2 માર્ચ 2019ના રોજ વડા પ્રધાન સ્કૂલનાં બાળકો સાથે ઓનલાઈન વાત કરી રહ્યા હતા. દહેરાદૂનની એક છોકરી ડિસ્લેક્સિયા-Dyslexia (વાંચવા લખવામાં મુશ્કેલી પેદા કરનાર માનસિક રોગ) ગ્રસ્ત બાળકોની ક્રિએટિવિટી અંગે પોતાના પ્રોજેક્ટની વાત કરી રહી હતી. વડા પ્રધાને વચ્ચે જ પૂછ્યું કે ‘એનાથી 40-50 વર્ષના બાળકોને ફાયદો થાય?’ છોકરી વડા પ્રધાન શું કહેવા માંગે છે તે અંગે થોડીવાર અટકી અને કહ્યું કે ‘હા, થાય.’ વડા પ્રધાને બીભત્સ ઢંગથી હસતા હસતાં કહ્યું કે ‘તો એની મા ખુશ થઈ જશે !’
ઈશારો રાહુલ ગાંધી તરફ હતો. ધરતી પર જન્મેલ ભાગ્યે જ કોઈ માણસ હશે કે જે જાણતો ન હોય કે અપમાન શું છે? પરંતુ રાહુલ ગાંધીથી સારી રીતે આ વાત બીજા કોઈ જાણતા નથી; કેમ કે આ દેશના ઇતિહાસમાં બીજું કોઈ ઉદાહરણ નથી; જ્યારે બધાં મીડિયા, IT Cell, અને સીસ્ટમની સઘળી મશીનરી કોઈને પપ્પૂ સાબિત કરવા લગાડી દીધી હોય. કરોડો રૂપિયાના ખર્ચે એક નેરેટિવ / ધારણા ઊભી કરવાની કોશિશ કરી હતી. નિશાન પર માત્રને માત્ર એક વ્યક્તિ હતી. અને આ એક દિવસ, દસ દિવસ, સો દિવસની વાત ન હતી, દસ વર્ષથી પૂરી તાકાત લગાવી ધારણા ઊભી કરી હતી.
માત્ર એક દિવસ ઘરમાં, ઓફિસમાં, પબ્લિકમાં આપણને કોઈ અપમાનિત કરી દે તો કેટલા ય દિવસો સુધી ટ્રેસ હોર્મોન વધતા રહે છે. કોઈ કામમાં મન લાગતું નથી.
આ માણસને તો લાખો લોકો રોજ અપમાનિત કરી રહ્યા હતા. ભલે તેઓ ગાળો આપતા ન હોય, પરંતુ જે કરી રહ્યા હતા તે શાબ્દિક ગાળથી ઘણું વધારે હતું, મન, શરીર, આત્માને વીંધનારી વાત હતી. કોઈના પૂરા વજૂદનો ઈન્કાર હતો. દિવસ-રાત એના પર ભદ્દા મીમ, ચુટકુલા બનાવવા, ટી.વી. પર પ્રાઈમ ટાઈમમાં બેસીને મજાક ઉડાવવી, એને મૂર્ખ બતાવવો !
કોઈએ થપ્પડ નથી મારી, પરંતુ જેટલો માર રાહુલને પડ્યો છે, આ દેશના ઇતિહાસમાં કોઈને પડ્યો નથી.
અને જૂઓ, તેણે એનો જવાબ કઈ રીતે આપ્યો? એક એટલી ઊંચી રેખા ખેંચી દીધી કે બીજા પોતે ઠીંગુજી દેખાવા લાગ્યા. આ વાત માત્ર પોલિટિક્સની નથી, ચૂંટણી જીત અને હારની પણ નથી. આ તેનાથી કંઈક વધુ ઊંડી વાત છે.
જ્યારે રૂમી લખે છે : ‘The wound is the place where the Light enters you. ઘા એ જગ્યા છે જ્યાં પ્રકાશ તમારામાં પ્રવેશ કરે છે.’ લિઓનાર્ડ કોહન લખે છે : ‘There is a crack in everything That’s how the light gets in. દરેક વસ્તુમાં તિરાડ છે આ રીતે પ્રકાશ દાખલ થાય છે.’
દુ:ખ શીખવે છે, દુ:ખ માંજે છે, પીડાથી જ આવે છે રોશની !
આ મનુષ્યનું અર્જિત આદિમ જ્ઞાન છે. સુખના દિવસોમાં આપણે માત્ર સુખી રહીએ છીએ, સુખ સત્તાથી આવે તો અહંકારી પણ બનીએ છીએ. પરંતુ દુ:ખમાં આપણે આપણા ભીતરમાં ઉતરીએ છીએ. દુ:ખ જ શિખવે છે. પીડા આપણને મનુષ્ય બનાવે છે.
14 વર્ષની ઉંમરે દાદીની હત્યા થઈ. બાળકોનું સ્કૂલ જવું, ઘરથી નિકળવું, સામાન્ય બાળકોની જેમ બીજાં બાળકો સાથે રમવું બધું બંધ થઈ ગયું. 21 વર્ષે પિતાની હત્યા થઈ. સુરક્ષા કરણોથી કોલેજ છોડવી પડી. નામ બદલીને, ઓળખ છૂપાવીને, અભ્યાસ કર્યો. નોકરી કરી. પ્રેમ પણ કર્યો. પરંતુ જેને પ્રેમ કરતા હતા તે ઇન્ડિયન ન હતી. પ્રેમ સંબંધમાં પરિણમે તે પહેલાં આ દેશના નફરતીઓ તેમની માને વિદેશી મૂળના છે તેનો એટલો મોટો મુદ્દો બનાવી દીધો હતો, એટલું ઝેર ફેલાવી દીધું હતું કે પછી રાહુલ એ છોકરી સાથે ક્યારે ય દેખાયા નહીં, ન આ બાબતે તેમણે ક્યારે ય વાત કરી.
2013માં, લેખક વિક્રમ શેઠે ‘ઇન્ડિયા ટુડે’માં લખ્યું હતું : “સંસારમાં જેટલી ક્રૂરતાઓ છે, તેમાં સૌથી વધુ ક્રૂર છે પ્રેમ ન કરી શકવો. કોઈને એ કહેવું કે જેનાથી તમને પ્રેમ છે, તમે તેને પ્રેમ નહીં કરી શકો.”
હું જાણું છું, દુ:ખ બહુ છે દુનિયામાં. ભૂખ, ગરીબી, યુદ્ધ, અસમાનતા. પરંતુ પ્રેમ ન કરી શકવાનું દુ:ખ આ બધાંથી ઊંડું છે. ખબર છે કેમ? કેમ કે મનુષ્યને દરેક દુ:ખ સાથે લડવાની તાકાત માત્ર પ્રેમથી જ મળે છે. જ્યારે બધું ખત્મ થઈ જાય તો અંતમાં માત્ર એક જ વાત મહત્ત્વની રહે છે – કેટલો પ્રેમ કર્યો અને મેળવ્યો !
કોઈ માને કે ન માને, પરંતુ આજ 52 વર્ષની ઉંમરે એ માણસના દિલમાં આ એક સૌથી અદૃશ્ય, સૌથી ઊંડી દરાર-તિરાડ છે, જ્યાંથી આવે છે રોશની !
ઇતિહાસ લખાતો-ભૂસાતો રહેશે. બાજી પલટાતી રહેશે. પરંતુ સંસારમાં આટલા અન્યાય પછી પણ જિંદગી કાયમ છે; આટલા અંધકાર છતાં જો રોશનીની આશા કાયમ છે તો તેનું કારણ માત્ર એક જ છે – પ્રેમ. રાહુલ ગાંધી પ્રેમ છે !
[સૌજન્ય : પત્રકાર મનિષા પાંડેય, 10 જૂન 2024]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર