Opinion Magazine
Number of visits: 9504760
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિલ્હી નહીં, ન્યાય દૂર છે

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|14 March 2020

દિલ્હીની કોમી હિંસાના મુદ્દે લોકસભામાં ભાષણ કરતા અમિત શાહના શબ્દોની આજુબાજુ બે પાંખો ચીતરી હોય, તો તે શાંતિદૂત કબૂતર જેવા લાગે. દેશના ગૃહમંત્રીએ ગૃહમાં કહ્યું કે હિંસામાં 52 ‘ભારતીયો’ મૃત્યુ પામ્યા અને 526 ‘ભારતીયો’ ઘાયલ થયા. મતલબ, ધર્મના આધારે દેશના લોકોના ભાગ પાડવાનું કામ તો સરકારના ટીકાકારો (સેક્યુલર ડાબેરી દેશદ્રોહીઓ) કરે છે. ગૃહમંત્રી અને તેમનો પક્ષ તો બધાને ભારતીય તરીકે જ જુએ છે — શરત એટલી કે તે સરકારની નીતિના વિરોધી ન હોવા જોઈએ.

કોણ કહે છે કે અમિત શાહ હેટ સ્પીચને પ્રોત્સાહન આપે છે? તેમણે ગૃહમાં કહ્યું કે ‘14 ડિસેમ્બર, 2019નાં રોજ રામલીલા મેદાનમાં યોજાયેલી રેલીમાં કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ બધાને ઘરની બહાર નીકળવાનું અને ‘ડુ ઓર ડાઇ’(કરો યા મરો)નું આહ્વાન કર્યું હતું. પરિવારના બીજા એક સભ્યે કહ્યું કે આપણે ઘરની બહાર નહીં નીકળીએ તો કાયર ગણાઈશું. ‘અને તેનું કેવું ભયંકર પરિણામ આવ્યું?’ 14 ડિસેમ્બરે આ ભાષણ થયાં ને 16 ડિસેમ્બરે શાહીનબાગ વિરોધ પ્રદર્શન શરૂ થયું.’ શાંતિપ્રેમી ગૃહ મંત્રીએ શ્રોતાઓની માસુમિયત પર પૂરી શ્રદ્ધા રાખીને પૂછ્યું, ‘શું આ હેટ સ્પીચ નથી?’

સોનિયા ગાંધીની ‘હેટ સ્પીચ’થી દુઃખી ગૃહમંત્રીએ ‘ટ્રમ્પ છે ત્યાં સુધી ધીરજ રાખી છે. પછી સંયમ તૂટી જશે’, ‘દેશકે ગદ્દારોંકો, ગોલી મારો સાલોંકો’, ‘ઇ.વી.એમ.માં એટલા જોરથી બટન દબાવજો કે તેનો કરન્ટ છેક શાહીનબાગ લાગે’— આવા પ્રેરક સંદેશ આપનારા પોતાના પક્ષના નેતાઓને અને ખુદ પોતાની જાતને શાંતિપ્રિયતા માટે શાબાશી આપી હશે કે નહીં? ન આપી હોય તો હવે આપવી જોઈએ. કેમ કે, ફક્ત થોડા દિવસની હુલ્લડબાજીમાં વાત પતી ગઈ. બાકી, (તેમના કહેવા પ્રમાણે) સોનિયા ગાંધીની ઉશ્કેરણીથી તો શાહીનબાગનું વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યું ને હજુ ચાલે છે. તે ભલે ને શાંતિપૂર્ણ હોય, પણ સરકારનો એટલે કે વડાપ્રધાનનો એટલે કે દેશનો વિરોધ કરવામાં રહેલી તાત્ત્વિક હિંસાને શી રીતે નજરઅંદાજ કરી શકાય?

દિલ્હીમાં કોમી હિંસાને કાબૂમાં લેવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને મેદાને ઉતારવામાં આવ્યા હતા, તેનો પણ ગૃહમંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ટ્રમ્પના માનમાં યોજાયેલા જમણવારમાં જવાને બદલે પોતે દિલ્હી પોલીસ સાથે હતા. તેમણે જે નથી કહ્યું અને અખબારોમાં જેનું સૂચન હતું તે વાત એવી હતી કે સ્થાનિક કોમી હિંસામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને ઉતાર્યા પછી પોલીસની સક્રિયતા વધી, પોલીસના મનમાં રહેલી અવઢવ દૂર થઈ અને હિંસા કાબૂમાં આવી, સાદા શબ્દોમાં કહીએ તો, પોલીસને ખબર પડી કે હવે ખરેખર હિંસા રોકવાની છે. સ્થાનિક હિંસા કાબૂમાં લેવાના કામમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને ઉતારવામાં આવ્યા, તેના વિશે પણ અહેવાલોમાં આશ્ચર્ય પ્રગટ થયું હતું.

ગૃહમંત્રીએ કહ્યું કે કોમી હિંસા પૂર્વયોજિત અને ઊંડા કાવતરાનું (ડીપ કોન્સ્પીરસી) પરિણામ હતી. દિલ્હીની ચૂંટણી પહેલાં ભા.જ.પી. નેતાઓ તરફથી થતાં ઉચ્ચારણો ધ્યાનમાં લેતાં, ગૃહમંત્રીનો દાવો આધારભૂત લાગે. જો કે, તે આરોપ છે કે એકરાર, તેના વિશે વિવાદ હોઈ શકે. ગૃહમંત્રીએ પોતાના દાવાને વૈજ્ઞાનિક પુરાવાનો ટેકો આપતાં જાહેર કર્યું કે ’25 કમ્પ્યુટરમાં સી.સી.ટી.વી. અને વીડિયોના ફૂટેજનું વિશ્લેષણ થઈ રહ્યું છે અને ફેશિયલ રેકગ્નિશન સોફ્ટવેરથી અમે (તોફાનીઓની) ઓળખ કરી રહ્યા છીએ … આ સોફ્ટવેર ધર્મ કે કપડાં નહીં, ફક્ત ચહેરા ઓળખે છે.’

સોફ્ટવેર કપડાં ઓળખતો નથી, એમ કહીને ગૃહમંત્રીએ માનનીય વડાપ્રધાનશ્રીની કપડાં પરથી જ તોફાનીઓ ઓળખાઈ જતા હોવાની દિવ્યદૃષ્ટિની યાદ તાજી કરી આપી છે અને આડકતરી ખાતરી આપવાની કોશિશ કરી છે કે અત્યારના સંજોગોમાં એ દિવ્યદૃષ્ટિને બદલે કમ્પ્યુટરની વિજ્ઞાનદૃષ્ટિની મદદ લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સોફ્ટવેરની મદદથી 1,100 તોફાનીઓની ઓળખ થઈ ચૂકી છે.

સોફ્ટવેર ધર્મ કે કપડાં ઓળખતો નથી એ ખરું, પણ તેમાં બે મોટી મુશ્કેલી છેઃ  1) તેને જેટલું કહેવામાં આવે, એટલું જ તે કરે છે. જેમ કે, તેને જેટલાં વીડિયો ફૂટેજ બતાવવામાં આવે, તેમાંથી જ તે ચહેરાની ઓળખ કરે છે. ન બતાવાયેલા ફૂટેજમાંથી તે કોને ઓળખી શકે? 2) તેણે ઓળખેલા ચહેરામાંથી કયા જાહેર કરવા ને કયા નહીં, તે સોફ્ટવેર નક્કી કરતો નથી, શાસકો નક્કી કરે છે. ત્રીજી મુશ્કેલી આવા સોફ્ટવેરના બેફામ ઉપયોગ અને તેનાં કાયદાકીય તથા નૈતિક પાસાંની છે, જે જુદી ચર્ચાનો વિષય છે.

ગૃહમંત્રીએ જે ગૃહમાં ‘ભારતીયો’ની વાત કરી, એ જ ગૃહમાં તેમના પક્ષનાં સાંસદ મિનાક્ષી લેખીએ હેટ સ્પીચ માટે નામીચા બનેલા તેમના સાથીદારોનો બચાવ કરતાં કહ્યું કે તેમનાં વિધાનો પછી ઘણા દિવસે હિંસા થઈ. (એટલે તે નિર્દોષ ગણાય). તેમણે (સરકારના દાવા પ્રમાણે, સ્વાભાવિક ક્રમમાં) બદલી પામેલા ન્યાયાધીશ વિશે પણ નામ વિના ટીપ્પણી કરતાં કહ્યું, ‘કેટલાક ન્યાયાધીશો માને છે કે વિરોધ પ્રદર્શનો હિંસક ન થાય ત્યાં સુધી પોલીસે કશી કાર્યવાહી કરવી ન જોઈએ … પણ આવા સંજોગોમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન ક્યારે હિંસક બની જાય, તે નક્કી હોતું નથી.’ મતલબ, કોઈ પણ વિરોધ પ્રદર્શન ગમે તેટલું શાંતિપૂર્ણ હોય, તો પણ પોલીસ તેની સામે આગોતરી આક્રમકતાથી કામ લઈ શકે છે. વિરોધ પક્ષ સત્તામાં આવે ત્યાર પછી તેની સમજ કેવી બદલાઈ જાય છે, તેનો વધુ એક નમૂનો આ વિધાનમાં જોઈ શકાય છે.

દિલ્હીની કોમી હિંસા હોય કે છેલ્લા થોડા સમયના ઘટનાક્રમો, અદાલતની ભૂમિકા મહદ્ અંશે અસંતોષકારક રહી છે. તેનું વધુ એક ઉદાહરણ સર્વોચ્ચ અદાલતે હર્ષ મંદર પ્રત્યે અપનાવેલા વલણમાં જાહેર થયું. દિલ્હીની હિંસા વખતે સરકાર અને રાજકીય પક્ષોએ સાથ છોડી દીધો ત્યારે ભોગ બનેલા લોકો માટે રાહતનું કામ કરવામાં હર્ષ મંદરના નાગરિક સંગઠનની ભૂમિકા પ્રશંસનીય હતી. તેમણે હેટ સ્પીચ બદલ નેતાઓ સામે એફ.આઇ.આર. નોંધવા માટે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી, ત્યારે અદાલતે વિલક્ષણ વલણ અપનાવ્યું. હર્ષ મંદરે તેમના એક પ્રવચનમાં ભેદભાવ અને વિભાજન પ્રેરતા સી.એ.એ. વિરુદ્ધ અહિંસા અને પ્રેમથી લડવાની વાત કરી હતી. એ પ્રવચનને અદાલત અને સંસદ માટે અનાદરભર્યું ગણીને અદાલતે કહ્યું કે ‘આપણે પહેલાં આ (અમારા કથિત અનાદરનો) મામલો નીપટાવીએ. ત્યાર પહેલાં તમારી રજૂઆત અમે નહીં સાંભળીએ.’ અદાલતના આ નિર્ણયને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રીલેખમાં યોગ્ય રીતે જ  ‘ડિસ્ટર્બિંગ એન્ડ ડિસઅપોઇન્ટિંગ’ (વ્યથાપ્રેરક અને નિરાશાજનક) ગણાવવામાં આવ્યો. બંધારણીય મૂલ્યો માટે પ્રેમ અને અહિંસાથી લડવાની વાત કરનારને ઠપકારવા અને ખુલ્લેઆમ હેટ સ્પીચ આપનાર પ્રત્યે લક્ષ ન આપવું, એવી નીતિની અસર કલ્પી શકાય છે.

શાસકવર્ગમાં કોમી ધ્રુવીકરણ શરમ કે અફસોસને બદલે ‘વ્યૂહરચના’ અને ‘માસ્ટર સ્ટ્રોક’ ગણાતાં હોય, ત્યારે દિલ્હીની હિંસા જેવા ઘટનાક્રમમાં અસલી ગુનેગારોની ઓળખને બદલે સગવડિયા શિકારોની શોધ મુખ્ય કાર્યક્રમ બની રહે છે અને પીડિતોને ન્યાય અપાવવાના પ્રયાસ રાજદ્રોહ ગણાઈ શકે છે. 

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 01-02

Loading

14 March 2020 admin
← પ્રમાણ
માત્ર નરવું હિંદુ રાષ્ટૃ શક્ય છે કે કેમ એ વિચારી જુઓ →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved