Opinion Magazine
Number of visits: 9449053
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દયા અને ઉપેક્ષામાં જીવતા, અધિકાર માગતા વિકલાંગ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 August 2022

લોકબોલીમાં આંધળા, બહેરા, બોબડા, લૂલા, લંગડા અને કદરૂપા કહેવાતા, જન્મથી કે અકસ્માતે શારીરિક-માનસિક અપંગતા ધરાવતા લોકોનો, મોટો સમૂહ દેશ અને દુનિયામાં દયા અને ઉપેક્ષામાં જીવન બસર કરે છે. ભારતમાં પહેલા તે અપંગ કહેવાતા, પછી વિકલાંગ કહેવાયા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને દિવ્યાંગ કીધા અને માધ્યમોએ તે નામ જાણીતું કર્યું. અંગ્રેજી ભાષામાં તેના માટે હેન્ડિકેપ, ફિઝિકલી ચેલેન્જડ, ડિફરન્ટલી એબલ, ડિસેબલ અને સ્પેશિયલ પ્રિવિલેજ્ડ જેવા શબ્દો વપરાતા રહ્યા છે. આમ તેમની ઓળખ બદલાતી રહી છે, પણ સ્થિતિ ઝાઝી બદલાઈ નથી.

૨૦૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં ૨.૧૯ કરોડ વિકલાંગો હતા. જે એક દાયકા પછી ૨૦૧૧માં વધીને ૨.૬૮ કરોડ થયા હતા. એ વરસે ગુજરાતમાં ૧૦.૯૨ લાખ વિકલાંગો હતા. ૨૦૧૧ની દેશની ૧૨૧ કરોડની આબાદીમાં ૨.૨૧ ટકા વિકલાંગો હતા. તેમાં ૧.૫ કરોડ પુરુષો અને ૧.૧૮ કરોડ મહિલાઓ હતી. વિકલાંગોની ૭૦ ટકા જેટલી મોટી વસ્તી ગ્રામીણ ભારતમાં છે વિકલાંગોનો સાક્ષરતા દર ૫૫ ટકા છે, પરંતુ સ્નાતક ૫ ટકા જ છે. દેશના ત્રણેક કરોડ અપંગોમાંથી માંડ ૩૬ ટકા જ રોજગાર મેળવે છે. દેશની ટોચની પાંચ ખાનગી કંપનીઓમાં ૦.૫ ટકા દિવ્યાંગોને જ રોજગાર મળે છે. એટલે મોટા ભાગના જીવનનિર્વાહ માટે અન્ય પર નિર્ભર છે.

ભારતીય બંધારણની સાતમી અનુસૂચિની રાજ્ય યાદીની જોગવાઈ નવ મુજબ રાજ્ય વિકલાંગોના પુનર્વાસ અને સહાયતા માટે બાધ્યકારી છે. તેમ છતાં બંધારણ અમલીકરણનાં પિસ્તાળીસ વરસો બાદ ૧૯૯૫માં સંસદે વિકલાંગ ધારો ઘડ્યો હતો. વિકલાંગ વ્યક્તિ (સમાન તક, અધિકારોનું સંરક્ષણ અને પૂર્ણ ભાગીદારી) અધિનિયમ ૧૯૯૫માં વિકલાંગોના શિક્ષણ, રોજગાર, અવરોધમુક્ત વાતાવરણ નિર્માણ અને સામાજિક સુરક્ષાની જોગવાઈ કરવામાં આવી હતી. તે પછી કાયદામાં સુધારા, નવા કાયદા અને રાષ્ટ્રીય નીતિ ઘડાતી રહી છે. વિકલાંગો માટેની ૨૦૧૬ની પહેલી રાષ્ટ્રીય નીતિને વધુ અદ્યતન કરવા માટે સરકારે બાણું પૃષ્ઠોનો મુસદ્દો તાજેતરમાં જાહેર વિમર્શ માટે પ્રસ્તુત કર્યો હતો.

૧૯૯૫ના વિકલાંગ ધારામાં વિવિધ સાત પ્રકારની વિકલાંગતાઓને આવરી લેવામાં આવી હતી. પરંતુ રાઈટ્સ ઑફ પર્સન વિથ ડિસેબિલિટીઝ એકટ, ૨૦૧૬માં વિકલાંગતાની કેટેગરી ત્રણ ગણી વધારીને એકવીસ કરવામાં આવી હતી. એસિડ એટેકની પીડિતાઓ, પાર્કિન્સન, હિમોફિલિયા, થેલેસેમિયા, કુષ્ઠરોગ મુક્તિ પછીની વિકલાંગતા સહિતની શારીરિક-માનસિક-સામાજિક વિકલાંગતાઓને આ કાયદામાં આવરી લેવામાં આવી હતી. જીવનનાં તમામ ક્ષેત્રોમાં વિકલાંગોને સમાન તક અને માનવીય ગરિમા પ્રાપ્તિનો ઉદ્દેશ ધરાવતા આ કાયદામાં ચાળીસ ટકા વિકલાંગતા ધરાવતી વ્યક્તિને શિક્ષણ અને રોજગારમાં ચાર ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. વિકલાંગોનો જાહેર સ્થળોનો ઉપયોગ સરળ બને તે પ્રકારના મકાનોના નિર્માણની પણ જોગવાઈ છે. વિકલાંગો પ્રત્યે ભેદભાવ આચરનારને સજા, સમાજ સુરક્ષા યોજનાઓ અને બાળકો તથા મહિલાઓ માટે ખાસ સગવડોની જોગવાઈ કાયદામાં કરી છે.

જો કે રૂપાળી કાયદાકીય જોગવાઈઓ અને વિકલાંગો પ્રત્યે સમાજની પૂર્ણ સહાનુભૂતિની કહાણીઓ કરતાં વાસ્તવિકતા જુદી છે. સમાન તક વિકલાંગો માટે કેટલા જોજન દૂર છે તેનું એક ઉદાહરણ તો દેશની સર્વોચ્ચ એવી સિવિલ સેવામાં તેમના પ્રત્યેના વલણમાં જણાયું હતું. યુ.પી.એસ.સી.ની સિવિલ સેવા એકઝામમાં કુલ ઉમેદવારોમાંથી ૦.૩૦ ટકા જ ઉત્તીર્ણ થાય છે. ૨૦૧૪માં ૬૦ ટકા વિકલાંગતા ધરાવતા ઈરા સિંઘલ યુ.પી.એસ.સી. ટોપર બન્યાં હતાં.  તે વરસે નવ વિકલાંગોએ સિવિલ સર્વિસ એકઝામ ક્લિયર કરી હતી. પણ કોઈને નિમણૂક મળી નહોતી. કોર્ટ-કચેરી અને વડા પ્રધાનને રજૂઆત પછી નવમાંથી સાતને એપોઈન્ટમેન્ટ મળી હતી. જો દેશની સૌથી મોટી નોકરી મેળવવામાં વિકલાંગોની આ હાલત હોય તો પછી તેમના પ્રત્યેની દયા અને સહાનુભૂતિ ઠાલી લાગે છે.

૨૦૧૧માં ૧૯૯૫ના વિકલાંગ ધારા મુજબની સાત પ્રકારની વિકલાંગતા હરાવતા લોકોની વસ્તી ૨.૬૮ કરોડ હતી. ૨૦૧૬ના કાયદામાં એકવીસ પ્રકારની વિકલાંગતા માન્ય રાખી હતી. પરંતુ તેને કારણે વિકલાંગોની સંખ્યામાં જે વધારો થયો તે પ્રમાણેની જોગવાઈઓ કાયદામાં કરી નહોતી. ૧૯૯૫માં વિકલાંગોને શિક્ષણ અને નોકરીઓમાં ૩ ટકા અનામત આપી હતી. ૨૦૧૬માં તે વધારીને ૪ ટકા કરી હતી. વિકલાંગતાના પ્રકારમાં ત્રણ ગણો વધારો કર્યો પણ અનામતની ટકાવારી એક ટકો જ વધારી. તેનાથી વિકલાંગોનો શિક્ષણ અને રોજગારનો સવાલ યથાવત રહે છે.

શિક્ષણ અને રોજગારમાં વિકલાંગોના પ્રતિનિધિત્વ માટે ચાર ટકા અનામત અપર્યાપ્ત છે. તાજેતરમાં જાહેર વિમર્શ માટે રજૂ થયેલ રાષ્ટ્રીય વિકલાંગ નીતિના ડ્રાફટમાં કૌશલ્ય વિકાસ અને રોજગારને એક સાથે મૂક્યા છે. કદાચ સરકારના આ બે મંત્રાલયો એક સાથે છે એટલે આમ કર્યું હોય પણ તે ભારે અન્યાયકારી છે. દેશમાં ૬૪ ટકા વિકલાંગો રોજગારવિહોણાં હોય ત્યારે વધુ સ્પષ્ટ નીતિની આવશ્યકતા છે.

પોલિસી ડ્રાફ્ટના દસ ક્ષેત્રોમાં એક સર્ટિફિકેશન પણ છે. ૨૦૧૧ના ૨.૬૮ કરોડ વિકલાંગોમાંથી સરકાર અડધાને જ વિકલાંગતાનું તબીબી પ્રમાણપત્ર આપી શકી હોય ત્યારે આ પ્રક્રિયાને વધુ સરળ કરવાની જરૂર છે. પચાસ ટકા કરતાં વધુ દલિત આદિવાસી પછાત વિકલાંગ બાળકો શિક્ષણથી વંચિત હોય ત્યારે વિકલાંગોને અલાયદી શિક્ષણ સંસ્થાઓને બદલે કથિત મુખ્ય ધારાની સંસ્થાઓમાં જ શિક્ષણ મળે તે સમાવેશી સમાજરચના માટે તાકીદની જરૂર છે.  વિકલાંગોને ભિન્ન નહીં પણ સમાજનો જ એક હિસ્સો બનાવવા હજુ ઘણા પડકારો ઉઠાવવાની જરૂર છે. લાખો બેન્ક એ.ટી.એમ. અને જાહેર સ્થળો વિકલાંગોના ઉપયોગ માટે સરળ કરવાનો પડકાર પણ છે જ.

વિકલાંગોને તેમના પ્રત્યેની દયા કે સહાનુભૂતિ ભ્રમ લાગે તેવો માહોલ છે. તેઓ દેશના નાગરિક તરીકે સમતા, ન્યાય અને સહભાગિતાના હકદાર છે. એનો અહેસાસ કરાવવો તે પણ મોટો પડકાર છે. માત્ર કાનૂની જોગવાઈઓથી વિકલાંગોનું દળદર ફીટવાનું નથી. સરકારી નીતિઓના અસરકારક અમલ માટેનું તંત્ર અને સમાનુભૂતિ ધરાવતો સમાજ વિકલાંગો ઝંખે છે.

દેશના સૌથી વધુ સાક્ષરતા ધરાવતા રાજ્ય કેરળમાં હમણાં પ્રદર્શિત થયેલી મલયાલમ ફિલ્મ”કડુવા”માં વિકલાંગો વિશેના સાવ જ અનુચિત સંવાદનો વિવાદ જાણીને તો લાગે છે કે આપણે આ દિશામાં હજુ કેટલી લાંબી મજલ કાપવાની બાકી છે. ફિલ્મના અભિનેતા અને નિર્માતાએ વિવાદ પછી બિનશરતી માફી માંગી છે પણ આ માનસને કઈ રીતે માફ કરી શકાશે ? વિકલાંગોએ અને તેમના સમર્થકોએ કેટકેટલા મોરચે અધિકાર અને ન્યાયની લડાઈ લડવાની તેનો આછો અણસાર ‘કડુવા’ ફિલ્મના વિવાદ પરથી મળે છે.

(તા.૨૭.૦૭.૨૦૨૨)
e.mail : maheriyachandu@gmail.com

Loading

11 August 2022 Vipool Kalyani
← મહેન્દ્ર મેઘાણીના જીવન-કાર્ય-સંભારણાં-અભિપ્રાયોનું મેઘધનુષ
નીતીશકુમારના રાજકીય પલટાઓનો કોઈ બચાવ ન થઈ શકે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved