Opinion Magazine
Number of visits: 9448929
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડૉ. ઉર્જિત પટેલનું રાજીનામું : ગલઢાં ગાડાં વાળે, જેનું કામ જે કરે અને લાઠીનો ભારો(ટીમ સ્પિરિટ)ને લગતી લોકવાર્તાઓ વડા પ્રધાને સાંભળી હોય એમ લાગતું નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|13 December 2018

રિઝર્વ બેન્કના ગવર્નર ડૉ. ઉર્જિત પટેલે રાજીનામું આપ્યું છે અને તેમની જગ્યાએ ભૂતપૂર્વ નાણા સચિવ શક્તિકાન્ત દાસની ત્રણ વરસ માટે નિમણૂક કરી છે. ડૉ. ઉર્જિત પટેલે રાજીનામું આપવાનું કારણ રાજીનામાના પત્રમાં અંગત આપ્યું છે, પરંતુ આખું જગત જાણે છે કે તેમણે રાજીનામું શા કારણે આપ્યું છે. કેન્દ્ર સરકાર ડોશીની મરણમૂડીમાંથી સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા સરકાવી લેવા માગતી હતી, અને ડૉ. ઉર્જિત પટેલ અને તેમના સાથી ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય તેનો વિરોધ કરતા હતા. આ મૂડી માત્ર અને માત્ર અસાધારણ સંજોગોમાં જ વાપરવામાં આવે છે. ફૂહડ દંપતીને સંસાર ચલાવતાં આવડતું ન હોય અને બાળકોની ગુલ્લક તોડે એની જેમ ફૂહડ શાસકોને રાજકાજ કરતાં આવડતું ન હોય અને રિઝર્વ બેન્કની ગુલ્લક ઉપર નજર કરે એ કેમ ચલાવી લેવાય ?

એમ કહેવાય છે કે ડૉ. ઉર્જિત પટેલ તો ગયા મહિને કેન્દ્ર સરકારે જ્યારે રિઝર્વ બેન્કના કામકાજમાં દરમ્યાનગીરી કરવાના કાયદાનો ઉપયોગ કર્યો ત્યારે જ રાજીનામું આપવાના હતા, પરંતુ ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને ઝાંખપ ન લાગે એ માટે તેઓ અટકી ગયા હતા. એ પછીથી સમાધાન કરવાની અને રિઝર્વ બેન્કે સમાધાનકારી વલણ અપનાવવું જોઈએ જેવી વાતો થવા લાગી હતી અને ડૉ. પટેલને મનાવી લેવાનાં પ્રયાસો કરવામાં આવ્યા હતા. રિઝર્વ બેન્કના બોર્ડમાં સરકારી માણસો તો છે જ અને તેઓ દબાણ કરતા હતા. છેવટે ઉર્જિત પટેલે રાજીનામું ધરી દીધું.

સોમવારે તો એવી પણ અફવા હતી કે તેમની સાથે ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે પણ રાજીનામું આપ્યું છે. જગતમાં ભારતની પ્રતિષ્ઠાને અને બજારોમાં સેન્ટિમેન્ટને અસર ન થાય એટેલે તરત જ રિઝર્વ બેન્કે ખુલાસો કર્યો હતો કે વિરલ આચાર્યે રાજીનામું નથી આપ્યું. વાસ્તવમાં કેન્દ્ર સરકારની દખલગીરીનો વિરોધ કરવામાં વિરલ આચાર્ય ડૉ. ઉર્જિત પટેલ કરતાં વધુ મુખર હતા. ડૉ. ઉર્જિત પટેલ ઓછું બોલે છે અને સભા-સમારંભોમાં ઓછા જાય છે એટલે તેમની ઈમેજ વડા પ્રધાનના દરબારી તરીકેની બની હતી. આ ઉપરાંત તેઓ વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી તરીકેની પ્રતિષ્ઠા ધરાવનારા રઘુરામ રાજનના અનુગામી હતા એ કારણે પણ તેઓ વિરાટ સામે વામન ભાસતા હતા. ઓછામાં પૂરું તેઓ ગવર્નર બન્યા એ પછી બે મહિનામાં જ નોટબંધી આવી હતી એટલે તેમની પ્રતિષ્ઠાને હજુ વધુ બટ્ટો લાગ્યો હતો. એક ભલો અને ઈમાનદાર માણસ સરકારી કઠપૂતળી તરીકે ઓળખાતો હતો.

મોકાણ નોટબંધીની છે. કોણે આવો ક્રાંતિકારી વિચાર વડા પ્રધાનને આપ્યો કે પછી એ વડા પ્રધાનની પોતાની ફળદ્રુપ ભેજાની યોજના હતી એ એક રહસ્ય છે. આ બેલ મુઝે માર જેવું થયું. એમ કહેવાય છે કે આ કલ્પના રઘુરામ રાજન સમક્ષ રાખવામાં આવી હતી અને રાજને તેને હસી કાઢી હતી. દેશનું ૮૪ ટકા ચલણ રાતોરાત રદ્દ ન કરાય. રાજન માનતા નહોતા એટલે તેમની પાછળ શ્વાન છોડવામાં આવ્યા હતા. બદનામીથી કંટાળીને ડૉ. રાજને જાહેરાત કરી હતી કે તેઓ મુદ્દત પૂરી થયે અમેરિકા પાછા ફરશે. તેમની જગ્યાએ ડૉ. ઉર્જિત પટેલની સરકારે ત્રણ વરસ માટે ગવર્નરપદે નિયુક્તિ કરી હતી. ડૉ.ઉર્જિત પટેલ પર નોટબંધીનું સંકટ અને બદનામી બન્ને આવી પડ્યાં હતાં. ૯૯.૩ ટકા જૂનું નાણું પાછું આવી ગયું છે, એ રહસ્ય રિઝર્વ બેન્ક છુપાવી શકે એમ હતી જ નહીં. એમ કહેવાય છે કે ખટરાગની શરૂઆત અહીંથી થઈ હતી. મહાન હિંમતબાજ અને ક્રાન્તિકારી પગલું હાસ્યાસ્પદ સાબિત થાય અને રિઝર્વ બેન્ક તેને સત્તાવાર મહોર મારે એ સરકાર કબૂલ કરવા તૈયાર નહોતી.

તમને ખબર છે સર્વોચ્ચ સ્થાનેથી કેટલા લોકોએ રાજીનામાં આપ્યાં છે? ડૉ. રઘુરામ રાજન જતા રહે એ માટેનો તખતો રચવામાં આવ્યો હતો અને તેઓ જતા રહ્યા. નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગરિયા મુદ્દત પૂરી થાય એ પહેલાં જતા રહ્યા છે. કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ્‌ મુદ્દતપૂર્વે રાજીનામું આપીને જતા રહ્યા અને હવે ડૉ. ઉર્જિત પટેલ. હવે ખબર આવ્યા છે કે જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. સુરજિત ભલ્લાએ વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે. છેક ઉપરના સ્તરે દમદાર લોકો આ સરકાર સાથે કામ નથી કરી શકતા. ૨૦૧૫માં કેન્દ્ર સરકારે એ સમયનાં વિદેશ સચિવ સુજાથા સિંહને અચાનક કારણ આપ્યા વિના હોદ્દા પરથી દૂર કર્યાં હતાં.

એક તો નાનાં માણસોની સરકાર છે અને એમાં કદાવર અધિકારીઓ અને નિષ્ણાતો પણ ખપતા નથી. આ સ્થિતિમાં શાસનનો ઉલાળિયો ન થાય તો બીજું શું થાય? અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, નિર્મલા સીતારામન્‌, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર અને સ્મૃતિ ઈરાની સિવાય કોણ પ્રધાન છે અને કયું ખાતું સંભાળે છે એ જાણવા ગૂગલના શરણે જવું પડે છે. દેશ આવડા મોટા કૃષિસંકટનો સામનો કરી રહ્યો છે, પણ કૃષિ પ્રધાન કોણ છે એ કોઈ જાણતું નથી. આગળ જે નામ ગણાવ્યાં એ લોકો પ્રધાન બન્યા એ પહેલાંથી જાણીતાં હતાં એટલે પરિચિત છે, બાકી તેમને પણ સ્વતંત્ર રીતે કામ કરવાં મળતું નથી. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે વિદેશોમાં ફસાયેલોઓને વિઝા આપવા સિવાય કોઈ કામ આ સાડા ચાર વરસમાં કર્યું જ નથી. કરવા દેવામાં આવ્યું નથી. તેમનું બીજું કામ છે વિદેશથી પાછા ફરતા વડા પ્રધાનનું એરપોર્ટ પર સ્વાગત કરવાનું. તમને ખબર છે? કેન્દ્રના નાણા પ્રધાન અરુણ જેટલીને નોટબંધી કરવામાં આવી રહી છે એની જાણ કરવામાં આવી નહોતી. તેમને આપણા કરતાં કલાક વહેલી જાણ થઈ હતી.

કોઈક પ્રકારની લઘુતાગ્રંથિથી અત્યારના શાસકો પીડાય છે. સ્વતંત્રતા અને તેજસ્વીતા તેઓ ખમી શકતા નથી. એટલે તો મોટી આશા પેદા કર્યા પછી નરેન્દ્ર મોદી ફ્લોપ શો સાબિત થયા છે. ગલઢાં ગાડાં વાળે, જેનું કામ જે કરે અને સંઘબળ(ટીમ સ્પિરિટ)ને લગતી લોકવાર્તાઓ વડા પ્રધાને સાંભળી હોય એમ લાગતું નથી. શ્રેયમાં કોઈ ભાગીદાર ન બનવું જોઈએ એની લ્હાઈમાં આવી સ્થિતિ પેદા થઈ છે.

રિઝર્વ બેન્કના નવા ગવર્નર શક્તિકાંત દાસ વિષે પણ તમે બહુ ખાસ નહીં જાણતા હો, પણ તેમનો ચહેરો તમને જરૂર જાણીતો લાગશે. નોટબંધી વખતે રોજ સાંજે પત્રકારોને મળીને બ્રીફિંગ આપનારા અને થઈ રહેલી ક્રાંતિના ગુણગાન ગાનારા. ગવર્નરપદ તેમને શિરપાવ તરીકે મળ્યું લાગે છે. કદાચ એવું પણ બને કે સંજોગો બદલાય એ પછી કે નિવૃત્તિ પછી શક્તિકાંત દાસ પણ મોઢું ખોલે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 13 ડિસેમ્બર 2018

Loading

13 December 2018 admin
← ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજી
અસ્તિત્વ →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved