Opinion Magazine
Number of visits: 9446691
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીવારસાની અનિવાર્યતા ઉજાગર કરતું પુસ્તક

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|9 April 2023

‘ગાંધીવારસાનાં નારીરત્નો’ નામના નવા પુસ્તકમાં લેખક મોસમ ત્રિવેદીએ ચોસઠ મહિલાઓના પરિવર્તનકારી પ્રદાનને વિગતસભર આલેખ્યું છે.

નારી-અભ્યાસ, ગાંધી-અભ્યાસ, ઇતિહાસ અને દસ્તાવેજીકરણ એમ ચાર રીતે મહત્ત્વનું આ પુસ્તક માતબર માહિતીકોશ બને છે.

મોસમબહેન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરતમાં સમાજશાસ્ત્રના નવી પેઢીનાં અધ્યાપક છે, જે ઘણાં સમયથી વિવિધ ક્ષેત્રની અગ્રણી મહિલાઓ વિશે કટાર લખતાં રહ્યાં છે.

તેમાંથી ગાંધીવિચારને સમાજસેવા થકી ચરિતાર્થ કરનાર મહિલાઓ વિશેના લેખોનું 250 પાનાંનું  આ પુસ્તક જાણીતા યુવા પ્રતસંપાદક કેતન રૂપેરાએ સંપાદિત કર્યું છે.

પુસ્તકના દરેક લેખ સાથે વિપુલ, અને કેટલીક દુર્લભ પૂરક સામગ્રી, સંદર્ભસૂચિ અને પરિશિષ્ટ છે, જે સંપાદકના ગાંધીવિચારના અભ્યાસનું પરિણામ છે. 

ગયાં દસેક વર્ષમાં કેતનભાઈએ સંપાદિત કરેલાં પુસ્તકો જોતાં એવું જણાય છે કે તેઓ પોતાની સૂઝ અને મહેનતથી સંપાદનમાં ગુણવત્તાનો એક નવો માપદંડ ઊભો કરવા તરફ આગળ વધી  રહ્યા છે.

પુસ્તકની ચરિત્રનાયિકાઓ, 1862માં જન્મેલાં, ઠીક અજાણ્યાં જમનાબાઈ સક્કઈથી લઈને ગઈ સદીમાં 1939માં જન્મેલાં અને થોડાંક જ ઓછાં અજાણ્યાં કોકિલાબહેન વ્યાસ-નિરંજનાબહેન કલાર્થી સુધીના 77 વર્ષનાં સમયગાળાને આવરી લે છે.

આ મહિલાઓનાં સાતત્યપૂર્ણ જીવનકાર્યના ત્રણ પાસાં આ પુસ્તકમાં છે. એક, સાબરમતી આશ્રમમાં નિવાસ થકી ગાંધીજીનો સહવાસ-પ્રભાવ અથવા માતપિતા કે જાહેર કાર્યક્રમ થકી ગાંધીજીની અસર; બે, આઝાદીની લડતમાં સહભાગ; અને ત્રણ, લડત દરમિયાન તેમ જ સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમ થકી બદલાવ લાવવાની વંદનીય કામગીરી.

સહવાસ-પ્રભાવની બાબતમાં ગાંધીનો કિમિયો કેવો ? – તેના એક બોલે ગંગાબહેન વૈદ્યે વાળ કપાવી નાખ્યાં, મીઠુબહેન પિટીટે બૂટ અને દશરીબહેને ઘરેણાં પહેરવાનાં છોડી દીધાં, મજમુદાર ગંગાબહેને પચાસ ઇંચ પનાનો ધોતીજોટો ઇનૉવેટ કર્યો.

સમગ્ર ગુજરાતમાં કાર્યરત રહેલી મહિલાઓ આઝાદીની દરેક મોરચે મેદાનમાં ઊતરી છે : બારડોલી અને ધરાસણા સત્યાગ્રહો, દાંડી કૂચ, હિંદ છોડો, પિકેટિન્ગ, વિદેશી કાપડની હોળી, અગણિત સ્થાનિક ધરણાં-દેખાવો, કૉન્ગ્રેસ અધિવેશનોમાં મદદ જેવી સામેલગીરીની આ યાદી ઘણી લાંબી થઈ શકે.

લડતમાં પોલીસના લાઠીમારમાં ઇજાઓ થઈ છે, જેલવાસો થયા છે. ભક્તિબાએ રાયસાંકળીના દરબારગઢને અંગ્રેજ સરકારે મારેલું સીલ તોડવા એકલહાથે સત્યાગ્રહ કર્યો હતો.

પુષ્પા દેસાઈ તબીબી અભ્યાસ છોડીને લડતમાં જોડાયાં છે. મીઠુબહેને કૌટુંબિક વારસામાં ભાગ જતો કર્યો.

ગાંધીપ્રેરિત મહિલાઓનાં જીવન અંગે સંપાદક આ મતલબનું લખે છે : ‘પુસ્તકમાં સમાવિષ્ટ અડધોઅડધ બહેનો, જીવનના બહુ નાજુક અને વિકટ સંજોગોમાં ગાંધીજીની લડતમાં જોડાઈ હતી. જીવનના ભર તળે દબાઈ જવાને બદલે તેમણે બમણા જુસ્સાથી લડતમાં ઝૂકાવ્યું હતું.

‘કોઈએ બાળ વયે જ માતા ગુમાવી હતી, તો કોઈએ પિતા. કોઈએ પતિ તો કોઈએ ભાઈ-બહેન. કોઈએ એક પછી એક કુટુંબના બધા સભ્યો ગુમાવ્યા હતા.

‘જૂજ કિસ્સામાં કુટુંબના વિરોધ છતાં, બાપુનો સાથ છોડ્યો ન હતો. ઊલટું તેમના જીવનમાં બાપુની પ્રત્યક્ષ હાજરી અને તેમના લખાયેલા અનેક પત્રોએ ઘણાં નારીરત્નોની ઉન્નતિમાં પ્રેરક ભૂમિકા ભજવી હતી.’

ગાંધીવારસાને આગળ ધપાવનાર મહિલાઓના અનેકવિધ વ્યાપક રચનાત્મક કાર્યોને સંપાદકે દરેક લેખની સાથે મૂકેલાં બૉક્સમાં અલગ તારવીને મૂક્યા છે. તે ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમનાં મોટા ભાગના કામોને આવરી લે છે.

એટલે તેમાં અસ્પૃશ્યતાનિવારણ, કોમી એકતા, ખાદી, દલિત-આદિવાસી ઉત્કર્ષ, નશાબંધી, નયી તાલીમ, નારી ઉત્કર્ષ માટે કન્યાકેળવણી અને સ્વદેશીનાં ક્ષેત્રોમાં કરેલાં  કામોની નોંધ મળે છે.

તદુપરાંત આપત્તિ રાહત, ગ્રંથાલય પ્રવૃત્તિ, પત્રકારત્વ, વિભાજન-પીડિત મહિલાઓનું પુનર્વસન, સંગીત-પ્રાર્થના, સાહિત્ય, સંસ્થાકીય વહીવટમાં પણ ગાંધી-વિચારી મહિલાઓએ કાઠું કાઢ્યું છે.

જ્યોતિ સંઘ, અખિલ હિન્દ મહિલા પરિષદ, સેવા અને વિકાસ ગૃહ જેવી અનેક સંસ્થાઓમાં બહોળું કામ કરનાર અનેક મહિલાઓનું ઘડતર ગાંધીવિચાર થકી થયું હતું એ પણ અહીં જોવા મળે છે.

ગાંધી-સહવાસ અને લડત-સહભાગ વિના પણ ગાંધીનાં કામ કરનારમાં માલિનીબહેન દેસાઈ, ઇલાબહેન ભટ્ટ, કોકિલાબહેન-નિરંજનાબહેનનો સમાવેશ થાય છે.

‘જ્યારે મોટાભાગના કાર્યકરો સત્યાગ્રહની લડતોમાં જોડાયા ત્યારે આ ઇચ્છા ધરાવતાં હોવા છતાં તારાબહેન મોડક બાળશિક્ષણનાં કાર્યને જ નિષ્ઠાપૂર્વક વળગેલાં રહ્યાં’ એમ લેખિકા નોંધે છે.

‘પહેલાં મહિલા કામદાર નેતા’ અનસૂયાબહેન સારાભાઈ ‘પ્રચલિત અર્થમાં ગાંધીવાદી ન હતાં, પણ ગાંધી પ્રત્યે તેમને ઊંડી શ્રદ્ધા હતી’, એવું પણ લેખિકાનું નિરીક્ષણ છે.

ગાંધીવિચારને વરેલાં માતપિતાનાં દીકરી ચૌદમા વર્ષે ધંધુકાના રેલવેપુલને બૉમ્બથી ઊડાવી દેવાની યોજનામાં પકડાઈ ગયાં હતાં. તેઓ આગળ ઉપર સામ્યવાદી પક્ષમાં અગ્રણી બન્યાં.

હરિશ્ચન્દ્ર બહેનો ગાંધી કરતાં વિનોબાના ક્ષેત્રમાં હતાં. કાશીબહેન મહેતાનું અસાધારણ કામ દુર્ગમ વિસ્તારમાં ગરીબોની તબીબી સેવા અને સહકારી મંડળીનું રહ્યું.

કેટલીક મહિલાઓએ નોખી રીતે ગાંધી કાર્ય કર્યું છે. જેમ કે, ઉષાબહેન મહેતા આઝાદીની ચળવળના ભૂગર્ભ રેડિયોનો પર્યાય બન્યાં. જાઈજીબહેન પિટીટે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ માટે ખૂબ મહેનતથી નાણાં એકઠાં કર્યા હતા.

મહાદેવભાઈ દેસાઈની ગેરહાજરીમાં કુસુમબહેન દેસાઈ ગાંધીજીની રોજનીશી અને પત્રવ્યવહાર સંભાળતાં. જયવતીબહેન, કંચનબહેન, નર્મદાબહેન અને હીરાબહેન અનુક્રમે ગ્રંથાલય, બહેનોની વ્યાયામ-તાલીમ, ખેતીવાડી અને ભીલ સમૂહના શિક્ષણ સાથે સંકળાયાં.

નીલમબહેન પરીખે ગાંધીજીનો વારસો પુસ્તકોના સંપાદન અને તારાબહેન ગાંધીએ  સંસ્મરણ આલેખન દ્વારા જાળવ્યો.

મોસમબહેનનાં લેખોમાંથી અને સંપાદકના બૉક્સ તેમ જ પાદટીપો(ફૂટનોટ્સ)માંથી કેટલીક રસપ્રદ માહિતી મળે છે : ગુજરાતમાં માનસિક રોગથી પીડાતાં લોકો માટેની પહેલી હૉસ્પિટલ મીઠુબહેને સ્થાપી.

પેરિનબહેન મિસ્ત્રી અને પેરિનબહેન કૅપ્ટન નામનાં બે કર્મઠ મહિલાઓ હતી. અંગ્રેજ સરકારે જેમનું પુસ્તક જપ્ત કર્યું હોય એવાં એક માત્ર ગુજરાતી લેખિકા લાભુબહેન મહેતા છે. કસ્તૂરબાને લખતાં-વાંચતા ગાંધીએ નહીં પણ દશરીબહેને શીખવ્યું.

નામ પહેલાં ‘ડૉ.’ કે. પ્રોફેસર ન લખનારાં મોસમબહેન તેમના નિવેદનમાં જણાવે છે કે પ્રસ્તુત  પુસ્તકનું વિષયબીજ તેમના પીએચ.ડી.ની પદવી માટેના સંશોધનમાં રહેલું છે.

સમાજશાસ્ત્રના જાણીતા અભ્યાસી પ્રા. ગૌરાંગ જાનીના માર્ગાદર્શન હેઠળના તેમના સંશોધનનો વિષય હતો – ‘અમદાવાદ શહેરમાં મહિલાશિક્ષણની સદી 1911- 2011’.

લેખિકા નોંધે છે : ‘સંશોધનની યાત્રા દરમિયાન સમજાતું ગયું કે મહાત્મા ગાંધીના પ્રયાસો વિના ભારતીય સમાજજીવનની તાસીર આટલી ઝડપથી બદલાઈ ન શકી હોત.’

તેમનાં બીજાં બે મહત્ત્વનાં નિરીક્ષણો છે : એક, ‘વીસમી સદીના આઝાદ ભારતમાં દાયકાઓ સુધી સમાજ જીવનના સર્વ ક્ષેત્રો પર ગાંધીજીની અસર વર્તાતી હતી. પરંતુ વીસમી સદીના અંતિમ દાયકાથી આ અસર ઓસરવાની ઝડપ વધી ગઈ’; અને બે, ‘ભારતમાં મહિલા સશક્તિકરણનાં પાયા ભારતની સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન જ નખાઈ ગયા હતા’.

સમાજશાસ્ત્રનાં વિદ્યાકીય પુસ્તક-પુસ્તિકાઓ પોતે લખીને પોતાના જ ‘અણમોલ પ્રકાશન’ દ્વારા પ્રસિદ્ધ કરનાર ગૌરાંગભાઈ ‘પ્રકાશકીય’માં લખે છે : ‘આજના ગુજરાતમાં મહિલા અધિકાર અને કલ્યાણ ક્ષેત્રે જે કંઈ થયું છે તેનું ભાથું સર્જવામાં આ પુસ્તકમાં સમાવિષ્ટ મહિલાઓના આજીવન પરિશ્રમ અને નિષ્ઠાનો ઘણો મોટો ફાળો છે. આ પુસ્તક વાંચતા સમજાય છે કે ગાંધીવારસાની અનિવાર્યતા કેવી છે !’ 

[900 શબ્દો]

 -X-X-X-X-X-

pastedGraphic.png

પ્રાપ્તિસ્થાન : ‘ગ્રંથવિહાર’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ : 079-26587949 

pastedGraphic.png

 કિ. રૂ. 425/- 

pastedGraphic.png

 પુસ્તક કુરિયર દ્વારા મગાવવા માટે વૉટ્સએપ નંબર 98987 62263                     

8 એપ્રિલ 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

9 April 2023 Vipool Kalyani
← લલિત કલાઓમાં આધુનિકતાવાદ 
ડોનાલ્ડ ટ્રમ્પ : સમય સમય બલવાન, નહીં પુરુષ બલવાન →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved