Opinion Magazine
Number of visits: 9447262
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 January 2023

ચંદુ મહેરિયા

૨૦૧૭માં ભુવનેશ્વરમાં મળેલી ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષને ‘પછાત અને દલિત મુસ્લિમો’નું સંમેલન બોલાવવા અને તેમના પ્રશ્નો ચર્ચવા સલાહ આપી હતી. જાણે કે તેના પડઘારૂપ આ વરસે યોજાયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યની બી.જે.પી. સરકારે મદરેસા બોર્ડ, ઉર્દૂ અકાદમી અને લઘુમતી બોર્ડના ચેરપર્સન તરીકે પસમાંદા કે પછાત મુસ્લિમોની નિમણૂક કરી હતી. હવે યોગી આદિત્યનાથના બીજા મુખ્ય મંત્રી કાળના પ્રધાનમંડળમાં પછાત મુસ્લિમ દાનિશ આઝાદને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા છે. બી.જે.પી.ના આ વલણમાં વોટ બેન્ક પોલિટિક્સ છે. સમાજવાદી પાર્ટી હસ્તકની આઝમગઢ અને રામપુર લોકસભા બેઠકો અનુક્રમે અખિલેશ યાદવ અને આઝમ ખાનના રાજીનામાથી ખાલી પડી હતી. આ વરસના જૂનમાં આ બંને બેઠકો દલિત મુસલમાનોના ભા.જ.પા. તરફથી મતદાનથી બી.જે.પી.એ જીતતાં ૨૦૨૨ની હૈદરાબાદ કારોબારીમાં વડા પ્રધાને ફરી પક્ષને દલિત મુસલમાનોનો વિશેષ ખ્યાલ રાખવા જણાવ્યું છે. રાજકીય ગણતરીઓને ઘડીભર બાજુ પર રાખીને પેટા ચૂંટણીનાં પરિણામ પર દલિત મુસલમાનોની અસર અને ઉત્તર પ્રદેશ સરકારમાં તેમના રાજકીય પ્રતિનિધિત્વને નોંધપાત્ર બાબત લેખી શકાય.

૧૯૪૬માં મહંમદ અલી ઝીણાના દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતનો વિરોધ કરીને પછાત મુસ્લિમોની મોમિન કોન્ફરન્સે (જમિયતુલ મોમિનીન) મુસ્લિમ લીગના ઘણા ઉમેદવારો સામે ચૂંટણી લડી વિજ્ય મેળવ્યો હતો. ૧૯૪૬માં બિહાર મંત્રીમંડળમાં પ્રથમવાર બે પછાત મુસ્લિમોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું. તેમાં પસમાંદા મુસ્લિમ નેતા અબ્દુલ કય્યૂમ અન્સારી પણ હતા. છતાં એકદંર રાજકીય પ્રતિનિધિત્વમાં પછાત અને દલિત મુસલમાનો હાંસિયામાં જ રહ્યા છે. એકથી ચૌદ લોકસભાના આશરે ૭,૫૦૦ સાંસદોમાં ૪૦૦ મુસ્લિમ સાંસદો હતા તેમાં પછાત મુસ્લિમ સાંસદો તો માંડ ૬૦ જ હતા.

સમાનતાના મનાતા ઈસ્લામ ધર્મમાં પણ નાતજાત અને ઉચ્ચનીચના ભેદ જોવા મળે છે. વળી આવા ભેદ કંઈ આજકાલથી કે ભારતીય ઈસ્લામમાં જ નથી મુસ્લિમોમાં કોટિક્રમ કે ઉચ્ચનીચ દર્શાવતા ત્રણ શબ્દો અશરાફ, અજલાફ અને અર્જાલ ઉર્દૂ કે ફારસી નહીં પણ અરબી શબ્દો છે. એટલે આ ભેદ લાંબા સમયના અને સમગ્ર દક્ષિણ એશિયામાં પ્રવર્તતા હોવાનું લાગે છે.

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ દેશમાં ૧૭.૨૨ કરોડ (કુલ વસ્તીના ૧૪.૨૩ ટકા) મુસ્લિમ વસ્તી છે. તેમાં પોણા ભાગના પછાત કે દલિત મુસલમાનો છે. ભારતના મોટા ભાગના મુસલમાનો ધર્માંતરિત છે. પરંતુ અશરાફ કે ઉચ્ચવર્ણીય મુસલમાનો અરબ, ઈરાન કે તુર્કી મૂળના મનાય છે. મધ્યમ કે કારીગર વર્ગના અજલાફ મુસલમાનો પછાત કે પસમાંદા ગણાય છે. અર્જાલ કે દલિત મુસલમાનો સૌથી નીચા મનાય છે. કેમ કે તેઓએ હિંદુઓની અસ્પૃશ્ય કોમોમાંથી ધર્મપરિવર્તન કરીને ઈસ્લામ અંગીકાર કર્યો છે.

મસૂદ આલમ ફતાહીના “હિંદુસ્તાનમેં જાત-પાંત ઔર મુસલમાન”, અય્યૂબ રાયનના “ભારત કે દલિત મુસલમાન” જેવાં પુસ્તકો, અભ્યાસો, સંશોધનો અને સર્વેક્ષણોમાંથી તથા ઓલ ઇન્ડિયા પસમાંદા મુસ્લિમ મહાજ, મુસ્લિમ ઓ.બી.સી. સંગઠન અને ઓલ ઇન્ડિયા બેકવર્ડ મુસ્લિમ મોરચો જેવી સંસ્થાઓ દ્વારા પછાત અને દલિત મુસલમાનોની સ્થિતિનો ખ્યાલ આવે છે.

બે દાયકા પૂર્વેના અલી અનવરના દલિત અને પછાત મુસ્લિમો અંગેના લઘુ સર્વેક્ષણનું તારણ હતું કે તેઓ આર્થિક, શૈક્ષણિક અને સામાજિક રીતે ખૂબ જ પછાત હતા. સર્વેક્ષણ હેઠળના પરિવારોમાં શિક્ષણનું પ્રમાણ ૩૮.૫ ટકા જ હતું. માંસાહાર મુખ્ય ખોરાક છતાં ગરીબી અને બેરોજગારીના કારણે ૭૦ ટકા પરિવારો મહિને એકાદવાર માંસ ખાઈ શકતા હતા. ૨૫ ટકાને એક જ ટંક ખાવાનું મળતું હતું. ૭૮ ટકાના પગમાં પહેરવા ચંપલ નહોતા અને ૫૮ ટકા કુટુંબો ઘરવિહોણા હતા.

આર્થિક અને શૈક્ષણિક બેહાલીમાં જીવતા અર્જાલ કે દલિત મુસલમાનો રોજેરોજ સામાજિક ભેદભાવો પણ ભોગવે છે. ગિરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ, લખનૌ દ્વારા ૨૦૧૬માં સામાજિક સંશોધકો પ્રશાંત ત્રિવેદી, શ્રીનિવાસ ગોલી, ફહિયુદ્દીન અને સુરિન્દર કુમારે યુ.પી.ના ૧૪ જિલ્લાના ૭,૧૯૫ દલિત મુસલમાન કુટુંબોનો અભ્યાસ કર્યો હતો. જેમાં કથિત ઉચ્ચવર્ણના હિંદુઓ અને મુસલમાનો બંને તેમના પ્રત્યે ભેદભાવ રાખતા હોવાનું જણાયું હતું. ૨૫ ટકા ઉચ્ચ વર્ણીય હિંદુઓ અને ૨૦.૫ ટકા મુસલમાનો દલિત મુસલમાનો પ્રત્યે ભેદ રાખતા હતા. ૮ ટકા દલિત મુસલમાન બાળકોને શાળાના વર્ગ ખંડોમાં અને મધ્યાહ્ન ભોજનમાં અલગ બેસાડાતા હતા. ૧૩ ટકા દલિત મુસલમાનોને કથિત ઉચ્ચ વર્ણના મુસલમાનોના ઘરમાં અલગ વાસણમાં જમવાનું અને પાણી અપાતું હતું. સામાજિક પ્રસંગોએ પણ અલગ જમવા બેસાડતા અને અપમાનજનક તથા વ્યવસાયસૂચક શબ્દોથી સંબોધવામાં આવતા હતા. દલિત મુસલમાનોના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવવા દેવામાં આવતા નથી કે ખૂણામાં દફનાવવા પડતા હતા. મસ્જિદમાં સાથે નમાજ પઢવામાં પણ તે અલગ હોવાનો અહેસાસ કરાવાતો હતો.

ભારતીય ઈસ્લામમાં જોવા મળતો આ સામાજિક ભેદ ઉચ્ચ વર્ણના મુસલમાનો માટે કોઈ મુદ્દો જ નથી. દલિત અને પછાત મુસલમાનોના સામાજિક ન્યાયની સમસ્યાની સતત અવહેલના થાય છે. બીજી તરફ પછાત અને દલિત મુસલમાનો પણ ઈસ્લામના અંતર્ગત હિસ્સા તરીકે સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળ કરવાને બદલે અનુસૂચિત જાતિમાં સામેલગીરી માંગે છે.

ડૉ. આંબેડકરના પગલે દલિતોએ હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. આ નવબૌદ્ધોને વી.પી. સિંઘના વડાપ્રધાનકાળ વખતે અનુસૂચિત જાતિમાં સામેલ કરી અનામતના લાભ આપ્યા હતા. એટલે દલિત મુસલમાનો અને દલિત ખ્રિસ્તીઓ પણ આ લાભ માંગે છે. તેમની આ માંગણી કદાચ વાજબી પણ હોઈ શકે. પણ તેમણે ધર્મ પરિવર્તન કરીને જે નવો ધર્મ અપનાવ્યો છે તે ધર્મ કેમ તેમને સમાન ગણતો નથી અને સમાનતાનો અધિકાર આપતો નથી તે સવાલ કરાતો નથી. હાલની પસમાંદા અને દલિત મુસલમાનની ઓળખમાં તેઓ પહેલાં પછાત કે દલિત અને પછી મુસલમાન છે તેમ જોવા મળે છે. ખરેખર તો તેમણે પોતાની દલિત કે પછાત મુસલમાનની ઓળખને પ્રાધાન્ય આપવાને બદલે મુસલમાન દલિત કે મુસલમાન પછાતની ઓળખ પ્રસ્થાપિત કરવી જોઈએ.

ડો. બાબાસાહેબ આંબેડકરે તેમના ગ્રંથ “થોટ્સ ઓન પાકિસ્તાન”માં જણાવ્યું  છે કે, “મુસલમાનો એવું અનુભવતા જ નથી કે આ (પછાત અને દલિત મુસલમાનો પ્રત્યેનો સામાજિક ભેદભાવ) કોઈ બુરાઈ છે. તેથી તેના નિરાકરણ માટે કોઈ પ્રયત્નો પણ કરતા નથી.” હિંદુઓની જે નીચલી જ્ઞાતિઓએ જ્ઞાતિભેદ અને આભડછેટમાંથી છૂટકારો મેળવવા ધર્મ પરિવર્તન કરીને અન્ય ધર્મો અંગીકાર કર્યા છે તે જો નવા ધર્મમાં પણ સમાન સ્થાન મેળવી ન શક્યા હોય તો તેમનું ધર્મ પરિવર્તન અર્થહીન બની ગયું ગણાય એ દૃષ્ટિથી વિચારીને સમાનતા અને સામાજિક ન્યાયની લડત કરવી જોઈએ.

ખ્રિસ્તીઓ, મુસલમાનો અને શીખો તેમના ધર્માંતરિત ધર્મબંધુઓ પ્રત્યે આભડછેટ અને ભેદભાવ રાખે છે. ગાંધીજીએ તેને હિંદુઓની દેન તરીકે સ્વીકારીને કહ્યું હતું કે હિંદુઓએ પોતાના ધર્મમાં રહેલી આભડછેટ સમાપ્ત કરીને બીજા ધર્મોનું માર્ગદર્શન કરવું જોઈએ. શેષ કામ બીજા ધર્મોએ જાતે કરવું જોઈએ. ગાંધીજીના આ શબ્દોમાં રહેલું દર્દ અને વાસ્તવ ન માત્ર હિંદુઓએ તમામ ધર્મોએ સમજવું પડશે. પછાત-દલિત મુસલમાનોની સામાજિક ભેદભાવની અજાણી વ્યથાનો ઉકેલ અનુસૂચિત જાતિમાં સામેલગીરી અને અનામતમાં નહીં સામાજિક-ધાર્મિક સુધારણાની ચળવળમાં રહેલો છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

12 January 2023 Vipool Kalyani
← ગેલેલિયો અમારો અને ગાય – ગોબર તમારાં
ગાંધીનું રાજકીય પાસું લીધું, આધ્યાત્મિક અને રચનાત્મક પાસું છાંડ્યું. →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved