Opinion Magazine
Number of visits: 9449114
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશને સુપ્રીમોની છે તે કરતાં સુપ્રીમની જરૂર વધારે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 February 2024

રવીન્દ્ર પારેખ

દેશને પક્ષ પ્રમાણે વડા કે નેતા હોય છે ને તે સુપ્રીમો તરીકે સત્તા ભોગવતા હોય છે, આમાં કેટલાક બની બેઠેલા સુપ્રીમો પણ ખરા. આ ખરા કે ખોટા સુપ્રીમો સતત પક્ષના હિતમાં જ વિચારતા હોય છે ને તે પ્રમાણે નિર્ણયો લેતા હોય છે. તેનો હેતુ સત્તા પર હોય તો કોઈ પણ ભોગે સત્તા ટકાવી રાખવાનો હોય છે ને સત્તા પર ન હોય તો કોઈ પણ ભોગે સત્તામાં આવવાનો હોય છે. આમાં તટસ્થતા સમ ખાવા પૂરતી હોય તો હોય, પણ સુપ્રીમ (કોર્ટ) પાસેથી તો હંમેશ તટસ્થતા જ અપેક્ષિત છે ને દેશના સદ્દભાગ્યે એ જળવાઈ રહે છે તેનો આનંદ છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના નીરક્ષીર ન્યાયનો આખા દેશે અનુભવ કર્યો તે વાતની સાભાર નોંધ લેવી ઘટે.

આમ તો કોઈ શહેરની મેયર પદની ચૂંટણી સુપ્રીમ સુધી જતી નથી, પણ આ વખતની ચંડીગઢની મેયરની ચૂંટણી એટલી બધી સુપ્રીમમાં પહોંચી કે ખુદ CJI ચંદ્રચૂડે હસ્તક્ષેપ કરવો પડ્યો. આમ તો અત્યાર સુધી ચંડીગઢની મેયરની ચૂંટણીમાં ભા.જ.પ.ને સીધો બહુમત નહોતો, પણ કાઁગ્રેસ અને આપ વચ્ચે મનમેળ ન હોવાનો લાભ ભા.જ.પ.ને મળતો રહેતો હતો. એ શક્યતા એટલે ઘટી કે આ વખતે કાઁગ્રેસ અને આમ આદમી પાર્ટીએ હાથ મિલાવી લીધા ને 30 જાન્યુઆરી, 2024 ને રોજ ચૂંટણી થઈ, ત્યારે ભા.જ.પ.ના હારવાના ચાન્સ વધારે હતા, પણ પરિણામ આવ્યું તો એક સાંસદ અને 35 કાઉન્સિલરોના કુલ 36 મતોમાંથી ભા.જ.પ.ના મનોજ સોનકરને 16 મત મળતા તેમને મેયર પદના વિજેતા જાહેર કરાયા. આપ-કાઁગ્રેસનાં ગઠબંધનના ઉમેદવાર કુલદીપ કુમાર ટીટાને 12 જ મત મળતા તે હાર્યા હતા. આઠ મતો અમાન્ય ઠરતા સોનકર મેયર જાહેર થયા હતા.

જો કે, વિપક્ષને એમાં ગેરરીતિ જણાઈ એટલે તેણે હાઇકોર્ટમાં અરજી કરી ને ચૂંટણી પ્રતિબંધિત કરવાની માંગ કરી, પણ હાઇકોર્ટે વિપક્ષની માંગણીનો અસ્વીકાર કર્યો. હાઈકોર્ટના આદેશને પણ વિપક્ષ દ્વારા 3 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં પડકારાયો. 5 ફેબ્રુઆરીએ ચંડીગઢ પ્રશાસન પર કડક ટિપ્પણી કરતાં સુપ્રીમે કહ્યું કે લોકશાહીની હત્યા થઈ છે. 20મી ફેબ્રુઆરીએ સુપ્રીમમાં સુનાવણી હાથ ધરાઇ અને આપ-કાઁગ્રેસના ઉમેદવાર કુલદીપ કુમારને સુપ્રીમ કોર્ટે મેયર પદના વિજેતા જાહેર કર્યા. સાધારણ રીતે ઉમેદવારોને ચૂંટણીના વિજેતા જાહેર કરવાનું કામ સુપ્રીમ કોર્ટનું નથી, પણ ચંડીગઢને મામલે સુપ્રીમે નિર્ણય જાહેર કરવાની નોબત આવી અને ચૂંટણી સંબંધી નિર્ણયોમાં પહેલીવાર, બંધારણે આપેલ વિશેષાધિકારની કલમ 142ની રૂએ ચુકાદો આપવાનું સુપ્રીમે સ્વીકાર્યું. બન્યું એવું કે આપના સર્વેસર્વા કેજરીવાલે 30મી જાન્યુઆરીની ચૂંટણીનું CCTV ફૂટેજ રજૂ કર્યું, જેમાં પ્રિસાઈડિંગ ઓફિસર મતપત્રકો સાથે છેડછાડ કરતા દેખાયા. એની કડક ચકાસણી થતાં, પેલા રદ્દ થયેલા આઠ મતો આપના જ હતા ને તે નિશાની કરીને પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહે ઇરાદાપૂર્વક રદ્દ કર્યા હતા, એ ફલિત થયું. આ શરમજનક હતું ને CJIએ રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહનો ઊધડો લેતાં સોંસરું કહ્યું, ‘અમે જે પણ પૂછીશું તેનો સાચો જવાબ આપજો, ખોટું બોલશો તો તમારા પર કેસ થશે. આ એક ગંભીર મામલો છે અને અમે તમને વીડિયોમાં બેલેટ પેપરમાં ક્રોસ કરતાં જોયા છે. તમે આ કામ કેમેરાની સામે જોઈને કરી રહ્યા હતા. તમે શું કરી રહ્યા હતા?’ આ અંગે ઘણું જૂઠાણું ચલાવ્યા પછી, અનિલ મસીહે છેવટે કબૂલ કરવું પડ્યું કે તેમણે આપને મળેલા મતવાળા 8 બેલેટ પેપર સાથે ચેડાં કર્યાં હતાં. એ મતપત્રકો સુપ્રીમે ગણતરીમાં લેતાં કુલદીપ કુમાર વિજેતા થતા હતા ને તેમને મેયર તરીકે વિજેતા જાહેર કરાયા.

બીજી તરફ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતાં સોનકરે મેયર તરીકે 18 ફેબ્રુઆરીએ રાજીનામું મૂક્યું ને ધારણા એવી હતી કે ભા.જ.પ.ના મેયર દ્વારા રાજીનામાની ખેલદિલી દાખવાતા સુપ્રીમ ફરી ચૂંટણી આપે. એ દરમિયાન જ આપના ત્રણ કાઉન્સિલરો ભા.જ.પ.માં જોડાયા. ભા.જ.પ.ને એવું હતું કે સુપ્રીમ ફરી ચૂંટણી જાહેર કરે તો સોનકરને મળેલા 16 ઉપરાંત, આપમાંથી આવેલા બીજા ત્રણ મત ઉમેરાતા 19 મત થાય ને નવી ચૂંટણીમાં સોનકર કે અન્ય કોઈ પક્ષનું જીતે તો ભા.જ.પ.ની જીત નિશ્ચિત થઈ જાય, પણ એવું કશું થયું નહીં અને રદ્દ થયેલા 8 મત આપને પક્ષે જતા, આપના કુલદીપ કુમાર મેયર જાહેર થયા.

આ પરિણામ 30મી જાન્યુઆરીએ જ જાહેર થઈ શક્યું હોત, પણ તેમ ન થયું ને રિટર્નિંગ ઓફિસરે ભા.જ.પ.ની તરફેણમાં પરિણામ ‘ક્રિએટ’ કર્યું, એ કોના કહેવાથી કર્યું એ તો ખબર નથી, પણ પોતે ભા.જ.પ. સાથે સીધી રીતે સંકળાયેલા હતા, એટલે ભા.જ.પ.ની ફેવર કરવાની લાલચ રોકી ન શક્યા હોય એમ બને. મતપત્રકો કોઈ પણ છેડછાડ વગરનાં હતાં ને આપને લાભ થશે એવું લાગતાં રિટર્નિંગ ઓફિસરે પોતે નિશાની કરીને મતપત્રકો સાથે છેડછાડ થઈ છે એવું ચિત્ર ઉપસાવ્યું. વીડિયોમાં અનિલ મસીહ મતપત્રકો સાથે છેડછાડ કરે છે એવું સુપ્રીમને સ્પષ્ટ જણાયું. એ પરથી સુપ્રીમે રદ્દ થયેલાં મતપત્રોને વેલીડ ગણીને આપના કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા.

રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહની તટસ્થતા અપેક્ષિત હતી, પણ તેમણે ભા.જ.પ.ની વફાદારી ન છોડી ને પરિણામ એ આવ્યું કે ભા.જ.પે. તેમને લઘુમતી મોરચાના મહાસચિવ પદેથી દૂર કર્યા. એને ય તટસ્થતા(?!) અપેક્ષિત હોયને ! જો કે, અનિલ મસીહ વિરુદ્ધ કેસ ચલાવવાનો સુપ્રીમે આદેશ કર્યો છે, એટલે વધુ ન્યાય તો ત્યારે થાય એમ બને. આ સજ્જને માન્ય મતપત્રકોને નિશાની કરીને અમાન્ય ઠેરવ્યા, સુપ્રીમ સામે જૂઠાણું ચલાવ્યું, એમ કરીને એમણે મતપત્રકો સાથે જ નહીં, લોકશાહી સાથે પણ ચેડાં કર્યાં. એમની સામે ફોજદારી રાહે પણ કામ ચલાવવાની વાત સુપ્રીમે કરી છે એ યોગ્ય જ છે, કારણ કાયદાનું કોઈ મૂલ્ય જ ન હોય એમ, એટલા અપરાધો અનેક ક્ષેત્રોમાં થાય છે કે કાયદાનાં શાસન પરથી ભરોસો ઊઠી જાય. સુપ્રીમનો આ નિર્ણય એટલો બધો સમયસરનો છે કે તેનું પરિણામ પણ તરત જ જોવા મળ્યું છે. એટલે જ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં કહ્યું, ‘એવું લાગી રહ્યું છે કે ભગવાન કૃષ્ણ સુપ્રીમ કોર્ટમાં હાજર છે અને તેઓ ચીફ જસ્ટિસ દ્વારા ચુકાદો આપી રહ્યા છે.’ આ વિધાન બહુ સૂચક છે.

હવે એવું બને કે આપમાંથી ભા.જ.પ.માં ગયેલા ત્રણ મતોને આધારે ભા.જ.પ. ફરી ચૂંટણીની સ્થિતિ ઊભી કરે ને કુલદીપ કુમારને બદલે ફરી મનોજ સોનકર કે અન્ય આયાતી સભ્યને મેયર બનાવવા આગ્રહ કરે તો આપે હારવાનું થાય. આમ પણ લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિપક્ષોમાંથી પોતાની તરફ ખેંચવાના પ્રયત્નો થાય છે ને થશે પણ ખરા. ભા.જ.પ. એવી સ્થતિ ઊભી કરે તો નવાઈ ન લાગે કે સામે વિપક્ષ જેવુ કૈં રહે જ નહીં ! એ તો કરે, પણ વિપક્ષી સભ્યો પણ સ્વમાન, સંકોચ અને શિસ્ત વિનાના થવામાં નાનમ નથી અનુભવતાને ! પક્ષાંતર વિરોધી કાયદો નથી એવું ક્યાં છે? એ કાયદાને ઘોળીને પી જવાયો છે. કેટલાક વિપક્ષી સભ્યો વિપક્ષમાં હોય છે જ એટલે કે શાસકો તરફથી ભાવ બોલાય તો પોતાની વેચાણ કિંમત નક્કી થઈ શકે. એવી રીતે નવા આવેલા આપના સભ્યોને જોરે ભા.જ.પ. કુલદીપ કુમારને મેયર તરીકે ન ટકવા દે અને ફરી ચૂંટણી માંગે તો સુપ્રીમના ચુકાદાને ય ઉલટાવવા જેવું થાય ને ભા.જ.પ.નો કક્કો જ ખરો થાય એવી શક્યતાને પણ નકારી ન શકાય.

ભા.જ.પ. અનેક લોકકલ્યાણનાં કાર્યો કરે છે એની ના જ નથી, પણ પક્ષની મજબૂતી માટે તેના કોઈ આદર્શ, કોઈ સિદ્ધાંત નથી કે નથી કોઈ નીતિ ! કોઈ પણ રીતે સત્તા ટકાવવા કે મેળવવા સામેના પક્ષના સભ્યોને કોઈ પણ લાલચે તોડીને પોતાનામાં ભેળવવામાં તેને કોઈ સંકોચ થતો નથી. સાચું તો એ છે કે આવો કોઈ સંકોચ કોઈ પણ પક્ષને થતો નથી. દૂર ક્યાં જવું, જેની નીતિ જ અનીતિ છે, એવા નીતીશકુમાર જે રીતે ભા.જ.પ.માં આવે-જાય છે ને એ ભા.જ.પ. ચાલવા દે છે એ પરથી પણ, ભા.જ.પ.ને સાધન શુદ્ધિનો કેટલો આગ્રહ છે તે સમજી શકાય એમ છે. લાગે છે તો એવું કે જે, જે બાબતોનો કાઁગ્રેસ સામે વાંધો પાડીને ભા.જ.પ. 2014માં કેન્દ્રમાં સત્તા પર આવ્યો એ તમામ બાબતોની, સત્તા સંદર્ભે તેને કોઈ છોછ રહી નથી. આ દુ:ખદ છે.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ફેબ્રુઆરી 2024

Loading

23 February 2024 Vipool Kalyani
← મારું વસિયત નામું !
Modi’s engagements with Temple Events is not Decolonization →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved