Opinion Magazine
Number of visits: 9562562
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલપતરામ વિશે, અને દીપક મહેતાના તેમના પરના નવા પુસ્તક વિશે

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|21 January 2024

કવીશ્વર દલપતરામની આજે જન્મજયંતી છે. દલપતરામ મારે મન ઓગણીસમી સદીના ‘સકલ પુરુષ’ છે. આ Renaissance man, આ પ્રગતિશીલ સમાજ-સાક્ષર અત્યારના ગુજરાતમાં ખૂબ પ્રસ્તુત છે. પ્રકાશ ન. શાહનું એક યાદગાર નિરીક્ષણ છે : ‘દલપતરામનું વઢવાણથી અમદાવાદ આવવું એટલે ગુજરાતનું મધ્યયુગમાંથી રેનેસાંમાં – નવજાગૃતિમાં પ્રવેશવું.’

કવીશ્વર દલપતરામ (1820-1898) ગુજરાતના જાહેરજીવનનું એક વિશાળ, પ્રેમાળ અને પ્રગતિશીલ વ્યક્તિત્વ હતા. ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના જુલાઈ 1855ના પોતાનાં પહેલાં જ તંત્રીલેખમાં તેમણે લખ્યું : ‘આપણા દેશના સુધારા અર્થે મારા તન-મન-ધનથી હું ખૂબ મહેનત લેવા ઇચ્છું છું.’

એ મુજબ ખરેખર સદાકાળ તેમણે પોતાની સાહિત્યશક્તિને જનહિત માટે મનોરંજક રીતે, અભિનિવેશ વિના ઉપયોગ કર્યો. તેમણે સભાનપણે રૂડી ગુજરાતી વાણીનાં આદર-કદર કરી જાણ્યાં.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી અમદાવાદ અને ગુજરાતના લોકો લાઇબ્રેરીઓમાં જતાં થયા; અખબાર વાંચતાં, દીકરીઓને ભણાવતાં, ભાષણો સાંભળતા થયા તેમાં લોકહિતચિંતક દલપતરામનો મોટો ફાળો છે.

તેમણે બાળકોને મજાની કવિતાઓ આપી અને  પહેલવહેલી વાર કવિઓને છંદ શીખવ્યા. તેમને કારણે કવિતાની ચોપડીઓ છપાવા-વેચાવા લાગી અને કવિસંમેલનો ભરાતાં થયાં. તેમણે લખાણો, ભાષણો તેમ જ કાર્યો થકી, અભણ, વહેમી, રુઢિચુસ્ત જનતાને શિક્ષણ, સાહિત્ય અને સદાચાર-પ્રેરિત સંસ્કારી જીવન તરફ વાળી.

નાતજાતના ભેદ, જ્યોતિષનાં ભ્રમ અને ભૂતપ્રેતના વહેમમાંથી લોકોને બહાર કાઢવા માટે નિબંધો લખ્યા. અમદાવાદ અને ગુજરાતમાં 1820ની સાલ સુધીમાં પાકા થયેલાં અંગ્રેજોના રાજમાં શરૂ થયેલા સમાજસુધારાને ગતિ આપવામાં દલપતરામે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.

ઉદ્યમ અને યુરોપમાંથી આવેલ હુન્નર કહેતાં યંત્રઉદ્યોગ દેશની પ્રગતિ માટે કેટલાં જરૂરી છે તેની પિછાણ તેમણે લોકોને ‘હુન્નરખાનની ચઢાઈ’ જેવી વાર્તારૂપ કવિતા અને બીજાં લખાણો થકી કરાવી. અમદાવાદ શહેરની સ્વચ્છતા અને તેનાં આયોજન તરફ લેખો દ્વારા ધ્યાન દોર્યું.

પુરાણકથાનો આધાર લઈને રચેલાં ‘વેનચરિત’ નામનાં આખ્યાનકાવ્યમાં વિધવાઓની હાલતનો ચિતાર આપીને બાળલગ્નનો વિરોધ અને વિધવા પુનર્વિવાહનું સમર્થન કર્યું.

દલપરામ ઓગણીસમી સદીમાં કાર્યરત દુર્ગારામ મહેતા, કરસનદાસ મૂળજી, મહીપતરામ રૂપરામ કે બહેરામજી મલબારીની હરોળના ઍક્ટિવિસ્ટ-સુધારક કદાચ ન લાગે. પણ તેમની પાસે સુધારા માટેની સમ્યક દૃષ્ટિ હતી.

તેમનાથી તેર વર્ષ નાના નર્મદની જેમ જોસ્સા અને કેફ સાથે ‘યાહોમ કરીને પડો’ એવી તેમની વૃત્તિ નહીં, ‘ધીરે ધીરે સુધારાનો સાર’ લોકોને ગળે ઊતારવો એ તેમની પદ્ધતિ હતી.

********

દીપક મહેતા

દલપતરામને મેં જેટલા વાંચ્યા છે તેટલા મને ગમ્યાં છે. મારે એવું દીપક મહેતાની બાબતમાં પણ છે. ચોર્યાંશી વર્ષે પણ સાક્ષરજીવનમાં સતત સક્રિય એવા ગ્રંથજ્ઞ – bookman છે. ગ્રંથસંશોધન ક્ષેત્રે, અને ખાસ તો ઓગણીસમી સદીનાં પુસ્તકોમાં, તેમનું  પ્રદાન અનન્ય છે. ‘મિડ-ડે’ દૈનિકમાં તેમની લેખમાળા ‘ચલ મન મુંબઈ નગરી’ લાંબા સમયથી ચાલી રહી છે. તેનું પુસ્તક ગુજરાતી ભાષા-ઇતિહાસ-સંશોધનનું એક ઘરેણું છે. સાહિત્યિક પત્રકારત્વ, વિવેચન, અનુવાદ અને સંપાદન ક્ષેત્રે પણ તેમણે પ્રદાન કરેલું છે. ઓગણીસમી સદી તેના ઐતિહાસિક અને સમાજશાસ્ત્રીય મહત્ત્વ છતાં સાંપ્રત ગુજરાતના વિચારજગતમાં એકંદર ઉપેક્ષિત હોવાની, અને તે જ રીતે તે કાળખંડ પર દીપકભાઈએ કરેલું કામ પણ ઉપેક્ષિત હોવાની મારી છાપ છે.

દીપકભાઈનું ‘દલપતરામ એટલે…’ નામનું નવું પુસ્તક હમણાં પંદર દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને યોજેલા પુસ્તક મેળામાંથી મળ્યું. એટલે મારા માટે જાણે સોનામાં સુગંધ ભળી. એક પ્રિય પ્રશિષ્ટ સાક્ષર વિશે સાંપ્રત આદરણીય ગ્રંથશીલે લખેલું પુસ્તક મળ્યું.

ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રસિદ્ધ કરેલાં ઉપરોક્ત પુસ્તકના 31 માર્ચ 2023ના રોજ લખેલા નિવેદનમાં દીપકભાઈ જણાવે છે : ‘આ પુસ્તકમાં સંગ્રહાયેલા લેખોમાં કવીશ્વર દલપતરામના જીવન અને લેખનને જરા હટકે જોવાનો અને નિરૂપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.’

પુસ્તકના તમામ તેર લેખો તાજગીસભર, માહિતીપ્રદ, આધારપૂર્ણ અને વાચનીય છે. તેમના શીર્ષક આ મુજબ છે :

(1) દલપતરામ અને ફાર્બસ (2) દલપતરામ અને ‘સોસાયટી’ (3) દલપતરામ અને ‘બુદ્ધિપ્રકાશ’ (4) દલપતરામ અને ‘રાસમાળા’ (5) દલપતરામ અને ‘હોપ વાચનમાળા’  (6) દલપતરામનું પહેલું પુસ્તક (7) દલપતરામનું વિરહકાવ્ય (8) ધીરે ધીરે સુધારાનો સાદ સંભળાવતું ‘વેનચરિત્ર’ (9) દલપતરામની નાટ્યાત્મક કૃતિઓ (10) દલપતરામ અને મુંબઈ (11) દલપતરામ : ‘જેણે મુંબઈ જોઈ નહીં અફળ ગયો અવતાર’ (12) દલપતરામ અને શેરબજાર (13) દલપરામ એટલે …

દીપકભાઈએ પુસ્તકના પરિશિષ્ટમાં જે લખાણો મૂક્યાં છે તે ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલા અને આજ સુધી અગ્રંથસ્થ રહેલાં છે એમ તેમણે નોંધ્યું છે. તેઓ ઉમેરે છે : ‘હકીકતમાં ‘બુદ્ધિપ્રકાશ’ના બધા જ અંકોને ઝીણા આંકે ચાળીને આજ દિન સુધી નજર બહાર રહી ગયેલી દલપતરામની ગદ્યકૃતિઓને પુસ્તક રૂપે સંગ્રહી લેવાની જરૂર છે.’ દીપકભાઈના આ નિરીક્ષણનો અર્થ એ થયો કે અકાદમીએ અનેક ખંડોમાં પ્રસિદ્ધ કરેલી દલપત ગ્રંથાવલીમાં આ કૃતિઓ નથી. ‘ગુજરાત વિદ્યાસભા’ના એકસો પંચોતેરમા વર્ષ નિમિત્તે અકાદમીએ આ કામ સંપન્ન કરવું જોઈએ.

પરિશિષ્ટમાં દલપતરામની જે અગ્રંથસ્થ કૃતિઓ મૂકવામાં આવી છે તે આ મુજબ છે :

(1) મુંબઈ વિશે (2) વડોદરા વિશે (3) રાસમાળાની વાત (4) અભિમાની રતુંધો (5) વંશપાળ અને ધર્મરાજ (6) ‘મિથ્યાભિમાન’ નાટકનાં ગીતો

ગુજરાતની નાજાગૃતિના અગ્રદૂત દલપતરામને વંદન. ગુજરાતી રાણી વાણીના વકીલના વકીલને અનેક ધન્યવાદ.

‌‌‌‌——–

‘દલપતરામ એટલે …’ (2023), પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પાનાં 108, રૂ.220/- 

પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર પુસ્તક ભંડાર, 98797 62263  

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

21 January 2024 Vipool Kalyani
← હજી ચાલ થોડું
કેટલું જોઈએ ? →

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved