Opinion Magazine
Number of visits: 9446695
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓની ઓળખાણ : પત્રકારો – સંપાદકો – પ્રકાશકો – મુદ્રકો

નઝમી રામજી|Diaspora - History|10 May 2016

– 1 –

કેન્યાના અંગ્રેજ સામ્રાજ્યશાહી વિરોધી સંઘર્ષમાં અનેક દેશપ્રેમી એશિયન કેન્યાવાસી પત્રકારો, સંપાદકો, પ્રકાશકો, મુદ્રકો તેમ જ ચોપડી બાંધનારોએ ઘણો મોટો ફાળો આપેલો છે. આપણે પહેલાંના લેખોમાં મણિલાલ દેસાઈ, અંબુભાઈ પટેલ, પીઓ ગામા પીંટો અને મખનસિંહ વિશે જાણ કરી છે. આ સિવાય બીજા પણ ઘણા રષ્ટ્રભક્તોએ આ લડતમાં ભાગ લીધેલ, આ લડત હતી અંગ્રેજ શાસન સત્તાની જાતિય અને રંગ ભેદભાવની રાજ્યનીતિને પડકાર દેતી લડત અને દેશની આઝાદીની લડત.

આ દેશપ્રેમીઓના બાપદાદાઓ ભલે ભારત અથવા પાકિસ્તાનથી આવેલા, પરંતુ તેઓની માન્યતા હતી કે એશિયન કેન્યાવાસીઓની વફાદારી કેન્યા પ્રત્યે પહેલી હોવી જોઈએ. આનો મતલબ એમ ન થયો કે આપણે આપણી અસલિયત ભૂલી જઈએ. આપણે આપણી સંસ્કૃિત, આપણી ભાષાઓ વગેરેને ઉત્તેજન આપવું જોઈએ પણ એ સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે જે દેશમાં આપણે જન્મ લઈએ એ દેશ આપણો, અહીંની હવા અને અહીંનાં અન્નપાણીથી આપણે પોષાયા, એટલે આ દેશ તરફની ભક્તિ, એના તરફની વફાદારી એ આપણી ફરજ છે. આવી માન્યતા રાખવાવાળા આ દેશપ્રેમીઓ કેન્યાના ગોરા વિરોધી આંદોલનમાં પરોવાઈ ગયા. આ સાથે ભારતમાં જે સામ્રાજ્યશાહીની સામે સંઘર્ષ ચાલી રહ્યો હતો તેની સાથે પણ સંબંધ રાખ્યો. બન્ને દેશોની લડતના દુ:શ્મન એક હતા : અંગ્રેજ સામ્રાજ્યવાદ.

પત્રિકા કે ખબરપત્ર દ્વારા પરદેશી શાસન સત્તાને પડકાર કરવાવાળા સૌપ્રથમ કેન્યાવાસી એશિયન સીતારામ આચાર્ય હતા. તેઓ 1912માં દક્ષિણ ભારતથી પૂર્વ આફ્રિકા આવ્યા. અહીં તેઓએ રેલવેમાં અને અંગ્રેજ લશ્કરમાં ટેલિગ્રાફરનું કામ કર્યું. ભારતમાં તેમ જ દુનિયાના બીજા મુલકોમાં વસેલા ભારતીયોએ ભેગા મળી સામ્રાજ્ય સરકારને પડકાર કરવા માટે એક છૂપો રાજકીય પક્ષ શરૂ કરેલ, આનું નામ હતું ગદ્દર પક્ષ. આ પક્ષની માન્યતા હતી કે બિનહથિયારી લડતથી પરદેશી કબજો આપણા દેશોમાંથી નહિ નીકળે. આ કામ કરવા માટે સશસ્ત્ર બળવો પોકારવો પડશે.

ગદ્દર પક્ષની પૂર્વ આફ્રિકાની શાખાના નેતા આચાર્ય હતા. પહેલી વિશ્વ લડાઈ દરમ્યાન તેઓએ એક છૂપું ખબરપત્ર છપાવી અને તેની વહેંચણી કરી. આ વાતની જાણ ગોરાઓને થતા તેઓએ આચાર્યને દેશનિકાલ કર્યા અને પંજાબમાં તેઓને નજર કેદ રાખ્યા. જ્યારે 1915ની અંતમાં તેઓ પકડાયા ત્યારે અંગ્રેજોને બરાબર જાણ ન હતી કે આ પક્ષનું કામ અહીં કેટલું બધું ફેલાઈ ગયું હતું. આ બાદ જે ગદ્દર પક્ષના સભ્યો પકડાયા તેઓને તો ફાંસી સુધીની સજા થયેલ. બે કેન્યાવાસી એશિયનો 1916માં ફાંસીને માંચડે ચઢ્યા અને બીજા ત્રણને બંદૂકથી મારી નાખવામાં આવેલ. આ સિવાય આઠ માણસોને છ મહિનાથી લઈ ચૌદ વરસની જેલની સજા કરવામાં આવેલ અને એ ઉપરાંત વીસ માણસોને દેશમાંથી બળજબરીથી કાઢી મુકવામાં આવેલ. આ શૂરવીરો ઉપર આક્ષેપ મૂકવામાં આવેલ કે તેઓ પાસે ગુપ્ત પત્રિકાઓ મળેલ હતી કે જેમાં સામ્રાજ્ય વિરોધી માહિતી હતી અને તેઓએ જનતાને અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેર્યા હતાં.

વિશ્વ યુદ્ધ પૂરું થયા પછી સીતારામ આચાર્ય પાછા કેન્યા આવ્યા અને 1923માં તેઓએ મણિલાલ દેસાઈ અને એન. એસ. ઠાકુર સાથે મળી અંગ્રેજી ભાષામાં ‘ડેમોક્રેટ’ નામનું એક છાપું શરૂ કર્યું. આ છાપામાં તેઓએ સામ્રાજ્ય શાસન સત્તાની અન્યાય ભરેલી વર્તણૂકની જાહેરાત આપી અને આફ્રિકી અને કેન્યાવાસી એશિયનોની લડતને જોરદાર ટેકો આપ્યો. દેશમાં વિલાયતી વસાહતોનાં છાપાઓમાં જે ખોટો પ્રચાર પ્રગટ થતો, તેની સામે તેઓએ ‘ડેમોક્રેટ’માં ખરી હકીકત પ્રજા સામે રજૂ કરી. આ સિવાય તેઓએ પોતાના ખબરપત્રનું જે પ્રિન્ટિંગ પ્રેસ હતું તેમાં આફ્રિકી છાપાંઓ અને પત્રિકાઓ છાપવાનું કામ પણ કર્યુ. આ છાપાઓમાં કીકુયુ સેન્ટ્રલ એસોશિયેશનનું ‘મ્વીગ્વીથાન્યા’નો સમાવેશ થાય છે. આના સંપાદક મ્ઝે જોમો કેન્યાટા હતા.

ગિરધારીલાલ વિદ્યાર્થી

જેઓનું મૃત્યુ 31 જુલાઈ 1985માં થયેલ, એ એક બીજા દેશપ્રેમી પ્રકાશક હતા. તેઓનો જન્મ ઓગષ્ટ 1907માં નાઈરોબીમાં થયો હતો. 1930માં તેઓએ હિંદી-ઉર્દૂ-અંગ્રેજી સાપ્તાહિક ‘મિત્રો’ અને 1933માં ગુજરાતી-અંગ્રેજીમાં છપાતું ‘કોલોન્યલ ટાઈમ્સ’ શરૂ કર્યાં. આ છાપું લગભગ ત્રીસ વરસ સુધી છપાયું. આ સિવાય આફ્રિકી જનતા સુધી સામ્રાજ્યશાહીઓના પ્રચાર વગરના સમાચાર પહોંચે તે માટે કિસ્વાહીલી ભાષામાં 1933માં ‘હબારી ઝા ડુન્યા’ (‘દુનિયાના સમાચાર’) અને 1952માં ‘જીચો’ (‘આંખ’) નામના સાપ્તાહિક ખબરપત્રો પણ પ્રસિદ્ધ કરવાનું શરૂ કરેલ. આ બન્ને કિસ્વાહીલી છાપાંઓમાં જે ગોરાઓની ગેરવ્યાજબી રાજ્યનીતિ વિષે સમાચાર છપાતા તે પરદેશી શાસન સત્તાને પસંદ ના પડ્યું. તેથી તેઓએ ‘હબારી’ને 1947માં અને ‘જીચો’ને 1962માં બંધ કરવાની ફરજ પાડી.

પોતાના છાપાઓ પ્રસિદ્ધ કરવાની સાથે સાથે વિદ્યાર્થીએ બીજા આફ્રિકી દેશપ્રેમીઓના ખબરપત્રો પણ છાપવામાં મદદ કરેલ. દાખલા તરીકે એક નેતા જેમ્સ બ્યુટાહસે તેઓ વિષે નીચે મુજબ લખ્યું છે :

“1937માં મે એક ખબરપત્ર પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું કે જેનું નામ હતું ‘મુથીથુ’ (‘ખજાનો’) જો વિદ્યાર્થીએ મને મદદ ન કરી હોત તો આ છાપું કદી પ્રગટ ન થાત. અમારી પાસે છપાવવા માટે પૈસા ન હતા. તેઓએ અમારા માટે બધું કમ્પોઝીંગનું તેમ જ છાપવાનું કામ કર્યુ. આમાં તેઓને ન કોઈ પૈસાની લાલચ હતી કે ન કોઈ અંગત સ્વાર્થ. તેઓને ફકત એમ જોઈતું હતું કે આફ્રિકીઓને પોતાના હકોની માંગ કરવાનો મોકો મળે.”

આ સિવાય જુદા જુદા વખતે વિદ્યાર્થીના કોલોન્યલ પ્રિન્ટિંગ વર્કસે બીજા ઘણા ખબરપત્રો છાપ્યા. આમાં ‘લુઓ મેગેઝીન’ 1937માં અને 1940-50ના દાયકા દરમ્યાન લુઓ ભાષામાં ‘રામોગી’ અને કીકુયુમાં ‘મુમેન્યેયેરે’નો સમાવેશ છે.

સૌજન્ય : “અલક મલક”, માર્ચ 1986; પૃ. 6-7 

– 2 –

એક બીજા કેન્યાવાસી એશિયન દેશપ્રેમી, હારુન અહમ્મદના સંપાદન નીચે ‘કોલોન્યલ ટાઈમ્સે’ એક જોરદાર પરદેશી હકૂમત વિરુદ્ધી ઝુંબેશ ઉપાડેલ. ઘણી શોષણખોરી અને જુલમી રાજ્યનીતિઓ સામે પડકાર કર્યો. દેશમાં જાતિય અને રંગભેદભાવની વર્તણૂક, આફ્રિકી ખેતીવાડીની જમીન બળજબરીથી ઝૂંટી લેવી, દેશની લેજસ્લેટીવ કાઉન્સિલમાં આફ્રિકી પ્રતિનિધિત્વ ન હોવાનું અને કેન્યાવાસી એશિયનોનું પ્રતિનિધિત્વ વિલાયતી વસાહતો કરતાં ઘણું ઓછું, મજૂરોની સંસ્થાઓને નાબૂદ કરવી અને તેઓના હકોની માંગને દબાવી દેવાની કોશિશ, આફ્રિકી મજૂરોને બળજબરીથી સરકારી નોંધણીપત્રકો ગળામાં તાંબાની ડબલી(કીપેડ)માં પહેરવા.

આવા અનેક સામ્રાજ્યશાહીઓના જુલમોના સમાચાર અને તેના વિરુદ્ધ અભિપ્રાય પ્રસિદ્ધ કરવાથી વિદ્યાર્થી તેમ્ જ તેઓના છાપાઓના પત્રકારો અને સંચાલકોને ગોરી સરકાર તરફથી ઘણી તકલીફો ભોગવવી પડેલ. જ્યારે 1945માં બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું ત્યારે અંગ્રેજ સરકારે ગોરા સૈનિકોને કેન્યા આવવાનું ઉત્તેજન આપ્યું અને તેઓને દેશના ફળદ્રુપ પહાડી પ્રદેશમાં હજારો એકરો જમીન આપી. પરંતુ જ્યારે આફ્રિકી સૈનિકો અંગ્રેજ લશ્કરમાં બર્મા તેમ જ ઉત્તર આફ્રિકામાં લડાઈમાં ભાગ લઈ જ્યારે દેશ પાછા આવ્યા ત્યારે તેઓને કોઈ પણ જાતનો બદલો કે ઇનામ ના મળ્યો. આવા ભેદભાવની સામે જ્યારે ‘કોલોન્યલ ટાઈમ્સે’ વાંધો નોંધાવ્યો ત્યારે વિદ્યાર્થી ઉપર મુકદ્દમો ચલાવવામાં આવ્યો અને તેઓને 2,000 શિલીંગનો દંડ ભરવો પડ્યો.

1946માં નાઈરોબી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ભૂતપૂર્વ મંત્રી ડબલ્યુ. એલ. સોહનએ ‘કોલોન્યલ ટાઈમ્સ’માં એક કાગળ લખેલ. આમાં તેઓએ અંગ્રેજ સામ્રાજ્યશાહી હકૂમત નીચેના મુલકોની રૈયત તરફ અંગ્રેજોની વર્તણૂકની સરખામણી જર્મનીના કોન્સન્ટેૃશન કેમ્પોમાં કેદીઓ સાથેની વર્તણૂક સાથે કરેલ. આ અભિપ્રાયને ગોરી અદાલતે રાજદ્રોહી ઠરાવી સોહનને અને વિદ્યાર્થીને ચાર-ચાર મહિનાની સખત કેદની સજા કરેલ. આ સાથે ‘કોલોન્યલ ટાઈમ્સ’ના એક સંચાલક, વન્શીદારને એક મહિનાની સખત કેદની સજા ભોગવવી પડેલ.

સોહને અદાલતમાં જે ન્યાય કરવાનો ઢોંગ થઈ રહ્યો હતો તેને પડકારતા કહ્યું : “હું માનું છું કે હું અંગ્રેજોનો ગુલામ છું. મારું એમ પણ માનવું છે કે દરેક ગુલામની પવિત્ર ફરજ છે કે તે પોતાની ગુલામીની હાલત સામે બળવો પુકારે. ગુલામ તરીકેની મારી ફરજ એમ પણ છે કે હું સર્વ ગુલામો પાસે બળવાનો સંદેશો પહોંચાડું. આમાં જ પીડાતી અને ગુલામી ભોગવતી માનવતાનો છુટકારો છે.”

જેલની બહાર નીકળ્યા પછી પણ સોહનએ સામ્રાજ્યશાહીઓની સામે ટક્કર લેવાનું ના મૂક્યું. આથી એક વખત જ્યારે તેઓ ભારત કોઈ કામ અર્થે ગયા અને જ્યારે પાછા આવવાનો પ્રયત્ન કર્યો, તો શાસન સત્તાએ તેઓને દેશમાં દાખલ થવાની મનાઈ કરી દીધી. અંગ્રેજ સરકારને સોહનથી ડરવાનું બીજુ કારણ એ હતું કે તેઓની કોશિશ હતી કે સામ્રાજ્ય વિરુદ્ધી ઝુંબેશમાં આફ્રિકીઓ અને કેન્યાવાસી એશિયનો હાથ મળાવીને કામ કરે. દાખલા તરીકે તેઓની આ કોશિશને કારણે નવેમ્બર 1944માં જે ઇસ્ટ આફ્રિકન નેશનલ કોંગ્રેસની સભા ભરાયેલ તેમાં કેન્યા આફ્રિકન સ્ટડી યુનિયનના પ્રમુખ જેમ્સ ગીચુરુ હાજર રહેલ. આની સામે અંગ્રેજ પદ્ધતિ હતી માણસને માણસથી અલગ કરીને શાસન કરવાની.

સૌજન્ય : “અલક મલક”, માર્ચ 1986; પૃ. 6-7

– 3 – 

1947માં ગુજરાતી-અંગ્રેજી ભાષાઓમાં છપાતું એક બીજું ખબરપત્ર ‘ડેઈલી ક્રોનિકલ’ શરૂ થયું. આના સંસ્થાપકો હારુન આહમદ, પીઓ ગામા પીંટો, પ્રાણલાલ શેઠ, ડી. કે. શારદા, મખનસિંહ, ચનન સિંહ અને લેજીસ્લેટીવ કાઉન્સિલના સભ્ય એ. બી. પટેલ હતા. મણિલાલ દેસાઈનું ‘ઇસ્ટ આફ્રિકન ક્રોનિકલ’ તેમ જ સીતારામ આચાર્યનું ‘ડેમોક્રેટ’નો જે સામ્રાજ્યશાહી વિરુદ્ધી પદ્ધતિનો દાખલો હતો તે ‘ડેઈલી ક્રોનિકલે’ અનુસર્યો. આ છાપાના સંપાદકો હારુન આહમદ અને પીંટો હતા.

માઉ માઉનો સ્વતંત્રતાની લડાઈ વિષે તપાસ કરવા માટે અંગ્રેજ સરકારે કોરફિલ્ડ નામના એક ગોરાની નિમણૂક કરેલ. કોરફિલ્ડે પોતાના વર્તમાન પત્રમાં ‘ડેઈલી ક્રોનિકલ’ વિષે લખેલ કે આ છાપાએ દેશની આફ્રિકી જનતાના હકોની માંગની લડતને જરા પણ પાછી પાની કર્યા વગર ટેકો આપેલ. અંગ્રેજ ગવર્નર ફિલીપ મીચલને આ ખબરપત્રના કર્મચારીઓની જે કેન્યા પ્રત્યે દેશપ્રેમની વર્તણૂક હતી, તેને અંગ્રેજ સામ્રાજય સામે રાજદ્રોહી જેવી લાગી.

1947થી 1950ના ગાળા દરમ્યાન આ છાપા ઉપર પચાસથી વધારે વખત રાજદ્રોહના આરોપ સબબ મુકદ્દમા કરવામાં આવેલ. 1947માં મોમ્બાસાના મજૂરોએ પોતાના હકોની માંગ કરતાં એક સાર્વત્રિક હડતાલ બોલાવેલ. ‘ક્રોનિકલે’ આ હડતાલને પૂરેપૂરો ટેકો આપ્યો. આ સાથે અંગ્રેજ સરકારે મજૂરો તેમ જ તેઓના નેતાઓ સામે જે સખત ગેરવ્યાજબી પગલાં લીધેલ તેની સામે પડકાર કર્યો. આ કારણસર ત્યારના સંપાદક હારુન આહમદને છ મહિનાની કેદ ભોગવવી પડેલ.

આ દેશપ્રેમીએ ‘કોલોન્યલ ટાઈમ્સ’ અને ‘ડેઈલી ક્રોનિકલ’માં એક પત્રકાર તરીકે જે લડત લડ્યા તે સિવાય રાજકીય સંઘર્ષ તેઓએ બીજા ક્ષેત્રમાં પણ ચાલુ રાખી. દાખલા તરીકે ઓકટોબર 1946માં તેઓએ ભારતીય યુવાન સંઘ(ઇન્ડિયન યુથ લીગ)ના આશ્રય હેઠળ એક ગંજાવર મોરચો યોજ્યો કે જેમાં દક્ષિણ આફ્રિકાના નાગરિકોની લડતને ટેકો આપવામાં આવેલ. મોરચા પછી જે સભા બોલાવવામાં આવેલ તેમાં અનેક નેતાઓ એ ભાષાણો કર્યાં તેમાં જોમો કેન્યાટા અને આહમદનો સમાવેશ હતો. આહમદની કોશિશ હતી કે અંગ્રેજ સામ્રાજ્યશાહી સામેની લડતમાં કેન્યાના આફ્રિકી અને એશિયાઈ લોકો સાથે મળી કામ કરે.

1953માં આહમદ હીરાભાઈ પટેલ નામના એક વકીલે સાથે મળી ગુજરાતી ભાષામાં ‘આફ્રિકા સમાચાર’ નામનું સાપ્તાહિક શરૂ કરેલ. આમાં પણ તેઓએ સર્વ નાગરિકોના હકોની બરાબરી અને લોકશાહીની જોરદાર માંગ કરવાનું ચાલુ રાખ્યું. એશિયન કેન્યનો વચ્ચે જે હિંદુ-મુસલમાનના ભેદભાવો ઊભા થયેલ તેને હટાવવાનો તેઓએ પ્રયત્ન કર્યો. આ સાથે દેશની આફ્રિકી અને એશિયાઈ જનતા વચ્ચેનું જુદાપણું પણ દૂર કરવાની તેઓની કોશિશ ચાલુ રહી.

આવા પત્રકારો સિવાય બીજા દેશપ્રેમી પ્રકાશકો અને મુદ્રકો પણ હતાં કે જેઓએ સામ્રાજ્યશાહીઓ સામેની લડતમાં પોતાના અંગત સ્વાર્થનો જરા્ પણ વિચાર ના કર્યો. દાખલા તરીકે વી. જે. પટેલ નામના એક પ્રકાશકે હેનરી મુઓર્યાના કીકુયુ ભાષાનું ખબરપત્ર ‘મુમેન્યેરેરે’ છાપવાના આક્ષેપ ઉપર જેલમાં ગયેલ. આ પછી જૂન 1950માં તેઓ તેમ જ શ્રીમતી બેસન્ત કૌર, અમરસિંહ અને તેમલ સિંહને એક મહિનાની કેદ થયેલ. આ વખતે તેઓ એક બીજા દેશપ્રેમી ખબરપત્રમાં અંગ્રેજ સરકાર વિરોધી લખાણ છાપવાનો આક્ષેપ હતો. આ છાપું હતું કે. સી. કમાઉ અને વિકટર મુરાગેનું ‘હીંડીયા ગીકુ યુ.’

એક બીજા દેશપ્રેમી પત્રકાર હતા ડી. કે. શારદા કે જેઓએ 1947-51 દરમ્યાન ‘ડેઈલી ક્રોનિકલ’માં કામ કરેલ. ત્યાર બાદ તેઓએ પોતાનું સાપ્તાહિક, ‘ટ્રીબ્યુન’ પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું. આ છાપામાં તેઓ રંગ અને જાતિય ભેદભાવ દૂર કરવાની જોરદાર માંગ કરેલ. તેઓની એમ પણ કોશિશ હતી કે એશિયન કેન્યનોની બિરાદરીના લોકોમાં જે હિંદુ, મુસલમાન અને ક્રિશ્ચન ધર્મોના ફાંટા પડેલ હતા, તે હટાડી દેવામાં આવે. તેઓને એમ પણ જોઈતું હતું કે સામ્રાજય સરકાર સામેની લડતમાં આફ્રિકી અને એશિયાઈ લોકો સાથે મળી અને રાજકીય પક્ષોની સ્થાપના કરે. આવી બધી એકતાની કોશિશોએ અંગ્રેજ શાસન સત્તાને ગભરાવી મૂકી એટલે 1952ના અંતમાં માઉ માઉના કટોકટીના કાયદાઓ હેઠળ ‘ટ્રીબ્યુન’નો અટકાવ કરવામાં આવ્યો.

આ બધા એશિયન કેન્યન દેશપ્રેમીઓ કે જેઓએ આપણા દેશની આઝાદીની લડતમાં પૂરેપૂરો અને નિસ્વાર્થ ભાગ લીધેલો તેઓ આપણા માટે ગર્વ પાત્ર છે. દેશ પ્રત્યેની લાગણી અને વફાદારીનો જે દાખલો તેઓ આપણા માટે રાખી ગયા છે તેનું પાલન કરવું એ આપણી ફરજ છે

જય કેન્યા

સૌજન્ય : “અલક મલક”, માર્ચ 1986; પૃ. 6-7

Loading

10 May 2016 admin
← અમદાવાદ નેશનલ બુક ફેર
‘રાષ્ટ્રપતિશાસન’કે ‘વડાપ્રધાનશાસન’? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved