Opinion Magazine
Number of visits: 9446880
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક જાહેર વિનંતી

આશા બૂચ|Opinion - Opinion|30 May 2017

આતંકવાદી હુમલાનો ભોગ બનીને નિર્દોષ પ્રજાના જાન ગુમાવવાની શૃંખલાનો છેલો મણકો તારીખ 22 મે 2017માં માન્ચેસ્ટરનો પરોવાયો. તે ઘટનાને આજે એક સપ્તાહ વીતી ગયું, પણ હૃદયની દાહ હજુ એવી જ પ્રજ્વળે છે.

કોઈ કુદરતી કે માનવ સર્જિત ઘટના રાતોરાત કે અચાનક નથી બનતી કે નથી તેમાં માત્ર એક પરિબળ જવબાદર હોતું. આવો કાળો કેર વર્તાવનારાઓ કોણ છે, શા માટે આવી હિંસા આચરવા પ્રેરાય છે, તેમને કોણ કુમાર્ગે દોરે છે, આવા આતતાયીઓને કેમ રોકી શકાય, વગેરે સેંકડો સવાલો આવી ઘટનાઓ બન્યા બાદ ઊઠે, એકાદ બે જવાબ મળે, તેના પર પ્રતિક્રિયાત્મક પગલાં લેવાય અને બીજો હિંસક હુમલો થાય ત્યાં સુધી બધું રાબેતા મુજબ ચાલતું થાય. સખેદ નોંધ લેવી ઘટે કે ઘૃણિત કર્મોનો અંત આવતો નથી કેમ કે તેને માટે જવાબદાર પરિબળોનો સામનો કરનાર શક્તિ એકત્ર થઈને સંગઠિત પ્રયાસ નથી કરતી.

બાળક જન્મે ત્યારથી તેનું લાલનપાલન, પોષણ, ઘડતર થાય ત્યાંથી માંડીને સમાજ પાસેથી લીધા-દીધાનો હિસાબ ચૂકતે કરી સ્વર્ગે સીધાવે ત્યાં સુધી તે વ્યક્તિ સિવાય અને તેના ઉપરાંત અનેક વ્યક્તિ, સંસ્થાઓ અને સંગઠનો પરસ્પરની સાથે કે એક બીજાની વિરોધમાં કામ કરે છે એટલે એ તમામને એક જાહેર વિનંતી કરવી ઉચિત લાગે છે.

પ્રથમ વિનંતી તમામ ધર્મ, જાતિ અને રંગના માતા-પિતાને. મહેરબાની કરીને તેઓ પોતાનાં સંતાનોને જેમ સારો પોષક આહાર આપી તંદુરસ્ત બનાવે, તેમ તેમનું માનસિક અને વૈચારિક ઘડતર પણ એવું કરે જેથી દુનિયાના કોઈ પણ પડમાં રહે તો પણ તેમનાં બાળકો જે તે ભોમકાના એક ઉત્તમ વફાદાર નાગરિક અને કાયદાને અનુસરનાર યુવાન-યુવતી બને.

બીજી વિનંતી શાળા-મહાશાળાના સંચાલકો, શિક્ષકો અને પ્રોફેસરોને. અક્ષરજ્ઞાન અને વિષયજ્ઞાન આપવાની સાથે સાથે તેમની સંભાળમાં આવેલ વિદ્યાર્થીઓને બધી ઇંદ્રિયોને કેળવણી મળે, સ્વતંત્ર વિચાર શક્તિ ખીલે અને સારાસારનો વિવેક કરી શકે તેવી તાલીમ આપી એવા નાગરિકોનું ઘડતર કરે જેથી તેઓ ઉદાર મત અને સહિષ્ણુતાના તાણાવાણાના પોત વાળો સમાજ રચી શકે. આજે કેટલીક યુનિવર્સિટીમાં ધર્મ પરિવર્તન અને ધર્મ વિશેના ઝેરીલા પ્રચારની પ્રવૃત્તિઓ જોર પકડતી જોવા મળે છે જેની સામે આંખ આડા કાન કરવાથી એ જ વિદ્યાર્થીઓને હાથે ગૈર કાનૂની કર્મો અને કદાચ આક્રમક કે હિંસક કૃત્યોનો ભોગ સામાન્ય પ્રજાને બનવું પડે ત્યારે તેમાં પોતાનું ઉત્તરદાયિત્વ કેટલું એ વિચારવા જેટલી નૈતિક તાકાત પણ એવી શાળા-મહાશાળાઓના સંચાલકોમાં નહીં રહી હોય.

ત્રીજી વિનંતી કહેવાતા ધર્મ ગુરુઓ અને ધાર્મિક સંસ્થાઓને. પોતપોતાના ધર્મના ઉદ્દભવ સમયે કહેવાયેલા ઉપદેશ કે લખાયેલા સંદેશાઓ પોતાના અને અન્ય ધર્મના લોકો મુક્ત પણે જાણી-સમજી શકે તેવી સુવિધા કરે. તમામ ધર્મના મૂળભૂત આદર્શો સમજવાનો ઈજારો માત્ર એ ધર્મમાં જન્મેલા લોકોનો જ નથી હોતો, કેમ કે એ સિદ્ધાંતો તો દરેક ધર્મમાં લગભગ સમાન હોય છે. જે કંઈ તફાવત હોય છે તે બાહ્યાચારમાં હોય છે. દરેક પ્રજાને પોતાનાં સામાજિક મૂલ્યો અને શિષ્ટાચારો પાળવાની સ્વતંત્રતા હોય, જેને એ મંજુર હોય તે તેમાં જોડાય, તેમાંથી અનુકૂળ હોય તે અપનાવે અને જો એ સ્વીકાર્ય ન હોય તો એવી જીવન પદ્ધતિથી તે અળગા રહે. જીવો અને જીવવા દો એ ઉત્તમ રીત છે કોમી એખલાસ ટકાવવા માટે અને એ મંત્રને અમલમાં મૂકે તેવી મુક્ત તથા સહિષ્ણુ પ્રજા ઊભી કરવી એ દરેક ધર્મના રખેવાળોની પવિત્ર ફરજ બની રહે છે.

ચોથી વિનંતી છે રાજકારીઓને. પોતાના પક્ષનું પલ્લું નમાવવા, પોતાની સત્તાને આંચ ન આવે તે માટે પોતાના દેશના નાગરિકોને પક્ષપાત કે ભેદભાવ કરીને વિભાજીત ન કરશો. એ જ રીતે પોતાના દેશની રાજ્ય પદ્ધતિ બીજા દેશ પર ઠોકી બેસાડવા કે બીજા દેશના આંતરિક પ્રશ્નો હલ કરવાને બહાને જે તે દેશના ફીરકાઓને ઉશ્કેરી, શસ્ત્ર સહાય કરીને સામસામે લડવા મદદ કરવાથી શો અંજામ આવે તે છેલ્લા ત્રીસેક વર્ષનો આંતરરાષ્ટ્રીય ઇતિહાસ બતાવે છે. માનવ પથ્થર યુગમાં પથ્થરની ધાર કાઢીને બનાવેલ ઓજારોથી લડતો, પછી તલવાર, બરછી, ભાલાનો યુગ આવ્યો. ત્યાર બાદ તો બન્દૂક, મશીનગન, તોપગોળા અને હવે તો મિસાઈલ, બોમ્બનો ઉપયોગ કરે તેવો વિકાસ થયો છે. ખરું પૂછો તો હવે અણુ શસ્ત્રો પણ લડાઈની જુનવાણી રીતમાં ખપે તેમ છે. તો ભલા ચૂંટણી ઢંઢેરામાં ‘મારો પક્ષ સંરક્ષણ પાછળ અમુક બિલિયન ખર્ચશે માટે મને મત આપો’ એમ એક પક્ષ કહે તો બીજા પક્ષને ‘અમે વિરોધી પક્ષથી વધુ ખર્ચ અણુ સબમરીન પાછળ ખર્ચીશું માટે અમને ચૂંટો’ તેવી બૂમરાણ મચાવતા સાંભળીએ ત્યારે સવાલ થાય કે ભાઈ, તો આ આત્મઘાતી હુમલા કરનારાઓને શાનાથી મારશો? એમને હિંસા કરતા રોકવા કયા શસ્ત્રો બનાવવા અને વેચવાની યોજના છે? લાખો-કરોડો પાઉન્ડ એવાં શસ્ત્રો પાછળ ખર્ચવાને બદલે પ્રજાના ચારિત્ર્ય ઘડતર અને સંઘર્ષ નિવારણ માટે શાંતિમય ઉપાય પાછળ ખર્ચીને જુઓ તો ખરા, કદાચ માનવ જાત તમારો પાડ માનશે.     

એક હકીકત ધીમે ધીમે દરેક જાગૃત પ્રજાજનને સમજાતી જાય છે કે આતંકીઓને કોઈ ધર્મ નથી હોતો,  તેમને મન પોતાની કે પોતાના ફીરકાની દરેક માગણી, ઈચ્છા કે મહત્ત્વકાન્ક્ષા પૂરવાનો એક માત્ર માર્ગ હિંસા છે, બીજા કશા માર્ગની તેઓને કાં તો જાણ નથી અથવા તેને અનુસરવાની તાકાત નથી. દરેક દેશ અને ધર્મના ઇતિહાસ પર નજર નાખતા જણાશે કે તેમનું પોત કયાંક ને ક્યાંક આંતરિક ઝઘડા અને હિંસાથી ખરડાયેલું હોય છે. તો છેલા ત્રણ-ચાર દાયકાઓ દરમ્યાન ખાસ કરીને જે દેશો અને કોમના ભલે ચપટીભર લોકો, પણ દુનિયા આખીમાં અશાંતિ અને અરાજકતાનો કાળો કેર વર્તાવી રહ્યા છે એ તમામ દેશો અને કોમની અમન પ્રિય પ્રજાને વિનંતી કે પોતાના દેશના કે ધર્મના આવા માર્ગ ભૂલેલા લોકોનું માનસ સમજે, તેમની સાથે વાત કરે, તેમની માગણીઓ જાણવા પ્રયાસ કરે, એ સંતોષવી સંભવ હોય તો તે માટે તમામ રાજકીય અને સામાજિક રસ્તાઓ અપનાવે અને જો એ અસંભવ હોય તો તેના બદલામાં જે કંઈ આપી શકાય તેમ હોય તે આપવા તૈયાર રહેવું અને કોઈ પણ ભોગે એ અસંતુષ્ટ જૂથ વાટાઘાટ અને સમાધાનના માર્ગથી ચળીને આક્રમણ કે હિંસાને પોતાના હેતુને સિદ્ધ કરવા સાધન ન બનાવે તે માટે પૂરતી કાળજી કરે.

આ માટે માત્ર સરકાર કડક કાયદા અને વ્યવસ્થા તંત્રના સહારે બધું સંભાળશે એવી આશા રાખવી વ્યાજબી નથી. જ્યાં  કોઈ અભ્યાસ કે નોકરી કરતા હોય તેવા યુવાન કે યુવતી ઘરના ખૂણે બેસી વિનાશક યંત્ર બનાવી આત્મઘાતી હુમલા કરી પોતાના જ શહેરના નિર્દોષ બાળ બચ્ચાં સહિત લોકોને મોતને ઘાટ ઉતારે તેને સરકારી તંત્ર કેવી રીતે પિછાણી શકે કે પકડીને સજા કરી શકે? તે માટે સહુથી પ્રથમ એવા વિકૃત માનસ ધરાવતા લોકોના કુટુંબીજનો, પડોશીઓ અને સાથે કામ કરનારાઓના સહકારની જરૂર રહે. તેમણે આતંકીઓ પેદા થતા અને સક્રિય થતા રોકવા પોતાની જવબદારી સ્વીકારવી જોઈશે। કોઈ પણ પ્રકારની સમાજહિત વિરોધી વિચારધારા કે પ્રવૃત્તિ વિષે લાગતા વળગતા હોદ્દેદારને જાણ કરવી તે દરેક નાગરિકની ફરજ બને. આવા હિંસક અને આતંકી હુમલાઓ એ સહુની સમસ્યા છે અને એ સામાજિક, ધાર્મિક અને રાજકીય એમ ત્રિપક્ષી સહકારી સંગઠનથી જ ઉકેલી શકાશે. તેવા પ્રામાણિક પ્રયાસો માટેનું શુભ મુહૂર્ત આજે અને અત્યારે જ છે અને તેમાં જોડાવા માનવ જાતના સહુ સભ્યોને આહ્વાહન છે.

e.mail : 71abuch@gmail.com

Loading

30 May 2017 admin
← સત્તામાં શખ્સિયત બદલાતી નથી, એ વધુ રંગ લાવે છે
तेू देख कौन है ? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved