Opinion Magazine
Number of visits: 9446152
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડરવા જેવું નથી, પણ ચેતવા જેવું તો છે જ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 May 2024

રવીન્દ્ર પારેખ

દેશમાં ચૂંટણી પ્રચારનું વાતાવરણ છે અને ગુજરાતમાં કાલે ચૂંટણી છે, બીજું એ કે વાત દિલ્હીની છે એટલે પણ ઘણાંનું એ તરફ બહુ ધ્યાન ન ગયું હોય, પણ સાવ બેધ્યાન રહેવાનો આ સમય નથી. આમ પણ કોઈને કોઈ ભીંસનારું પરિબળ ઉમેરાતું જતું હોય ત્યારે, બેધ્યાન રહેવાનું કોઈને જ ન પરવડવું જોઈએ. એ પણ છે કે રોજ જ સાવધાની તો ન રહે, છતાં વર્તમાન સમય આપણને તલવારની ધાર પર રાખનારો છે એ સમજી લેવાની જરૂર છે. આપણી અસાવધ પળ મુશ્કેલી વધારી શકે એ શક્ય છે. બધી જ સાવધાની છતાં, એકાદ નબળી પળ જોખમી બની શકે. ઘટના દિલ્હીની છે એટલે બીજા નગરોમાં એવું ન જ બને એવું નથી. એ ખરું કે ડરવા જેવું નથી, પણ ચેતવા જેવું તો છે જ !

એક તરફ ગુજરાત મે દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતું, ત્યારે દિલ્હી એન.સી.આર.માં સવારથી દોડધામ મચી ગઈ હતી. બન્યું હતું એવું કે વહેલી સવારે સ્કૂલો ચાલુ હતી ને ક્યાંક તો પરીક્ષા પણ હતી, એ દરમિયાન 200થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ઇ-મેઈલ મોકલવામાં આવ્યા. સ્કૂલોને ઇ-મેઈલ વિષે જેવી ખબર પડી કે દિલ્હી પોલીસ અને દિલ્હી ફાયર સર્વિસ(ડી.એફ.એસ.)ની દોડાદોડી વધી ગઈ. કેટલીક સ્કૂલોએ બાળકો ડરે કે ગભરાય નહીં એ રીતે ઘરે મોકલવાનું શરૂ કર્યું, તો પોલીસે ડોગ-બોમ્બ સ્કવોડની મદદ લેતાં પહેલાં, સ્કૂલો ખાલી કરાવીને સઘન તપાસ આરંભી. વાલીઓને ખબર પડતાં તેમનો જીવ તાળવે ચોંટ્યો. સ્કૂલોનો સ્ટાફ ચિંતાગ્રસ્ત ચહેરે ધબકતી પળોનો સામનો કરી રહ્યો હતો. પોલીસની તપાસને અંતે પણ ક્યાંયથી વાંધાજનક કઈં મળ્યું ન હતું. આમ તો ધમકી નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામની શાળાઓને પણ મળી હતી, પણ સ્થાનિક પોલીસે તેને ગણકારી ન હતી. દિલ્હી પોલીસે પણ છેવટે ધમકીને અફવા ગણાવી ને તે પછી સ્કૂલોએ તથા વાલીઓએ રાહત અનુભવી.

એ ખરું કે 200થી વધુ સ્કૂલોને ઇ-મેઇલથી ટાર્ગેટ કરાઇ હતી, એટલે પોલીસ તો તેને હળવાશથી લઈ શકે એમ હતું જ નહીં. પોલીસનું એન્ટિ ટેરર સેલ કામે લાગ્યું ને તેનું માનવું છે કે આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત છે, એટલે ઊંડી તપાસ થવી અનિવાર્ય છે. એટલું છે કે બધી શાળાઓને એક જ ઇ-મેઇલ sawariim@gmail.ru પરથી ગભરાટ ફેલાવવાના હેતુથી, રશિયાથી મોકલાયો હોવાનું પોલીસનું માનવું છે, તે એટલે પણ કે ઇ-મેઇલની ભાષા રશિયન છે. વળી ગુનેગારોએ ડાર્ક નેટનો ઉપયોગ કરીને ઓળખ છુપાવી છે, જો કે, 2023માં પણ દક્ષિણ દિલ્હીની એક શાળાને એ જ ઇ-મેઈલ આઈ.ડી.થી ધમકીનો મેઈલ મળેલો, પણ મોકલનાર ટ્રેસ થઈ શક્યો ન હતો. એ જોતાં 200 સ્કૂલોને મેઈલ મોકલનારને શોધવાનું સહેલું નથી. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની શંકા એવી પણ છે કે ઇસ્લામી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ(આઈ.એસ.)નો હાથ પણ આમાં હોઇ શકે, તેનું કારણ એ કે મેઈલ આઈ.ડી.માં એક શબ્દ sawariim છે, જેનો એક એરેબિક અર્થ આતંકી સંગઠન(આઈ.એસ.) થાય છે. જો કે, પોલીસે આઇ.પી.સી.ની કલમ 505(2), 507 અને 120(બી) હેઠળ કેસ નોંધ્યો છે.

આટલું ઓછું હોય, તેમ બિહારના રાજ્યપાલના રાજભવનમાં પણ બોમ્બ હોવાની ધમકી ઇ-મેઇલથી મોકલવામાં આવી હતી. તપાસને અંતે એ ધમકી પણ અફવા જ પુરવાર થઈ. એનો ઇ-મેઈલ પણ ક્યાંથી આવ્યો એની ખરાઈ કરાઇ રહી છે. વધુ વિગતો તો તપાસ દરમિયાન બહાર આવશે, પણ જે બન્યું અને જે નથી બન્યું એ સંદર્ભે આખા દેશે સતર્ક થવાની જરૂર છે. સારું છે કે પરિણામ અફવામાં આવ્યું, પણ અફવા છે એવું સાબિત થાય તે પહેલાંના સમયે દિલ્હી અને એન.સી.આર.ના ધબકારા તો વધારી જ દીધા હતા. આમ તો કોઈ આતંકી સંગઠને ઇ-મેઇલની જવાબદારી લીધી નથી, પણ જે સંકેતો મળ્યા છે, તેના છેડા આંતરરાષ્ટ્રીય રમત તરફ નીકળે તો નવાઈ નહીં, એ ખરું કે ઈ-મેઈલ મોકલનારે ઓળખ છતી ન થાય એની કાળજી લીધી જ છે, એટલે પોલીસને આ મામલે પરસેવો પડવાની પૂરી શક્યતા છે.

યાદ રહે, આ પ્રકારની આ પહેલી ઘટના નથી. બિહારના રાજભવનની ઘટના તો સમાંતરે ઘટી જ છે, એ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવન સહિત 103 સરકારી બિલ્ડિંગોમાં બોમ્બ મુકાયાનો ઇ-મેઈલ ગયા મંગળવારની જ વાત છે. એ જુદી વાત છે કે એ સ્કૂલો ન હોવાને કારણે, એની આટલી હોહા નથી થઈ. સ્કૂલોની વાત કરીએ તો એપ્રિલની શરૂઆતમાં કોલકાતામાં પણ આ જ રીતે લગભગ 200 સ્કૂલોમાં બોમ્બ મુકાયાની અફવા ફેલાવવામાં આવી હતી. એ અગાઉ ચેન્નાઈમાં ફેબ્રુઆરીમાં 13 સ્કૂલો ટાર્ગેટ કરાઇ હતી ને એ ધમકી પણ અફવા જ પુરવાર થઈ હતી. ગયા જાન્યુઆરીમાં મુંબઇમાં જુદી જુદી આઠ જગ્યાએ બોમ્બ મુકાયાના ઇ-મેઈલ મોકલાયા હતા અને પોલીસે ગુનો દાખલ કર્યો હતો, પણ એકથી વધુ મહાનગરોમાં આ રીતે ઇ-મેઈલ મોકલવાનો હેતુ શો હોઇ શકે એનું ગણિત સમજવા જેવું છે.

એ વાત સ્પષ્ટ છે કે અફવાઓ ફેલાવીને તંત્રોને અને જે તે સંસ્થાઓને ધંધે લગાડવાનો ઇરાદો આવા ઇ-મેઇલનો હોય છે. આવા વારંવારના ઇ-મેઈલ દ્વારા તે અફવા છે એવું પાકું થાય તે પહેલાં સમય, સાધનો ને સંપત્તિનો વ્યય કરાવીને તંત્રોને થકવવાનો અને પ્રજાને ડરાવવાનો હેતુ પણ ખરો જ ! વારુ, જેમને ટાર્ગેટ કરાય છે, એ બાળકો, વાલીઓ, સંબંધિત લોકો વગેરેમાં જે ભયનું વાતાવરણ ફેલાય છે, એની અસર લાંબો સમય જે તે વ્યક્તિને રહે છે. ઘણાંને તો કાઉન્સેલિંગની જરૂર પણ પડે છે. આમાં ઇ-મેઈલ મોકલનારનો ઇરાદો, લોકોના ભયમાંથી પાશવી આનંદ લેવાનો ન જ હોય એવું પણ કહી શકાય નહીં. ક્યારેક પરિણામની કલ્પના જ ન હોય ને ઇ-મેઈલ મોકલનાર એમ જ ગમ્મત કરતા હોય એમ પણ બને. હજી સ્કૂલોના ઇ-મેઇલનો નિકાલ નથી લાગ્યો, ત્યાં ગુરુવારે એક ઑર સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઇ-મેઈલ દિલ્હી પોલીસ આયુક્તને મોકલાયો છે. પોલીસે તપાસ કરી તો કૈં ન મળ્યું, પણ તે ઇ-મેઈલ કરનાર સુધી પહોંચી તો ખબર પડી કે તે મોકલનાર એ જ સ્કૂલનો આઠ વર્ષનો વિદ્યાર્થી છે ને તેણે મોબાઈલ પરથી ઇ-મેઈલ મોકલ્યો હતો. તેને પૂછતાં તે બોલ્યો કે તેણે તો ગમ્મત ખાતર જ ઇ-મેઈલ મોકલ્યો હતો. હવે એને સજા પણ શું થાય? તેને માટે ગમ્મત હતી ને પોલીસને માટે ત્રાસદાયક દોડધામ !

આ તો એક બાજુ થઈ, પણ કોઈ દુ:શ્મન કાવતરું કરે તો એની કૈં અગાઉથી ખબર પડતી નથી. મેસેજ કે ઇ-મેઈલ અફવા છે એવું સાબિત ન થાય ત્યાં સુધી તો પોલીસ ક્યાં ય ઢીલ રાખી શકે નહીં. બીજું, કે ઘણાં મહાનગરોએ ભયંકર લોહિયાળ હુમલાઓ વેઠ્યા છે, એટલે પોલીસને ઢીલ રાખવી પરવડે પણ નહીં. આતંકી સંગઠનો તો કોઈ પણ રીતે હુમલો કરવા ઇચ્છતા જ હોય છે. એ પણ એવી રમત કરતાં હોય તો નવાઈ નહીં કે અફવાઓ ફેલાવી ફેલાવીને લોકોમાં એવી સ્થિતિ ઊભી કરવી કે ખરેખર કાવતરું હોય તો પણ, લોકો તેને અફવા ગણવા પ્રેરાય ને તેનો લાભ આતંકીઓ ઉઠાવે. દેશમાં ચૂંટણી, ક્રિકેટ, પડોશી દેશોની મેલી મુરાદ, કાળઝાળ ગરમી, પાણીની તંગી, ભયંકર આગ જેવી અનેક ઘટનાઓમાં લોકો વ્યસ્ત હોય, ત્યારે આતંકી પરિબળો વધુ સક્રિય થઈ ઊઠે એ શક્ય છે. હજી તો આ કલ્પના ચાલે જ છે ને તે એક દિવસ પણ ટકે એ પહેલાં તે હકીકતમાં ફેરવાઇ ગઈ ! દિલ્હી અને અન્ય મહાનગરો ધમકીને અફવા ગણે ન ગણે ત્યાં તો કાશ્મીરનાં પૂંછમાં શનિવારની સાંજે એરફોર્સના જવાનો પરના આતંકી હુમલામાં પાંચ જવાનો ઘાયલ થયા છે, જેમાંના એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે ને એકની હાલત ગંભીર છે. બને કે અફવાઓનું વાતાવરણ ઊભું થવા દઈને આતંકીઓ ઓચિંતો હુમલો કરીને વધુ નુકસાન પહોંચાડવાનું આવું કાવતરું કરતાં હોય. એ જે હોય તે, પણ દેશની પ્રજાએ સાવધ રહેવાની જરૂર છે. આવામાં આપણે ભૂલમાં પણ અફવા ફેલાવીને લોકોને ભયભીત કરવાનું કે પોલીસને દોડતી રાખવાનું પાપ ન કરવું જોઈએ. ન જ કરવું જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 મે 2024

Loading

6 May 2024 Vipool Kalyani
← અભી તો મૈં જવાન હું: 93 વર્ષના શરીરમાં 45 વર્ષની તંદુરસ્તી!
કર્ણાટકનું સેક્સ કૌભાંડ અને ભારતીય રાજનીતિનો ગંદો ચહેરો →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved