Opinion Magazine
Number of visits: 9487823
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એકલા મુસ્લિમ પુરુષો શા માટે? જે કોઈ પુરુષ પત્નીને તરછોડે એ ફોજદારી ગુનાનો ગુનેગાર, પછી તેનો ધર્મ ગમે તે હોય. કોઈ ગેરવ્યાજબી માગણી છે?

રમેશ ઓઝા|Opinion - Opinion|30 December 2018

છેલ્લાં બે વરસ દરમ્યાન ટ્રિપલ તલાક વિષે એટલું બધું લખાયું છે કે હવે કોઈ મુદ્દો ચર્ચા માટે બચ્યો નથી સિવાય કે એક મુદ્દો જેને જાણીબૂજીને ચાતરી જવામાં આવે છે. એ મુદ્દા પર આવતા પહેલાં થોડું બેકગ્રાઉન્ડ અને રાજકીય ખપની વાત.

એક આયેશા બી નામની મુસ્લિમ સ્ત્રીએ સર્વોચ્ચ અદાલતમાં ધા નાખી હતી કે મુસ્લિમ સમાજમાં પ્રવર્તિત ટ્રિપલ તલાકનો રિવાજ સ્ત્રીઓને અન્યાય કરનારાઓ છે, વ્યક્તિગત અધિકારોનું હનન કરનારાઓ છે અને માટે ગેરબંધારણીય છે. સર્વોચ્ચ અદાલતે તેને બંધારણવિસંગત ઠરાવીને તેના પર પ્રતિબંધ મુકવો જોઈએ.

અહીં હવે બે પક્ષો કૂદી પડ્યા હતા અને એ સ્વાભાવિક પણ હતું. એક પક્ષ રૂઢિચુસ્ત મુસલમાનોનો હતો જેમણે દલીલ કરી હતી કે ટ્રિપલ તલાક એ ઇસ્લામનું અનિવાર્ય અંગ છે. ભારતના નાગરિકનો જે કોઈ ધર્મ હોય તેના પર તેના ધર્મના મૂળભૂત ઢાંચા સાથે વિસંગત હોય એવી કોઈ બાબત રાજ્ય લાદી શકે નહીં. અહીં સર્વોચ્ચ અદાલતે એક મહત્ત્વની બાબત તપાસવાની હતી અને તેનો અભિપ્રાય આપવાનો હતો. એ વાત એ કે કોઈ રિવાજ મૂળભૂત બંધારણીય મૂલ્યોથી વિપરીત હોય, ભારતીય નાગરિકના વ્યક્તિગત અધિકારોનું હનન થતું હોય અને માનવીય ગરિમાનો ભંગ થતો હોય તો પણ ધાર્મિક અનુયાયીના ધર્મના મૂળભૂત ઢાંચાના નામે ન્યાય નહીં કરવાનો? ધર્મનો મૂળભૂત ઢાંચો વધારે કિંમતી કે માનવીય મૂલ્યો, માનવીય ગરિમા અને બંધારણ? ધાર્મિક ઢાંચો સર્વોપરી કે બંધારણીય ઢાંચો?

ગયા વરસે સર્વોચ્ચ અદાલતે ટ્રિપલ તલાકને રદ્દ કરતો ચુકાદો આપ્યો હતો, પરંતુ તેમાં ત્રણ જજોની બનેલી બેન્ચના ત્રણેય જજો અલગ પડ્યા હતા. એક જજે કહ્યું હતું કે ટ્રિપલ તલાક ઇસ્લામના મૂળભૂત ઢાંચાનું અંગ છે એટલે તેને રદ્દ કરી શકાય નહીં. બીજા જજે કહ્યું હતું કે ટ્રિપલ તલાક ઇસ્લામના મૂળભૂત ઢાંચાનો અંગ નથી એટલે તેને રદ્દ કરી શકાય. ત્રીજા જજે કહ્યું હતું કે ધર્મોના ઢાંચા કરતાં મૂળભૂત માનવીય મૂલ્યો અને અધિકારો વધારે મહત્ત્વ ધરાવે છે એટલે ટ્રિપલ તલાકનો રિવાજ બંધ થવો જોઈએ. એ રીતે એક વિરુદ્ધ બેની બહુમતી સાથે એ ચુકાદો આવ્યો હતો.

સર્વોપરિતા કોની? બંધારણ દ્વારા નિર્મિત આધુનિક રાજ્યની અને તેનાં મૂલ્યોની કે પછી ધર્મના કહેવાતા મૂળભૂત ઢાંચાની? ભારતના નાગરિક માટે એક સમયે એક ચીજ મૂલ્યવાન અને તે જ નાગરિક માટે તેના ધર્મના અનુયાયી તરીકે તેના ધર્મના મૂળભૂત ઢાંચાના નામે તેનાથી સાવ એવી બીજી ચીજ મૂલ્યવાન એવું કેમ બને? એક માત્ર ધનંજય ચન્દ્રચૂડ સિવાયના બાકીના બે જજોએ આ વિષે ખુલાસો કર્યો નહોતો, બલકે ઇસ્લામ ધર્મના ઢાંચાનો અભ્યાસ કરીને તેનું મૂલ્ય કર્યું હતું.

બીજો થનગનભૂષણ પક્ષકાર હતો કેન્દ્ર સરકાર અને સંઘપરિવાર. તેને આમાં મુસલમાનોને બદનામ કરવાની અને ફટકારવાની તક મળી હતી. તેમને ખાતરી હતી કે આને પરિણામે ઇસ્લામ વિષે તેમ જ વ્યક્તિગત કાયદા વિષે ચર્ચા નીકળશે અને મૌલવીઓ ઘાંટા પાડીને ઇસ્લામના બચાવમાં આગળ આવશે. સરવાળે મુસલમાનો અને ઇસ્લામ ઝાંખા દેખાશે. તેઓ માગણી કરતા હતા કે ટ્રિપલ તલાકને ગેર-ઇસ્લામિક અને ગેર-બંધારણીય જાહેર કર્યા પછી પણ જો કોઈ મુસ્લિમ પુરુષ ટ્રિપલ તલાક આપે તો એને ફોજદારી ગુનો ગણીને સજા થવી જોઈએ.

ગયા સપ્ટેંબર મહિનામાં કેન્દ્ર સરકારે હિન્દુઓના અને મુસ્લિમ સ્ત્રીઓના મત મેળવવાના ઈરાદે ટ્રિપલ તલાકને ફોજદારી ગુનો ગણાવતો વટહુકમ બહાર પાડ્યો હતો. વટહુકમ બહાર પાડવો પડે એવી એ કોઈ તાકીદની બાબત નહોતી. હવે એ જ ખરડો લોકસભામાં પસાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારને ખબર છે કે રાજ્યસભામાં આ ખરડો પસાર થઈ શકે એમ નથી, પણ જે બે મત મળ્યા એ. ૨૦૧૯માં સરકારને અનિશ્ચિતતા નજરે પડી રહી છે. ગયા સપ્ટેમ્બરમાં વટહુકમ બહાર પાડ્યા પછી પણ પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં બી.જે.પી.નો પરાજય થયો હતો.

હવે સુજ્ઞ વાચકને સમજ પડી ગઈ હશે કે કઈ ચીજ ચાતરવામાં આવે છે? સુજ્ઞ વાચકને એ પણ સમજાઈ ગયું હશે કે રૂઢિચુસ્ત મુસલમાનો અને અત્યારના શાસકો એક જ જગ્યાએ ઊભા છે. બન્નેને ઇસ્લામનો ખપ છે; એકને ઇસ્લામના અનુયાયી તરીકે અને બીજાને ઇસ્લામના કે મુસલમાનોના દુ:શ્મન તરીકે. ઇસ્લામના મૂળભૂત ઢાંચાને હાથ ન લગાડાય એમ રૂઢિચુસ્ત મુસલમાનો કહે છે તો સરકાર કહે છે કે સર્વોચ્ચ અદાલતનો બહુમતી ચુકાદો ટ્રિપલ તલાકને મૂળભૂત ઢાંચાનો અંગ ગણતો નથી એટલે હાથ લગાડી શકાય અને ટ્રિપલ તલાક આપનારા  જંગલી મુસલમાનને જેલ ભેગો કરી કરી શકાય. આમ બન્ને એક રીતે ઇસ્લામની છત્રીમાં ઘૂસીને ગડદા-પાટુ મારી રહ્યા છે. 

ભાઈ, મૂળભૂત મુદ્દો એ છે કે સ્ત્રી ભારતની નાગરિક છે. તે એટલા જ અધિકાર ધરાવે છે જેટલા પુરુષ ધરાવે છે. માનવીય મૂલ્યો, માનવીય ગરિમા, બંધારણીય મૂલ્યો, પ્રત્યેક નાગરિકના અંગત નાગરિક અધિકારો વગેરે સેક્યુલર રાજ્યના નાગરિક માટે ધર્મ કરતાં વધારે મહાન છે. જે કોઈ પુરુષ વ્યવસ્થિત કાયદાકીય છૂટાછેડા આપ્યા વિના ધર્મની કે સામાજિક રિવાજોની આડમાં સ્ત્રીને તલાક આપે કે પછી ઘરમાંથી પત્નીને કાઢી મૂકે અથવા નાસી જઇને તરછોડે એ બન્ને પુરુષ સ્ત્રીને અન્યાય કરે છે અને રાજ્યનો ગુનેગાર છે. આને ધર્મ સાથે કોઈ લેવાદેવા નહીં હોય. બહુ બહેનો અને માતાઓ માટે મમત્વ હોય તો આવો કાયદો ઘડો. મુસ્લિમ બહેનો વહાલી છે તો હિંદુ બહેનો વહાલી નથી? હિન્દુત્વવાદીઓને તો હિંદુ બહેનો વધારે વહાલી હોવી જોઈએ. તેઓ પણ વીરપસલી માગી રહી છે. એકલા મુસ્લિમ પુરુષો શા માટે, જે કોઈ પુરુષ પત્નીને તરછોડે એ ફોજદારી ગુનાનો ગુનેગાર, પછી તેનો ધર્મ ગમે તે હોય. કોઈ ગેરવ્યાજબી માગણી છે? પણ એવા કાયદામાં તેમને રસ નથી. કારણ ક્યાં અજાણ્યું છે? અને સબરીમાલામાં પણ ન્યાય આપવો પડે. ન્યાયની એરણે જીવવા માટે જીગર જોઈએ. આ બધા તો રાજકીય ખેલ છે. એને સભ્ય સમાજની અને ન્યાયમૂલક સમાજની નિર્મિતિ સાથે કોઈ લેવાદેવા નથી.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 30 ડિસેમ્બર 2018

cartoon courtesy : "The Times of India", 30 December 2018

Loading

30 December 2018 admin
← ૨૦૧૯ : થોડાંક ઇંગિત
આથમણી કોરનો ઉજાસ →

Search by

Opinion

  • કોમનવેલ્થ ગેઇમ્સ માટે અમદાવાદ યજમાનઃ ખેલ વિશ્વ એટલે વૈશ્વિક રાજકારણમાં સોફ્ટ પાવર અને કૂટનીતિ
  • તાલિબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ
  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી

Poetry

  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved