Opinion Magazine
Number of visits: 9448994
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિનેશભાઈની સંવેદનશીલતા

પ્રહ્લાદ જોશી|Opinion - Opinion|13 April 2017

થોડા દિવસ પહેલાં આપણે મારાં લીલાફઇની વાત કરી હતી. એમને પાંચ સંતાનો. પ્રેમિલાબહેન, નીતિબહેન, દિનેશભાઇ, મંજુલા, અને હિતેશ. સહુથી નાનો હિતેશ પણ મારાથી તો છ વર્ષ મોટો. તો ય નાનપણથી જ એને અને એનાથી મોટી બહેન મંજુને તુંકારે જ બોલાવવાની ટેવ છે.

દિનેશભાઇનું હુલામણું નામ ભીખુ. પણ ઘરનાં વડીલો સિવાય એમને એ નામે કોઇ બોલાવતું નથી. હું નાનો હતો ત્યારે એમણે મને ખોળામાં બેસાડી રમાડ્યો છે. હું છએક મહિનાનો હોઇશ, તેઓ આંબલિયા આવ્યા હતા. એમના ખોળામાં બેઠો હતો અને દડી ગયો. દાદાનું તો ગારમાટીવાળું ખોરડું હતું એટલે ખાસ વાગવાનો તો પ્રશ્ન જ ન હતો પણ છ મહિનાનું બાળક થોડી વાર તો રડે જ ને! હું ય ગાંગર્યો. પણ દિનેશભાઇના પસ્તાવાનો પાર ન રહ્યો. જયારે મા મળે, ત્યારે પૂછે “હેં મામી, ભાઇને બહુ લાગ્યું તો નોતું ને! હું તો ખોળામાં બેસાડીને રમાડતો હતો, હોં મામી! ભાઇ જ એની મેળે ગોથિકલું ખાઇ ગયો હતો.” મા કહે ય ખરાં કે હા ભીખુ, હા. ભાઇ તો નાનો હતો ને! નાના છોકરાં તો પડી જાય ને વાગે ય ખરું. તું ચિંતા કર મા.

વળી છ મહિના વરસ જાય અને ફઇના ઘરે જવાનું થાય. વળી દિનેશભાઇ અપરાધભાવના સાથે માને એ જ વાત યાદ કરાવે. મામી, હું તો ભાઇને ખોળામાં બેસાડીને ખાલી બેઠો જ હતો હોં! ઇ જ દડી ગયો હતો ને રોવા માંડ્યો હતો. હેં મામી, એને બહુ લાગ્યું તો નહતું ને!

ફરી પાછા જ્યારે ભેગાં થાઇયે ત્યારે દિનેશભાઇ ફરી યાદ દેવડાવે કે ભાઇ એમના ખોળામાંથી ગબડી પડ્યો હતો એમાં એમનો વાંક ન હતો, અને ખાતરી કરે કે એમની જરા સરખી બેદરકારીના લીધે હું એમના ખોળામાંથી પડી ગયો હતો તો મને ખાસ વાગ્યું તો નહતું ને!

આ ક્રમ હું પચીસીમાં આવી ગયો ત્યાં સુધી ચાલ્યો હતો. પછી ય અટક્યો તો ન જ હતો, રીત બદલાઇ હતી. પછી મને જ કહેતા કે હેં ભાઇ, તું ધાવણો હતો ને, ત્યારે મારા ખોળામાંથી દડી ગયો હતો ને રોવા માંડ્યો હતો. પણ ભાઇ, છોકરું તો પડી જાય ને, એટલે રડે. તને લાગ્યું નોતું હોં ભાઇ!

હવે મેં ચાલીસ વટાવ્યાં. તો ય વાત પૂરી થઇ નથી. હવે એ મને પણ નથી કહેતા પણ મને જુવે એટલે સ્વગત જ બોલે “ભાઇને મેં નોતો પાડ્યો. એની મેળે પડી ગયો હતો. મામા ને મામી ય કહેતાં હતાં કે છોકરું તો પડી જાય એટલે રડે. એને લાગ્યું ન હોય તો ય રડે. પછી તો મામીએ ખોળામાં લીધો હતો ને, એટલે છાનો ય રહી ગયો હતો.” વળી મને પૂછીને જ ખાતરી કરી લે “હેં ભાઇ, સાચી વાત ને! તને લાગ્યું નથી ને!” અને ફરી સ્વગત બોલે “ઇ તો છોકરું ઘડીક રડે. પછી મટી જાય.”

ભાઇ હિતેશનાં લગ્ન થયાં. એ સમયે ફઇનું ઘર તો એક ઓરડો ને એક રસોડું. એટલે એમણે ઓસરીની ધારે દિવાલ ચણીને રસોડું ત્યાં ફેરવી નાંખ્યું હતું. મુખ્ય ઓરડો તો હિતેશ અને રમાભાભીનો બેડરૂમ થઇ ગયો. એમનાં લગ્નને અઠવાડિયું ય નહતું થયું. ભાભીને કપડાં બદલવાં હતાં. પણ દિનેશભાઇ રૂમમાં નીચે સૂતા હતા. ભાભીએ એમને ઓરડામાંથી બહાર જવા વિનંતી કરી. કહ્યું પણ ખરું કે એમને કપડાં બદલવાં છે. પણ દિનેશભાઇ કહે “તમે બદલી લ્યો કપડાં. હું એ બાજુ નહીં જોઉં.” ભાભીને તો સ્વાભાવિક જ આ મંજૂર ન હોય. પણ એમની વાત માને તો દિનેશભાઇ થોડા કહેવાય! એક વાર નિર્ણય લેવાઇ ગયો, પછી કોઇની તાકાત નથી કે એ બદલાવી શકે. મારાં માને એમના આ સ્વભાવની ખબર. એમને બધી રીતે ઓળખ્યા હતા. રમાભાભીએ એમને કહ્યું કે મામી, દિનેશભાઇને કહોને, કે બહાર નીકળે, મારે કપડાં બદલવાં છે. અને પાછા કહે છે કે તમે કપડાં બદલી લ્યો, હું એ બાજુ નહીં જોઉં.” માએ પૂછ્યું “એ બહાર આવવાની ના પાડે છે!” હા. ભાભીએ કહ્યું. એટલે માએ કહ્યું કે “તો કોઇનો કહ્યો બહાર નહીં નીકળે. પણ તું ચિન્તા કર્યા વિના કપડાં બદલી લે. એ નહીં જ જુવે.” રમાભાભીએ બીતાં બીતાં હિંમત કરી. દિનેશભાઇ ભીંતભર મોઢું કરીને સૂતા હતા. સહેજ પણ હલ્યા નહીં. એમને ફરીને જોવા કોઇ કારણ પણ ન હતું. એ પછી તો ભાભીને કપડાં બદલવાં હોય તો એટલું જ કહેવું પડે “દિનેશભાઇ! હું કપડાં બદલું છું હોં!”

સ્વીચને ક્યારે ય હાથ નહીં લગાડવાનો. ઓન હોય તો ઓન અને ઓફ હોય તો ઓફ ભલે રહે પણ દિનેશભાઇ એને હાથ લગાડે નહીં. એ બાબતમાં કોઇની ય વાત નહીં જ સાંભળવાની – ફઇની ય નહીં. પણ એમનો એક મિત્ર ધોબી અપવાદ. એની દુકાનમાં એ કહે એ સ્વીચ ચાલુ કે બંધ કરી આપે. ત્યાં કોઇ બીક ન લાગે. દીવાસળીને ય હાથ નહીં લગાડવાનો.

અને ફઇ ક્યારે ય મરવાનાં નથી. એમણે ક્યાં કોઇનું કાંઇ બગાડ્યું છે કે મરવું પડે! મોત તો કાંઇક ખોટું કર્યું હોય એને જ આવે.

ગમે તેવા તડકામાં દિનેશભાઇ ઉઘાડા પગે જ ફરે. તળિયાં દાઝવાની જાણે કોઇ અસર જ નહીં. અજાણ્યા કોઇના દેખતાં કાંઇ ખાય નહીં. કાંઇક ખાવું હોય અને લોકો હોય તો લોકોથી પીઠ ફેરવી લેવાની અને ભીંતભર થઇ ખાઇ લેવાનું.

એક વાર દિનેશભાઇ માનસિક રીતે અવિકસિત છે એવા અર્થનું સિવિલ સર્જનનું મેડિકલ પ્રમાણ લેવાનું હતું. ફઇ એમને લઇ ગયાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં. સિવલ સર્જન સાહેબે દિનેશભાઇને બધી રીતે તપાસ્યા. એમને એમનામાં કાંઇ ખોટું ન દેખાયું. જે પૂછે એનો સંતોષકારક જવાબ. સર્જન સાહેબ કહે કે બહેન, તમારા દીકરામાં મને તો કાંઇ વાંધો નથી દેખાતો. ભણ્યો નથી એના આધારે આવું સર્ટિફિકેટ તો ન જ આપી શકું ને! ફઇએ એમને એક બાજુ બોલાવી કહ્યું કે એની હાજરીમાં મને એટલું કહો કે હું મરી જવાની છું એટલે એનાં લગન લઇ લેવાં જોઇએ. ડોકટરે આટલું કહ્યું અને પછી જે દિનેશભાઇનો પિત્તો ગયો છે! એટલું સાંભળીને દિનેશભાઇએ કરેલું કરુણતા અને ક્રોધ મિશ્રિત વર્તન જોઇ ડોકટરને એમનું એસેસમેન્ટ કરવા પર્યાપ્ત સામગ્રી મળી ગઇ અને એમનો માનસિક વિકાસ અમુક ઉંમરે થંભી ગયાનું પ્રમાણપત્ર લખી આપ્યું.

મને નવાઇ લાગતી કે દિનેશભાઇ મંદબુદ્ધિ કહી શકીએ એવા તો છે નહીં. બધી સમજણ છે. તો વર્તન આવું કેમ! પણ પહેલેથી એવું જ સાંભળતો આવ્યો હતો કે લીલીબહેનનો દિનેશ મંદબુદ્ધિ, એટલે આવું જ જે માણસો કહેતા હોય એમની પાસે શું જાણવાની અપેક્ષા રાખવી! એટલે પૂછતો ય નહીં.

પણ એકાદ વર્ષ પહેલાં દિનેશભાઇને સ્વગત બોલતાં સાંભળી ગયો “એ બેયનું મોત હતું તે મરી ગયા. એમાં કોઇ શું કરે! મેં નથી માર્યાં હોં!”

આ પહેલી વાર સાંભળ્યું હતું. મેં ફઇને વાત કરી. કેમ દિનેશભાઇ આવી વાતો કરે છે! ફઇની આંખોમાંથી દડ દડ આંસુ ટપકવા લાગ્યાં. ફઇએ વાત કરી.

નાનપણમાં દિનેશભાઇ ગોફણના માસ્ટર અને એક્કા નિશાનબાજ હતા. કહીએ એ વસ્તુનું નિશાન લઇ શકતા. માંડ આઠ વર્ષના હશે. એક વાર ફઇ એક વાડીએ કપડાં ધોવા ગયાં હતાં, સાથે દિનેશભાઇ. બેસતો ઉનાળો હતો અને આંબામાં કેરીઓ. દિનેશભાઇ ગોફણ ભેગી જ રાખતા ને વારંવાર નવાં નવાં નિશાન લઇ એમનો ગોફણનો અભ્યાસ ચાલુ રાખતા. ફઇ કપડાં ધોઇ રહ્યાં હતાં અને દિનેશભાઇની ગોફણ આંબાની કેરીઓ માટે સટાકા બોલાવી રહી હતી. એક પછી એક કેરીઓ ખિસ્સામાં ભરાઇ રહી હતી.

પણ, એક પત્થર કેરીને પાડ્યા વિના એની બાજુમાંથી નીકળી ગયો અને ગયો ખેતરની વાડ કુદાવીને પેલી બાજુ. પડ્યો ચાર વર્ષના એક છોકરાના માથા પર. છોકરો ત્યાં ને ત્યાં ઢળી પડ્યો. કોઇએ જોયું અને સેકન્ડોમાં તો ટોળું થઇ ગયું. છોકરાને તેડી લીધો. છોકરાનો બાપ – એ ખેતરનો માલિક પણ દોડતો આવ્યો. પણ એના ભાગે દીકરાનો નિષ્પ્રાણ દેહ જ ઊંચકવાનો આવ્યો હતો.

લોકોએ જોયું જ હતું કે એ મૃત્યુનું નિમિત્ત શું અને કોણ બન્યું હતું એટલે દિનેશભાઇ પર શું વીતી શકે એનો એ બાપને અંદાજ આવી ગયો. તરત જ એના દીકરાના શરીરને નીચે મુકી દોડતા આવી રહેલાં ફઇની સામે દોડતો ગયો અને હાથ જોડીને કહ્યું કે બહેન, જો તમે તમારા દીકરા પર હાથ ઉપાડો તો તમને મારા મરી ગયેલા દીકરાના સમ. તમારો દીકરો ય બાળક છે. વાડની પાછળ મારો દીકરો છે એ એને થોડી ખબર હતી! એનું મોત આમ લખાણું હશે, બહેન. તમે તમારા દીકરાને કાંઇ ન કહેતા. “મારા સમ છે જો કોઇએ છોકરાને કાંઇ કીધું છે તો” એમ કહી હાજર બધાની સામે હાથ જોડ્યા. કોઇએ આ જોઇ બાળક દિનેશને કાંઇ ન કહ્યું. દિનેશભાઇ પણ બાઘા થઇ જોઇ રહ્યા.

ફઇ તો કેવું ભારે હૃદય લઇ ઘરે આવ્યાં હશે એની કલ્પના ય નથી થઇ શકતી. પણ ઘરે આવી ક્રોધમાં દિનેશભાઇને જે કહેવાનું હતું એ એમનું દારુણ રુદન થઇને બહાર આવ્યું કારણ કે દિનેશભાઇને તો ખિજાવાની એ છોકરાના બાપે સમ દઇને ના પાડી હતી ને! દિનેશભાઇ સુન્ન થઇ ગયા હતા. ગોફણને ત્યારથી જ ભૂલી ગયા.

હશે. ભગવાને જે નિમિત્ત બનાવ્યું હોય તે. એ ય બાળક જ છે ને! વિચારી ફઇએ મન મનાવ્યું. જે થવાનું હતું એ થઇ ગયું એમ વિચારી જાણે કાંઇ નથી બન્યું એમ બે દિવસ પછી દિનેશભાઇને અને નીતિબહેનને થેલીમાં પાટી પેન આપી નિશાળે મોકલ્યાં.

દિનેશભાઇથી નાની મંજુ. એ નિશાળે જવા જેવડી તો નહીં, પણ ફળિયામાં રમવા જેવડી હતી. એનાથી નાની એક દીકરી હતી એ ત્યારે છ મહિનાની હતી. દિનેશભાઇ નિશાળેથી આવ્યા ત્યારે એ ઘોડિયામાં સુતી હતી. ચંચલ સ્વભાવના બાળક દિનેશભાઇ દોડતા આવ્યા અને એમની થેલી ઘોડિયાની એક મોરવાઇ (ઘોડિયાની આડી દાંડીના છેડે બંને બાજુ લાકડાના જે ઊભા આધાર હોય તે) પર ઉતાવળમાં ટાંગી દઇને ઝટ ઝટ જેવા આવ્યા હતા એવા જ દોડતા ફળિયામાં ગરિયો રમવા ભાગી ગયા. ફઇ ત્યારે રસોડામાં.

થેલી ઘોડિયાની અંદરની બાજુ ટંગાઇ ગઇ હતી અને હીંચી રહેલા ખોયાના સળિયા સાથે ઊંચી નીચી થઇ રહી હતી. એક વાત પર કોઇનું ધ્યાન નહતું પડ્યું, કે થેલીની નીચલી સિલાઇ ઢીલી થઇ ગઇ હતી અને એક એક ટાંકા તૂટી રહ્યા હતા. એક દુર્ભાગી ક્ષણે થેલીમાંની પાટીને ખમી રહેલો છેલ્લો ટાંકો ય તૂટ્યો અને પાટી સરકી બહાર. પાટીને ય ફરતે લાકડાની કોઇ ફ્રેમો નહીં. એટલે પાટી એક અણિયાળો પત્થર જ બની ગઇ અને પડી સૂઇ રહેલી ફઇની છ મહિનાની દીકરીના માથે. એનો ખૂણો એક વેઢ જેટલો એ બાળકીના માથામાં ઉતરી ગયો અને બાળકી ત્યાં જ મરી ગઇ.

પછી તો શું શું થયું હશે એની આપણે તો કલ્પના ય ક્યાંથી કરી શકીએ! દિનેશભાઇ બે દિવસના અંતરમાં બીજા બાળકના મૃત્યુના નિમિત્ત બન્યા હતા.

આ વાત સાંભળી એટલે દિનેશભાઇના વર્તનનો તાળો મળી ગયો. અપરાધને ભૂલવા મન બધું કરી છૂટે છે. મૃત્યુને એ કોઇ ખોટા કર્મનું પરિણામ પણ કહી દે છે. મન ત્યાંથી આગળ શીખવાનું અને બૌદ્ધિક રીતે વિકસવાનું બંધ કરી દે છે કારણ કે વધુ શીખેલું અને વિશ્લેષણ કરી શકતું મન અજાણતાં થયેલા આ બંને અપરાધો પણ વારંવાર યાદ દેવડાવવાનું જ છે. મનને બધું ગમે છે પણ અપરાધભાવના નથી ગમતી. એને એ ટાળવા જ માંગે છે. એટલે એ એણે દિનેશભાઇને કાંઇ પણ શીખવા અને કાંઇ પણ યાદ રાખવા માટે અસમર્થ એવા વ્યક્તિ બનાવી દીધા. મન ગેમમાંથી આ રીતે બહાર નીકળી ગયું. દિનેશભાઇને એ આઘાતે આજીવન બહાવરા બનાવી દીધા. એમના ખોળામાં બેઠેલો છ મહિનાનો હું ગબડી પડ્યો એ પ્રસંગથી પણ એટલા ભયભીત થઇ ગયા કે એમણે એ જાણી જોઇને નથી કર્યું એ આટલાં વર્ષો પછી પણ અમને સમજાવવા મથે છે. એ મનને મંદબુદ્ધિ ગણાવામાં પણ આ જ કારણે કોઇ વાંધો નથી. એમાં એને સુરક્ષા મળી છે, અસહ્ય અપરાધભાવનાથી મુક્તિ મળી છે.

પણ મિત્રો, આ સાથે મને યાદ આવી વિકસિત દેશોની હેલ્થકેર સર્વિસીઝ. એ ક્ષેત્રમાં ત્યાં સરકાર તરફથી જ એટલું સંશોધન અને રોકાણ થયું છે કે બાળકો માટે તો ખાસ કાઉન્સેિલંગ ઉપલબ્ધ છે. દિનેશભાઇને લાગ્યો એ આઘાત નાનોસૂનો તો નહીં જ હોય પણ મનોવિજ્ઞાન એટલું આગળ વધ્યું છે કે એના વિકાસનો પૂરેપૂરો ઉપયોગ કરી એમને આઘાતમાંથી બહાર તો લાવી જ શકાયા હોત. વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓનો પૂરેપૂરો ઉપયોગ સરકાર નાગરિકોનાં જીવનમાં સ્વાસ્થ્ય, સરળતા, અને સુવિધા માટે કરે છે. દિનેશભાઇને આજીવન બહાવરા થઇને રહેવાની કોઇ જ જરૂર ન હતી. એમનું તો જીવન જાણે વેડફાઇ જ ગયું છે પણ દેશમાં બીજાં કેટલાં બાળકો હશે કે જે રોજ કોઇ ને કોઇ માનસિક આઘાતનો ભોગ બનતાં હશે! એમના માટે આપણા દેશમાં શું સગવડ છે! અરે, સગવડ તો પછી આવે. જાગૃતિ પણ ક્યાં છે! માનસિક બિમારી જાણે એક સંતાડવાની વસ્તુ છે. જેમનું મન થાકી રહ્યું હોય એમના માટે આપણામાં પણ ધીરજ છે ખરી! અરે માનસિક રીતે બિમાર તો ઠીક, શારીરિક રીતે વિકલાંગતાનો ભોગ બનનાર માટે પણ આપણામાં સંવેદનશીલતા લાવવા માટે નરેન્દ્રભાઇ પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધી કાંઇ જ નહતું થઇ રહ્યું. એ લોકો તો જાણે નાગરિક જ મટી ગયા હોય એવો વ્યવહાર હતો અને છે. વિકલાંગને દિવ્યાંગ કહી એમનાં જીવન સુધારવાની એમની પહેલને ખરેખર ધન્યવાદ આપવા જ પડે.

જરૂર આની છે મિત્રો. નથી જરૂર શ્રીરામજન્મભૂમિ પર મંદિર બાંધવાની, કે નથી જરૂર સ્વીસબેંકોમાંથી પૈસા પાછા લાવવાની. આપણા ભાઇઓ, બહેનો, અને બાળકોને શારીરિક કે માનસિક વિકલાંગતાના લીધે કોઇ અન્યાય ન થાય, એમને બધી રીતના સમાન અવસર મળે. કોઇ તકથી એમને વંચિત ન રહેવું પડે, એમનું જીવન એળે ન જાય એવું તંત્ર સર્જવાની જરૂર સહુથી પહેલી છે. આ હાથીના પગલાં જેવું ધ્યેય છે જેમાં બીજાં ઘણાં આપોઆપ સમાઇ જાશે. એ કરી શકશું તો આપણે સમૃદ્ધ તો ક્યારના થઇ ગયા હોઇશું.

https://www.facebook.com/prahlad.joshi/posts/10210964449059157

Loading

13 April 2017 admin
← કાશ્મીરની પ્રજાનો વિશ્વાસ જીતવો હોય તો વિનાયક દામોદર સાવરકરનું ઇતિહાસવિવેચન કામમાં આવે એમ છે
ચાંગદેવ ખૈરમોડેએ સાડા હજાર પાનાંમાં બાર ભાગમાં લખેલું ડૉ.આંબેડકરનું સૌથી સર્વગ્રાહી જીવનચરિત્ર 40 વર્ષે સંપૂર્ણ પ્રગટ થયું →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved