Opinion Magazine
Number of visits: 9504420
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીએ કેમ હિન્દુસ્તાની ભાષાની તરફદારી કરી હતી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 April 2022

ઇન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ (૧૯૪૫-૧૯૬૭) રહેલા સુકર્ણોએ તેમની આત્મકથામાં, ભારતે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે ન સ્વીકારી તેના પર વ્યંગ કરતાં લખ્યું હતું, “ઇન્ડોનેશિયામાં ૧૦,૦૦૦થી વધુ ટાપુ છે અને અમારા દરેક ટાપુ પરનો નાગરિક આજે ઇન્ડોનેશિયાની નવી ભાષા ‘બહાસા’ બોલે છે. જયારે ભારત આટલો વિશાળ દેશ હોવા છતાં આજ સુધી તેની રાજભાષા અપનાવી નથી શક્યો.”

ભારત એક બહુભાષી દેશ છે, એટલે ભાષાને લઈને વર્ષોથી વિવાદ ચાલે છે. ખાસ કરીને, દક્ષિણનાં રાજ્યોમાં એવી ભાવના ઘર કરી ગઈ છે કે કેન્દ્રમાં સરકારો હિન્દી ભાષી રાજ્યોના નેતાઓની હોય છે, અને રાષ્ટ્રીય ચર્ચાઓમાં હિન્દીનું પ્રભુત્વ વધારે છે એટલે તેમના પર હિન્દી ભાષાને થોપવાની કોશિશ ચાલતી રહે છે. તેવામાં ગૃહ મંત્રી અમિત શાહે તેમાં અંગ્રેજીનો એન્ગલ ઉમેરીને તાજેતરમાં કહ્યું છે કે દેશના અલગ-અલગ રાજ્યોના લોકોએ એકબીજા સાથે અંગ્રેજીને બદલે હિન્દીમાં વાત કરવી જોઈએ.

સંસદીય ભાષા સમિતિની ૩૭મી બેઠકમાં બોલતાં તેમણે કહ્યું હતું કે, “પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું છે કે સરકાર ચાલવાનું માધ્યમ રાજભાષા હોવી જોઈએ અને તેનાથી નિશ્ચિતપણે હિન્દીનું મહત્ત્વ વધશે. હવે સમય આવી ગયો છે કે રાજભાષાને આપણા દેશની એકતાનો અગત્યનો હિસ્સો બનાવવામાં આવે.”

સ્વાભાવિક રીતે જ, દક્ષિણના રાજ્યોમાં તેનો ઉગ્ર પડઘો  પડ્યો છે. ત્યાંના ઘણા નેતાઓ અને આગળ પડતા લોકોએ હિન્દીને થોપવાનો પ્રયાસ ગણીને તેનો વિરોધ કર્યો છે. ભારતના સંવિધાનમાં હિન્દીને (સરકારી કામકાજની) રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે, સાથે સહાયક ભાષા તરીકે અંગ્રેજી છે. ભારતમાં ઘણાં રાજ્યોમાં હિન્દી નથી બોલાતી એટલે વિકલ્પમાં અંગ્રેજી ભાષાને પણ રાખવામાં આવી છે.

દક્ષિણનાં રાજ્યોમાંમાં પોતાની મજબૂત ભાષા-સંસ્કૃતિ છે. તમિલ ભાષાનો સમાવેશ દુનિયાની સૌથી જૂની ભાષાઓમાં થાય છે. સ્વતંત્રતા પહેલાં અને પછી પણ ભાષાને લઈને તમિલનાડુમાં હિંસક વિરોધ થઇ ચુક્યા છે. દક્ષિણનાં રાજ્યોની લાગણીઓને ધ્યાનમાં રાખીને જ હિન્દીને રાજભાષા તરીકે સીમિત રાખવામાં આવી હતી અને તેને રાષ્ટ્રભાષા ઘોષિત કરવામાં આવી ન હતી. મતલબ કે, દેશના લોકો પોતપોતાની ભાષામાં તેમનો સામાજિક-સાંસ્કૃતિક વ્યવહાર કરશે, જ્યારે તેમની સરકારો હિન્દી અથવા અંગ્રેજીનો ઉપયોગ કરશે.

એ અર્થમાં, ભાષાની દૃષ્ટિએ ભારત દુનિયાનો સૌથી ઉદાર દેશ છે. તેની ૨૨ અધિકૃત ભાષા છે (ઇન્ડોનેશિયાની, દાખલા તરીકે, એક જ અધિકૃત ભાષા છે) અને જેટલા દેવ તેટલી માતૃભાષા છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર, દેશમાં ૧૯,૫૦૦ લોકબોલી પ્રચલિત છે. હિન્દી સૌથી વધુ (૪૪%) બોલાતી ભાષા હોવા છતાં, રાષ્ટ્ર નિર્માતાઓને ભારતની રાષ્ટ્રભાષાને લઈને આઝાદી પહેલાંથી ઘણા પ્રશ્નો હતા.

આજે કદાચ ભાષાનો વિવાદ પ્રાદેશિક અભિમાનનો લાગે, પરંતુ આઝાદી પહેલાં ભારત જે રીતે અલગ-અલગ રજવાડાઓઓ અને પ્રાંતોમાં વહેંચાયેલું હતું, ત્યારે સૌથી મોટો પડકાર દેશની એકતા ઊભી કરવાનો હતો. ભાષાના નામ પર વિભાજન થઇ જાય એ કલ્પના નહીં, અસલી ડર હતો. જેમ કે બંગાળનું પહેલું વિભાજન ભાષાના આધારે થયું હતું. તમિલ લોકો ભાષાના આધારે જ સ્વતંત્રત રાજ્યની માંગણી કરી ચુક્યા હતા. એમાં, ઉર્દૂને લઈને પાછી એક જુદી જ હિંસક બહસ ચાલતી હતી.

એટલે, સ્વતંત્રતા ચળવળમાં રાજ્યોને સાથે રાખવા માટે કાઁગ્રેસે ખાતરી આપી હતી કે આઝાદી પછી પ્રાદેશિક ભાષાઓના આધારે રાજ્યોનું વિભાજન થશે. તેના માટે ૧૯૫૩માં સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન કમિશનની નિમણુક કરવામાં આવી હતી. જ્યારે હિન્દીને અંગ્રેજીના સખીપણામાં રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો, ત્યારે દક્ષિણનાં ભાષાઈ રાજ્યોને વિશ્વાસઘાત જેવો ભાવ થયો હતો અને ત્યારથી ત્યાં એવી ભાવના પ્રબળ બનતી રહી છે કે અમારી ઉપર હિન્દીને થોપવાનું એક લાંબાગાળાનું “કાવતરું” ઘડાયેલું છે.

મહાત્મા ગાંધી અને પંડિત નહેરુ બંને એક જ રાષ્ટ્રભાષાના સમર્થક હતા, પરંતુ એ એક ભાષા હિન્દી હોવી જોઈએ કે નહીં તેને લઈને વિવાદ-વિરોધ હતો. ગાંધીજીએ છેક ૧૯૨૫માં “યંગ ઇન્ડિયા”માં લખ્યું હતું, “આપણને એક સમાન ભાષાની પણ જરૂર છે, પરંતુ દેશી ભાષાઓને કચડીને નહીં, તેમાં ઉમેરા તરીકે. સામાન્ય રીતે એવી સંમતિ છે કે એ માધ્યમ હિન્દી અને ઉર્દૂ મિશ્રિત હિન્દુસ્તાની હોવું જોઈએ – શુદ્ધરૂપે સંસ્કૃત પણ નહીં અને પર્સિયન કે અરબી પણ નહીં.”

ભાષાનો ઝઘડો સમાપ્ત કરવા માટે શરૂઆતમાં હિન્દુસ્તાની ભાષાને રાષ્ટ્રભાષા ઘોષિત કરવા પર વિચાર થયો હતો. નહેરુએ તેને “સોનેરી માર્ગ’ (ગોલ્ડન મીન) કહી હતી. હિન્દી અને ઉર્દૂ બંનેના વિરોધી લોકોએ હિન્દુસ્તાની ભાષાની તરફદારી કરી હતી. ગાંધીજીએ હિન્દુસ્તાનીને “ફ્યુઝન ભાષા” તરીકે પેશ કરી હતી, જે હિન્દી અને ઉર્દૂ (ફારસી) બંને લિપિમાં લખી શકાય.

નથુરામ ગોડસેએ ગાંધીની જે કારણોસર હત્યા કરી હતી તેમાંનું એક કારણ આ ભાષા પણ હતી. ગાંધીહત્યાનો કેસ ચલાવનાર જસ્ટિસ આત્મચરણની વિશેષ અદાલતને 8 નવેમ્બર, 1948ના રોજ આપેલા બચાવ બયાનમાં ગોડસેએ કહ્યું હતું, “ઉર્દૂ પર કોઇ પણ દેશભક્તે પ્રતિબંધ નથી મૂક્યો પરંતુ ઉર્દૂને હિન્દુસ્તાનીના નામથી થોપવા પાછળ એક ષડ્યંત્ર અને અપરાધ છે.”

હિન્દુસ્તાની ભાષાનો ઇતિહાસ બહુ જૂનો છે. હિન્દીનું પહેલું વ્યાકરણ હોલેન્ડના નિવાસી જોન જોશુઆ કેટલર નામના વેપારીએ લખ્યું હતું. એ પહેલાં સુરત આવ્યો હતો અને પછી દિલ્હી, આગ્રા, લાહોર ગયો હતો. ઓરંગઝેબના શાસનમાં એટલે કે ૧૬૯૮માં તેણે ડચ ભાષામાં હિન્દી પર પુસ્તક લખ્યું હતું, જેનું નામ હતું “હિન્દુસ્તાની ગ્રામર.” ૧૯૨૮માં, “હિન્દુસ્તાની કા સબસે પ્રાચીન વ્યાકરણ” શીર્ષકથી તેનો હિન્દી અનુવાદ થયો હતો. એ પછી દોઢસો વર્ષ સુધી હિન્દી-વ્યાકરણના નામે જે પુસ્તકો ઉપલબ્ધ હતાં તે સૌ હિન્દુસ્તાનીનાં છે.

રાષ્ટ્રભાષાને લઈને જ્યારે વિવાદ ચરમસીમા પર હતો અને ગાંધીજીની હિન્દુસ્તાનીની તરફદારી પણ લોકોને મંજૂર નહોતી ત્યારે, ભાષાના રાજકારણને સમજાવતાં કાકા સાહેબ કાલેલકરે લખ્યું હતું, “હિન્દીનો પ્રચાર કરીને આપણે એટલું તો જોઈ શક્યા છીએ કે, હિન્દી સાહિત્ય સંમેલનને ઉર્દૂ સાથે લડીને હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવી છે અને ગાંધીજીને તો ઉર્દૂ સાથે જરૂરી સમાધાન કરીને હિંદુ-મુસ્લિમોની સંયુક્ત શક્તિ મારફતે અંગ્રેજીને હટાવીને તેના સ્થાને હિન્દીને બેસાડવી હતી. આ બે દૃષ્ટિકોણ વચ્ચે જે ખેંચતાણ થઇ, એ જ ગાંધીયુગના રાષ્ટ્રભાષા પ્રચારના ઇતિહાસનો સાર છે.”

પ્રગટ : ‘બ્રેકિગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 24 ઍપ્રિલ 2022

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

25 April 2022 admin
← ગુરુ તેગ બહાદુરનો જન્મોત્સવઃ શીખોને રિઝવવા ભા.જ.પા.ની આકરી મથામણ કેટલી લેખે લાગશે?
જિજ્ઞેશ મેવાણીની દમનકારી ધરપકડ →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved