુદ્દા મુખ્યત્વે બે હતા; આઝાદ ભારત કેવું હશે અને એમાં અમારું શું સ્થાન હશે? દેખીતી રીતે આઝાદ ભારત કેવું હશે એની કલ્પના કરવી રહી અને પ્રશ્નકર્તાઓને સંતોષવા માટે એ અભિવ્યક્ત કરવી રહી. કોઈ છૂટકો નહોતો. છૂપામણી (હિડન એજન્ડા) માટે કોઈ સ્થાન નહોતું અને એવો કોઈનો ઈરાદો પણ નહોતો. પોતાનો એજન્ડા કે દૃષ્ટિકોણ રાખનારાઓ આકરા થઈ જતા હતા, પણ બોલે કાંઈક અને કરે કાંઈક એવા અપ્રમાણિક નમાલાઓ પણ નહોતા. મ્લ્લીનાથીનો આખો કેનવાસ ઊઘાડો હતો અને જગતની સામે હતો.

તો હમણાં કહ્યું એમ આઝાદ ભારતનું સ્વરૂપ કેવું હશે એની કલ્પના કે રૂપરેખા અભિવ્યક્ત કરવામાં આવતી હતી અને એમાં પ્રશ્નકર્તાઓનાં સ્થાન વિષે પણ ખુલાસા કરવામાં આવતા હતા. ગાંધીજીની કલ્પનાનું ભારત જવાહરલાલ નેહરુની કલ્પનાના ભારત કરતાં થોડુંક અલગ હતું. નેહરુની કલ્પનાનું ભારત સરદાર પટેલ અને તેમના જેવા બીજા કાઁગ્રેસીઓ કરતાં એક છેડે થોડુંક અલગ હતું તો ડૉ. આંબેડકરની કલ્પનાના ભારત કરતાં બીજા છેડે થોડુંક અલગ હતું. ડૉ. રામ મનોહર લોહિયા અને સમાજવાદીઓની કલ્પનાનું ભારત સી. રાજગોપાલાચારીની કલ્પનાના ભારત કરતાં થોડુંક અલગ હતું, વગેરે.

સુજ્ઞ વાચકે નોંધ્યું હશે કે અહીં મેં થોડુંક શબ્દનો પ્રયોગ કર્યો છે. જે મતભેદ હતા એ થોડા થોડા હતા, સાથે બેસી જ ન શકાય એવા મૂળભૂત નહોતા. માટે આઝાદ ભારતમાં અમારું સ્થાન ક્યાં હશે એવો પ્રશ્ન કરનારાઓને સંપૂર્ણપણે તો નહીં, પણ મહદ્દ અંશે સંતોષી શકાયા હતા. કોણ હતા એ પ્રશ્ન કરનારાઓ? દલિતો, સ્ત્રીઓ, આદિવાસીઓ, ઇશાન ભારતમાં અને છેવાડાના પ્રદેશમાં વસ્તી જાતિઓ, પોતાને આર્ય સંસ્કૃતિની બહાર ગણાવનારા દક્ષિણના દ્રવિડો, લઘુમતીઓ અને થોભો, હિન્દી ભાષાનો આગ્રહ રાખનારાઓ, હિન્દુસ્તાનીનો આગ્રહ રાખનારાઓ, પ્રાદેશિક ભાષાનો આગ્રહ રાખનારાઓ અને અંગ્રેજી ભાષાના આગ્રહીઓનો પણ પ્રશ્નકર્તાઓમાં સમાવેશ થતો હતો. કોઈ કોઈની છાતી પર ચડીને કોલર પકડીને એમ નહોતું કહેતું કે “હિન્દુસ્તાન મેં રેહના હો તો …” આવી ભાષા જ ત્યારે અજાણી હતી. આમ પણ અમર્ત્ય સેન કહે છે એમ વિમર્શરત ભારત(Argumentative India)ની સભ્યતા અને સંસ્કૃતિ પૂર્વપક્ષ – સિદ્ધાંત પક્ષની રહી છે, “હિન્દુસ્તાન મેં રેહના હો તો…”-વાળી અસંસ્કારી દાદાગીરીવાળી નહોતી. આ આયાતી સંસ્કૃતિ છે. બહુમતી રાષ્ટ્રવાદની કલ્પના જ આયાતી છે.

તમારી કલ્પનાના આઝાદ ભારતમાં અમારું સ્થાન ક્યાં હશે એ પ્રશ્ન શું સૂચવે છે? બે ચીજ. એક તો સ્થાન અર્થાત્ સમાવેશકતા અને બીજું ન્યાય. અમારા માટે કોઈ જગ્યા હશે કે નહીં અને જો હશે તો એ ન્યાયપૂર્વકની હશે કે નહીં. કોઈ પણ પ્રજાની માણસાઈનો આ અંતિમ માપદંડ છે. માણસની માણસાઈનો પણ આ અંતિમ માપદંડ છે. કોઈ પુરુષ વડીલ પુત્રવધૂને કહે કે, “આ ઘરમાં રહેવું હોય તો …” તો એવા પુરુષને તમે માણસાઈની એરણે પાસ કરશો? એવા ઘરમાં તમે દીકરી વરાવશો? એ પુત્રવધૂને આમ એટલા માટે કહેવામાં આવે છે કે એ “બીજા” ઘરની છે અને “ઊતરતી” લિંગ(જેન્ડર)ની છે. માટે તમારા ભારતમાં (કે ઘરમાં) અમારું સ્થાન હશે કે નહીં અને જો હશે તો એ ન્યાયપૂર્વકનું હશે કે નહીં એ લાખ રૂપિયાનો સવાલ છે.

ઘણા લોકો માટે આ કવરાવનારો સવાલ છે અને જે લોકોને એ કવરાવનારો કે માણસાઈની એરણે કસોટી કરનારો સવાલ લાગતો હતો એ લોકો ત્યારે ભારતનાં મેઘધનુષની બહાર હતા. પુત્રવધૂને ધમકાવનારો સસરો સમાજમાં જેવી પ્રતિષ્ઠા ધરાવે એવી પ્રતિષ્ઠા ત્યારે તેઓ દેશમાં ધરાવતા હતા. પણ જે લોકો ભારતનાં મેઘધનુષના રંગે રંગાયેલા હતા તેમણે ક્યારે ય આવી ભાષામાં પ્રશ્નકર્તાઓને જવાબ નહોતો આપ્યો. આમાં સૌથી વધુ કસોટી ગાંધીજીની થતી હતી, કારણ કે ગાંધીજી ભારતીય રાજકારણમાં શિરસસ્થ પુરુષ હતા. તેઓ દરેકને સાંભળતા હતા, દરેકને પોતાનાં અભિપ્રાય મુજબ ન્યાયપૂર્વકનું સ્થાન બતાવતા હતા અને જો કોઈને ઓછું પડે તો તેમની ગાળો પણ ખાતા હતા. પણ ઉપેક્ષા તેમણે કોઈની ય કરી નહોતી. ઉપેક્ષા, અવગણના અને અનુકૂળતાજન્ય દાદાગીરી ભાગેડુપણાંનાં લક્ષણ છે.

ટૂંકમાં ત્રણ ચીજ માણસને માણસ બનાવે છે. એક, સાથે બેસવું. બે, એક બીજાને સાંભળવા. સંવાદ અથવા વિમર્શ અને ત્રણ, ન્યાય. જગતમાં પ્રતિષ્ઠા ધરાવનારું ભારત આ ત્રણ પદાર્થોનું બનેલું છે. તમે આને માટે ગર્વ અનુભવો છો?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ઑગસ્ટ 2023

Loading

27 August 2023 Vipool Kalyani
← ત્રણ ગઝલ
લોકસાહિત્યના દાર્શનિકની કલમે વંદનીય ભ્રમણવૃત્તાંત →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved