Opinion Magazine
Number of visits: 9448692
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મને નામે મરી જવું ભારતમાં સૌથી સસ્તું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 July 2024

રવીન્દ્ર પારેખ

હા, હાથરસમાં 121 માણસો ભોલે બાબાના સત્સંગમાં ગયેલા તે બેફામ થયેલી ભીડમાં દબાઈ, દટાઈને માટીમાં મળી ગયા. વધારે મળ્યા હોય તો ય નવાઈ નહીં, આ તો સરકારી આંકડો છે. એમાં સ્ત્રીઓની અને બાળકોની સંખ્યા વધુ છે. આમ તો પોલીસ તેમને શોધી રહી છે, પણ બાબા તો સામે નથી આવ્યા, તેમનું નિવેદન સામે આવ્યું છે. નાસભાગના 24 કલાક પછી બાબા બોલ્યા કે હું સત્સંગમાંથી નીકળ્યો, પછી દુર્ઘટના સર્જાઈ છે. એમણે એમ પણ કહ્યું કે આ નાસભાગ અસામાજિક તત્ત્વોએ મચાવી છે ને હું એ લોકો સામે કાનૂની કાર્યવાહી કરીશ. આમાં અસામાજિક તત્ત્વ ક્યાં તે તો નથી ખબર, કારણ ત્યાં તો આયોજકો ને શ્રદ્ધાળુઓ જ હતા. એમાં બાબા કોને અસામાજિક તત્ત્વ ગણે છે તે તેઓ જાણે, પણ હકીકત એ છે કે સિકંદરરૌ પોલીસ સ્ટેશનનાં ફૂલરાઈ ગામમાં સત્સંગનું આયોજન કરનાર બાબાના સૈનિકો પર જ આરોપ છે કે એમણે જ ભક્તો, બાબા સુધી ન પહોંચે એ માટે ધક્કામુક્કી શરૂ કરી ને લોકો એકબીજા પર એવા પડ્યા કે ફરી ઊભા ન થઈ શક્યા.

બાર વાગે શરૂ થયેલો સત્સંગ બપોરે બેની આસપાસ પત્યો અને ભોલે બાબા નીકળતા હતા ત્યારે કેટલાક ભક્તો તેમની ચરણરજ લેવાના થયા, તે દોડ્યા બાબા તરફ ને બાબાના સૈનિકોએ તેમને લાકડી વડે ખદેડવાની જોરદાર કોશિશ કરી. એમાં એવી ધમાચકડી થઈ કે બાબાને તો વાંધો ન આવ્યો, પણ ભક્તો પર ભક્તો, નાળામાં, પાણી ભરેલાં ખેતરોમાં પડ્યા. ખેતર નીચું હતું ને કાદવ પણ હતો એટલે લાશોની થપ્પી લાગી ગઈ. મોંમાં, નાકમાં કાદવ ઘૂસી જવાને કારણે ગૂંગળામણ થઈ અને ઠેર ઠેર લાશો ખડકાઈ ગઈ. બાળકો કચડાયાં. સ્ત્રીઓ પરથી ભક્તો પસાર થતા રહ્યા. આ ધમાલમાં બાબા તો ગયા, પણ તેમનું લશ્કર પણ તેમની સાથે જ રવાના થઈ ગયું ને ભક્તો ભગવાન ભરોસે, ભગવાનને હવાલે થતા રહ્યા. એમાંને એમાં ભક્તો ઘટતા ગયા ને લાશો વધતી ગઈ.

ચંપલ ઉઠાવવા ઝૂકેલી દીકરી પરથી ભીડ કચડતી, છૂંદતી ધસમસી ગઈ. લાશોનો ઢગલો જોતાં એક સૈનિક એવો ગભરાયો કે હાર્ટ એટેક આવ્યો ને તેનું મૃત્યુ થઈ ગયું. પોતાનું માણસ શોધતી એ લાચાર આંખોની પીડા તો કલ્પવાની જ રહે છે. હોસ્પિટલને તો ખબર ન હોય કે 121 માણસો લાશ થઈ ગયાં છે એટલે એ તો લાશનાં પોસ્ટમોર્ટમ કે ઘાયલોની સારવાર માટે તૈયાર ન જ હોય ને ડોકટરોને કૈં પીર આવે છે કે હોસ્પિટલમાં હાજર રહે? એ તો એમની રીતે જ કામ કરતા હોય, એટલે હોસ્પિટલમાં તો ક્યાંથી હોય? કોઈ બચી ગયું તો તેનું નસીબ ને પતી ગયું તો તે પણ તેનું તકદીર એ હિસાબ અહીં પણ રહ્યો.

આમ તો ખાતર પર દિવેલ થતું આવ્યું છે, તેમ આમાં ય થશે, પણ 121 લોકો તો અથડાઇ, કૂટાઈ, ભચડાઈ, કચડાઈ ગયા છે ને તે કદી પાછા ફરવાના નથી. આવું થાય છે ત્યારે કેટલાંક કામ રાબેતા મુજબ ને ફટાફટ થવા લાગે છે. જેમ કે સીટની રચના થઈ જાય છે. ઊહાપોહ વધારે થાય તો સી.બી.આઈ. પણ મોડી વહેલી જોડાય છે. નક્કી થયેલા ભાવ મુજબ મૃતકને બે લાખનો ચેક અને ઘાયલને 50 હજાર પણ જાહેર થઈ જાય છે. મરવામાં મોડું વહેલું થાય, પણ મદદમાં મોડું થતું નથી એટલું સારું છે. તપાસના રિપોર્ટ પણ આવવા લાગે છે.

એટલું છે કે આયોજકોએ 80,000 લોકો આવવાના છે એવી માહિતી આપીને પ્રશાસન પાસેથી પરમિશન લીધેલી, પણ ભક્તો હાથરસ, એટા સહિત રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ જેવામાંથી પણ અઢી લાખની સંખ્યામાં ઊમટી પડ્યા. એમને કાબૂ કરવા કોઈ વ્યવસ્થા ન હતી. પોલીસો ઓછા હતા ને દુર્ઘટના પછી લાશોને પોસ્ટમોર્ટમ માટે કે ઘાયલોને હોસ્પિટલે કે હાથરસનાં ટ્રોમા સેન્ટર પર લઈ જવા સાધનો ટાંચા જ હતાં. કેટલા ય જીવો સમયસર સારવાર ન મળવાને કારણે ગયા. દુર્ઘટના પછી પોલીસે મુખ્ય સેવકો, આયોજકો સામે કેસ કર્યો છે, પણ એફ.આઇ.આર.માં ભોલે બાબા ઊર્ફે નારાયણ સાકાર વિશ્વ હરિનું નામ નથી, તે કદાચ હરિ સ્વયંભૂ હોવાને કારણે હશે. હરિ પર કોઈ કેસ નથી, પણ 24 વર્ષ પહેલાં દત્તક લીધેલી મૃત બાળકીને જાદુઈ વિદ્યાથી સજીવન કરવાને મામલે બાબાની ધરપકડ થયેલી એ ખરું. આ ઉપરાંત યૌન શોષણ સહિતના પાંચેક કેસ પણ બાબા પર થયેલા છે.

બાબા સિગારેટ, શરાબ, શબાબના પણ શોખીન છે. એવા સમાચાર એમના જ આશ્રમવાસી રણજિતસિંહે ફોડ્યા છે કે બાબાના આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ રહે છે ને બાબા તેમની પાસે અનુચિત કામો પણ કરાવે છે. પોલીસ આશ્રમ તરફ આવતી જણાય તો બાબા પાછલે બારણેથી છોકરીઓને ભગાડી મૂકે છે. બાબાનાં કરતૂતોથી તેમની પત્ની પણ વાકેફ છે. આવા બાબાનો સત્સંગ, કુસંગ જ પુરવાર થાય, પણ ભક્તો તો તેમને કૃષ્ણ ભગવાન ગણે છે ને તેમણે જ આ દુનિયા સર્જી છે એવું માને છે. હવે જે ઢોંગીને જ ઈશ્વર ગણે છે એની તો દયા પણ શું ખાવી?

એ તો ઠીક, અગાઉ પણ બાબાએ કોરોના કાળમાં 50 વ્યક્તિઓ આવવાની છે એમ કહીને ફરૂખાબાદમાં 50,000ની ભીડ એકઠી કરેલી અને એને કોરોનાની ભેટ આપેલી. આ જાણવા છતાં 80,000 લોકો સત્સંગમાં આવવાના છે એવું કહીને પરમિશન માંગવામાં આવી, ત્યારે આયોજકો પાસેથી બાંહેધરી લેવાની જરૂર હતી કે લોકો વધી પડે તો વૈકલ્પિક વ્યવસ્થા શી હશે? તે સાથે જ અગાઉના અનુભવને ધ્યાને લઈને પ્રશાસને પણ અરાજકતા ન ફેલાય તેવી વ્યવસ્થા, અગમચેતી વાપરીને કરવાની જરૂર હતી, પણ એવું થયું નહીં ને 121 લોકોના જીવ ગયા. એટલું છે કે અગાઉની ઘટના પરથી આયોજકો કે સત્તાધીશો કોઈ બોધપાઠ લેવાઈ ન જાય એની ભારે કાળજી રાખતા હોય છે. આવી જ બીજી ઘટના બનશે ત્યારે પણ આ બધાં આટલાં જ નવાં થઈને સામે આવશે એવી ખાતરી સહેજે રાખી શકાય.

આમ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત મુખ્ય સચિવ મનોજકુમાર સિંહ, ડી.જી.પી., કેબિનેટ મંત્રી ચૌધરી વગેરે ઘટના સ્થળે પહોંચીને ઘાયલોની ખબર કાઢી આવ્યા છે, એ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, વિપક્ષી નેતા રાહુલ ગાંધી .. વગેરેએ પણ રેડીમેડ સંવેદનાઓ પાઠવી દીધી છે. સંસદમાં પણ હાથરસને મામલે દુ:ખ વ્યક્ત કરી દેવાયું છે. ક્યાં ય કૈં કહેવાપણું રહ્યું નથી. હવે પછી પણ આવી કોઈ ઘટના થશે તો ઓછામાં ઓછું પ્રશાસન આટલું અને એટલું જ કરશે એની ખાતરી રાખી શકાય, કારણ કે આ કૈં પહેલી ઘટના નથી.

અનેક ધાર્મિક મેળાવડાઓમાં ધારણા કરતાં ભીડ વધારે જ થાય છે અને તેને લગતી વ્યવસ્થાઓ પૂરતી હોતી જ નથી. તે એટલે હશે કે ભીડમાં મરનારાઓ ગરીબ વર્ગના હોય છે ને એ કોઈ પ્રતિકાર કરી શકે એમ નથી કે કોઈ કાનૂની કાર્યવાહી કરી શકે એવા સક્ષમ નથી? ટૂંકમાં, લોકોને ભગવાન ભરોસે જ છોડી દેવાય છે. એ પણ દુ:ખદ છે કે આવા સત્સંગમાં આવનારા શ્રદ્ધાળુઓને એટલો ઉપદેશ આપી નથી શકાતો કે ભીડ કે આફતમાં સ્વસ્થતા જાળવીને કેમ ટકી જવું કે નથી તો ભક્તો સત્સંગમાંથી એટલું શીખતા કે ભીડમાં ધસી જઈને અરાજકતા સર્જવાને બદલે થોડી ધીરજ ધરીને આફતને કેમ અટકાવવી? ભક્તો ભીડથી કેમ બચવું તેને બદલે કથા કે સત્સંગમાં કેમ ધસી જવું તે જાણે છે ને કૈં થાય તો દુર્ઘટનાનો ભોગ પણ એ જ બનતા જ હોય છે. આ ભીડ પાછી એવી શ્રદ્ધાળુ હોય છે કે તે કોઈ પણ બાવા કે સાધુ કે બાપુ કે ગુરુને પગે પડવા કે દર્શનનો લાભ લેવા એવી રઘવાઈ થઈ જાય છે કે કોઈ પણ આફત એને મન નાની હોય છે ને એવાં દર્શન કે વંદન માટે કોઈ પણ આફત એ આપોઆપ જ સર્જી શકે છે.

આસ્થાનો વાંધો નથી, પણ પ્રશ્ન વિવેકનો છે ને એનો ભારોભાર અભાવ આયોજકોને અને શ્રદ્ધાળુઓને પક્ષે જોવા મળે છે. દરેક વખતે સરકારનો કે આયોજકોનો વાંક કાઢવાનો અર્થ નથી, મોટે ભાગે ભીડ વકરે છે કોઈ અફવાથી કે ધક્કામુક્કીથી. ઉતાવળ બધાંને જ હોય છે ને એ અરાજક્તાનું મુખ્ય કારણ બને છે. આ રોકી શકાય તો ઘણાંને અકાળ મોત તરફ ધકેલાતાં રોકી શકાય, પણ કમનસીબે એવું થતું નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં જ દેશમાં જુદાં જુદાં ધાર્મિક સ્થળોએ ત્રણેક હજાર લોકોનાં નાસભાગમાં કરપીણ મોત થયાં છે. આ એવાં મોત છે, જે રોકી શકાયાં હોત, પણ તે નથી થયું ને પછી સ્થિતિ એવી આવે છે કે આંસુ પણ જિંદગીભર રોકી શકાતાં નથી ને એને જોનારું પણ કોઈ હોતું નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 જુલાઈ 2024

Loading

5 July 2024 Vipool Kalyani
← સમસામયિક સમ્પાદનો વિશે – 2 (પૂરું) 
आपातकाल: घोषित बनाम अघोषित →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved