Opinion Magazine
Number of visits: 9446512
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડિસેમ્બર ૧૯૯૨, ડિસેમ્બર ૨૦૧૯

સલિલ ત્રિપાઠી|Opinion - Opinion|28 November 2019

ડિસેમ્બર ૧૯૯૨, છઠ્ઠી તારીખ. એ વખતે હું સિંગાપોરના એક અંગ્રેજી છાપામાં ખબરપત્રી હતો. અમારી કચેરીમાં હું એક લેખ લખી રહ્યો હતો, જ્યારે મારી મમ્મીનો મુંબઈથી ફોન આવ્યો.

“ટીવી જોયું? જરા જો તો ખરો!”

મારું ધ્યાન ટીવી પર નહોતું. અમારા ન્યૂઝરૂમમાં એક ટીવી હતું, પણ એમાં કોઈ બીજા સમાચાર આવતા હતા. મેં ટીકરટેપ પર રૉઇટરનું પ્રસારણ વાંચ્યું – બાબરી મસ્જિદનો પહેલો ગુમ્બજ તૂટી ગયો હતો; બીજા પર કહેવાતા ‘કારસેવકો’ ચડી બેઠા હતા અને એને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

“આપણે ફરીથી આજે ગાંધીની હત્યા કરી હોય એવું લાગે છે,” મમ્મીએ મને કહ્યું.  

બે-ત્રણ કલાક પછી મસ્જિદનું નામનિશાન રહ્યું નહોતું.

એ વખતના વડાપ્રધાન નરસિંહ રાવે મસ્જિદ ફરીથી બાંધવાનું વચન તો આપ્યું, પણ ‘પ્રાણ જાયે પર વચન ન જાયે,’ એ પ્રથા તો રઘુકુળમાં ચાલે, આપણા કલિયુગમાં નહીં. મસ્જિદ તોડનાર નેતાઓની ધરપકડ તો થઈ, પણ થોડાં વર્ષો પછી એક તો બન્યા ભારતના નાયબ વડાપ્રધાન; બીજાને મહત્ત્વની કૅબિનેટ મિનિસ્ટ્રી મળી; અને એક મહાશય, જેમણે આગલે દિવસે – પાંચમીએ – એક ભાષણ આપ્યું હતું કે જેમાં એમણે એ ‘કારસેવકો’ને પ્રોત્સાહન આપ્યું હતું, એ તો વળી વડાપ્રધાન પણ બની ચૂક્યા, અને જ્યારે એમનું અવસાન થયું ત્યારે ભુલકણા વિશ્લેષકોએ એમને મહાન રાજનીતિજ્ઞ ગણ્યા હતા.

સમય જતાં લોકો મસ્જિદ ભૂલવા મંડ્યા વિખ્યાત લેખક વી.એસ. નાયપૌલે તો મસ્જિદના વિનાશને એક હિન્દુ સ્વાભિમાનના અપમાનનો ‘અનિવાર્ય બદલો’ કહી યોગ્ય ઠરાવ્યો હતો. એક વખત એ જ જગ્યાએ મંદિર હતું, એવી માન્યતાને દૃઢ માની, એને તોડીને જ મસ્જિદ બંધાઈ છે, એવી લોકવાયકાને હકીકત સમજી, ત્યાં જ મંદિર બાંધવું અને એ બાંધતાં પહેલાં મસ્જિદ તોડવી, એ મનોવૃત્તિ મજબૂત બનતી ગઈ. ઘણા હિન્દુ આ માન્યતાને એક ઐતિહાસિક વાસ્તવિકતા માનવા મંડ્યા, પણ એવું કહેવું અશક્ય છે કે મોટા ભાગના હિંદુઓ આમ માનતા, કારણ કે કોઈએ એનો કોઈ સર્વે નહોતો કર્યો. વળી પાછું ભારતમાં તો કરોડોની પ્રજા પણ નાની લઘુમતીની ગણાય. આખો વિવાદ માન્યતા વિશે હતો; મેં તો માન્યું કે અંતે તર્ક અને સમજદારી પ્રવર્તશે.

સર્વોચ્ચ ન્યાયાલયના અજાયબ ચુકાદા પછી ઘણા પ્રશ્નો પેદા થયા છે, પણ એ પ્રશ્નોનો ઉત્તર આ ચુકાદામાં નથી મળવાનો. જે લોકો રાજકારણ વ્યાવહારિક રીતે જુએ છે, એમને કદાચ આ ચુકાદો પસંદ પડશે, કારણ કે ચુકાદાની નજરે કાયદા કરતાં લોક-લાગણી વધારે મહત્ત્વની ગણાઈ છે; પણ જે લોકો ન્યાયને વધારે મહત્ત્વ આપે છે, એમને માટે પણ આ ચુકાદો ઐતિહાસિક છે, કારણ કે આ ચુકાદાએ જે રીતે તાર્કિક છલાંગો મારી છે, એ ન્યાયાધીશોનું નૈપુણ્ય બતાવે છે. માનનીય ન્યાયાધીશોએ એમ નથી કહ્યું કે રામ એક ઐતિહાસિક વ્યક્તિ છે; એમણે માત્ર એટલું જ કહ્યું છે કે કાનૂનની નજરે રામ એક juridical વ્યક્તિ છે – કમ્પનીઓ પણ કાનૂનની નજરે વ્યક્તિ ગણાય છે, પણ juridical વ્યક્તિઓના હક વાસ્તવિક વ્યક્તિઓ કરતાં મર્યાદિત હોય છે.

પુરાતત્ત્વ વિભાગે એવું તો કહ્યું કે મસ્જિદની નીચે કોઈ બીજું મકાન કે માળખું હતું, પણ એ વિભાગે એમ ન કહ્યું કે એ એક મસ્જિદ હતી. સર્વોચ્ચ ન્યાયાલયે આ અભિપ્રાયનો સ્વીકાર તો કર્યો, પણ એમ ન કહ્યું કે એ મકાન હિન્દુ મન્દિર હતું, અને એમ પણ ન કહ્યું કે એ મકાન – કે માળખું – કોઈએ તોડી પાડેલું. મસ્જિદ તોડનારાઓની મુખ્ય દલીલ હતી કે ત્યાં એક મંદિર હતું, જે ૧૫૨૮માં બાબરે તોડ્યું હતું – એ વાત તો હવે ખોટી નીકળી, એક દંતકથા થઈ. એટલે જે ‘અન્યાય’ માટે એમણે ન્યાય માંગ્યો હતો, એ અન્યાય હતો જ નહીં.

હવે કરી જુઓ વિચાર : ત્યાં શું હતું એ કોઈને ખબર નથી, આપણને એ પણ ખબર નથી કે એ મકાન કોઈએ તોડ્યું હતું અને એ પછી ત્યાં મસ્જિદ બનાવાઈ હતી. કંઈક હતું અને ત્યાં મસ્જિદ બંધાઈ, પણ બાંધવાવાળાએ જે કંઈ હતું તે તોડ્યું હતું, એવો કોઈ પુરાવો નથી, અને જે હતું તે મંદિર હતું, એમ પણ કોઈ કહી નથી શકતું. વળી પાછું કોર્ટે એમ પણ કહ્યું કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, અને ઉમેર્યું – ન્યાયનો આદેશ કરતી વખતે લોકોની ધાર્મિક માન્યતા અગત્યની નથી, પણ લોકોની શ્રદ્ધા આપણે સમજવી જોઈએ – આ બે સિદ્ધાંતનો અર્થ શું, અને એ બંનેની વચ્ચે કઈ રીતે સમાધાન કરાવાય, એ મને તો સમજાતું નથી.

તદુપરાંત સર્વોચ્ચ ન્યાયાલયે એમ પણ કહ્યું કે બાબરી મસ્જિદમાં રામની મૂર્તિ મુકાવાઈ એ વાત બરાબર નહોતી. બિનસાંપ્રદાયિક દેશ હોવાથી એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન જ ચલાવાય. કોર્ટે એમ પણ કહ્યું કે મસ્જિદમાં નમાજ ન પઢાઈ હોય, તો એનો અર્થ એમ નથી થતો કે એ જગ્યાને હવે મસ્જિદ ન ગણાય. કોર્ટે નોંધ્યું કે હિન્દુ અને મુસ્લિમ બન્ને પ્રજાએ ત્યાં પ્રાર્થના કરી છે અથવા નમાજ પઢી છે.

આવા વિશ્લેષણ પછી કોર્ટ પાસે એક સોનેરી તક હતી કે કોઈક મૌલિક, વિશિષ્ટ પ્રકારનો ચુકાદો આપે – દાખલા તરીકે, ઇસ્તંબુલમાં હેગિયા સોફિયા નામની ઇમારત છે, જે એક વખત ગ્રીક ઑર્થોડોક્સ ચર્ચ હતું, પછી મસ્જિદ બન્યું, અને હવે સંગ્રહસ્થાન છે. કોર્ટે કોર્દોબાના વિખ્યાત મસ્જિદ-ગિરજાઘરની પણ નોંધ લીધી હોત – મૂળ ત્યાં દેવળ હતું, તે મસ્જિદ બન્યું, અને હવે પાછું દેવળ છે, અને ત્યાં મુસ્લિમ પ્રજા નમાજ પઢવાની પરવાનગી માંગે છે, પણ સરકારે ઈન્કાર કર્યો છે. કોઈ ધમકી નથી આપતું અને છેલ્લાં સો વર્ષમાં ત્યાં કોઈ હિંસક બનાવ નથી બન્યો. શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ, સર્વધર્મસમભાવ – એ સિદ્ધાંત ભારતના મૂળભૂત સિદ્ધાંત હતા અને જેને કારણે ભારતના સ્વાતંત્ર્યસેનાનીઓએ દેશ માટે એક બિનસાંપ્રદાયિક સંવિધાન રચ્યું હતું અને જેનો ઉલ્લેખ ન્યાયાધીશોએ કર્યો હતો.  પણ આ કાળજીપૂર્વક રચાયેલ મંતવ્યનો તાર્કિક આધાર હતો ૧૯૯૨નો બનાવ – ત્યારે મસ્જિદને જાણીજોઈને ઇરાદાપૂર્વક તોડી પડાઈ હતી – જે કૃત્યને મારી મમ્મીએ ગાંધીની બીજી હત્યા સાથે સરખાવી હતી – એ ઘટના ન તો ભૂલી શકાય અને કોર્ટથી પણ એની અવગણના ન કરાય. ચુકાદામાં ન્યાયાધીશોએ કહ્યું કે એ ઘટના એક ગુનો છે. પણ એ કાર્યવાહી હજુ ચાલ્યા કરે છે, અને એને તાબડતોડ પતાવવાની ન્યાયાધીશોને કોઈ જરૂર લાગી નહીં.

અને એ પછી તાર્કિક છલાંગ – ન્યાયાધીશોએ સર્વાનુમતે કહ્યું કે આ જમીન તો થઈ હિન્દુઓની – અને સંભાવનાઓનું સંતુલન કર્યા પછી નિર્ણય લીધો કે એ ૨.૭૭ એકરની જમીન સરકારે લઈ લેવી અને સરકાર બિનસાંપ્રદાયિક છે તે છતાં સરકારને કહેવું કે ત્યાં એક મંદિર બનાવવું. અને મુસ્લિમ પ્રજાને માઠું ન લાગે એટલે ૫ એકરની ઉચિત જમીન એમને દાનમાં આપવી, જ્યાં નવી મસ્જિદ ચણાવવી – પણ કોણે ચણવી અને એનો ખર્ચ કોણ આપશે, એ વિશે કોઈ વિશેષ સૂચના નહોતી.

વિચાર કરી જુઓ – એક માને બે દીકરા – મોટો હઠીલો, નાનો શાંત – મોટો નાનાને હંમેશાં હંમેશાં કરે અને એનું મનગમતું રમકડું લઈ લે. મા નાનાને એક ગોળપાપડીનો ટુકડો આપીને કહે કે, બેટા, તું જા, તું બહાર બીજી જગ્યાએ રમ, જ્યારે મોટો નાનાનું રમકડું લઈ રમવા માંડે એવો થયો ન્યાય.

સર્વોચ્ચ ન્યાયાલય પાસે બીજા રસ્તા હતા – કોર્ટ એમ કહી શકત કે જ્યાં સુધી ૧૯૯૨ના ‘પરાક્રમ’નો નિર્ણય ન આવે, ત્યાં સુધી એ જમીન કોની, એ વિષય પર ચુકાદો નહીં આપે. કોર્ટ ટર્કીના મ્યુઝિયમનો દાખલો ધ્યાનમાં લઈ બન્ને ધર્મ ત્યાં જઈ શકે અને સંગ્રહસ્થાન પણ સ્થપાય, એવું પણ કહી શકત. ત્યાં એક સ્મૃતિસ્થળ સ્થાપિત કરાત, જ્યાં આઝાદી પછી થયેલા પ્રત્યેક કોમી રમખાણ અને અત્યાચારના પીડિતોની યાદગીરી હોય – અમદાવાદ ૧૯૬૯, નેલી ૧૯૮૩, ઉત્તર ભારત ૧૯૮૪, ગુજરાત ૨૦૦૨.

પણ એવા વિચાર અભિવ્યક્ત કરી શકાય એવા ભારતની હત્યા ૧૯૯૨માં થઈ હતી; થોડા દિવસ પહેલાં આપણે એના અંતિમ સંસ્કાર થતા જોયા.                                                       

લંડન/ ન્યૂયોર્ક

E-mail : salil.tripathi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 04-05

Loading

28 November 2019 admin
← બોલાવે કોઈ મને
દિલ્હીની જે.એન.યુ.ની હાલની વિદ્યાર્થી ચળવળ સહુને સુલભ જાહેર શિક્ષણની અનિવાર્યતા સૂચવે છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved