Opinion Magazine
Number of visits: 9485960
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજી અને નટેસનઃ ગાંધીયુગનું ભૂલાયેલું પ્રકરણ

વિશાલ શાહ|Gandhiana|23 April 2016

મોહનદાસ ઈ.સ. ૧૮૯૩માં દક્ષિણ આફ્રિકા ગયા, ત્યાં તેમણે બે દાયકા રાજકીય-સામાજિક આંદોલનમાં ગાળ્યાં, અને ઈ.સ. ૧૯૧૫માં ૪૬ વર્ષની ઉંમરે ભારત પરત ફર્યા. ગાંધીજી (એ વખતે ગાંધીભાઈ) દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા એ પહેલાં જ અહીંના રાજકીય-સામાજિક અને બૌદ્ધિક વર્તુળોમાં જાણીતા થઈ ગયા હતા. સોશિયલ મીડિયાના ઉદ્ભવની એક સદી પહેલાં ભારતમાં પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરી ચૂકેલા ગાંધીભાઈને જાહેર સમારંભોમાં જોવા-સાંભળવા ઊમટતી ભીડ જોઈને ત્યારના અનેક નેતાઓને આશ્વર્ય થતું. એ વખતે તેઓ ‘મહાત્મા’ તરીકે નહીં પણ દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓના અધિકાર માટે સત્યાગ્રહ કરનારા બારિસ્ટર તરીકે જાણીતા હતા. એક એવા બારિસ્ટર જેમણે સત્ય અને અહિંસાના માર્ગે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. એ પહેલાં વિશ્વએ આવું વિશિષ્ટ પ્રકારનું આંદોલન જોયું ન હતું. હવે સવાલ એ છે કે, ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેમના વિચારો ભારતના રાજકીય-સામાજિક અને બૌદ્ધિક વર્તુળોમાં કેવી રીતે પહોંચ્યા હતા? જવાબઃ ભારતીય સમાજમાં પત્રકારત્વ અને પુસ્તકો થકી ગાંધીવિચારનો પ્રચાર-પ્રસાર કરનારી વ્યક્તિ હતી, ગણપતિ અગ્રાહરમ અન્નાદુરાઈ અય્યર નટેસન. દક્ષિણ આફ્રિકા જ નહીં, ભારતીય સ્વતંત્રતા આંદોલનના પણ એ રસપ્રદ પ્રકરણ પર બાઝી ગયેલી ધૂળ ખંખેરવાનો પ્રયાસ કરીએ.

ગણપતિ નટેસન તમિળનાડુના પત્રકાર, લેખક, પુસ્તક પ્રકાશક અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમનો જન્મ ૨૫મી ઓગસ્ટ, ૧૮૭૩ના રોજ તમિલનાડુના તાંજોર જિલ્લાના અગ્રાહરમ અન્નાદુરાઈ ગામે થયો હતો. મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાંથી આર્ટ્સમાં સ્નાતકની પદવી લીધા પછી નટેસને ૨૧ વર્ષની વયે ‘મદ્રાસ ટાઈમ્સ’માં નોકરી શરૂ કરી. ઉદ્યોગસાહસિકતાના ભરપૂર ગુણ ધરાવતા નટેસને ઈ.સ. ૧૮૯૭માં નોકરી છોડીને ‘જી.એ. નટેસન એન્ડ કંપની’ નામે પ્રકાશન સંસ્થા શરૂ કરી. નટેસનની પ્રકાશન કંપનીનું કામ સારું ચાલતું હતું, પરંતુ ઈ.સ. ૧૯૦૦માં તેમણે ‘ધ ઈન્ડિયન રિવ્યૂ’ નામનું અંગ્રેજી માસિક શરૂ કરી, ફરી એકવાર, પત્રકારત્વમાં ઝંપલાવ્યું. આ માસિકમાં નટેસને ધર્મ, રાજકારણ, આર્થિક-સામાજિક પ્રવાહો, અર્થતંત્ર, કૃષિ, સાહિત્યિક સમીક્ષાઓની સાથે ગાંધીજી વિશે પણ ઘણું છાપ્યું. આ સામાયિકના કવરપેજ પર નટેસન ‘તમામ વિષયોની ચર્ચાને વરેલું માસિક’ એ મતલબની જાહેરખબર પણ મૂકતા. ‘ધ ઈન્ડિયન રિવ્યૂ’ના શરૂઆતના અંકો પ્રાપ્ય નથી પણ વર્ષ ૧૯૧૦ અને એ પછીના અંકોમાં ગાંધીજીના અનેક ઉલ્લેખ મળે છે.

‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ ઓફ એમ. કે. ગાંધી’ની વર્ષ ૧૯૧૫માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું  કવર અને બાજુમાં એ જ પુસ્તકમાં ગાંધીજી અને કસ્તૂરબા સાથે જી.એ. નટેસનની તસવીર

ગાંધીજી ‘ગાંધીભાઈ’ હતા ત્યારથી જ નટેસનનો તેમના સાથે નાતો જોડાઈ ગયો હતો. ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં નટેસનનો સૌથી પહેલો ઉલ્લેખ ૩૦મી જુલાઈ, ૧૯૦૯ના રોજ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના આંદોલનમાં તેમના સાથીદાર હેનરી પોલાકને લખેલા પત્રમાં મળે છે. એ પત્રમાં ગાંધીજીએ પોતાના વિચારો અને અભિપ્રાયોનો પ્રચાર કરવા નટેસન સાથે ચોક્કસ પ્રકારની સમજૂતી થાય એવી પોલાક સમક્ષ આશા સેવી હતી. જો કે, ગાંધીજી નટેસનની કામગીરીથી કેવી રીતે પરિચિત થયા એ વિશે માહિતી મળતી નથી, પરંતુ જુલાઈ ૧૯૦૯ પછી નટેસને ગાંધીજીના વિચારોનો પ્રચાર-પ્રસાર કરવામાં મદદ કરી હતી, એ સાબિતીઓ ગાંધીજીના પત્રો અને લખાણોમાં મળે છે. ગાંધીજીના ભારત આગમન પહેલાં વર્ષ ૧૯૦૯માં નટેસને ‘ધ ઈન્ડિયન્સ ઓફ સાઉથ આફ્રિકા, હેલ્ટોસ વિથિન ધ એમ્પાયર એન્ડ હાઉ ધે ટ્રીટેડ’ નામનું હેનરી પોલાકનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. એ પછીના વર્ષે તેમણે ‘એમ. કે. ગાંધી એન્ડ ધ સાઉથ આફ્રિકા ઈન્ડિયન પ્રોબ્લેમ’ નામનું પ્રાણજીવન જગજીવન મહેતા લિખિત પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકોના કારણે અંગ્રેજી જાણતા-બોલતા ભારતીયો ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના આંદોલનના વધુ નિકટ પરિચયમાં આવ્યા હતા.

ગાંધીજી અને કસ્તૂરબા દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યાં એ જ વર્ષે ૧૭મી એપ્રિલ, ૧૯૧૫ના રોજ મદ્રાસની મુલાકાતે ગયાં, ત્યારે તેમનો ઉતારો નટેસનના ઘરે હતો. ગાંધીજી અને કસ્તૂરબા મદ્રાસ સેન્ટ્રલ સ્ટેશને પહોંચ્યાં ત્યારે તેમને જોવા-સાંભળવા અને તેમનું સ્વાગત કરવા આશરે બે હજાર લોકો ભેગા થયા હતા. ગાંધી દંપતીના મદ્રાસ આગમનનો ‘ધ હિંદુ’માં અહેવાલ છપાયો હતો, જેની નોંધ ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં છે. આ અહેવાલ પ્રમાણે, ‘‘… શ્રી ગાંધી દૂબળા પાતળા દેખાતા હતા. એમણે એક ખૂલતું પહેરણ અને પાયજામો પહેર્યાં હતા, જે બંને ચાર દિવસની સતત મુસાફરીને લીધે મેલાં થઈ ગયાં હતાં. લોકો એ ડબા ઉપર ધસી ગયા અને ભીડ એટલી બધી હતી કે ત્યાં ઊભેલા ડઝનેક પોલીસ એને કાબૂમાં રાખી શક્યા નહીં. એટલે આખરે તેઓ એ ટોળાને એની મરજી પર છોડી દઈ ત્યાંથી હઠી ગયા … ટોળામાંથી ‘ગાંધી દંપતી ઝિંદાબાદ’, ‘અમારા વીર ઝિંદાબાદ’, ‘વન્દે માતરમ’ના પોકારો ગાજી ઊઠ્યા. શ્રી ગાંધીએ નમસ્કાર કરી એ પોકારો ઝીલ્યા. પછી તેમને ઘોડાગાડી નજીક લઈ જવામાં આવ્યા. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા. એમણે ગાડીને જોડેલા ઘોડાને છૂટો કરી નાખ્યો અને પોતે ગાડી ખેંચવા આગળ આવ્યા. તેઓ ગાડીને ખેંચીને સુનકુરામ ચેટ્ટી સ્ટ્રીટમાં આવેલા મેસર્સ નટેસન એન્ડ કંપનીના મકાને લઈ ગયા. આખે રસ્તે લોકો શ્રી ગાંધીનો હર્ષનાદથી જયજયકાર કરતા હતા …’’ 

‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ ઓફ એમ. કે. ગાંધી’ ની ૧૯૨૨માં પ્રકાશિત ત્રીજી આવૃત્તિમાં નટેસને મૂકેલી ગાંધીજીના પુસ્તકની જાહેરખબર. આ જાહેરખબરમાં ‘ઇન્ડિયન રિવ્યૂ’ના ગ્રાહકોને વિવિધ પુસ્તકો પર અપાતા ડિસ્કાઉન્ટની પણ વિગતો જાણવા મળે છે.    

ગાંધીજી અને નટેસનની એ પહેલી મુલાકાત હતી. ગાંધીજી આઠમી મે, ૧૯૧૫ સુધી એટલે કે ત્રણ અઠવાડિયા નટેસનના ઘરે રોકાયા. આ દરમિયાન તેમણે મદ્રાસમાં કેટલાક સ્થળોએ ભાષણો આપ્યા તેમ જ અનેક સંસ્થાઓના આમંત્રણો સ્વીકારીને ત્યાં જાહેર બેઠકો યોજી. ગાંધીજીનો મદ્રાસ જવાનો મુખ્ય હેતુ દક્ષિણ આફ્રિકાથી હદપાર (ડિપોર્ટ) કરાયેલા સત્યાગ્રહીઓને મળવાનો હતો કારણ કે, દક્ષિણ આફ્રિકાના મોટા ભાગના હિંદી વસાહતીઓ દક્ષિણ ભારતીયો હતા. દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલથી હદપાર કરાયેલા દક્ષિણ ભારતીયોને નટેસને ખૂબ મદદ કરી હતી. એ મુદ્દે ગાંધીજીએ ૧૬મી જુલાઈ, ૧૯૧૦ના ‘ઈન્ડિયન ઓપિનિયન’માં નોંધ્યું હતું કે, ‘‘… મિ. નટેસનની સેવાઓની પ્રશંસા કરતા ઘણા પત્રો અમને મળ્યા છે. હદપારીઓની દશા સહ્ય બને તે માટે તેમણે ઘણું ઘણું કર્યું છે. મદ્રાસના વર્તમાનપત્રોએ પણ તેમના વખાણનાં પાનાંના પાનાં ભર્યાં છે. તેમની મહાન લોકલાગણી માટે અમે મિ. નટેસનને અભિનંદન આપીએ છીએ.’’ આમ, દક્ષિણ આફ્રિકાના આંદોલનોથી શરૂ થયેલો ગાંધીજી-નટેસનનો સંબંધ તેમના ભારત આગમન પછી વધારે ગાઢ બન્યો હતો.

એ પછી નટેસને વર્ષ ૧૯૧૮માં ‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ ઓફ એમ. કે. ગાંધી’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જેના શીર્ષક નીચે ‘ઓથોરાઈઝ્ડ. અપ ટુ ડેટ, કોમ્પ્રિહેન્સિવ.’ એવું ઝીણું લખાણ મૂકાયું હતું. આ પુસ્તકની પ્રસ્તાવનામાં નટેસને નોંધ્યું છે કે, ગાંધીજીના ભાષણો અને લખાણો ધરાવતું આ સંપૂર્ણ, અધિકૃત અને અપ-ટુ-ડેટ પુસ્તક છે … ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે તેમના વિચારો-અભિપ્રાયો તોડી-મરોડીને રજૂ કરાતા હતા એટલે નટેસને એવું લખાણ રાખ્યું હોઈ શકે! આ જ કારણસર દક્ષિણ આફ્રિકાના આંદોલન વખતે ગાંધીજીને પોતાનું અખબાર હોવું જોઈએ એવો વિચાર આવ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ વિવિધ અખબારોમાં લેખો-ચર્ચા પત્રો લખીને તેમ જ ઈન્ટરવ્યૂ આપીને લોકમત ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. એ પ્રયાસ અપૂરતા લાગતા ગાંધીજીએ વર્ષ ૧૯૦૩માં ‘ઈન્ડિયન ઓપિનિયન’ અખબાર શરૂ કર્યું. આ અખબાર અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને તમિળ એમ ચાર ભાષામાં પ્રકાશિત થતું હતું. એટલે એવું અનુમાન થઈ શકે કે, દક્ષિણ આફ્રિકા સ્થિત તમિળભાષીઓ થકી તેમ જ પોતાના વિચારો યોગ્ય રીતે લોકો સુધી પહોંચે એવી મથામણમાંથી ગાંધીજી નટેસનના પરિચયમાં આવ્યા હશે! ગાંધીજીએ તમિળ શીખવાની શરૂઆત કર્યા પછી તમિળમાં સૌથી પહેલો પત્ર નટેસનને લખ્યો હતો, જે આજે ય તમિલનાડુના મદુરાઈસ્થિત ગાંધી મ્યુિઝયમમાં જોવા મળે છે. દિલ્હીના ગાંધી મ્યુિઝયમમાં પણ ગાંધી-નટેસનના સંબંધની અમુક યાદો સચવાયેલી છે, જે નટેસન પરિવારે ભારત સરકારને ભેટ આપી હતી.

‘સ્પિચિઝ ઓન ઇન્ડિયન અફેર્સ બાય મોર્લી’ પુસ્તકની ત્રીજી આવૃત્તિમાં  ‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ’ શ્રેણી હેઠળના પુસ્તકોની જાહેરખબર. આ જાહેરખબરમાં પણ ‘ઇન્ડિયન રિવ્યૂ’ના ગ્રાહકોને વિવિધ પુસ્તકો પર અપાતા ડિસ્કાઉન્ટની વિગતો તેમ જ ‘ઇન્ડિયન રિવ્યૂ’નું વાર્ષિક લવાજમ રૂ. પાંચ હતું અે જાણવા મળે છે.'

ગાંધીજી ભારત આવ્યા એ પછીયે નટેસને ગાંધીવિચારોનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ ૧૯૨૨માં નટેસને ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ’ પુસ્તક ‘હિંદ સ્વરાજ ઓર ઈન્ડિયન હોમ રૂલ’ નામે અંગ્રેજીમાં પ્રકાશિત કર્યું હતું. એ જ વર્ષે ‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ ઓફ એમ. કે. ગાંધી’ની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત થઈ હતી, જેના કવરપેજ પર ‘વિથ એન ઈન્ટ્રોડક્શન બાય સી. એફ. એન્ડ્રુઝ એન્ડ એ બાયોગ્રાફિકલ સ્કેચ’ એવું લખાણ જોવા મળે છે. સી. એફ. એન્ડ્રુઝ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ વતી ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા આવ્યા હતા. ગોપાલકૃષ્ણ ગોખલેએ એન્ડ્રુઝ થકી ગાંધીજીને દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવી જવાનો સંદેશ મોકલ્યો હતો. એ મુદ્દે ગાંધીજીને સમજાવવાનો શ્રેય એન્ડ્રુઝને જાય છે. નટેસને ઈ.સ. ૧૮૯૮માં એટલે કે પ્રકાશન સંસ્થા શરૂ કર્યાના બીજા જ વર્ષે, ‘સ્પિચિઝ ઓફ ધ ઓનરેબલ મિ. જી. કે. ગોખલે’ પુસ્તક પ્રકાશિત કર્યું હતું. શું ગાંધીજી-નટેસનનો પરિચય ગોખલે થકી થયો હશે? વર્ષ ૧૯૩૧માં નટેસનની કંપનીએ હેનરી પોલાકના ‘મહાત્મા ગાંધી, એન એન્લાર્જ્ડ એન્ડ અપ-ટુ-ડેટ એડિશન ઓફ હિઝ લાઈફ એન્ડ ટીચિંગ્સ’ નામના પુસ્તકની નવમી આવૃત્તિ પ્રકાશિત કરી હતી. એક પુસ્તકની આટલી આવૃત્તિઓ પરથી ગાંધીવિચારો ફેલાવવામાં નટેસનનું યોગદાન કેવું હશે, એ સમજી શકાય એમ છે. 

આજે આપણે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ગણપતિ અગ્રાહરમ અન્નાદુરાઈ અય્યર નટેસનને એક ક્રાંતિકારી પુસ્તક પ્રકાશક તરીકે પણ યાદ કરવા જોઈએ. તેમણે ઈ.સ. ૧૯૦૦થી ૧૯૩૦ વચ્ચે ‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ’ અને ‘જીવનચરિત્રો’ જેવી શ્રેણી અંતર્ગત મદનમોહન માલવિયા, ગોપાલકૃષ્ણ ગોખલે, મહાદેવ ગોવિંદ રાનડે, સર દિનશા એદલજી વાચ્છા, દાદાભાઈ નવરોજી, જગદીશચંદ્ર બોઝ, સુરેન્દ્રનાથ બેનરજી, રામકૃષ્ણ પરમહંસ, એમિનન્ટ મુસલમાન્સ, લીડર્સ ઓફ બ્રહ્મો સમાજ, ચૈતન્ય ટુ વિવેકાનંદ અને ફેમસ પારસીઝ જેવાં પુસ્તકોની એકથી વધારે આવૃત્તિઓ પ્રકાશિત કરી હતી. નટેસનની કંપનીએ છાપેલાં પુસ્તકોમાં વિષય વૈવિધ્ય, ઓછી કિંમત અને એકથી વધારે આવૃત્તિઓની સંખ્યા ઊડીને આંખે વળગે છે. તેમણે હિંદુ ધર્મ, સંપ્રદાયો, ભારત અને રાષ્ટ્રવાદ, ઇતિહાસ, અર્થતંત્ર, શિક્ષણ, ખેતી, ભારતીય કળા, તેલુગુ લોકસાહિત્ય, શંકરાચાર્ય, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ઈશાન ભારતીયો, ભારતીય ઉત્પાદકો, ઉદ્યોગો, બ્રિટન તેમ જ બ્રિટનની એશિયાઈ કોલોની જેવા વિષયોનાં ઓછી કિંમત ધરાવતાં પુસ્તકો પણ પ્રકાશિત કર્યા હતા. નટેસને પ્રકાશિત કરેલાં પુસ્તકોની રેન્જ શેક્સપિયરથી લઈને તેનાલીરામન સુધીની છે. નટેસને ગાંધીવિચાર જ નહીં, ભારતીય સ્વતંત્રતા આંદોલન વખતે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવા તેમ જ જ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરવા પુસ્તક પ્રકાશનનું એક ક્રાંતિકારીને છાજે એવું કામ કર્યું હતું.

નટેસને સ્વતંત્રતા આંદોલન વખતે ગાંધીજીને તેમના વિચારો ફેલાવવાની સાથે આર્થિક મદદ પણ કરી હતી. ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં નોંધ્યા પ્રમાણે, ૨૮મી મે, ૧૯૧૫ના રોજ ગાંધીજીએ નટેસનને ‘તમારો રૂ. ત્રણ હજારનો ચેક મળી ગયો છે’ એવો ઉલ્લેખ કરતો પત્ર લખ્યો હતો, જે કદાચ તેનો એકમાત્ર અધિકૃત પુરાવો છે.

e.mail : vishnubharatiya@gmail.com

Loading

23 April 2016 admin
← અન્યાય સામે અડીખમ લડાઈ
પ્રેમ નહિ પણ … →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved