અઢારમી લોકસભાના આરંભે
આપણે ઇચ્છીએ કે સત્તાપક્ષ અને વિપક્ષ પરસ્પર સ્પર્ધા અને શત્રુભાવ વચ્ચે વિવેક કેળવીને પોતપોતાનાં દેશપ્રેમ અને બંધારણનિષ્ઠાનો પૂરો અને ખરો હિસાબ આપે.
બેસતી અઢારમી લોકસભાએ છવ્વીસમી જૂનના સમગ્ર ઘટનાક્રમને કેવી રીતે ઘટાવશું, વારુ? નવનિર્વાચિત અધ્યક્ષ ઓમ બિરલાએ એમની બીજી પારીની શરૂઆતમાં જ ઘોષિત કટોકટીના પચાસમાં વર્ષ પ્રવેશનો મુદ્દો ઠીક આગળ કર્યો. કટોકટી ચોક્કસ જ એક જળથાળ ઘટના હતી, અને ભારત ભાગ્ય ભવન શી લોકસભામાં અધ્યક્ષીય સ્તરેથી એનો ઉલ્લેખ થાય એમાં અવશ્ય ઔચિત્ય છે.
જો કે, આ તબક્કે એક વાત અસંદિગ્ધ શબ્દોમાં કહેવી જોઈએ કે કાઁગ્રેસને જનતાએ તે માટે નસિયત અને શિકસ્ત બંનેનો અનુભવ આપ્યો છે. તેમ છતાં, એક પક્ષ તરીકે પોતાની આ મહદચૂક માટે કાઁગ્રેસને પક્ષે આત્મનિરીક્ષણનો અભિગમ જેમ જરૂરી છે તેમ જનતા સરકારના હિસ્સેદાર તરીકે, સંયુક્ત મોરચા સરકારોના બહારી ટેકેદાર તરીકે, વાજપેયીના છ વરસ અને મોદીના દસ વરસના વડા લાભાર્થી તરીકે ભા.જ.પે. પણ જવાબ તો આપવો રહે જ છે કે કટોકટીરાજના લક્ષણો વિધિવત જાહેરાત વગર અનુભવાતાં હોય એવું કેમ લાગે છે. કાઁગ્રેસમુક્ત ભારતનો વ્યૂહ પાછો પડ્યો છે અને કાઁગ્રેસયુક્ત ભા.જ.પ.ને પણ ગતિરોધનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ઊલટાનો આ પ્રશ્ન ઓર લાજિમ બને છે.
1975માં તમે ક્યાં હતા એવો ઇતિહાસચાબખો જો અસ્થાને નથી તો સ્વરાજની લડતમાં અગ્રતાક્રમે તમે ક્યાં હતા એવો ઇતિહાસચાબખો પણ અસ્થાને નથી. ખરું જોતાં દેશજનતાઓ અને એના સઘળા રાજકીય વહેવારિયાઓએ બેઉ છેડાના આત્મનિરીક્ષણપૂર્વક આઝાદીની પહેલી લડાઈ અને આઝાદીની બીજી લડાઈ એવી પરિભાષાના ચોકઠાની બહાર નીકળી આઝાદીની ચાલુ લડાઈની રીતે વિચારવાપણું છે – તમે સત્તાપાટલીએ હો કે સામી પાટલીએ બંધારણની ભાવનાઓ સંદર્ભે આગળ જઈ રહ્યા છો કે પાછા પડી રહ્યા છો એ પ્રશ્ન મહત્ત્વનો છે.
અહીં આગલા એક-બે દિવસમાં જે સામસામાં દૃષ્યો સરજાયાં એનો ઉલ્લેખ સમયસરનો લેખાશે. એક દૃશ્ય વિધિવત ગૃહપ્રવેશ પૂર્વે વડા પ્રધાન તરફથી રચનાત્મક વિરોધશીખ સાથે અને સહયોગ સાથે કટોકટીની યાદ આપતું હતું. બીજું દૃશ્ય રાહુલ ગાંધી અને અખિલેશ યાદવના નેતૃત્વમાં નવનિર્વાચિત વિપક્ષી સભ્યો બંધારણની પ્રત સાથે નજરે પડતા હતા. છેલ્લાં દસ વરસમાં જે ઘટનાક્રમ દેશજનતાએ નજરોનજર નિહાળ્યો એનો કંઈક પડઘો આ વેળાના ચૂંટણીપરિણામોમાં પ્રભાવકપણે પડ્યો છે. વિધિવત યંત્રણા વિના સ્થાપિત મીડિયા અને ચેનલ ચોવીસાને અંકુશિત કરાયાં પછી અને છતાં સોશિયલ મીડિયા ને યુટ્યુબ ક્રાંતિએ એમાં ખાસી ભૂમિકા ભજવી છે. આર્થિક-સામાજિક ન્યાય અને ખુલ્લાપણા માટેની આ જદ્દોજહદ સારુ બંધારણબક્ષી દિશામોકળાશે નિઃશંક મહત્ત્વની છે.
અહીં સુધી જે ચર્ચા કરી એની પિછવાઈ પર લોકસભાના અધ્યક્ષની ચૂંટણીનો પ્રશ્ન જોઈએ ત્યારે શું સમજાય છે? વિપક્ષની માગ હતી કે અધ્યક્ષપદ માટે ચૂંટણી ટાળીને એકંદરમતી સાધવાની વાત બરાબર છે, પણ નાયબ અધ્યક્ષપદ વિપક્ષને જશે એવી ખાતરી આપો એ જરૂરી છે. ક્યાં રાજ્યોમાં આમ છે અને ક્યાં રાજ્યોમાં આમ નથી એવી આતશબાજી પોતાને ઠેકાણે ઠીક જ છે. પણ એન.ડી.એ. સરકાર પોતાની ત્રીજી મુદ્દતમાં બંધારણની 93મી કલમને એક તક આપવાની રીતે પણ કેમ ન વિચારી શકી, એ એક સવાલ છે.
દસ વરસ પછી પહેલીવાર લોકસભામાં વિધિવત નેતા પ્રતિપક્ષ હશે. ઓછામાં ઓછા દસ ટકા સભ્યોની પ્રણાલિકાને અનુસરીને આ શક્ય બન્યું છે. જો કે, તે સિવાય પણ, ઓછા સભ્યો છતાં, આવી જોગવાઈ આડે કોઈ કાનૂની અવરોધ નથી. પણ મોદી ભા.જ.પ.ની કાર્યશૈલીમાં આ પ્રકારની સહભાગિતા સામાન્યપણે અગરાજ રહેતી આવી છે. ગમે તેમ પણ, હવે જે તે નિર્ણયમાં એકતરફી હંકારવા આડે કંઈક રોકનું અને જ્ઞાનતંતુઓના યુદ્ધ છતાં સહયોગનું વાતાવરણ બનશે એ ખયાલે સૌ દેશપ્રેમીઓ ચોક્કસ જ રાહત અનુભવશે.
ઓમ બિરલાએ એમની બીજી પારીમાં બાવીસ બાવીસ બિલ સરેરાશ ચાલીસ મિનિટમાં પસાર થઈ જાય એવી વિક્રમી અનવસ્થા સામે એક નવું પ્રતિમાન કાયમ કરવાની રીતે વિચારવું રહેશે – અને નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, અખિલેશ યાદવે સ્પર્ધા ને શત્રુભાવ વચ્ચે વિવેક કેળવવો રહેશે.
Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 26 જૂન 2024