Opinion Magazine
Number of visits: 9487834
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિલીપકુમાર સરતચંદ્રના દેવદાસને એક નવી જ ઊંચાઈ પર લઇ ગયા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 July 2021

દિલીપ કુમારની ઈમેજ ત્યારે ટ્રેજેડી કિંગની હતી. કરુણ પાત્રો ભજવીને તેમનાં માનસિક સ્વાસ્થ્ય પર એવી અસર થઇ હતી કે સાઈકિયાસ્ટ્રીસ્ટની સલાહથી તેમણે હળવી અને મનોરંજક ફિલ્મો કરવાની શરૂ કરી હતી. 'કોહિનૂર' એ દિશામાં પહેલો પ્રયાસ હતો. દિલીપ કુમારે કહ્યું હતું કે બીજા એકટરો કારકિર્દીના અંત ભાગે ટ્રેજિક ફિલ્મો કરતા હોય છે, પણ મારા કિસ્સામાં હું શરૂઆતથી જ એવી ફિલ્મો કરતો થયો હતો. ટ્રેજિક ફિલ્મોના એ દૌરની સૌથી મહત્ત્વની અને યાદગાર ફિલ્મ ૧૯૫૫માં આવેલી 'દેવદાસ.' આ ફિલ્મ દિલીપ કુમારની ધમાકેદાર કારકિર્દીમાં સીમાચિહ્નરૂપ તો છે જ, ઉપરાંત સિનેમાની દુનિયામાં પણ તેનો દબદબો અસાધારણ છે.

‘દેવદાસ’ વ્યક્તિનું નામ નથી. એ એક માનસિક પરિસ્થિતિનું રૂપક છે. બંગાળીબાબુ સરતચંદ્ર ચટ્ટોપાધ્યાય ૧૭ વર્ષના હતા, ત્યારે તેમણે પ્રેમમાં નાસીપાસ થઇને તવાયફના કોઠા પર શરાબમાં ખુવાર થતા બંગાળી બ્રાહ્મણ યુવાન દેવદાસની નવલકથા લખી હતી. સરતબાબુને તેમની નવલકથા બહુ પસંદ પડી ન હતી. તેમને લાગતું હતું કે તેની કહાનીમાં પરિપક્વતા નથી. એ નાદાની જ તેની તાકાત બની ગઈ.

૨૧મી સદીના ભારતમાં આવો કમજોર અને આત્મઘાતી હીરો હાસ્યાસ્પદ લાગે, પણ એક જમાનામાં તેનો એટલો પ્રભાવ હતો કે અલગ-અલગ ભાષામાં તેના પરથી ૨૦ ફિલ્મો બની છે અને ૫ ફિલ્મી ગીતોનો એ વિષય બન્યો છે. અસલ જીવનમાં કોઈ પ્રેમી નાસીપાસ રહેતો હોય તો તેને કહેવાતું હતું કે “શું દેવદાસ જેવો ફરે છે?”

હિન્દીમાં તેના પરથી અત્યાર સુધીમાં ૪ મોટી ફિલ્મો બની છે; ૧૯૩૫માં કે.એલ. સાયગલની ‘દેવદાસ,’ ૧૯૫૫માં દિલીપ કુમારની ‘દેવદાસ,’ ૨૦૦૨માં શાહરૂખ ખાનની ‘દેવદાસ’ અને ૨૦૦૯માં અભય દેઓલની ‘દેવ.ડી.’ એમ તો, શક્તિ સામંતે ૧૯૭૧માં રાજેશ ખન્નાની ‘અમર પ્રેમ’ ફિલ્મમાં દેવદાસનું પોતાનું વર્ઝન પેશ કર્યું હતું. એમાંથી દિલીપ કુમારની ‘દેવદાસ’ ટ્રેજિક હીરો માટે ટેક્સ્ટ-બૂક બની ગયો. આ ફિલ્મથી તેમને ટ્રેજેડી કિંગનો ખિતાબ મળ્યો અને આ ફિલ્મથી જ તેમનું સ્ટારડમ સ્થાપિત થયું.

‘દેવદાસ’ સાથે સિનેમાનો રોમાન્સ શરૂ થયો ૧૯૨૮માં. તે વર્ષે બંગાળી અભિનેતા-નિર્દેશક નરેશ મિત્રાએ બંગાળીમાં ‘દેવદાસ’ પરથી પહેલીવાર મૂંગી ફિલ્મ બનાવી હતી. ૧૯૩૫ સુધીમાં બોલતી ફિલ્મો આવી ગઈ હતી અને કલકત્તાની ન્યૂ થિયેટર કંપનીએ બંગાળી અને હિન્દીમાં બોલાતી ‘દેવદાસ’ બનાવી હતી. આસામમાં ગૌરીપુરાના મહારાજાના દીકરા પ્રોમ્તેશ ચંદ્ર બરુઆએ બંને ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. બંગાળીમાં એ પોતે જ હીરો હતા અને એમાં તવાયફના કોઠા પર હારમોનિયમ વગાડતા કુંદન લાલ સાયગલ હિન્દીમાં હીરો બન્યા હતા.

આ ફિલ્મમાં, બિમલ રોય કેમેરા આસિસ્ટન્ટ હતા. તેમણે ૧૯૫૩માં ‘દો બિઘા જમીન’ ફિલ્મથી સ્વતંત્ર નિર્માતા-નિર્દેશક તરીકે પદાર્પણ કર્યું હતું. તે પછી તેમણે મધ્યમ કક્ષાની બિરાજ બહુ, નૌકરી અને બાપ બેટી બનાવી. સ્વતંત્ર ફિલ્મ સર્જક તરીકે મુંબઈમાં બરાબર જામી ગયેલા બિમલ રોય ૧૯૫૫માં મોટી તોપ જેવી ‘દેવદાસ’ લઈને આવ્યા. એવું કહેવાય છે કે બિમલ રોયની ‘દેવદાસ’ સરતચંદ્રની નવલકથાની સૌથી પ્રમાણિક ફિલ્મી કોપી છે.

બિમલ રોયની અગાઉની બંગાળી ફિલ્મોના લેખક નબેન્દુ ઘોષે ‘દેવદાસ’ની પટકથા લખી હતી (સંવાદો ઉર્દૂ-હિન્દીના મશહુર લેખક રાજીન્દર સિંહ બેદીએ લખ્યા હતા). લતા ખૂબચંદાની નામની પત્રકાર સાથે એક ઇન્ટરવ્યૂમાં ઘોષ કહે છે;

“અમે બંને સાહિત્યના શોખીન હતા. સરતચંદ્રની ‘દેવદાસ’ નવલકથાને લોકોએ પસંદ કરી હતી અને તેના પરથી બનેલી ફિલ્મો સારી ચાલી હતી. બિમલ’દા સાયગલની ફિલ્મમાં કેમરામેન હતા. સાયગલ સાબ દેખાવડા ન હતા, પણ અવાજના જાદુથી તે ફિલ્મને ખેંચી ગયા. બિમલ’દાને ત્યાંથી ખંજવાળ ઉપડી હતી. અમે તેને ફરીથી હિન્દીમાં બનાવવાનું નક્કી કર્યું, અમે પી.સી. બરુઆની નકલ કરી ન હતી. અમને લાગ્યું કે સરતચંદ્રની વાર્તાને જ વળગી રહેવું જોઈએ."

બિમલ રોયે પહેલાં જ નક્કી કરી રાખ્યું હતું કે તેમનો દેવદાસ દિલીપ કુમાર જ હશે. દિલીપ કુમારે ત્યાં સુધીમાં ૨૩ ફિલ્મો કરી હતી, અને શહીદ, અંદાઝ, સંગદિલ અને આન જેવી ફિલ્મોથી પોતાનું સ્થાન બનાવ્યું હતું. મુશ્કેલી હિરોઈનોને લઈને થઇ. બિમલ રોય અને નબેન્દુ ઘોષ પારોની ભૂમિકામાં મીના કુમારીને અને ચંદ્રમુખીની ભૂમિકામાં નરગીસને લેવા માંગતા હતા. એમાં પારો તરીકે મીના સેન્ટ પરસેન્ટ ફીટ હતી, પરંતુ તેના પતિ કમાલ અમરોહીએ કંઇક એવી શરતો મૂકી કે બિમલ રોય સહમત થઇ ન શક્યા. નબેન્દુ ઘોષ કહે છે કે ફિલ્મ કરવા ના મળી એટલે મીના રડી પડી હતી.

નરગીસે ચંદ્રમુખીની ભૂમિકા કરવાની ના પાડી દીધી. તઅણે કહ્યું કે મને પારો આપો. બિમલ રોય પારો તરીકે નરગીસને જોઈ શકતા ન હતા. એટલે નરગીસનું નામ પણ કેન્સલ થયું. તેમણે બીના રોયનો સમ્પર્ક કર્યો, તેણે ય ના પાડી. સુરૈયાને પૂછ્યું તો તેણે કહ્યું કે પારોનો રોલ આપો. એ પછી બંગાળી એક્ટ્રેસ સુચિત્રા સેનનો વિચાર કરવામાં આવ્યો. તેણે હા પાડી, કારણ કે તેને ‘દેવદાસ’થી હિન્દી ફિલ્મોમાં આવવા મળતું હતું. નબેન્દુ ઘોષ કહે છે કે, “પાર્વતીની ભૂમિકા માટે સુચિત્રાનો ચહેરો બહુ સોફિસ્ટિકેટેડ અને સભ્ય હતો. એટલે મને લાગે છે કે મીના કુમારી એકદમ અનુકૂળ હતી – તેનામાં મધ્યમ વર્ગની, અર્ધશિક્ષિત છોકરીની સાદગી હતી.”

ઘોષ એવું પણ કહે છે કે ચંદ્રમુખીની ભૂમિકામાં વૈજયંતિમાલાની પસંદગી પણ મંજૂર ન હતી, પરંતુ બીજો કોઈ વિકલ્પ ન હતો, કારણ કે ચંદ્રમુખીની ભૂમિકા કરવા કોઈ તૈયાર ન હતું. બિમલ રોયનું યુનિટ તૈયાર હતું, અને વિલંબ પાલવે તેમ ન હતો. ઇન્‌ફેક્ટ, વૈજયંતિમાલા રણમાં મીઠી વીરડી સમાન હતી, તેણે સામે ચાલીને બિમલ રોયને કહ્યું હતું કે તમને જો ઠીક લાગતું હોય તો હું એ ભૂમિકા કરવા તૈયાર છું.

દિલીપ કુમાર અને બિમલ રોય એકબીજાને સારી રીતે જાણતા હતા. બંને એક જ સ્ટુડીઓમાં દોઢ વર્ષ સુધી બાજુ-બાજુમાં કામ કરતા હતા. બંને વચ્ચે એક ફિલ્મને લઈને ચર્ચા પણ થઇ હતી, પરંતુ એ ન બની શકી. બંને વચ્ચે વાતોનો સિલસિલો ચાલતો હતો, એવામાં એક દિવસ બિમલ’દાએ કહ્યું કે તેમને દિલીપ કુમાર સાથે ‘દેવદાસ’ બનાવવી છે. દિલીપ કુમારને સાયગલની ‘દેવદાસ’ ફિલ્મ કે નવલકથા વિષે કશી ખબર ન હતી. બિમલ રોયે તેમને નવલકથાનો અનુવાદ વાંચવા આપ્યો હતો.

એક ઇન્ટરવ્યુમાં એ કહે છે, “મેં સરતચન્દ્રની નવલકથા અનેકવાર વાંચી. હું વાર્તાથી સારી પેઠે અવગત થયો. મેં તેમની અન્ય નવલકથાઓ પણ વાંચી. ‘દેવદાસ’માં જે પાત્રો, વાતાવરણ અને પ્રકૃતિ છે તેની સાથે તમે સંબંધ કેળવતા થઇ જાવ. એટલે ઉત્તરોત્તર હું દેવદાસથી પરિચિત થતો ગયો અને મને દેવદાસ તરીકે જોતો થયો.”

દિલીપ કુમારનો દેવદાસ પરંપરાવાદી છે. એ પાર્વતીને અત્યંત ચાહે છે, પરંતુ ઘર-સમાજના નિયમો સામે વિદ્રોહ નથી કરી શકતો, એટલે તેની સજા તે ખુદને આપે છે. આ એ જમાનાની વાત હતી, જ્યારે છોકરો કે છોકરી મન પડે તેમ કરી શકતાં ન હતાં અને પરિવારના વડીલો કહે તેમ કરવા માટે મજબૂર હતાં. કદાચ એ કારણથી સરતચંદ્રની નવલકથા અને ફિલ્મ અત્યંત લોકોપ્રિય થઇ હતી.

આજે આવો પ્રેમ ટોક્સિક લાગે, કારણ કે એમાં દેવદાસ અને તેની સાથે જોડાયેલા તમામ લોકો બહેતર થવાને બદલે બરબાદ થાય છે. એમાં દેવદાસ તેની નિરાશા, એકલતા અને શરાબીપણાને રોમેન્ટિસાઈઝ કરે છે. દેવદાસ જ્યારે ઘર અને પારોને છોડીને જતો રહે છે, ત્યારે તે ખુદને સંભાળવાને બદલે ખુવાર કરી નાખે છે. દિલીપ કુમારને એવો અહેસાસ થયો હતો કે ‘દેવદાસ’ની લોકપ્રિયતા કદાચ પ્રેમમાં નાસીપાસ યુવાનોમાં શરાબખોરીને પ્રોત્સાહન આપશે. તેમની આત્મકથામાં તેઓ લખે છે;

“હું બહુ વિગતોમાં ઊંડો નહીં ઊતરું, પણ શરૂઆતમાં મને એ વાતની તકલીફ થતી હતી કે હું એક એવો કિરદાર ભજવી રહ્યો છું, જેની ભીતર ગહેરી પીડા અને ઉદાસી છે અને કદાચ અધકચરા યુવાનોમાં એવું માનવાની ગેરસમજ થાય કે પ્રેમની નિરાશામાંથી છૂટવા માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય શરાબ છે. મેં જેમ જેમ એ વિષય પર વિચાર કર્યો તો મને લાગ્યું કે હું જો પૂરતા વિવેક સાથે આ પાત્ર ભજવું તો એક યાદગાર ફિલ્મ બને તેમ છે.”

દિલીપ કુમારે જાતને આપેલું એ વચન પાળી બતાવ્યું હતું. જો કે, એ સહેલું ન હતું. એક દિવસ શુટિંગમાં બ્રેક પડ્યો, ત્યારે  નબેન્દુ ઘોષે જોયું કે દિલીપ સાબ ક્યાંક ખોવાયેલા છે અને છેટા રહે છે. ઘોષ તેમની પાસે ગયા અને પૂછ્યું કે શું થયું છે? તો ટ્રેજેડી કિંગે કહ્યું, “નબેન્દુ બાબુ, એ ત્રણે જણા મારા ખભા પર ચઢી બેઠા છે?” કોણ ત્રણ જણા? તેમણે કહ્યું, “સરતબાબુ, પ્રમ્તેશ બરુઆ, કુંદન લાલ સાયગલ.”

દિલીપ કુમાર ‘દેવદાસ’માં એ ભાર ઊંચકીને ત્રણેથી આગળ નીકળી ગયા હતા.

પ્રગટ : ‘બ્લોક બસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 24 જુલાઈ 2021

Loading

30 July 2021 admin
← હળહળતાં જૂઠાણાં બોલતા વડા પ્રધાનને નૈતિકતા જેવું છે કે નહીં ?
જેજુરી →

Search by

Opinion

  • કોમનવેલ્થ ગેઇમ્સ માટે અમદાવાદ યજમાનઃ ખેલ વિશ્વ એટલે વૈશ્વિક રાજકારણમાં સોફ્ટ પાવર અને કૂટનીતિ
  • તાલિબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ
  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી

Poetry

  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved